અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/બટકણી ભાષાના ધાગાથી

From Ekatra Wiki
Revision as of 12:38, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બટકણી ભાષાના ધાગાથી

લાભશંકર ઠાકર

બટકણી ભાષાના ધાગાથી સીવતી કોટ રે
છે શિયાળો.
નિર્વસન, વસન આશાનું પકડી
એકાગ્ર આંખથી
દરજન કવિતા
સીવતી કોટ રે, છે શિયાળો.
નથી માપપટ્ટી કે કાતર,
કાનામાતરના રણકારે, કાન સહારે
ગણગણતી.
વગર અણીની સોય લઈને કોડભરી ઉત્સુક
સીવતી કોટ રે, છે શિયાળો.
સીવતાં સીવતાં ધાગો બટકી જાય
પરોવતાં રે ગાંઠ વગરનો ધાગો સરકી જાય
શતકોનાં શતકો ઊંટોનાં
સોયના કાણામાંથી
સરક સરકી જાય રે.
વ્હાણાથી બેઠી બેઠી, કાણાને શોધી
મમળાવી ધાગો મોંમાં
ધીરજ ખંતથી પરોવવા તત્પર
દરજણ કવિતા
સફળ યત્નથી સ્મિતભરી, સીવતી કોટ રે
છે શિયાળો.
કંપિત અંગ-આંગળાં
લયમાં
સંકોરી કાવ્યભાન
ખંતીલી તંતીલી
વેદના વારાથી
દરજણ કવિતા
સીવતી કોટ રે, છે શિયાળો.



આસ્વાદ: ‘સિસિફસની સગી’ : ‘દરજણ’ કવિતા – પરેશ નાયક

કવિતા નામે એક દરજણ છે. પંડે નિર્વસ્ર છે. વેદકાળથી એ એક કોટ સીવી રહી છે. નિર્વસ્ર હોય તેને ઓઢાડી શકાય એ માટે.

પણ આજ લગી આ કોટની સિલાઈ પૂરી થવા પામી નથી. શિયાળો આવી પહોંચ્યો છે!

ટાઢના આ દિવસોમાં કોટ સીવવાનું કામ વિશેષ કપરું બન્યું છે. પણ કોટ સીવવો જરૂરી છે. કોટ સીવવા માટે દરજણ પાસે ફક્ત આશાનું વસ્ત્ર છે. એકાગ્ર નજરે દરજણ કવિતા કોટ સીવ્યે જાય છે. ભલે શિયાળો છે!

દરજણ પાસે માપપટ્ટી નથી. કાતરેય નથી. એ તો અક્ષરોને વળગેલા કાનામાતરનો રણકાર સરવા કાને સાંભળતી જાય છે ને ગણગણતી જાય છે. કોટ સીવવાનો છે! શિયાળો છે તો છે!

દરજણ પાસે જે સોય છે તે પણ અણી વગરની છે. પણ દરજણના અંતરમાં કોટ સીવવાના એવા તો ભારે કોડ છે! તે એ તો વગર અણીની સોય લઈને પણ ઉત્સુકતાભેર કોટ સીવ્યે જાય છે. શિયાળો હોય તો હોય!

કવિતા પાસે કોટ સીવવાનો જે દોરો છે તે પણ બટકણી ભાષાનો છે. એટલે સીવતાં સીવતાં વારે વારે એ ધાગો બટકી જાય છે. ધાગાને છેવાડે ગાંઠ પણ નથી. તે સોયના કાણામાં ધાગો પરોવવા જતાં એ સરકી જાય છે.

ને જેવો ધાગો સરકી જાય છે કે લાગ જોઈને સોયના કાણામાંથી સેંકડો ઊંટો પણ સરકી જાય છે. સરકી જ જાય ને!

તોય દરજણ કવિતા કોટ સીવવાનું મૂકી દેતી નથી. દિવસો લગી ધીરજપૂર્વક બેસી એ સોયના કાણાને શોધી, ધાગો મોંમાં બરોબર મમળાવી, વગર અણીની સોયમાં એ દોરાને પરોવવા તત્પર બને છે. ને ધાગો પરોવાય છે!

સોયના કાણામાં પોતે ધાગો પરોવી શકી છે એ જ કાંઈ નાની સિદ્ધિ છે? એટલે કવિતા દરજણ તો પોતાના આ સફળ પ્રયાસથી હરખાઈને પુન: કોટ સીવવા લાગે છે. ભલે ને હોય શિયાળો!

ઠેઠ વેદકાળથી આ દરજણ આમ કોટ સીવવા મથી રહી છે તે હવે તો એનાં અંગો ને આંગળા કંપી રહ્યા છે. ને તોય એ તો પોતાના કાવ્યભાનને લયમાં સંકોરી આજેય ખંતતંતથી કોટ સીવી રહી છે. શિયાળો ભલે છે!

લાભશંકરની કવિતાનો આસ્વાદ કરવા બેસવું એ નાગી તલવાર હસ્તગત કરવા જેવું કામ છે. મૂઠથી ઝાલશો તો એ વધ કરવા તત્પર થશે, ને ધાર ઉપર મૂઠ ભીડશો તો લોહીલુહાણ કરશે.

આ રચનાને લાભશંકરની એક ધારદાર પ્રતિનિધિ રચના તરીકે ઓળખાવી શકાય.

દરજણ કવિતાના સિસિફસવત્ પાત્રની આસપાસ ઘૂંટાતું આ ચિત્રાત્મક કાવ્ય લાભશંકરના કાવ્યવિશ્વનું પ્રવેશદ્વાર પણ છે.

કાવ્યનાયિકા એક નિર્વસન દરજણ છે. એ કામૂના સિસિફસના કુળની છે.

સિસિફસ પાસે પોતાના વિચારને વળગી રહેવા વિશે પ્રખર જિદ્દ હતી. નિશ્ચયબળ હતું. એમ, આ દરજણ કવિતા પાસે આશાનું વસન છે. જે એને કોટ સીવવાના કામથી કદાપિ વિચલિત થવા દેનાર નથી.

સિસિફસે દેવોને નારાજ કર્યા હતા. એમની સત્તાને લલકારી હતી. મૃત્યુને એણે પોતાના તાબામાં કેદ કર્યું હતું.

લાભશંકરની દરજણ, કવિતા ઉપરાંતના તમામ માનવીય પ્રપંચોને લલકારે છે. દેવોને નહીં, એ મનુષ્યમાત્રને પડકારે છે. ને એટલે જ ભરશિયાળે ‘નિર્વસન, વસન આશાનું પકડી, એકાગ્ર આંખથી… સીવતી કોટ રે.’

હોમરના સિસિફસને કામૂ એબ્સર્ડ હીરો તરીકે જુએ છે. દેવોએ એને સજા ફરમાવી હતી. મસમોટા પથ્થરના ગોળાને પહાડની ટોચ સુધી ધકેલતા લઈ જવાની. પૂર્ણ પુરુષાર્થ અને અમાપ બળ સીંચીને સિસિફસ પથ્થરના ગોળાને પહાડની ટોચ પર પહોંચાડે છે.

જેવો સિસિફસ પોતાના આ કામમાં સફળ થાય છે કે તરત દેવો પેલા પથ્થરને ફરી તળેટીમાં વળતો ગબડાવી આપે છે. હવે સિસિફસે ફરી એક વાર તળેટીમાં ઊતરી એ પથ્થરના ગોળાને ફરી ઉપર ચડાવવાનો છે. સિસિફસ પુન: તળેટી ભણી ઉતરાણ આદરે છે.

કામૂને સિસિફસની આ ઉતરાણની ઘડી સાથે નિસ્બત છે.

કામૂ લખે છે, ‘It is during that return, that pause, that Sisyphus interests me… that is the hour of consciousness. At each of those moments when he leaves the heights and gradually sinks towards the lairs of the gods, he is superior to his fate. He is stronger than his rock.’

જેમ આ નિશ્ચયની પળે સિસિફસ પેલા પથ્થરના ગોળા ઉપર વિજય મેળવી લે છે, એમ લાભશંકરની દરજણ કવિતા શિયાળા ઉપર જ નહીં, ભાષાની બટકણી સોય પર, ગાંઠ વિનાના ધાગા પર, ખુદના કંપિત અંગઆંગળા પર, પ્રત્યેક વાર વધુ ને વધુ નક્કર વિજય મેળવતી રહે છે.

લાભશંકરની દરજણમાં આપણને રસ પડે છે પુન: પુન: એક જ ક્રિયાને પૂર્વવત્ હોંશભેર હાથ પર લેવા માટેના એના ‘એબ્સર્ડ’ કમિટમેન્ટને કારણે.

લાભશંકરની કવિતાનું નેરેટિવ પ્રતીકાત્મક છે. તો કાવ્યનાયિકાનું ઠેઠ માનવીય ચરિત્ર નરી વાસ્તવવાદી વિગતોને સાંકળીને ચીતરાયું છે. આ પ્રકારનો રચનારીતિનો આંતરિક વિરોધ એ કવિ લાભશંકરની આગવી વિશેષતા છે.

અહીં વિરોધને આપણે contrastના અર્થમાં ચર્ચી રહ્યા છીએ.

એમની અન્ય પ્રસિદ્ધ રચનામાં ‘ડોલ શબ્દની કાણી રે’ કહેવા સાથે તરત એ ઉમેરે છે, ‘ઊંડાં કૂવાનાં પાણી રે.’

આ કાવ્યના પ્રતીકાત્મક નેરેટિવને ઉકેલતા પહેલાં આપણે કવિ લાભશંકરની ભાષાની ચાલથી પરિચિત હોઈએ એ જરૂરી છે.

જેમ સિસિફસે આ ઊતરચઢ અનંતકાળ લગી કરવાની છે, તેમ આ દરજણ કવિતાએ પણ વારંવાર સોયના કાણામાં દોરો પરોવવા મથવાનું છે. પ્રત્યેક વાર દોરો સોયમાંથી સરી જવાનો છે. ને લાગ જોઈને સેંકડો ઊંટો એની સોયના નાકાની આરપાર સરકી જવાના છે.

પ્રત્યેક નિષ્ફળતા બાદ આ દરજણ કવિતા પુન: ‘કાણાને શોધી, મમળાવી ધાગો મોંમાં ધીરજ ખંતથી પરોવવા’ તત્પર થવાની છે. આખું અંગ ને હાથનાં આંગળાં કંપી રહ્યા હશે તોપણ એ પુન: પુન: ‘લયમાં સંકોરી કાવ્યભાન ખંતીલી તંતીલી’ કોટ સીવતી રહેવાની છે.

લાભશંકરનું કમિટમેન્ટ અસ્તિત્વ સાથે છે. માટે જેવી છે તેવી ભાષાને જ આધારે એ ભાષાની નિરર્થકતા સિદ્ધ કરવા લગાતાર મથતા રહ્યા છે. ને એમ કવિતા સિદ્ધ કરતા રહ્યા છે.

એમને મન કવિતા આથી વિશેષ કશું કરી શકતી નથી. પણ, આથી વિશેષ કરવાપણું આ જીવનમાં બીજું છે પણ નહીં એ અર્થ પણ લાભશંકરને અભિપ્રેત છે. કવિ લાભશંકરનું આ નિખાલસ કમિટમેન્ટ જ એમની કવિતાને સ્થળકાળની પેલે પાર ટકાવે છે. ટકાવશે.

કવિના જવાથી ગુજરાતી સાહિત્યનો શિયાળો વધુ ટાઢો બન્યો છે. તોય, આકરી ટાઢના આ દિવસોમાં કવિતા નામની દરજણને કોટ સીવવા માટે આશા નામનું જે વસન જોઈશે એ લાભશંકરની કાવ્યબાનીમાંથી સતત સાંપડવાનું છે એ વાતની હૂંફ છે! (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)