અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /દુઃખની ધરતીના અમે છોડવા


દુઃખની ધરતીના અમે છોડવા

ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

દુઃખની ધરતીના અમે છોડવા,
         સુખ કાજ તાકીએ અંકાશ;
પવન લહરે લાગીએ ડોલવા,
         સુખના કેવા આભાસ? — દુઃખની.

લીલાં લીલાં અમારાં પાંદડાં
         જોઈને મરકીએ મન માંહ્ય,
ઝૂમીએ ધરીને માથે ફૂલડાં,
         સપનાં કે સુરભિ સદાય! — દુઃખની.

ધરતી છોડીને કોણ કદી ક્યાં ગયાં
         ઉપર ઊંચે આકાશ?
સુખ તે સદાનાં કોને સાંપડ્યાં?
         આ તે કેવા વિશ્વાસ? — દુઃખની.

એવા વિશ્વાસ સરજે માનવી
         જેનાં મૂલ ન થાય,
દુઃખની ધરતીથી જગાડે જે નવી
         જિન્દગી, ધન્ય એને ભાઈ! — દુઃખની.

(ચિરવિરહ, પૃ. ૩૫)