ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/અભિજ્ઞાન શ્રીધરાયણમ્

From Ekatra Wiki
Revision as of 12:46, 14 August 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અભિજ્ઞાન શ્રીધરાયણમ્ — એક પ્રસ્તાવના|}} {{Poem2Open}} હું જ્યારે-જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અભિજ્ઞાન શ્રીધરાયણમ્ — એક પ્રસ્તાવના

હું જ્યારે-જ્યારે કોઈ રંજક વાર્તા વાંચું છું, ત્યારે-ત્યારે તેના લેખકના મનમાં પેસી જવાની મને ઉત્કંઠા થાય છે. પેલું પાત્ર ઉપજાવતી વેળાએ, આ ટીખળી ફકરો લખતી વખતે, પેલા કટાક્ષ કરવાને સમયે, અને આ બનાવ વર્ણવતાં, લેખકે શું અનુભવ્યું હશે તે જાણવાની મને તાલાવેલી થાય છે. એનું હૃદય રડેલું ખરું? — અને ખરાં, ખારાં, ગરમ આંસુએ કાગળ પર ડાઘા પાડેલા? કે તેનું હૃદય હસેલું? અને લખતાં-લખતાં તે ખરેખર ખડખડાટ હસી પડેલો, જેમ વાંચતાં-વાંચતાં હું હસી પડ્યો તેમ? તેને પોતે કાંઈ અદ્ભુત સર્જાવી રહ્યો છે તેવો થનગનાટ થતો હતો? કે પોતે વેઠ કાઢી રહ્યો છે તેવું ભાન હતું? આવું અનોખું જગત સર્જાવી શકે તેવો કર્તા કઈ જાતનો માણસ હશે — મારા જેવા વાચક જેવો, કે સામાન્યોથી કાંઈક અળગો અને અનેરો? કેમકે સરવાળે તો આ કુતૂહલ પણ આપણને જેદ્દ્ભુત લાગે છે તેની સાથે ઐક્ય માણવાનો કોડ છે. આવા કોડ તો ત્યારે પૂરા થાય કે જ્યારે મનપસંદ એવા લેખકની આત્મકથા વાંચવાની મળે. અને તોય તે જો એ આપવીતી સર્જન વેળાનું મનોમન્થન ન ઊભું કરે તો અતૃપ્તિ રહી જાય, ઓડકાર ન આવે. ‘હું રહી ગયો’ એમ રહ્યા કરે. તાદાત્મ્ય તો ત્યારે જ સધાય કે જ્યારે આપણને ખબર પડે કે જ્યાં આપણને ઉકળાટ થયેલો વાંચતી વેળાએ, ત્યાં જ લેખકને લખતી વેળાએ ઉકળાટ થયેલો. આપણે તો એ આત્મસંતોષ મેળવવા માગીએ છીએ કે લેખકની લાગણીઓ અને ઉમળકાઓ આપણી લાગણી અને ઉમળકા જેવાં જ છે. લેખકના મનોમન્થનમાં કાંઈ વિશેષતા હોય તો તે પણ આપણે જાણવા માગીએ છીએ; કેમકે તે અતિજ્ઞાન આપણો સંતોષ વધારે છે. મોટા હૃદયનું માપ કાઢતાં આપણું દિલ પણ બહેલાય છે. પણ ઉપરોક્ત કરતાં પણ એક અદકો અનુભવ છે. તે પોતાનું સર્જન પરાયી આંખે જોવામાં; તે પોતાનું કથન પારકા મનની તટસ્થતાએ પામવામાં. આ અનુભવમાં મુખ્ય વાત આશ્ચર્યની છે. કાંઈ નવી શોધનો જે વાક્યેવાક્યે બીજાનું વાંચતાં અનુભવ થાય છે તેવી જ તીવ્ર સાહસવૃત્તિ પોતાનું વાંચતાં પણ રહેવી જોઈએ. પોતે લખેલી કવિતા કે વાર્તા એકાદ મહિના પછી ફરી વાંચવાથી જે અનુભવ થાય છે તેમાં અને આ અનુભવમાં આસમાન-જમીનનો ફેર છે. સામાન્યત: લેખકની સ્મરણશક્તિ સમૂળી સારી હોય કે ન હોય, પણ તેની પોતાના લખાણપૂરતી સ્મરણશક્તિ બહુ તેજ હોય છે. ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ) જેવા કવિઓ તો પોતાની હજારો કવિતાના લાખો શબ્દો-શબ્દે-શબ્દ આંખમિચામણાંમાં યાદ કરી દે. મેકોલે જેવા ઇતિહાસકારો પોતાના પુસ્તકની હસ્તપ્રત બળી જાય તો આખું પાછું સ્મરણ શક્તિને આધારે લખી કાઢે. આવી જીભે ચડેલી સ્મરણશક્તિ ન હોય તોય પોતાની વાર્તાનું એકેએક વાક્ય લેખકને ફરી વાંચતી વખતે તાજું તો થઈ જાય, પણ હું જે અદકા અનુભવની વાત કરું છું તે સ્થિતિમાં તો પોતાનાય શબ્દો તાજા નથી થતાં. ‘આવું લખનાર કોણ?’ એ વાક્ય પોતાનું પુસ્તક વાંચતાં-વાંચતાં પણ ગુંજ્યા જ કરે. આવો સ્મૃતિભ્રંશ તો મગજ ઉપર અકસ્માતે કોઈ ચોટ લાગી હોય તો થાય. સ્થિતિ એવી હોવી જોઈએ કે વંચાતા વાક્ય પછીના વાક્ય વિશે અગમ જ્ઞાન ન હોય. મગજને વિસ્મૃતિના કાળા ઓઢાણ ચડાવનાર અકસ્માત વિના પણ મારાં ગુજરાતી સર્જનો પ્રત્યે મારો આવો સ્મૃતિભ્રંશ થયેલો. દુષ્યંતની જેમ હું મારો સ્મૃતિભ્રંશ કોઈ શાપને કારણે સમજાવી શકું તેમ નથી. વાત એમ બનેલી, કે મારો દેશવટો ભાષાવટો જેવો થઈ ગયેલો. બારબાર વરસ હું પરદેશમાં વસેલો એટલું જ નહિ, પણ પરભાષામાં મેં લખ્યું અને સ્વપ્નાંઓ પણ પરભાષામાં આવવા લાગ્યાં. મારી તંદ્રા તૂટી કરાંચીમાં, બાર વરસ પછી. વિમાનથી ઊતર્યો કે સભાઓ શરૂ થઈ. તેમાં એક ગુજરાતી મેળાવડો હતો. સભાનું ઉદ્ઘાટન થયું ત્રીશ કોટી શીશ પ્રણમે તને’ એ રીતે શરૂ થતા એક ગીતથી. મને એ ગમ્યું, એટલે મારી પડખે બેઠેલા એક મિત્રને મેં પૂછ્યું : ‘આ ગીતના લખનાર કોણ?’ ‘તમે,’ એવો આવ્યો જવાબ. અચંબાનો અને આનંદનો પાર ન રહ્યો અને ધીમેધીમે યાદ આવ્યું કે મારા ‘ઝબકજ્યોત’ નામના નાટકમાં એ આવે છે. અંતરાળ આટલું ઊંડું હતું. જીવનનાં જુદાં-જુદાં બે પાસાંઓ વચ્ચે ખૈબરઘાટ પડ્યો હતો. મારાં ગુજરાતી લખાણો ફરી વાંચી જઈ, તપાસી જઈ, સમારવા-સુધારવાનું કામ માથે લીધું, ત્યારે દિલમાં ધડકો પડેલો. ઊઘડતી વયે લખેલું, આજે, પશ્ચિમમાં પરિપક્વ થયેલી આંખે, કાચું-કોરું તો નહિ લાગે! ગુરુદેવ ટાગોર અનેક વાર કહેતા કે એમનું ચાલે તો અપક્વ વયે લખેલું બધું ભૂંસી નાખે. ગુરુદેવ સાથે મારું નામ પણ એક શ્વાસમાં ન ઉચ્ચારાય, પણ દહેશત એટલે માનવતાનો લઘુતમ સાધારણ અવ્યય. મને પણ દહેશત હતી કે કદાચ પહેલાં લખેલું આજે ફરી વાંચતાં શરમનાં ગદ-ગદિયાં થશે. વળી સ્મૃતિભ્રંશ તો હતો જ, એટલે અમુક કચાશનો બચાવ કરવા પ્રસંગોપાત્તતા રજૂ કરવાની પણ શક્તિ નહોતી. પણ સ્મૃતિભ્રંશે મને એક અનેરું બાણ આપ્યું. અથવા તો ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ જેને ‘બૂમરેંગ’ કહે છે તે હથિયાર આપ્યું. દિલ ઉપર દૂરબીન તાકવાની તેણે શક્તિ આપી. પારકી આંખે પોતાનું પારખું કરવાની તેણે તક આપી. હું લેખક મટી ખરેખરો વાચક બન્યો. બીજાની આંખે પોતાનું લખાણ તટસ્થતાથી વાંચી શક્યો અને કશું યાદ રહેલું નહિ તેથી ‘હવે શું આવશે, હવે શું આવશે?’ તેવા કુતૂહલ અને તરવરાટ, જે વાચકને રહ્યા કરે છે, તે મને મારી પોતાની વાર્તાઓ વાંચતી વખતે પણ રહ્યો.

અને છતાંય ‘ઇન્સાન મિટા દૂંગા’ વાંચતાંવાંચતાં માનવીઓની ક્રૂરતા, નિષ્ઠુરતા અને પાશવતા તરફ કમકમાં ઊપજ્યાં; ‘સોનાનો સૂરજ’ વાંચતાં ચારણ-બાનીના ધોધમાં તણાયો; ‘ગડદિયો’ વાંચતાં મૂંગા દુ:ખને દુ:ખે મન કકળ્યું; ‘પીળું પાકીટ’ વાંચતાં મહાસંક્રાંતિમાં નાના માનવીઓના જીવન પર પડતા પડછાયા દેખ્યા; અને ‘એ કેમ બન્યું’ વાંચતાં શિષ્યનું સીધું-સાદું અર્ઘ્ય જોયું. સરવાળે એમ લાગ્યું, કે હૃદય ઊભરાયેલું અને આ વાર્તાઓ લખાયેલી. સ્વાનુભવના તાણાવાણા પણ જોયા, અને જોઈ સ્નિગ્ધતા. એમાં એકે કાનો ઉમેરી શકાયો નહિ, અને મૂળ શબ્દની પરિપક્વ શબ્દ સાથે અદલાબદલી કરવી અતડી લાગી. વર્ષો ઉપર લખાયેલી આ કૃતિઓએ જૂની સ્મૃતિઓ તાજી કરવાનો આનંદ આપવાને બદલે નવા અનુભવનો ઉજાસ આપ્યો; તેથી તો આ વાર્તાઓને ફરીવાર ગુજરાત પાસે રજૂ કરવાની હિમ્મત કરું છું.

કૃષ્ણલાલ શ્રીધરાણી

ઇમ્પીરિયલ હોટેલ

ન્યુ દિલ્હી,

સપ્ટેમ્બર 16, 1950