અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/મનમેળ

From Ekatra Wiki
Revision as of 11:39, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


મનમેળ

બાલમુકુન્દ દવે

         કેવા રે મળેલા મનના મેળ?
હો રુદિયાના રાજા! કેવા રે મળેલા મનના મેળ?
         ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાંની જાળી,
         જેવી માંડવે વીંટાય નાગરવેલ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
         તુંબું ને જંતરની વાણી
         કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
         ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
         જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
                  સંગનો ઉમંગ માણી,
                  જિન્દગીને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
         જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
         જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!

(કુન્તલ, ૧૯૯૨, પૃ. ૭)