આત્માની માતૃભાષા/29

Revision as of 11:06, 16 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દયારામનો તંબૂર જોઈને: એક પાઠ| ભોળાભાઈ પટેલ}} <poem> ‘છબી રતનને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દયારામનો તંબૂર જોઈને: એક પાઠ

ભોળાભાઈ પટેલ

‘છબી રતનને દેજો, તંબૂરો રણછોડને'—
બોલી, દેહ કવિ છોડે; ન તે છોડતી સોડને.
ગયો ડભોઈનો આત્મા, ગયો સદ્ભક્ત વૈષ્ણવી;
ગયો ગુર્જરીનો કંઠ, ઊર્મિમત્ત ગયો કવિ.
કિંતુ આ બેઠી છે તેનું શું શું રતનનું ગયું?
— ‘છબી રતનને દેજો, તંબૂરો…'
જોઈ—સાંભર્યું.
હૃદયદ્રાવી એ દૃશ્ય ને શબ્દો અંતકાલના
કાને ગુંજી રહ્યા — જોઈ પ્રદર્શને કલા તણા
દયારામ કવિનો ત્યાં મૂકેલો ક્યાંક તંબૂર.
સૂતા શાંત સમાધિમાં કવિપ્રેરિત સૌ સૂર.

કોક ફાલ્ગુનીસન્ધ્યાએ વસંતાનિલસ્પર્શથી
કૂદી ઊઠી ગીતધૂને નાચેલો કવિ હર્ષથી.
તંબૂરો ર્હૈ ગયો હાથે, તારે નર્તંતી અંગુલી,
કવિહૈયેથી ઊભરી હોઠે સરસ્વતી છલી.
હશે નાચી રહી ગીતોની અનાયાસલાસિકા,
ચમકાવી સ્મિતોત્ફુલ્લ ચારુ ચૈત્રની ચંદ્રિકા.
ને જ્યાં આષાઢી અંધારે વિરહે રજની સુહી,
આત્મા વલોવીને જાગ્યો હશે નાદ તુંહિ તુંહિ.
શરચ્ચંદ્રે લહે જ્યારે રસશ્રી ગગનાંગણ,
આ જ તંબૂરને તારે નાચ્યો રાસેશ્વરીગણ. (૨૦)
કદી શિશિરની લાંબી ઉષ્માહીન નિશા વિશે
બન્યા એ તાર સૌ મૂક, જેમ આજે અહીં દીસે.
કોઈ જોતું નથી ને — ત્યાં જોયું મેં આમતેમ ને
ચુકાવી આંખ ઊભેલા રક્ષકોની, સરી કને
કંપતી અંગુલીએ તે તાર છેડ્યા ધીરેકથી.
…જેમ કો સંગ્રહસ્થાને મૂર્તિઓ એકએકથી
ભવ્ય રૂપભરી સોહે ને વચ્ચે સ્વૈર સંચરે
યુવા રૂપરસે દંશ્યો, થંભી ત્યાં સહસા અરે
મૂર્તિ વીનસ્-દ-મેલોની સામે મુગ્ધ અવાક શો
ઊભે, પ્રસારી ગભરુ કર, ને કરી ના કશો
વિચાર, સ્તબ્ધ સૌ મૂર્ત વીરોનાં ભૂલી લોચન
અંગુલીટેરવે સ્પર્શે વિશ્વોન્માદી અહો સ્તન.
અને તે હાથમાં તેના અરેરે! રૂપ ના'વતું.
આ તો પ્રતિકૃતિ! કે ના અહીંથી ઊપડ્યું હતું
ટાંકણું તે મહાશિલ્પી તણું! તોયે કંઈ કળ્યો
રૂપમૂર્છિત તે શિલ્પીચિત્તમાં કોતરાયલો
સ્ત્રીના સૌન્દર્યરસનો સ્વચ્છ આરસઊભરો,
ટેરવે ટેરવે થૈ જે પ્રવેશી શોણિતે સર્યો. …
સહસા ચોંકીને મારા સ્વરવિહ્વલ માનસે
કર્ણોને કહ્યું: વીણી લો, ઝણકાર શમી જશે.
ને ત્યાં તારની આછી તે ઝણણાટી ધીરે ધીરે
આછેરી થતી, ના થંભી તે પ્રદર્શનમંદિરે,
વટાવી ગુંબજો ઘેરા ગૂઢ પ્રાક્તનકાલના
શમી અંતે જતી ઉરગુંબજે કોઈ સ્ત્રી તણા.—
રેવાનાં શાંત ગંભીર નીરતીરે મળ્યો મહા (૪૫)
મેળો યાત્રાળુનો, સન્ધ્યાસ્નાને તે અર્ચતો અહા
સરિદ્વરા રુદ્રકન્યા નર્મદા નિત્યશર્મદા.
રેવાનાં તટતીર્થે તો કવિને જવું સર્વદા
આજ શિષ્યોથી વીંટાઈ જમાવી સાન્ધ્યકાલના
રમ્ઝટો મંજીરાની ને નિનાદો કરતાલના.
એકતારા પરે ઝૂકી પોતે દિલ વલોવતાં
ગદ્ગદ્ કંઠે પદો ગાતાં અશ્રુઓ નીગળ્યાં હતાં.
ડોલી'તી મેદની સારી, મોડેથી વીખરી, અને
છેલ્લા પોતે રહ્યા, દીધું મોકલી શિષ્યવૃંદને.
કર્યું નમન રેવાને સ્મિતે ગલિત ચિત્તથી,
ડગો ઘર ભણી માંડ્યાં, ચાલ્યા સ્હેજ હશે મથી.
દયાર્દ્રા દૃગ થંભી ગૈ ને ‘જો! જો! રણછોડ તો!
શું છે?’ બોલ્યા. જુએ છે ને શિષ્ય જ્યાં માર્ગ મોડતો
તટના શાન્ત એકાન્તે વાળીને બેઠી સોડિયું
વિધવા, — સમાજના જીર્ણ વૃક્ષનું શુષ્ક છોડિયું.
નિરાધાર નિરાલંબ, — વર્તે બ્રહ્મદશા મહીં!
‘ચાલો ઘેર!’ કવિ બોલે. ‘ઘેર!’ ત્યાં ગજવી રહી
પડઘો પાડીને રેવાતટની દૂર ભેખડો.
‘આજ્ઞા છે વત્સ! રેવાની, છો રાજી થતી!’ ત્યાં પડ્યો
કાને શબ્દ, ‘મને ક્હો છો? હું તો રતન!’ સાંભળી
દૂબળો ઓશિયાળો એ સાદ હૈયું ગયું ગળી.
‘સિંધુ તો દે, હવે રેવા માંડી રતન અર્પવા.
રેવાની બલિહારી છે! રણછોડ!’ પછી જવા
ઊપડી મંડળી ઘેર, ચાલે છે કવિ મોખરે.
મોડી રાતેય પુરમાં થયો સંચાર તો ખરે.
રાજમાર્ગે હાટના સૌ થંભોને આંખ ઊઘડી,
માળિયાં જાળિયાં સૌ તે કરે જોવા પડાપડી.
કવિ દૃઢ પદે ચાલે આંખે ના ઓસર્યાં અમી,
વંટોળ લોકલૂલીના ઊઠ્યા એવા ગયા શમી.
થતાં જ પડખે આડે, સ્વપ્નમાં — અર્ધ સ્વપ્નમાં
તરંગો ઊઠવા લાગ્યા રેવાકલ્લોલની સમા: (૭૬)
— પ્રભાતે જિંદગી કેરા એ જ રેવા તણે તટ,
ફોડ્યા'તા કાંકરીચાળે પનિહારી તણા ઘટ.
અને નાનપણે એવાં કૈં અળવીતરાં કર્યાં,
ઝાલી પાલવને ઊભો રહ્યો નેત્રે રસે ભર્યાં.
લૈ હથોડી ધસી આવ્યો મુગ્ધાનો વર, ત્યાં છળી
એ જ રેવા તણાં નીરે ઝુકાવી કાયહોડલી.
તજ્યું ચાણોદ, કર્નાળીઘાટે રેવા-અમી જડ્યું,
લાવણી-લલકારે ત્યાં કાવ્યસૌભાગ્ય ઊઘડ્યું.
રેવાનાં પયપાને તે અનાથ શિશુ ઊછર્યો,
પછી ગુર્જરી-ગંગાએ ગંગાનો કોડીલો કર્યો.
દોડ્યો વત્સ, યથા મત્સ્ય જળ બ્હાર, જઈ પડ્યો
ગંગાનાં સલિલે, વિશ્વનાથને ચરણે ઢળ્યો.
પછી કૈં કૈં દીઠાં તીર્થો, ‘પૃથ્વી પ્રદક્ષિણા’ કરી,
દીઠો સિંધુ — દ્વારકા જ્યાં રામેશ્વર અને પુરી.
સર્વત્ર સિંધુકલ્લોલે રેવાની લ્હેરખી સ્ફુરી,
વ્યોમસાગરમાંયે તે રેવાલહરી અંકુરી.
તટના સૂત્રમાં ગૂંથી તીર્થરત્નોની માલિકા,
રમે ભારતના વક્ષે કોડીલી વિન્ધ્યબાલિકા.
તીર્થસારસની હારો ગૂંથાઈ ગીતવ્હેણથી,
પૃથ્વીહૈયે ઊડે એ તો રેવા સ્વપ્નશી સ્હેલતી.
જલે રેવા, સ્થલે રેવા, નભે રેવા વને જને,
માતા રેવા, પિતા રેવા, રેવા ભગિની બંધુ ને.
બપોરા જિન્દગી કેરા નમતાં, ચારુહાસિની
વત્સલા એ જ તે રેવા બની શું સહવાસિની! — (૧૦૦)
પછી ના કાંઈયે જોયું, સેવા રતનની ગ્રહી.
(આ તે છે જિન્દગી કેવી ઢાંક્યાં સૌ ધીકતાં અહીં!)
ના ખપે હાથનું એના કાંઈ, તોયે સુતર્પતી
સંભાળે સારવારે, ને કૈં કૈં સેવા સમર્પતી.
હતા વડ સમા પોતે, તે કાસાર સમી બની;
જિન્દગી એમ સામીપ્યે-દૂરત્વે સહ્ય શી બની!
પૂછો તો ભોળી એ ક્હેશે: લડ્યાં ઝૂંબ્યાં રિસામણે,
હું શું જાણું દીઠું શુંયે મારામાં એવું એમણે?
ન જાણે તોય તે એની સદા આંખ રહી હસી,
ન જાણે કાવ્યની ગૂંચો, કેવી તોય થતી ખુશી?
મૂંગી મૂંગી સુણી ગીતો કીર્તનો ભજનો પદો
કોની પ્રાણકળી ખીલી, વિસારી સહુ આપદો?
કવિના શબ્દથી નાચે સૌ રાસેશ્વરીમંડલ,
કવિને નચવે કોની ઉરશ્રી મત્તમંગલ?
દીપી ઊઠ્યો કવિકંઠ કોના હૃદયતંતુના
ગુંજનધ્વનિમાં, યાત્રી બન્યો માર્ગે અનંતના?
પડ્યો એ મૂકીને હૈયાસાજ, રે કોક દી ખરે
ઉપાડ્યા કવિએ ડેરા જવા વૈકુંઠમંદિરે.
‘છબી રતનને દેજો!’ — કહ્યું! એ ઉર તો છવિ
વ(૧૬૩)થી કોતરાઈ છે યાવચ્ચંદ્રધરારવિ.
ભલે દીધો ભલા ભાવે તંબૂરો રણછોડને;
દીધી રતન કોને, જે છોડે ના હજી સોડને?
આજે એ વિધવા સાચી — જે પુનર્વિધવા — બની,
વ્યથામથિત ઊંડેથી ઉરતંતુ રહ્યા રણી.
તંતુઝંકાર એ વ્હેતા અનંતે અણઆથમ્યા. …
— જોઉં છું તો પહોંચ્યો હું મુકામે! — સ્વર ના શમ્યા.
કાળને હાથ તંબૂરો: હૈયાતંતુથી ભૈરવી
ગુંજે ગુર્જરકુંજે, ત્યાં ડોલે શી કવિની છવિ! (૧૨૮)
અમદાવાદ, ૫-૫-૧૯૪૪