અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/અંતરતમ સખાને

From Ekatra Wiki
Revision as of 16:26, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> હવે મેં જાણ્યું કે મુજ ભીતરમાં ગૂઢ કંઈ છે કશું જે તારા શું અદીઠ, મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

હવે મેં જાણ્યું કે મુજ ભીતરમાં ગૂઢ કંઈ છે
કશું જે તારા શું અદીઠ, મુજને જાળવી રહ્યું,
વિપત્તિવેળાએ અમથું ઊંચકી તારવી રહ્યું,
નહીં તો માન્યું’તુંઃ મુજ મીત જગે કોઈ નહીં છે.
મને હું એકાકી, મન હિ મન, નિઃસંગી નીરખી
રહ્યો’તો મૂંઝાઈ, પણ રજનીએ જ્યાં સૂઈ ગયો
કળીઓ ચિંતાની તવ ચરણ મૂકી હળુ થયો;
સવારે જોયું તો ખીલી’તી ફિકરો ફૂલ સરખી!
થયું કે કોઈ છે નકી, વિપદવેલે મુજ સખા
સદા મારી સાથે અણદીઠ રહી સહાય કરતો,
પ્રતિચ્છાયા જેવો, ફિકરમહીં મારી જ કરતો,
અને એને જોયા પછીથી મન એવા અભરખા...
હું પૂછું છું તારસ્વરથી ‘કુણ તું’ કહે તવ કથા
અજાણ્યા બંધુ હે, બહુ થયું, હવે તો પ્રગટ થા.

(બુદ્ધિપ્રકાશ, જુલાઈ)