અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/— (કુંજડીની હાર સમ...)

— (કુંજડીની હાર સમ...)

‘પંથી’ પાલનપુરી

કુંજડીની હાર સમ નભમાં ઉડાવી લે મને,
પંક્તિ છું હું પ્રીતની સૂરમાં સજાવી લે મને.
કૈં સદીથી વાંસળીના છેદમાં ઊંઘી રહ્યો,
ફૂંક મારી તું મધુર સૂરે જગાવી લે મને.
હું સમયની ધૂળથી ઢંકાયલું જાસૂદ છું,
ઝાકળે ધોઈ ફરી તાજું બનાવી લે મને.
સાવ ખાલીખમ પડ્યું અસ્તિત્વનું આખું મકાન,
આવ, તું આપી ટકોરો ને વસાવી લે મને.
આપણું ઉપનામ ‘પંથી’ પંથનું પર્યાય છે,
છો ચરણ અટક્યાં હવા પર તું તરાવી લે મને.