અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/માયાપાશ

From Ekatra Wiki
Revision as of 20:41, 25 January 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માયાપાશ

વેણીભાઈ પુરોહિત

ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો,
         જીરણ એની કાયા,
રે હો જીરણ એના કાયા :
કાંકરી-ચૂનો રોજ ખરે ને
         ધ્રૂજે વજ્જર-પાયા,
રે હો ધ્રૂજે વજ્જર-પાયા! — ભીંત.

પાંદડે પાંદડે તેજ ફરૂકે,
         મૂળ ઊંડેરાં ઘાલે,
રે હો મૂળ ઊંડેરાં ઘાલે :
ચોગમ આડા હાથ પસારી
         ગઢની રાંગે ફાલે,
રે હો ગઢની રાંગે ફાલે! — ભીંત.

કોક કોડીલી પૂજવા આવે,
         છાંટે કંકુ-છાંટા,
રે હો છાંટે કંકુ-છાંટા :
સૂતરનો એક વીંટલો છોડી
         ફરતી એકલ આંટા,
રે હો ફરતી એકલ આંટા! — ભીંત.

ભીંત પડી, પડ્યો પીપળો એક દી
         ડાળીયું સાવ સુકાણી,
રે હો ડાળીયું સાવ સુકાણી :
ચીરતો એનું થડ કુહાડો,
         લાકડે આગ મુકાણી,
રે હો લાકડે આગ મુકાણી. — ભીંત.

જડને ટોડલે ચેતન મ્હોરે,
         પૂજવા આવે માયા,
રે હો પૂજવા આવે માયા :
લાખ કાચા લોભ-તાંતણે બાંધે,
         મનવા! કેમ બંધાયા?
મારા મનવા! કેમ બંધાયા? — ભીંત.

(દીપ્તિ, પૃ. ૩૭-૩૮)




વેણીભાઈ પુરોહિત • ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો • સ્વરનિયોજન: દિલીપ ધોળકિયા • સ્વર: દિલીપ ધોળકિયા