અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર વોરા/અધૂરી ઓળખ


અધૂરી ઓળખ

ભાસ્કર વોરા

         મારું મન એકલું નાચે રે!
કોઈ છકેલા છંદે છાનું
                  રંગમાં રાચે રે!
         મારું મન એકલું નાચે રે.
કોઈ હૈયાનું ફૂલ બની એ
         ફોરતું રાન વેરાન;
કોઈના નેણે નેણ પરોવી
                  વ્હોરતું તેજ-તુફાન.
         અજાણ્યું ઉર શું વાંચે રે!

         મારું મન એકલું નાચે રે.
કોઈના રૂપે પાગલ થાતું
                  અણસારે શરમાય;
કો અધખુલ્લા અધરે એની
                  ઓળખ એળે જાય
         ઝાઝેરું કાંઈ ના જાચે રે!
કંઈક મારે સોણલે રહેજો
                  કંઈક સાચે રે!
         મારું મન એકલું નાચે રે.

(સ્પંદન, ૧૯૫૫, પૃ. ૯)