અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/નિરુદ્દેશે

From Ekatra Wiki
Revision as of 06:34, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ-મલિન વેશે. ક્યારેક મને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ-મલિન વેશે.

ક્યારેક મને આલિંગે છે
         કુસુમ કેરી ગંધ,
ક્યારેક મને સાદ કરે છે
         કોકિલ મધુર-કંઠ,
નૅણ તો ઘેલાં થાય નિહાળી
         નિખિલના સહુ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
         પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
         ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન—
         વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
         જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સહુ સંગ ને
         હું જ રહું અવશેષે.

(સંકલિત કવિતા, પૃ. ૩)