અલ્પવિરામ

From Ekatra Wiki
Revision as of 05:32, 8 August 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


Alpviram-Title.jpg


અલ્પવિરામ ૧૯૫૪

નિરંજન ભગત


અર્પણ:
દેવુ, ભરત અને ભાનુ ને

કાવ્યો

સૌંદર્યની સાપણ ક્યાંકથી ડસે,
વ્યાપી જતું ઝેર તરત્ નસે નસે;
નીલાં ત્વચામાં ફૂટતાં ચકામાં,
કાવ્યો કહ્યાં જે જનવાયકામાં.

કવિ

લાગ્યું હવે તો મૃત, લૈ સ્મશાને
ગયા, ચિતાની પર જ્યાં સુવાડ્યો
ને આગ મેલી, સહસા જ જાગ્યો
વંટોળિયો, ડાઘુ થયા અલોપ,
બેઠો થઈ એ, ક્ષણમાં જ, માનવી
પાછો ફર્યો આ જગમાં, હતો કવિ.

રૂપ

એવું રૂપ નીરખ્યું મેં નમણું,
એક પલકમાં સાચ થઈ ગયું સમણું!

એવાં ઘેર્યાં છે કૈં ઘેને,
આ મુજ ચકિત ચકિત બે નેને
અવ હું નીરખું જેને જેને
તે તે સઘળું સુન્દર લાગે બમણું!

અવ નહીં સૂધ કે સાન
કે નહીં જ્ઞાનગુમાન,
જેને સઘળું એકસમાન
તેને તે અવ શું ડાબું શું જમણું?

આ નયનો

આ નયનો,
સત સમણાંનાં શયનો!
અભ્રહીન શારદનભનીલાં,
એ જ વળી વર્ષાથી વીલાં,
ગ્રીષ્મ વસંત ઉભયની લીલા,
પ્રગટ ઐક્ય, લય દ્વયનો!
એક હસે તો અન્યે રોવું,
એક ઝરે જલ અન્યે લ્હોવું,
છતાં ઉભયથી ઊજળું જોવું
સકલ વિશ્વ, શાં ’ડયનો!