અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/ગીત-શિખરિણી

Revision as of 11:53, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગીત-શિખરિણી

મનોહર ત્રિવેદી

ચરણ સરતાં જાય મિતવા...
ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા...
અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો
સવારે તકતામાં કુમકુમ મુખે શો છલકતો
હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા...
ચરણ સરતાં જાય મિતવા...
વળાંકો છાયાઓ નભ પથ અને ઢાળ નમણાં
કરે ઊંચા બાહુ હરખવશ, આ ઘાસ-તરણાં
મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા...
ચરણ સરતાં જાય મિતવા...
પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વ્હાલ વરસે
ભર્યાં એકાંતોમાં મખમલ સમી દૃષ્ટિએ વરસે
દિનાંતે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા...
ચરણ સરતાં જાય મિતવા...