ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ગુણાઢ્યની ઉક્તિ

ગુણાઢ્યની ઉક્તિ


(છઠ્ઠી સદીમાં ગુણાઢ્યે ‘બૃહત્કથા’ની પદ્યવાર્તાના સાત લાખ શ્લોક પૈશાચી ભાષામાં રચ્યા હતા. પિશાચ જાતિના લોકો પશ્ચિમોત્તર ભારતમાં કાશ્મીર પાસે વસતા હતા એમ કહેવાય છે.)


કથા-વારતાઓનો શોખ
મને બાળપણથી હતો
દિવસરાત લખતો જતો...

લખી નાની-મોટી બહુ
કથાઓ, મને કહે સહુ

‘તું લે રાજવીનું શરણ
સભામાં થશે વાહ વાહ
વળી મળશે શિરપાવ પણ’

અમે જ્યાં રહેતાં હતાં
પિશાચોની વસ્તી હતી
મળી માતૃભાષા મને
એ નાની અમસ્તી હતી

સકળ મારું સર્જન લઈ
વટાવીને વગડાઓ, વન
ગયો રાજવીને ભવન

પહેલી કહાણીની મેં
શરૂઆત જેવી કરી
‘અરે આ તો પૈશાચી છે!’
સભાજનમાં હોહા થઈ...

‘ભાષામાં મધુરા, મુખ્યા, દિવ્યા ગીર્વાણભારતી!’
વદ્યા વિદ્વાન... મેં પૂછ્યું, મારી પોતાની જીભથી,
‘તેથી શું? માતૃભાષામાં કવિતાઓ નથી થતી?’

ન ફરિયાદ કે રાવ છે
લખ્યું માતૃભાષામાં મેં
મળ્યો એનો શિરપાવ છે

આ બાવન પગથિયાં ચડી
કોઈ આવનારું હશે?
હું ઊભો છું ઉપહાર લઈ
કોઈ એને સ્વીકારશે?

બાવન : મૂળાક્ષરો
છંદવિધાન : લગાગા લગાગા લગા

(૨૦૨૨)