અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /દુઃખની ધરતીના અમે છોડવા

From Ekatra Wiki
Revision as of 10:04, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> દુઃખની ધરતીના અમે છોડવા, {{space}}સુખ કાજ તાકીએ અંકાશ; પવન લહરે લાગીએ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

દુઃખની ધરતીના અમે છોડવા,
         સુખ કાજ તાકીએ અંકાશ;
પવન લહરે લાગીએ ડોલવા,
         સુખના કેવા આભાસ? — દુઃખની.

લીલાં લીલાં અમારાં પાંદડાં
         જોઈને મરકીએ મન માંહ્ય,
ઝૂમીએ ધરીને માથે ફૂલડાં,
         સપનાં કે સુરભિ સદાય! — દુઃખની.

ધરતી છોડીને કોણ કદી ક્યાં ગયાં
         ઉપર ઊંચે આકાશ?
સુખ તે સદાનાં કોને સાંપડ્યાં?
         આ તે કેવા વિશ્વાસ? — દુઃખની.

એવા વિશ્વાસ સરજે માનવી
         જેનાં મૂલ ન થાય,
દુઃખની ધરતીથી જગાડે જે નવી
         જિન્દગી, ધન્ય એને ભાઈ! — દુઃખની.

(ચિરવિરહ, પૃ. ૩૫)