ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા

૧. ઊર્મિકવિતા
૧.

ઉમાશંકરે પોતાને કવિ તરીકે, શબ્દના ઉપાસક તરીકે ઓળખાવવાનું વિશેષ પસંદ કર્યું છે. કવિને તેઓ વ્યક્તિ તથા સમષ્ટિના આંતરજીવનના ઘડવૈયા તરીકે ખૂબ મહત્ત્વ આપે છે. કવિ ક્રાન્તદર્શી છે, મનીષી છે એ ઉપનિષદ-કથી વાતના તેઓ પુરસ્કર્તા જ નહિ, પ્રચારક પણ છે. એમનો કવિધર્મ વ્યક્તિ-સમષ્ટિના શ્રેયનો વિરોધક નહિ, બલકે સમર્થક-સંવર્ધક છે. એ કવિધર્મ રસાત્મક વાક્-સંદર્ભના સર્જનને અનુલક્ષતો હોઈ, શબ્દને અનુષંગે અર્થનો – અર્થસંકેતિત સંસ્કાર–સંસ્કૃતિના, જીવન-જગતના બૃહત ક્ષેત્રનો વિચાર અનિવાર્ય થઈ પડે છે. ‘હૈયાના હીણા રાગ’ (‘બલિ’) દાબી દીધા સિવાય, સંઘર્ષોનો અણનમ રીતે પ્રતિકાર કર્યા સિવાય, જીવનની અનિવાર્ય યંત્રણાઓમાંથી પસાર થતાં જે સહન કરવાનું હોય તેને હસતે મુખે વધાવી લીધા સિવાય, પોતાની અપૂર્ણતાઓ સામે સતત ઝૂઝ્યા સિવાય, શિવોર્મિઓને પોતાના કાર્ય દ્વારા અભિવ્યક્ત કરવાનો પુરુષાર્થ કર્યા સિવાય, વિસંવાદિતાઓને ગાળી નાખ્યા સિવાય ખરા અર્થમાં ‘સારસ્વતધર્મ’ – કવિધર્મ અદા કરી શકાતો નથી. ઉમાશંકર બરોબર જાણે છે કે કવિનો શબ્દ જીવન તથા જગત પ્રત્યેની જે કંઈ જવાબદારીઓ છે તેની સાથે સીધી રીતે સંડોવાયેલો હોય છે. એક કલાકાર તરીકે, કવિ તરીકે તો ઉમાશંકરને પોતાનો શબ્દ કલાદૃષ્ટિએ સુંદર હોય એ ખાસ તો અપેક્ષિત હોય; પરંતુ ઉમાશંકરની શ્રદ્ધા છે કે કલાદૃષ્ટિએ સુંદર શબ્દ જીવનદૃષ્ટિએ મંગલ હોય છે જ.[1] ‘વિશ્વશાંતિ’ના આરંભે ‘મંગલ શબ્દ’ સાંભળતાં જ, આજ દિન સુધી ઉમાશંકરનો માંગલ્યલક્ષી ભાવનારસ અને ઉન્નત ભાવરસ જે સ્ફુરતો રહ્યો છે તે તુરત ખ્યાલમાં આવે છે. શબ્દના ઉપાસક ઉમાશંકરે શબ્દોપાસના નિમિત્તે હૃદયના ઉદાત્તીકરણની આવશ્યકતા પ્રતીત કરી છે. રમણીક અરાલવાળાના કાવ્યસંગ્રહ ‘પ્રતીક્ષા’ના પુરોવચન લેખમાં તેમણે કહ્યું છે : “વર્ણનની શક્તિ કેળવવી હાથમાં છે, દર્શનની શક્તિ કેળવવી સહેલી નથી. એ તો... હૃદયપલટ માગી લે છે.” (‘પ્રતીક્ષા’, ૧૯૬૦, પૃ. ૨૨) શબ્દસાધનાનો ઉપક્રમ તત્ત્વત: કવિની આત્મસાધનાનો ઉપક્રમ બની રહે છે.[2] ઉમાશંકર કવિકર્મને ‘કવિની સાધના’ના રૂપમાં જુએ છે એ મહત્ત્વનું છે. સર્જક તેમ જ ભાવકને કાવ્ય દ્વારા થોડીક વાર માટે પણ સચ્ચિદાનંદનો અનુભૂતિ-સ્પર્શ થાય છે એમ તેમનું માનવું છે.[3] સર્જન અને વિવેચનમાં કવિકર્મ આચરતાં – એ વિશે વિચારતાં કવિધર્મ બજાવ્યાની યત્કિંચિત્ કૃતાર્થતા તેમણે અનુભવી છે. ઉમાશંકરને મન કાવ્યો માનવીના થવાપણાની પ્રક્રિયામાં પ્રગટ થતા એના હોવાપણાના લઘુદ્વીપો સમાં છે. એમને મન કાવ્ય એ એક ચરિતાર્થતા છે.[4]

ન્હાનાલાલે કવિને પ્રભુનો પયગંબર માનેલ.[5] ‘Poets are the un-acknowledged ligislators of the world’ કહેનાર[6] શૅલીની જેમ તેમનો પણ કવિ વિશે ખૂબ ઊંચો ખ્યાલ હતો. એમ હોવાનું કારણ શબ્દની કલા – શબ્દની શક્તિ વિશેનો એમનો ખ્યાલ ઊંચો છે તે છે. કવિતા શબ્દની લીલા છે, પણ તે જીવનનિરપેક્ષ શબ્દની નહીં. ઉમાશંકર તો ‘જીવનમૃત્યુના વંટોળિયાની આરપાર જે સળંગ સ્થાયી સંવાદિત્વ તે જ કવિતા’[7] એવું માનવા સુધી પહોંચી જાય છે ! કવિ અને કવિતા વિશેના ઉદ્ગારોમાં કેટલીક વાર તેઓ રોમૅન્ટિક વલણ અખત્યાર કરે છે. એમના એવા રોમૅન્ટિક ઉદ્ગારો સાંભળવાનું – એના કેફમાં ખોવાઈ જવાનું ગમી જાય કદાચ, પરંતુ એવા રોમૅન્ટિક ઉદ્ગારોમાંથી કવિતાની વાસ્તવિક સમજ સવિવેક તારવવાની રહે; દા. ત., નીચેની પંક્તિઓ જુઓ :

‘સ્વપ્નો શીળાં સર્જનહારનાં તે
થીજી જતાં ભૂતલના કવિ બન્યા,’

(‘સ્વપ્નો શીળાં’, ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૯૨)


અહીંયાં કવિનું જે ચિત્ર ઉઠાવ પામે છે તે રમણીય લાગે છે, કવિસર્જકની સ્વપ્નદર્શિતા – કાવ્યસર્જનની સ્વપ્નલક્ષિતા વગેરેનો વિલક્ષણ ભાવાર્થ પણ ભાવકચિત્તમાં સંક્રાન્ત થાય, પણ તે સાથે આવા ઉદ્ગારોમાં ઘૂસી જતી કવિતાઈ અતિશયતા – રંગીનતા વગેરે સ્વીકારી – સહી લેવાની રહે ! ‘કવિનું મૃત્યુ’માં કવિના હૃદયને સદય પંખીભર્યા આકાશનું, શિશુના હાસનું, શરદનાં કાશપુષ્પોના ધવલ ઉલ્લાસનું રૂપક અપાયું છે. “કવિનું હૃદય તે તો ધવલ ઊર્મિતેજ, સરલ નિર્વ્યાજ નિર્મળ હેજ,” – એ રીતે તેને વર્ણવવામાં આવ્યું છે. તેમાં સપ્તરંગી કમાનો ડોકિયાં કરતી હોય, અપ્તરંગી ભાવનાપરીઓ એમાં સુભગ તરતી હોય – એવી કલ્પના પણ કરવામાં આવી છે ! આ કલ્પના રમ્ય છે, પણ તે સાથે તે એક રોમૅન્ટિક ખ્યાલના આવિષ્કારરૂપ નથી ? ‘મૌનનું લયવાહી સાર્થ ઉચ્ચારણ એ કાવ્ય.’ (‘ગંગોત્રી’, પૃ. ૧૨૭) – આ અર્થને અભિવ્યક્ત કરતી “તું તો શબ્દ સનાતન સુંદર મૌનનો” (આમ તો શબ્દાતીતનું શબ્દ દ્વારા વ્યંજન સ્પષ્ટ છે. શબ્દની શક્તિનું રહસ્ય પણ ‘મૌનનો શબ્દ’ બનવામાં રહેલું છે.) જેવી પંક્તિઓમાં શાસ્ત્રીય ઉપક્રમથી કવિતાનું રહસ્ય જોવા-સમજવા-પકડવા જતાં કદાચ કોઈને જોખમ પણ લાગે. ઉમાશંકરનું કવિ અને કવિતાનું દર્શન આપણી કાવ્યપરંપરાને અનુસરતું સ્વ-સ્થ ભૂમિકાનું દર્શન છે. એ દર્શન તર્કદૃષ્ટિએ સ્વીકાર્ય છતાં સહૃદયને તે તર્ક કરતાં આત્મપ્રતીતિથી વધુ પ્રભાવિત કરનારું છે. કવિધર્મ વિશેની ઉમાશંકરની નિષ્ઠા અને ગંભીરતા કવિ-કવિતા-વિષયક કાવ્યો વાંચતાં સહેજેય પ્રતીત થાય છે.

ઉમાશંકરને તો સર્જક-અંતર ૧૪ રત્નોવાળા રત્નાકર સરખું સમૃદ્ધ જણાયું છે. તેઓ ‘અસ્તિત્વના છલોછલ અમૃતકુંભ’-રૂપે પણ સર્જક-અંતરને ઓળખાવે છે. (ધારાવસ્ત્ર, પૃ. ૪૨) તેઓ પાબ્લો નેરૂદાના મૃત્યુની વાત કરતાં કવિતાને ‘કવિના રુધિરની નિર્મિતિ’ રૂપ હોવાનું દર્શાવે છે. (ધારાવસ્ત્ર, પૃ. ૪૬) ઉમાશંકરે કવિ-શબ્દ-ધબકથી ઈશ્વર પણ અદકેરા ઈશ્વર તરીકે અનુભવાતો હોવાનું વર્ડ્ઝવર્થના ગ્રાસમિયરની વાત કરતાં જણાવ્યું છે. (ધારાવસ્ત્ર, ૯૩) ઉમાશંકરને મન તો કવિતાનો એક એક શબ્દ એક એક ‘સંકુલ’રૂપ હોય છે. (સમગ્ર કવિતા, ૮૨૦) કવિ શબ્દને કેવળ કાનથી જ નહીં ચક્ષુ આદિ દ્વારાયે પામી શકે છે. ક્યારેક શબ્દનો દ્યુતિમંત ચહેરો ભૂંસી, ક્યારેક તેને મહોરુંયે પહેરાવી દઈ પોતાનો ચહેરો એમાં ઉપસાવવાનો એનો પ્રયત્ન હોય છે. કવિચેતનાથી જ શબ્દચેતનાનો ઉત્કર્ષ તો હોય જ છે, સાથે સાથે શબ્દચેતનાથી કવિની આત્મચેતનાને પૃથ્વીના ભીતરી મૌન સાથે પરમાત્મચેતનાનો ‘ભાસ્વત ઉત્સવ’ માણવાની તક પણ સાંપડે છે. (સમગ્ર કવિતા, પૃ. ૮૧૯, ૮૨૧) કવિ શબ્દે કરીને પોતાને પામતાં પામતાં મૌનની મહાશક્તિમાં પોતાનું અભૂતપૂર્વ રૂપાંતર સિદ્ધ કરીને રહે છે. માતાની ભાષાથી આરંભાયેલી કાવ્યયાત્રા આત્માની માતૃભાષારૂપે વિકસતાં મૌનના મહોદધિમાં પોતાનો પરમ ઉત્કર્ષ સાધીને રહે છે. ત્યારે કવિને સાંભળવાનો હોય છે છેલ્લો શબ્દ, જે મૌનનો હોય છે. ઉમાશંકરનો ‘કવિ હું’નો ખ્યાલ તીવ્ર છે અને તે અનેક વાર કવિતામાં પ્રગટ થાય છે, આ ‘કવિ હું’ના ખ્યાલ સાથે

‘...જીવતાં મથ્યો પૂંઠે
પરબો માંડી જવા સુધા તણી’[8]

– એવી સભાનતા પણ અવારનવાર ડોકાય છે. કવિધર્મ તેમ જ સમષ્ટિધર્મ વિશેની ઉમાશંકરની સંપ્રજ્ઞતા એમના કવિકર્મને વિક્ષેપકર નહિ તો એકંદરે કંઈક ભારરૂપ તો નીવડી છે. કવિ, શબ્દ દ્વારા સૌન્દર્ય-કલાનો સાહજિક રીતે જ સાધક, એણે વળી ‘સૌન્દર્યો પી’ એમ બોધ આપવો પડે ? એ પોતાને ઉદ્બોધવા-પ્રબોધવાની ભૂમિકા જ એમના કવિ તરીકેના આંતરવ્યક્તિત્વની નિર્દેશક છે. એમની શબ્દ સાથેની આત્મીયતા કેટલીક વાર સૂક્ષ્મ રીતે વિક્ષિપ્ત થયાં કરતી હોય છે ને તેથી કવિતામાં ‘વિગલિતવેદ્યાન્તર’ એવી એકાગ્રતાને કારણે કવિચેતનાનો જેટલો ઉછાળ આવવો જોઈએ તેટલો આવતો નથી. ‘કવિજીવન અરેરે શું ઉપજીવન ?’[9] – એ પ્રશ્ન એમને પાછળથી થયો; કેમ થયો ? ઉમાશંકરની શબ્દોપાસના સાચી છે, પણ અનન્ય છે ? એમના ચિત્તે સ્વાતંત્ર્ય સમયે પ્રણયાનુભવવેળાએ, સ્વાતંત્ર્ય પછીના રાષ્ટ્રનિર્માણના સમયે કવિધર્મ અને જીવનધર્મ વચ્ચે ભાવદ્વિધા (‘એમ્બિવેલન્સ’) અનુભવી છે તે આ સંદર્ભે સૂચક છે. તેઓ સાગર શેરીઓમાંથી ગીતો વીણીને મનુમંડપોમાં વેરવાની વૃત્તિ સેવે છે;[10] તો ‘સુખી ન સમજે દુ:ખી સુણે ના, તો બહેતર નહિ ગાવું’[11] એવી લાગણી પણ પ્રસંગોપાત્ત, અનુભવે છે. એક બાજુ તેઓ કીર્તિ, પૈસો, સત્તા, ઠાઠ વગેરેને ચિત્તક્ષિતિજ પર સરતી અપ્સરાઓ રૂપે વર્ણવે છે,[12] પ્રણય, કીર્તિ, વિક્રમ, વિધાત્રીની કૃપા – આ સર્વને આળપંપાળ લેખી તેને ફગાવી દેવાની અને ‘મને જગત એક લાધ્યું, હૃદયે વફાદાર હું | રહીશ બસ એહને, ફટ કરે ભલે સૌ !...[13] – એમ આવેશપૂર્વક કહે છે, પરંતુ બીજી બાજુ આવતી પેઢીઓની ચિંતા તેઓ કરે છે.[14] ‘ગીત મારાં કોણ ગાશે ?’[15]નો પ્રશ્ન તેઓ ઉઠાવે છે, (અલબત્ત, જે નિખાલસતાથી આ પ્રશ્ન ઉઠાવે છે તે આકર્ષક છે.) દિલ દિલને કંઈ પાવાની અભીપ્સા પણ તેઓ અભિવ્યક્ત કરે છે.[16] સ્વાતંત્ર્યના ‘મહાજનવિમર્દ’માં કવિશબ્દ વસંતરસ-યૌવનપ્રસર જેમ સંજીવનીરૂપ બની રહેશે એમ તેઓ કહે છે.[17] ‘અગનવચમાંયે કવિપણાં ?’ એવો ભાવદ્વિધા-પ્રેરિત પ્રશ્ન જો કવિચિત્તમાં જન્મ્યો ન હોત તો “સુભાગ્યો કે છેડે અગનવચમાંયે કવિપણાં ?’[18] – એમ કહેવાનું ઉમાશંકરને રહેત ? પ્રણયાનુભવ-વેળાએ પણ એમનામાંના કવિ અને પ્રણયી વચ્ચે જે ખેંચતાણ ચાલે છે, જે રીતે તેઓ સખીની ક્ષમાયાચના સુધી પહોંચે છે તે કેમ જાણે કવિતા અને પ્રણય વચ્ચે કોઈક ભૂમિકાએ હિતવિરોધ હોય એવો આભાસ પેદા કરે છે, જે વસ્તુત: નિરાધાર છે. (દા. ત., ‘નિશીથ’, પૃ. ૪૦, ૪૧) ઊર્મિલતાની ક્ષણોમાં વરતાતો વિરોધ ક્ષણજીવી હોય છે અને છેવટે તો એક સાચા કલાકારની સ્વસ્થતાની નિર્દેશક એવી સમાધાન-સમન્વયની ભૂમિકા એમના એવા વિરોધમાંથી મળી રહે છે : ‘નિહાળી કવિતા તુંમાં, વળી તનેય કવિતા મહીં.’[19] એ ભૂમિકા સુધી એમનો હૃદયભાવ પહોંચે છે. ઉમાશંકરની આ પ્રકારની ભાવદ્વિધાના મૂળમાં એમની કવિધર્મ-કલાધર્મ-મનુષ્યધર્મ પ્રત્યેની જાગરૂકતા ને નિષ્ઠા છે. એક ‘કવિ માનવ’ (જો માનવનો એવો એક પ્રકાર પાડી શકાતો હોય તો !) પોતાની આસપાસની વિષમ પરિસ્થિતિમાં આંખ આડા કાન કરીને મૂંગે મોંએ બેસી રહેવા જેટલી જડતા – પામરતા તો ન જ રાખી શકે. સ્વતંત્રતા મળ્યા પછીના એક કાવ્યમાં કવિ પોતાને જ ‘રિમાન્ડ’ પર લે છે – ‘દેશ તો આઝાદ થતાં થઈ ગયો, તેં શું કર્યું ?’[20] સ્વતંત્રતા તો કવિને મન વંદનીય – પ્રાર્થનીય છે. તે વરદાયિની છે ને કવિ તેની પાસે ‘થઈને કવિ’ આ જ માગી શકે છે :

‘અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પિંજરાના
બનાવજે પોપટ – ચાટુ બોલતા.’

(‘દે વરદાન એટલું’, વસંતવર્ષા, પૃ. ૧૦૪)


ઉમાશંકરની આ પ્રાર્થનામાં માનવીય પ્રતિષ્ઠાની ઉન્નત ભાવના ને જીવનસૌન્દર્યની ઊંડી નિષ્ઠા જોઈ શકાય છે. તેઓ એક કાવ્યમાં કહે છે :

‘ન કલ્યાણોર્મિમાં હૃદય-અભિસારો શું ભળશે,
બની બંને એક દ્વિગુણગતિએ લક્ષ્ય રળશે ?
અને તો તો ત્રીજું
સુધા-ભીંજ્યું ભેળું વહન પણ સારસ્વત હશે’

(‘ત્રિવેણી’, આતિથ્ય, ૧૯૬૯, પૃ. ૬૪)


અહીં કવિએ કલ્યાણોર્મિ ને પ્રણયોર્મિ સાથે કાવ્યોર્મિના સંબંધસમન્વયની વાત કરી છે. હૃદય-જીવનને ત્રિવેણીતીર્થ બનાવવાની અભીપ્સા પૂરી કરવા સારસ્વત વહન એમના પૂરતું તો અનિવાર્ય બન્યું છે ! કેટલીક વાર ઉમાશંકરના લખાણમાં જીવનના સૌન્દર્ય-રહસ્યના સાક્ષાત્કારની વાત શબ્દના સૌન્દર્ય-રહસ્યના સાક્ષાત્કાર-ની વાતથી પૃથગ રીતે આવે છે અને ત્યારે એમનું આંતરવલણ એક બાજુ શબ્દ અને બીજી બાજુ શબ્દ જેના આધારે ખડો છે – ક્રિયાન્વિત છે તે જીવનસંદર્ભ – સાંસ્કૃતિક સંદર્ભ – આ બંનેની વચ્ચે વહેંચાઈ જતું લાગે છે. કેટલીક વાર એક જ આંતરવલણ શબ્દથી શબ્દાર્થસંદર્ભ અને શબ્દાર્થસંદર્ભથી શબ્દ તરફ જતું અને એક અખંડ વર્તુળાકાર ગત્યનુભવમાં પરિણમતું જોઈ શકાય છે. ઉમાશંકરની કવિ અને કવિતાવિષયક – શબ્દવિષયક રચનાઓમાં એક ભૂમિકાએ શબ્દ સાધનરૂપે – ઉપાદાનરૂપે પ્રતીત થાય છે. બીજી ભૂમિકાએ શબ્દ સાધ્યરૂપે – ઉપાદેયરૂપે પ્રતીત થાય છે અને વળી ત્રીજી એક એવી ભૂમિકા પણ – અલબત્ત, વિરલ ક્ષણે – આવે છે જ્યારે “કવિજીવન અરેરે શું ઉપ-જીવન ?” (‘અભિજ્ઞા’, પૃ. ૧૭) એવો પ્રશ્ન કરાવતી શબ્દના અસ્તિત્વની, શબ્દની સાધનાની જ સાર્થકતા વિશે પ્રશ્ન પ્રેરતી સ્થિતિનું દર્શન થાય છે. કદાચ કલાજીવન – કવિજીવનની વધુમાં વધુ ઉન્નતતા અને ગહનતા દાખવતી એ ભૂમિકા છે ! ઉમાશંકરને શબ્દની સાર્થકતાનો પ્રશ્ન પણ ખાસ મૂંઝવનાર બન્યો નથી. કવિતાને આત્માની માતૃભાષા માનનાર આ કવિએ પોતાની અંદર અને બહાર શબ્દની ખોજ ચલાવી છે – એવા શબ્દની ખોજ, જે વધુમાં વધુ શ્રેયસ્કર રીતે પોતાને અભિવ્યક્ત કરી શકે. ‘ગીતગંગોત્રી’માં ગીતને પોતાની માડીની ખોજ કરતું કલ્પ્યું છે. આ ગીતને ઝરણી, સરિત, સાગર જેવાં પ્રકૃતિસત્ત્વો તેના ઉદ્ભવસ્થાનની ભાળ આપવા પ્રયત્ન કરે છે. સવાર, બપોર, સાંજ અને રાતના વાતાવરણમાં જે રીતે ગીતને ઉત્તર મળે છે તેમાંથી કવિતાના રસ-રહસ્યનો અણસાર પણ મળી રહે છે. કવિએ એમની કાવ્યખોજ વૈશ્વિક સંદર્ભમાં ચલાવી છે એ અહીં સ્પષ્ટ છે. નરસિંહરાવની ગીતશૈલીનું સ્મરણ કરાવતી આ ગીતરચનામાં કવિએ છેલ્લે ગીતને સનાતન સુંદર મૌનના શબ્દ રૂપે વર્ણવી તેની વ્યાપકતા – અનંતાનું સૂચન કર્યું છે. કવિતાની ભાષા આત્માની માતૃભાષા હોઈ તેની વ્યાપક ગ્રહણક્ષમતા ને સનાતનતા સ્વાભાવિક જ ધ્યાનમાં આવે છે. કવિસંવિત તો માઈલોના માઈલો જેની અંદરથી પસાર થઈ જાય એવું હોય છે. એ તો અવકાશ-તરસ્યું હોય છે. એ તો ચરાચર સૃષ્ટિની જાતભાતની વસ્તુઓથી પોતાને ભરી દઈ શકે છે. એ તો ઉનાળુ લૂ અને વસંતલ પરિમલ બેયને ગટગટાવી શકે એવું હોય છે. વિશ્વોનાં વિશ્વોને પોતાની અંદરથી પસાર થવા દઈ, પોતાનું અનંતતા – અસીમતા – અમૃતમયતાનું જે અંતરતમ સંવિધાન તેનું દર્શન કરી-કરાવીને રહે છે. (‘સમગ્ર કવિતા’, પ્ર. આ., ૨૧-૭-૧૯૮૧, પૃ. ૭૩૩.) એની સર્જકતાની – એના સર્જનાત્મક શબ્દની સાર્થકતા એવા દર્શનમાં જ સિદ્ધ થતી વરતાય છે.

ઉમાશંકરને ક્યાંય ક્યાંયથી ભાષાઓને વળોટતી આવતી કવિતાનો પાકો અંદાજ છે. (એજન, પૃ. ૭૩૨.) સંભવત: આ કવિતાના પ્રભાવે તડકો કવિને વધુ તડકીલો લાગતો હોય તો નવાઈ નથી. અગાઉ નિર્દેશ્યું તેમ, કવિ-શબ્દ-ધબકથી જ ઈશ્વર અદકેરો ઈશ્વર હોવાનુંયે કવિને અનુભવવા મળે છે. (એજન, પૃ. ૭૯૫.)

આ ઉમાશંકર ‘સપ્તપદી’માં છિન્નભિન્નતાની તેમ દુરિતની અનુભૂતિની વાત કરતાં કરતાં છેવટે તો તળિયાની જે વિશ્વસમસ્ત સાથેની પોતાની સંવાદિતા છે તેના સમ પર આવીને રહે છે; ને એ સમ પર આવતાં કવિતાનોયે જે કોઈ કોલાહલ હોય તો તેનુંયે અમૃતમય મૌનમાં પરિશમન થતું અનુભવાય છે. એ મૌનમાં અહંનું, પોતાની નામઠામબદ્ધ સંકુચિતતાનુંયે વિગલન થતું વરતાય છે. ઉમાશંકરની સપ્તપદીનો છેવટનો નિષ્કર્ષ આ જ છે : ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે. (સમગ્ર કવિતા, પ્ર. આ., પૃ. ૮૨૪.)

ઉમાશંકરે ‘નખી સરોવર ઉપર શરતપૂર્ણિમા’ (ઑક્ટોબર, ૧૯૨૮) લખ્યું તે અનુભવને પ્રકૃતિ દ્વારા મળેલ કાવ્યદીક્ષારૂપે ઘટાવ્યો છે તે આપણે જાણીએ છીએ. તેમણે મંગલ શબ્દનો – મંત્રનો આદર ‘વિશ્વશાંતિ’ના આરંભે જ કર્યો છે અને તે પછીની એમની સમગ્ર કાવ્યપ્રવૃત્તિ મંગલ શબ્દના વિસ્તાર-વિકાસરૂપ રહી છે. (શ્રી હીરાબહેન પાઠકે ઉમાશંકરના આ મંગલ શબ્દને ઊંચકી લઈને ગાંધીયુગના સંદર્ભમાં વાપરવામાં ઊંડી ઇતિહાસસૂઝ દાખવી છે એમ કહેવું જોઈએ. જુઓ ‘ગુજરાતદર્શન (સાહિત્ય)’.) પ્રકૃતિએ અને મનુષ્યે એમના આંતરસત્ત્વને સમૃદ્ધ કરી એમના શબ્દને વધુ બળવાન બનાવ્યો છે. તેમનો શબ્દ તેથી સંસ્કાર-સંસ્કૃતિના વિવિધ ઉન્મેષોને – સ્ફુરણોને આત્મસાત્ કરવામાં સતત સક્રિય રહ્યો છે. સ્વાતંત્ર્યસંઘર્ષવેળાએ કવિધર્મ અદા કરવા માટેની આંતરિક સજ્જતા વધારવાની અભીપ્સા કવિએ પ્રગટ કરી, એ માટેના શિવસંકલ્પો જાહેર કર્યા; કંઈક સ્થૂલ રીતે કવિ માટેની સમયની માગને બુલંદ કરી. ‘નિશીથ’ કાવ્યસંગ્રહમાં કવિ સંઘર્ષમાંથી સંવાદની દિશામાં વધુ સૂક્ષ્મ રીતે ને વધુ અસરકારક રીતે ગતિ કરે છે. પ્રણયજીવન ને નગરજીવનના અનુભવોએ એમની ચેતનાને યથાર્થના ફલદાયી પરિચયથી વધુ વિકસાવી. અમદાવાદ અને મુંબઈએ એમના ચિત્ત પર ‘કોઈ સમસ્યારૂપ ભૂરખી’[21] – નાખ્યાનું એમણે જણાવ્યું છે. ‘વિશ્વશાંતિ’માં બુલંદતાથી “ગજાવીએ સૌ જગઉંબરે ઊભી : | ‘માનવી, પ્રકૃતિ, સૌને वसुधैव कुटुम्बकम् !’ ” કહેનાર કવિ ‘આત્માનાં ખંડેર’ સુધી પહોંચ્યો એની ‘વિશ્વશાંતિ’-વિષયક ભાવનાની સચ્ચાઈને કારણે, એની સ્નેહ-સંવાદિતા વિશેની અડગ શ્રદ્ધાને કારણે. યથાર્થના સાચા પરિચય વિના યથાર્થને ઉપયોગી થવાનું ઝાઝું ભાગ્યે જ બની શકે. વિશ્વશાંતિસાધક આત્મશાંતિના પ્રશ્નો ન જાણે તો કેમ ચાલે ? જે તરુણને વિશ્વશાંતિમાં રસ પડ્યો તે આત્માનાં ખંડેર સુધી જઈ શક્યો એ નોંધપાત્ર ઘટના છે, એમની કવિતા અને સાથે કવિને પણ સમજવાની દૃષ્ટિએ. આ ઉમાશંકરે આતિથ્યમાં ‘કવિ’ (પૃ. ૬૫-૭૩) કાવ્યમાં કવિના વ્યક્તિત્વના બે અંશો स: અને

अहम् વચ્ચે વસંતતિલકામાં સંવાદ યોજ્યો છે. વ્યક્તિની સંઘટનામાં વ્યષ્ટિ અને સમષ્ટિના અંશોનો મહત્ત્વનો ફાળો છે જ. એ અંશોને અનુક્રમે આમ स: અને अहम् રૂપે જુદાં તારવી, એમની વચ્ચે સંવાદ કરાવવાનું સૂઝ્યું એ જ એમની સર્જકતાનો મહત્ત્વનો ઉન્મેષ છે. આ સંવાદ કવિના વ્યષ્ટિ-સમષ્ટિનિષ્ઠ દ્વિદલ છતાં અખંડ એવા વ્યક્તિત્વની વિભાવના સૂચિત કરે છે. આ કવિનો સતત પ્રયત્ન अहम् અને स:ની અન્યોન્યપૂરકતા ઉપસાવી ઉભયનિષ્ઠ સંવાદનો સાક્ષાત્કાર કરવાનો છે. આ સંવાદ કવિના અંતરંગનું ઍક્સ-રે-ચિત્ર આપે છે. કવિની શબ્દ-સાધના એ પ્રકારની છે કે તે છેવટે તો એમની વ્યાપક જીવનસાધનાના એક અનિવાર્ય આવિષ્કારરૂપે પ્રતીત થાય છે, અને એ રીતે એમની જીવનસાધના એકંદરે શબ્દસાધનાનો ઉત્કર્ષ કરીને રહે છે.

૧૯૨૮માં પ્રકૃતિ પાસેથી ધન્ય કવિતામંત્ર સાંભળનાર ઉમાશંકર ૧૯૫૯માં ‘ક્યાં છે કવિતા ?’ એમ પ્રશ્ન કરે છે ! કવિમાં એવું શું બન્યું કે ત્રણ દાયકે આવો બુનિયાદી પ્રશ્ન સ્ફુર્યો – થયો ? ‘શબ્દ છે ! છે છંદ પણ ! ક્યાં છે તો કવિતા ?’ – એવું કેમ લાગ્યું ? ‘શોધ’માં શોધ કવિતા માટેની તો છે જ, કવિ પોતે કવિતામાં પોતાને શોધે છે તેનો પણ એમાં નિર્દેશ છે. કવિનો જ અવાજ જ્યારે ખરેખર ખૂલે છે ત્યારે છંદ, ભાષા, કલ્પન આદિમાં કેવો નૂતન રસ પ્રેરે છે તેનું આ કાવ્ય સુંદર ઉદાહરણ છે. કવિની કવિતાની ખોજ ‘અભિજ્ઞા’ સુધીમાં તો વધુ સૂક્ષ્મ, વધુ ઊંડી બની બાહ્ય જગતને મુકાબલે વધુ આંતર જગતમાં – પોતાનામાં ચાલે છે. આ કાવ્ય એ રીતે કવિની ઉત્ક્રાન્તિનું – આંતરક્રાંતિનું નિર્દેશક છે. કવિ શબ્દને ખોલીને જોવા પ્રયત્ન કરે છે.(‘અભિજ્ઞા’નાં શોધ, ‘શિશુ’, ‘ચહેરો’, ‘રાજસ્થાનમાં પસાર થતાં’, ‘હેમન્તનો શેડકઢો –’ જેવી રચનાઓ છતાં ચંદ્રકાન્ત ટોપીવાળાને ‘અભિજ્ઞા’ની કવિતા પ્રતિશબ્દની કવિતા લાગી છે એ એક આશ્ચર્યની વાત છે. શબ્દને ખોલવાની વાત કરનાર ને એમ કરવા પ્રયત્ન કરનાર ઉમાશંકર ઉચ્છાદક (‘એક્સ્પ્લોરર’) નહિ ? પન્ના નાયકે તો ઉમાશંકરના કવિકર્મની ઉત્ક્રાંત અવસ્થા અભિજ્ઞામાં જોઈ છે ! વળી ચંદ્રકાન્તે પ્રતિશબ્દનો ખ્યાલ પણ વિશદતાથી આપવો જોઈએ.) (‘અભિજ્ઞા’, પૃ. ૩૫) કવિનો શબ્દ સાથેનો સંબંધ આકસ્મિક કે ઔપચારિક મટી વધુ ગાઢ રીતે આત્મીય – આંતરિક બને છે. એ સંબંધની અભિવ્યક્તિ કવિની આત્માભિવ્યક્તિ જ છે. તેઓ કહે છે :

‘શબ્દ, ગર્ભદશા મહીં કર્મ,
ક્યારે તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.’

(‘શબ્દ’, અભિજ્ઞા, પૃ. ૩૫)

‘શબ્દ’ કાવ્યમાં આ ઉત્કર્ષબિન્દુએ પહોંચ્યા પછી ‘શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ’ કહેવાની જરૂર ખરી ? કવિની કવિતાની ખોજ કહો કે આત્મખોજ, નિષ્ઠાપૂર્વકની હોય છે ત્યારે કેવાં પરિણામો જન્માવી શકે છે તે ‘શોધ’, ‘પ્રકભુવિ’ વગેરે કાવ્યો વાંચતાં તુરત સમજાય છે. ‘શોધ’માં કવિ આરંભે જ પુષ્પોની સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં તેથી અફસોસ કરે છે. એ પુષ્પો કવિની આંખે જોવાયેલાં પુષ્પો છે. એ પુષ્પો તો કવિની કવિતાના તાજ-બ-તાજ શબ્દોરૂપે પ્રતીત થાય છે ! કવિની કવિતામાં જે સિદ્ધ કરવાની મથામણ છે તેનો અણસાર આ પંક્તિઓમાંથી આવી શકે છે :

‘ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો
માતાના ચ્હેરામાં ટમકે,
મારા અસ્તિત્વમાં એક કાવ્ય ચમકતું તમે
જોયું છે ?

(‘શોધ’, અભિજ્ઞા, પૃ. ૧૫)

આ પ્રશ્નનો ઉત્તર આ પ્રશ્નમાં જ છે ! આવો પ્રશ્ન થવો એ જ કવિતાની ઘટના છે. ‘એને જાંબુ આવ્યાં, ને મને આંસુ,’ – આ પ્રકારે જાંબુ આવવાની ઘટનાની પડછે આંસુ આવવાની ઘટનાને વર્ણવવામાં, ‘હું વધ્યો ફાંસુ’ની ‘ફાંસુ’ શબ્દથી વર્ણવેલી નિજી પરિસ્થિતિમાં, વૃક્ષનાં થડ રંગતા પ્રભુને પકડવાની ક્રિયામાં, શિશુઓના હાસ્યમાં કવિતાનો શુભ્ર છંદ વરતાવાની ક્રિયામાં, ક્ષણાર્ધ માટે વૃક્ષ-રચના-મય રૂપાંતર પામવામાં, કન્યાઓની આશા કવિતાની નસોના રુધિરરૂપે અનુભવવામાં ક્યાં છે કવિતાના પ્રશ્નનો ઉત્તર છે, ને છતાં ‘ક્યાં છે કવિતા ?’ – એવું પ્રશ્નરૂપ પણ આસ્વાદ્ય રહે છે. કવિએ સ્વાનુભવના વર્ણનનો જે ઉપક્રમ યોજ્યો છે, જે નિજી ભાષાનો પ્રયોગ કર્યો છે તેની તાજપ આહ્લાદક છે. કવિની અનુભૂતિનું ઊંડાણ, એનો વ્યાપ, એની ઉત્કટતા ને કૌતુકપૂર્ણ ગતિશીલતા – આ બધું એકાકાર થઈ શબ્દપિંડે પ્રગટ થઈ રસાસ્વાદ માટેની ભૂમિકા પૂરી પાડે છે. તર્ક, કલ્પના, ઊર્મિ આદિના સંચલનથી, ભાવગત વિશ્લેષણ અને સંશ્લેષણની ક્રિયાના અપૂર્વ સંયોજનથી કવિ અનુભૂતિને એના ગત્યાત્મક રૂપમાં પ્રયોજે છે; દા. ત.,

“જીવન તો તે, જે કૈં થયું આત્મસાત્ આત્મરૂપ.
આ આંખો જે જુએ છે એટલું જ શું એ જુએ છે ?
તો તો તે કશું જ નથી જોતી. આંખો આંધળી છે.
પેલાં વૃક્ષો, છુટ્ટાં, લીલાં, પલ્લવે ઘેઘૂર ડોલે,
કેવાં છે મજાનાં ! ગમી જાય એવાં છે ! પરંતુ
એક વેળા અહીં આ એક સ્થળેથી જોવાઈ જતાં
એ બધાં અનોખી કોઈ એક-રચનામાં ગોઠવાઈ ગયાં.
વૃક્ષો ન રહ્યાં, વૃક્ષમય કશુંક લોકોત્તર સત્ત્વ,
માત્ર ત્યાં ફેલાઈ રહ્યું – એ જ તો સૌન્દર્ય. –
આંખ, તેં એ જોયું ? આજ સુધી કાં ન જોયું તેં એ ?
આંખ દ્વારા કોઈ કે એ જોયું.
આંખમાં એ કોઈક હતું અને તે આ પળે બ્હાર
કૂદી શું રેલાઈ રહ્યું ?
એ ક્ષણાર્ધ તો હું નર્યો વૃક્ષ રચના મય હતો.”

(અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૮૧)


– અહીં કવિની સૌન્દર્યાનુભૂતિની ક્રિયા પ્રત્યક્ષ થતી, શબ્દપિંડ બાંધતી, કવિનું તો ખરું જ, કવિની ભાષાનું પણ આ કાવ્યક્ષણે રૂપાંતર સિદ્ધ કરી બતાવે છે. ‘વૃક્ષ-રચના-મય’-તા કવિના સૌન્દર્યનુભવની જ નહિ, કવિતાની ભાષાની – કવિતાની પણ સિદ્ધિ છે.

ઉમાશંકરને મન કવિતા ‘એસ્કેપ ફ્રૉમ લાઇફ’ નથી, પણ ‘ઇન્વૉલ્વમેન્ટ ઇન લાઇફ’ છે. ઉશનસ્ સૂચવે છે તેમ, એમની કવિતા ‘બૅક ટુ મેનકાઇન્ડ’-ની છે.[22] “સંસારનું નામ બીજું : ‘સહેવું’ ” (‘આતિથ્ય’, પૃ. ૧૦૧) એમ તેઓ કહે છે. જેને કારણે સહેવું પડે છે એ સંઘર્ષોથી – ઘમસાણલીલાથી ભર્યો ભર્યો અષાઢ જીવનમાં અખંડ રહે એમ તો તેઓ ઇચ્છે છે. સંઘર્ષ-યુદ્ધ આદિની ભૂમિકા ઉમાશંકર સ્વીકારે છે, પણ એ ભૂમિકાથી ઉપર ઊઠવામાં જે ‘દિવ્ય મનુષ્યતા’ કે ‘માનુષ દિવ્યતા’[23] છે તેનો ઉમાશંકર આદર કરે છે. વિશ્વની રંગભૂમિ પર જે કંઈ અવનવી ઘટનાઓ ગુજરે છે એમાં જે કંઈ ચિરંજીવ તત્ત્વ છે તેને કવિઓ ગ્રહી લેતા હોય છે :

“રાષ્ટ્રો જન્મી, લડે, ખડે, સમયનાં ખંડેર ભેળાં ભળે
ને સૃષ્ટિ-ધુતિ-ધ્વંસમોજ ઊછળે વિશ્વે વિકાસક્રમે;
કિંતુ એ ઇતિહાસમોજ સઘળા પ્રોતું, છૂપંતું, મૃદુ
કલ્યાણાર્થી, સદાનું, કૈંક લસતું સૌ હાથમાં ના’વતું –
આંધી વીંધત જ્યોત, એ જ કવિતા, માનવ્યગાથા ઊંડી.
ઉત્ક્રાન્તિના ઉછાળા પલકપલક પલ્ટાઈ પ્રોત્કર્ષઘેલા
આવે, જાવે; પરંતુ મહીંથી કવિ ગ્રહંતો ચિરંજીવ તંતુ.”

(ગંગોત્રી, પૃ. ૧૨૩)


આ ‘ચિરંજીવ તંતુ’ને કારણે જ કવિતા તુચ્છ વિષયની હોય તોયે વૈશ્વિક પ્રભાવની ક્ષમતા ધરાવી શકે છે. કવિતા ધરા પરની અમૃતસરિતા[24] બને છે તે આ ચિરંજીવ તંતુને કારણે. આ તંતુ સાથે કવિતા દ્વારા સહૃદયોના ચિત્તનું અનુસંધાન થાય તેમાં કવિની ધન્યતા છે. ઉમાશંકરે પ્રકૃતિ પાસેથી કાવ્યદીક્ષા પામતાં જે પ્રથમ કાવ્ય લખ્યું તેમાં જે ‘મંત્ર’ પોતાને મળ્યો તે સૌન્દર્ય પીવાનો આદેશ કરે છે તે આપણે જોયું છે. જીવનમાં સૌન્દર્યની ખોજ કરતાં જન્મજાત કવિને તો કવિતા માટેની જ સામગ્રી – કવિતાની સમૃદ્ધિ મળી જ રહેવાની. આ સૌન્દર્યની ખોજ કવિના નિજી અસ્તિત્વની જ ખોજ છે અને તે જ તેમને સ્વાતંત્ર્ય, સમત્વ, બંધુત્વ ઇત્યાદિ તરફ પ્રેરી જાય છે. ‘વિશ્વશાંતિ’માં કવિએ આ ત્રણેય તત્ત્વો માટેની અભીપ્સા વ્યક્ત કરી, જોકે ત્યાંય બંધુત્વ પર તેમનો ભાર વિશેષ રહ્યો. આમેય બંધુત્વનો આદર્શ વાસ્તવિક ભૂમિકા પર તો જ ઊતરી શકે, જો સ્વાતંત્ર્ય ને સમત્વ પ્રવર્તતાં હોય. ઉમાશંકરે ફ્રાન્સ અને રશિયાની ક્રાંતિઓને સ્વતંત્રતા તથા સમાનતાનાં મૂલ્યોના સંદર્ભમાં યાદ કરી અને પ્રથમ વિશ્વયુદ્ધે જે ખાનાખરાબી કરી તેનો આછો નિર્દેશ માત્ર કરી, વિશ્વબંધુત્વની ભાવનાને આ કાવ્યમાં પ્રસ્તુત કરી. આ કાવ્ય ભલે શીર્ષકે ‘વિશ્વશાંતિ’નું હોય પરંતુ તેના આંતરસત્ત્વે તો વિશ્વપ્રેમનું – વિશ્વબંધુત્વનું, રામપ્રસાદ શુક્લે વાપરેલો શબ્દ ઉપયોજીને કહીએ તો, ‘વિશ્વમાંગલ્ય’[25]નું કાવ્ય છે. વિશ્વપ્રેમ જ ઉપાય છે વિશ્વયુદ્ધો ટાળવાનો. વિશ્વયુદ્ધો અથવા કોઈ પણ પ્રકારનાં યુદ્ધો, કલહો જેવી ઘટનાઓ તો જ ટળે, જો વિશ્વપ્રેમની પરિસ્થિતિ સર્જાય. ઉમાશંકરે કૃષ્ણના ચક્રથી ગાંધીજીના ચક્ર (ચરખા) સુધીમાં વિશિષ્ટ અર્થમાં શસ્ત્રવિકાસને અવલોક્યો છે. શસ્ત્ર હિંસક મટીને અહિંસક બન્યું એ જ એનો વિકાસ ! નખે, દાંતે લડનારાઓ અગ્નિ-અસ્ત્રો સુધી વળ્યા એ પણ શસ્ત્રવિકાસ; પણ તે રૂઢ અર્થમાં, કવિના – કવિતાના અર્થમાં નહીં.[26] ઉમાશંકરે ગાંધીજીના સત્યાગ્રહમાં સ્વાતંત્ર્ય, સમત્વ અને બંધુત્વ – આ ત્રણેય મૂલ્યોનો સજીવ સંબંધ વ્યાવહારિક ભૂમિકાએ પ્રતિષ્ઠિત થતો જોયો. પતિતપાવન અથવા દીનાનાથ એવા નારાયણને પતિત અને દરિદ્રજનમાં વિશિષ્ટ રીતે જોવાનો – એમને દરિદ્રનારાયણ રૂપે ઓળખવા – ઓળખાવવાનો જે દાર્શનિક ઉપક્રમ ગાંધીજીએ સ્વીકાર્યો તેમાં એક શાંત પણ ધરખમ ધાર્મિક-આધ્યાત્મિક ક્રાંતિનું – મૂલ્યક્રાંતિનું બીજ રહેલું હતું જ. જીવનકળાના મહાન પ્રયોગકાર – જીવનના કલાધર ગાંધીજી પ્રત્યેનો કવિનો મુગ્ધભાવ આદર્શપ્રીતિનો દ્યોતક છે. ગાંધીજી પ્રત્યેનો એમનો સદ્ભાવ ઠીક ઠીક મુખર છે. ‘શું ઊતરી મૂર્તિમતી અહિંસા ?’[27]જેવા અનેક ઉદ્ગારોમાં એ સ્પષ્ટ છે. આમ છતાં જે ઉત્સાહ-ઉલ્લાસથી કવિ ગાંધીજીને બિરદાવે છે એમાં વસ્તુત: વિશ્વબંધુત્વની ભાવનાનો ઉમળકાભર્યો પુરસ્કાર છે. તેથી તો કાકાસાહેબે ‘આમંત્રણ’ – એ પુરોવચનમાં સ્પષ્ટ જણાવ્યું કે ‘પ્રસ્તુત કવિતા ગાંધીયુગની છે, પણ ગાંધીજીનું માહાત્મ્ય વર્ણવવા માટે લખેલી નથી’ કાકાસાહેબે ગાંધીયુગને એની પહેલાંનાં યુગથી આદર્શભેદે કંઈક જુદો માન્યો છે. ઉમાશંકર પણ ગાંધીયુગને કંઈક વિશિષ્ટ માનતા જણાય છે. રવીન્દ્રનાથ-વિષયક એક કાવ્ય (‘રવીન્દ્રનાથ’, અભિજ્ઞા, પૃ. ૪૯–૫૦)માં તેમણે રવીન્દ્રનાથના યુગને ‘વિશ્વમાનવ’ના યુગ તરીકે ઓળખાવ્યો છે. વિશ્વમાનવી – બનવાની યુગમાનવી બનવાની – પોતાના સમય સાથે સાચી નિસબત ધરાવતા માનવી બનવાની – વિશ્વતોમુખી થવાની અભીપ્સા ઉમાશંકરને આ વાતાવરણમાં થાય એ સ્વાભાવિક છે. વધારામાં ગાંધીજી જેવા વિશ્વમાનવનો આદર્શ જીવવા સતત પુરુષાર્થી એવા મહાપુરુષના યજ્ઞકાર્યમાં સક્રિય થવાનો અવકાશ પણ તેમને મળ્યો. તેથી વિશ્વમાનવની ચાહનાનો માર્ગ એમને ગમી જાય અને તેની વાત કરવામાં રસ પડે એવું સ્વાભાવિક રીતે જ બને. ‘વિશ્વશાંતિ’માં કવિના ઉદ્ગારો મુગ્ધતાની ભૂમિકાના લાગે, પણ તે ભાવનાપરાયણ તરુણ ચિત્તની સચ્ચાઈના ઉદ્ગારો પણ લાગશે. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ના વિષયને કાવ્ય માટે પસંદ કરી યુગ સાથેના તેમના સચ્ચાઈભર્યા સ્નેહસંબંધને સ્પષ્ટ રીતે પ્રકટ કર્યો છે.

વળી ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ કાવ્યમાં ગાંધીજીની ‘મુક્તિ-મીઠું’ ઉપાડવા માટેની દાંડીકૂચ, સ્વદેશીની ચળવળ, દારૂનાં પીઠાંનું પિકેટિંગ – આવા બધા કાર્યક્રમોને વિશ્વશાંતિના સંદર્ભમાં મૂકી એમાં રહેલું વૈશ્વિક – માનવીય પરિમાણ ઉપસાવી આપ્યું છે. અહિંસા અને સત્ય, પ્રેમ અને સમત્વ – આ બધાં મૂલ્યોના સંદર્ભમાં વ્યક્તિ અને સમષ્ટિજીવનની પાયાની ક્રાંતિ-ઉત્ક્રાન્તિ અનિવાર્ય થઈ પડી અને ગાંધીજીએ તે યુગકાર્યનો ભાર આત્મબળે ઉપાડ્યો. ‘વિશ્વશાંતિ’ કાવ્ય તેથી ગાંધીનું, ગાંધીયુગનું, ગાંધીયુગીની ભાવનાઓનું કાવ્ય બને છે; વર્તમાન યુગનું કાવ્ય બને છે; પણ તેની ખરી ખૂબી એની આવતા યુગનું કાવ્ય બનવાની જે વસ્તુગત ક્ષમતા છે એમાં છે. ઉમાશંકરે આ કાવ્યમાં દીનદલિતો પ્રત્યેની પોતાની હમદર્દીને તેમ સામ્રાજ્યશાહી જેવાં પરિબળો સામેની પોતાની નારાજગીને સ્વાભાવિક ક્રમમાં વ્યક્ત થવા દીધી છે. કેટલેક સ્થાને તેઓ ભરપૂર આત્મવિશ્વાસથી ને તેથી જ કેટલીક વાર મુગ્ધતાથી પોતાના અભિપ્રાયો આપે છે :

‘અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી !
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.’

(વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૨૦)


‘માનવી માનવી ઉરે એક માનવભાવ છે,
પેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે.’

(વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૨૦)


‘સત્ય ને શાંતિ ને પ્રેમ લ્હેરે છે વિશ્વમાત્રમાં,
ને પૃથ્વીને પડે કો દી ઝમે છે યોગ્ય પાત્રમાં.’

(વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૨૧)


– આ અભિપ્રાયો આમ તો સુવિદિત અભિપ્રાયો છે, પરંતુ જે પ્રતીતિના બળે એ ભાષાબદ્ધ થયા છે તેનું આકર્ષણ છે. આ અભિપ્રાયો જે પ્રક્રિયાએ કવિ ઉમાશંકરના અભિપ્રાયો થયા તેનું જો નિરૂપણ થયું હોત તો વિશ્વશાંતિ બહુધા ભાવનાની રમણીય ઉદ્ગારાવલિ થવાને બદલે સૌન્દર્યાનુભૂતિની હૃદયપ્રભાવક કવિતા બની રહેત. કમભાગ્યે, આ કવિની બાબતમાં અહીં તો એમ થવું નિર્માયું નહોતું !

આ કાવ્ય ઉમાશંકરની કવિ તરીકેની ક્ષમતાઓનો ઠીક ઠીક અંદાજ આપે છે. ઉમાશંકરનું સંવેદનજગત કેવું બૃહદ અને સમૃદ્ધ છે તે વિશ્વશાંતિના પાંચમા ખંડના ઉત્તરાર્ધથી સુસ્પષ્ટ થાય છે. કવિ લખે છે :

“વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !


  


છે પત્ર ને પુષ્પની પાંખડીએ
પ્રભુ તણાં પ્રેમપરાગપોઢણાં.
કલ્લોલતાં પંખીની આંખડીએ
ગીતો અનેરાં ચમકે પ્રભુ તણાં !
પ્રકૃતિમાં રમંતાં એ દુભાશે લેશ જો દિલે,
શાંતિની સ્વપ્નછાયાયે કદી માનવને મળે.”

(વિશ્વશાંતિ, પૃ. ૨૨)


જાણે આ કવિને જ લાગે ને સમજાય એવી વાત છે ! ઉમાશંકરની ઋતશ્રદ્ધા પ્રેમશ્રદ્ધા-ના પર્યાયરૂપ છે. ઉમાશંકર જે પ્રેમતત્ત્વના વિકાસની વાત કરે છે તે સમસ્ત વિશ્વનું નિયામક બળ હોવાની એમની શ્રદ્ધા વિશદ રીતે ‘કાલસાગરે’માં સૂચિત થઈ છે. જે સમસ્ત વિશ્વનું ઋત છે તેને જ માનવીય સંબંધોમાં ઉપસાવવાનો પ્રશ્ન છે. ઉમાશંકરે આ ‘વિશ્વશાંતિ’માં વ્યક્ત કરેલી ભાવના એક યા બીજે રૂપે પછીની એમની કવિતામાં પ્રગટ થતી રહી છે. ‘નિશીથ’માં “વિરાટ પ્રણય”ના આરંભમાં જ તેમણે કહ્યું છે :

“પચ્ચીશી હજુ તો પ્હેલી પૂરી માંડ કરી ન ત્યાં,
પ્રીત આ વસમી ક્યાંથી મને લાગી અભાગીને ?
જગના પ્રણયોની ના શીખ્યો બારાખડી પૂરી,
ત્યાં તારે પ્રેમપાશે રે પડ્યો ક્યાં જગસુંદરી ?
માનવી માનવી આંખે મનનું શોધ્યું માનવી,
શોધતાં ક્યાંયથી તે આ નવી કો પ્રેયસી મળી !”

(નિશીથ, પૃ. ૫૨)


આ વિશ્વપ્રેમની ભાવના એમના સમષ્ટિપ્રેમ તેમ જ વ્યષ્ટિપ્રેમનાં કાવ્યોમાં પણ કોઈક રીતે અનુસ્યૂત જોવા મળે છે. એ ભાવના સમાનતા, બંધુતા, સ્વતંત્રતા જેવાં મૂલ્યોની વાત કરતાં તો પ્રબળ રીતે પ્રગટવી જોઈએ. ‘જઠરાગ્નિ’ જેવા કાવ્યમાં એ ભાવના નિષેધાત્મક રીતે પ્રગટ થયેલી જોઈ શકાય. એમનો રોષ – એમનો પુણ્યપ્રકોપ એમની વિશ્વપ્રીતિનો – મનુષ્યપ્રીતિનો જ મૂલત: દ્યોતક છે; આમ છતાં ખંડેરની ભસ્મકણીયે નહિ લાધે – એવી ધમકીની ભાષામાં વાત કરવાની રીત જે ઉમાશંકરને આપણે ઓળખીએ છીએ એમને માટે તો કદાચ આગંતુક જ લાગે ! એમની મનુષ્યપ્રીતિની ભાવનાની ગવાહી ‘ગુલામ’ કાવ્યમાંનો ‘સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ ?’ પ્રશ્ન આપી રહે છે. ‘સ્વતંત્ર પ્રકૃતિ તમામ’ – આ એમની માન્યતા છે, તો ‘એક માનવી જ કાં ગુલામ ?’ એ પેલી માન્યતાને કારણે ઉદ્ભવેલ દારુણ પ્રશ્ન છે. મનુષ્યના ગૌરવનો અવાજ ‘હું ગુલામ ?’ – એ પંક્તિના ‘હું’માં સાંભળવો મુશ્કેલ નથી, અને ‘ગુલામ ?’ના પ્રશ્નલયમાં વેદનાનો રણકો સાંભળવો પણ કઠિન નથી. ‘હું ગુલામ ?’ – એ પંક્તિમાં ‘હું’નો અર્થ પ્રશ્નાર્થસહિતના ‘ગુલામ’ શબ્દની (‘ગુલામ ?’) સંનિધિને કારણે ‘હું જે ગુલામ નહિ તે’ એવો થાય છે. આમાં માનવ્યપ્રેમી ને તેથી સ્વાતંત્ર્યપ્રેમી કવિની વેદના સીધાસાદા ને તેથી જ તીવ્રતમ – હૃદયવેધક પ્રશ્નમાં ઉત્કટ રીતે સ્ફુરેલી પામી શકાય છે. ઉમાશંકરની કવિતામાં વિશ્વપ્રેમની વ્યક્તિપ્રેમથી – દાંપત્યપ્રેમ સુધીની જે એક શ્રેણી છે તેમાં વિશ્વમાનવી એ આદર્શ છે તો લઘુમાનવી – વ્યક્તિ એ વાસ્તવિકતા છે. વ્યક્તિ મટીને – લઘુમાનવી મટીને ‘રાષ્ટ્ર–વિરાટ–ચેતના’[28] થવું અને પછી વિવિધ માનવપ્રજાઓ સાથે હૃદયનું ઐક્ય સ્થાપવું – એ જીવનકર્તવ્યની – કવિના મનુષ્યજાતિ પ્રત્યેના કર્તવ્યની દિશા છે. ‘ઘરે ઘરે વીર ગાંધી જગાવો, બારણે બારણે બુદ્ધ !’[29] એ ભાવનાની કવિતા થઈ શકી નથી. ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’[30] જેવી સુપ્રચલિત પંક્તિમાં વ્યક્તિ મટવાની જે વાત છે તે કોઈ પણ રીતે શક્ય છે ? વ્યક્તિત્વનાં બંધન તોડવાફોડવાની વાતમાં પ્રાસંગિક ઉત્સાહ ને ભાવનોદ્રેકથી ભાગ્યે જ વિશેષ કશું હોય. હિમાલયનું ઓશીકું ને નભતારલીની કીકી કરવાનો કલ્પનોત્સાહ સમજી શકાય છે, પણ તેવી વાતોથી વિશ્વમાનવના અંતરતમ સત્યનો સાક્ષાત્કાર થાય છે ખરો ? માથે વસુંધરાની ધૂળ ધરવાની ચેષ્ટાથી વસુંધરાપ્રીતિ સૂચિત થાય છે તે ભલે, પરંતુ તેથી વસુંધરાપ્રીતિના ઉત્કર્ષમાં કેટલી મદદ થાય તે પ્રશ્ન છે. પતિતસમ સાથમાં પતિતસમ થઈ રહેવાની ભાવના કવિને થાય છે.[31] પણ એ ભાવનાએ કવિના સંવિતને ઉપરતળે કરી નાખ્યું હોય એવું લાગે છે ખરું ? કવિની એ પ્રિય ભાવના છે, પરંતુ કવિની ખુદની હસ્તીમાં એ અનિવાર્ય કેટલી બની છે ? એમની સમગ્ર કવિતાનો સંદર્ભ જોતાં આ પ્રકારના ભાવનોદ્ગારોને જે તે ક્ષણના સાચા છતાં ઊર્મિલ કોટિના ઉદ્ગારો લેખવા પડે. આમ છતાં, વૈશ્વિક સંવાદની એમની અભીપ્સા અને એ માટેની એમની મથામણના ભાગરૂપ પોતાની સામે જ પોતે મોરચો માંડે છે ત્યારે તેનાં હૃદ્ય પરિણામો આવે છે. ‘આત્માનાં ખંડેર’નો પણ વૈશ્વિક સંવાદના સંદર્ભે વિચાર કરવો અનિવાર્ય જ બને છે.

‘નખી સરોવર પર શરત્પૂર્ણિમા’ લખ્યા સાલની દૃષ્ટિએ ભલે એમનું પહેલું કાવ્ય ગણાય, પરંતુ એમના અસ્તિત્વની બુનિયાદને પોતાની જ કહેવાય એવી અનુભૂતિનિષ્ઠ ભાષામાં રજૂ કરતું પહેલું સરસ કાવ્ય તો છે આ ‘આત્માનાં ખંડેર’. વિશ્વશાંતિ આત્મશાંતિ વિના શક્ય નથી અને આત્મશાંતિની સાધનામાં આત્મમંથનને સ્થાન રહેવાનું જ, ને આ જ કારણે ‘આત્માનાં ખંડેર’ અને ‘વિશ્વશાંતિ’ને એક ઊંડો આંતરસંબંધ છે. વિશ્વશાંતિ એક સમસ્યારૂપે જે દેશકાળમાં ખડી થઈ. એ દેશકાળના પ્રભાવે સર્જકચિત્તની શી અવસ્થા છે તેનો તાગ પણ મળવો તો જોઈએ જ. ‘આત્માનાં ખંડેર’ એ રીતે ‘વિશ્વશાંતિ’ના સંદર્ભે બિલકુલ પ્રસ્તુત બની રહે છે. ‘આત્માનાં ખંડેર’ના પ્રથમ સૉનેટમાં જ નાયક ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ આવા ઉદ્ગાર કાઢે છે. આ ઉદ્ગારમાં કોઈ ‘અહંઘોષ’ સાંભળવા પ્રેરાય, પણ વસ્તુત: એ જરૂરી નથી. ‘તેજના વારસ’[32] એવા મનુષ્યના આત્મશક્તિના ભાનથી સ્ફુરેલા ઉદ્ગારરૂપે આ પંક્તિને જોવામાં કશી મુશ્કેલી નથી. સમસ્ત વિશ્વ આકર્ષક છે, તો એ વિશ્વને આકર્ષક રૂપે જોનાર-અનુભવનાર જે દ્રષ્ટા – ‘હું’ તે પણ આકર્ષક ઓછો નથી. ‘હતું સૌ : એ સાચું ! હતી પણ ખરી હુંની જ મણા !’ – એ ભાન કવિને ‘હું’ના થયેલા સાક્ષાત્કારરૂપ છે. આ ‘હું’ ઉત્ક્રાન્તિના ક્રમમાં ‘પ્રજ્ઞાપુરુષ’ બનીને રહેશે એ વિશેની કવિની શ્રદ્ધા અટલ છે. આ શ્રદ્ધાને કારણે જ હીરોશીમાની હોળી કરીને અમાનુષિતાની સીમા બતાવનાર મનુષ્ય સામે અંતે તો અમાનુષિતા જ થાકી[33] – એ એમનું તારણ છે. કવિ કલાપીને વિશ્વ સંતના આશ્રમ જેવું લાગેલું. આ કવિને પણ સારી સૃષ્ટિ ‘સ્નેહશાલા’ (વસંતવર્ષા, પૃ. ૪૬) લાગે છે. વિધિની રેત નિચોવાતા મનુજને ‘બિચારો’ કહેતા ઉમાશંકર એને ‘વામન-પ્રભુ’ (અભિજ્ઞા, પૃ. ૯૦) પણ કહે છે. ઉમાશંકરની આ મનુષ્યનિષ્ઠાનો ભેદ એક કાવ્યમાંથી કંઈક પામી શકાય છે :

“નમું તમોને ! પશુ-પંખી-ઉદ્ભિદ !
નમું ! ન જાણું તમને હું તેવો,
મનુષ્યને કૈંક હું જાણું જેવો.
મનુષ્ય મેં તેથી જ કૈંક સેવ્યો.
આવી ચડે જો પ્રભુ ! તું કદીક,
તો આવજે તું થઈને મનુષ્ય. –”

(‘ઊર્ધ્વ માનુષ’, અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૫૭)


સુન્દરમે ‘આ જિંદગીના અવિજેય શત્રુ’ એવા પોતાને મજનૂન બનાવનાર પ્રભુને લયલા બનીને આવવા કહેલું.[34] આ કવિ પ્રભુને મનુષ્ય થઈને પધારવા વીનવે છે. માટીના માનવી તરીકે પોતાને સૌ માનવીઓ જોડે ‘માટી કેરી સગાઈ’ છે, ‘તેજની સગાઈ’ છે.[35] આ સગાઈ જ એમને વિશ્વયુદ્ધો સામે રોષ-વિરોધ વ્યક્ત કરવા, વિશ્વશાંતિનો – વિશ્વપ્રેમનો મહિમા ગાવા, ગાંધીજી ને લિંકન, આઇન્સ્ટાઇન ને તૉલ્સ્તૉય, કાલિદાસ ને રવીન્દ્રનાથ, દાન્તે ને શેક્સપિયર જેવી મહાન વિભૂતિઓને કવિતા દ્વારા શ્રદ્ધા-અર્ઘ્ય સમર્પવા પ્રેરે છે. આ સગાઈ જ સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટેના સત્યાગ્રહ તરફ, ભારત અને ગુજરાતનાં મહિમ્ન:સ્તોત્રો ગાવા તરફ, સામાજિક વિષમતા અને દંભનો પ્રતિકાર કરવા તરફ કવિને પ્રેરે છે. આ સગાઈ જ પ્રણયજીવન – દાંપત્યજીવનનાં, કવિજીવનનાં એમનાં સંવેદનોમાં – એની અભિવ્યક્તિમાં નિર્ણાયક ભાગ ભજવે છે. જ્યારે જ્યારે માનવ્યદૃષ્ટિએ મહત્ત્વની ઘટનાઓ ઘટી છે ત્યારે ત્યારે ઉમાશંકરે એક સાહિત્યસર્જકને નાતે – કવિધર્મની કદાચ સભાનતાથી મુખર થવું પસંદ કર્યું છે. ગાંધીજીનો સત્યાગ્રહ, વિશ્વયુદ્ધ, અણુવિસ્ફોટ, ગાંધીજીની હત્યા, ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિ, એવરેસ્ટ-વિજય, મનુષ્યનું ચંદ્ર પર પદાર્પણ – આવી આવી અનેક ઘટનાઓએ તેમને કવિકર્મ તરફ પ્રેર્યા છે. સંસ્કારપુરુષો – સાહિત્યસર્જકો વગેરેને અભિનંદન યા અંજલિ આપવા તેમણે શબ્દને કોઈક રીતે કાર્યાન્વિત કર્યો છે તે પણ અત્રે યાદ કરવું રહ્યું. ‘દેશધૂલિ પ્રેરે કવિ-કર્મ’[36] – આ એમનું કથન છે, – કબૂલાત છે. પોતે, ત્રિભુવનદાસ (સુન્દરમ્), રતિલાલ (રામપ્રસાદ) શુક્લ વિશે લખેલ ‘ત્રિઉર’માં પણ જીવનને મહત્ત્વ આપીને કવિતાનો મહિમા કર્યો છે. તેથી તો આમ લખે છે :

         ‘બડકાવ્ય ભાગ્યે
જો જીવતાં અગર કાવ્ય જીવી જ જાણ્યું.’

(‘ત્રિઉર’, નિશીથ, ૧૯૬૨, પૃ. ૮૩)


જીવનમાં કાવ્ય જોયું છે – અનુભવ્યું છે. ને તેથી જ એ જીવન કાવ્યપ્રેરક – કાવ્યપોષક એમને જણાયું છે. એમની કવિતાને મનુષ્યે તેમ પ્રકૃતિએ ઉછેરી છે, વિકસાવી છે. એમને કાવ્યદીક્ષા ડુંગરા પાસેથી – પ્રકૃતિ પાસેથી મળ્યાની ઘટના આપણે જાણીએ છીએ. ‘મૂલ મૈં ડુંગરોંકા’ – ‘હું અરવલ્લીનું બાળક’[37] – આ રીતે પોતાનો પરિચય આપવાનું તેમણે પસંદ કર્યું છે એ પણ આપણે જાણીએ છીએ. એમની કાવ્યગંગોત્રીની સરવાણીના ઉદ્ભવ-વિકાસમાં ખંભેરિયાની ઝાંઝરી કે જંબેલસાના ઝરણનો પણ ફાળો ઓછો નથી. ‘ગિરિવર તણાં મૌનશિખરો’ પાસેથી તેઓ કવિને નાતે નિમંત્રણ મેળવતા રહ્યા છે. ‘વિશ્વશાંતિ’નો વિચાર કરતાં, ક્લેવરો કાનનનાં ઘવાતાં રહે છે તે ઘટના આંખ સમક્ષ તરી રહે છે. આમ પ્રકૃતિ માટે અંતરમાં આવો ઉદાર-ઊંડો સ્નેહભાવ અનુભવતા રહેલા ઉમાશંકર પ્રકૃતિના જ એક ઉત્તમ અંશરૂપ મનુષ્યને અંતરમાંથી પદભ્રષ્ટ ન જ કરી શકે એ સ્પષ્ટ છે. પોતાની વાત કરતાં ‘આત્માનાં ખંડેરો’માં તેઓ સ્પષ્ટ કહે છે :

‘મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.’

(નિશીથ, પૃ. ૧૫૨)


‘વસંતવર્ષા’માં પણ ઢળીને શૃંગસ્તનથી તડકા દ્વારા પિવાતા શાંતિ-અમૃતની મીઠી વાત કરીને પણ ‘જનરવભરી ખીણ મુજ હો !’ એમ વાંછના કરે છે. મનુજના ચહેરાનું કોઈ ખાસ ખેંચાણ (યા બંધાણ ?) એમને છે. તેઓ લખે છે :

‘પડે જે જે મારી નજર પર ચ્હેરા મનુજના,
વિમાસું : સૌ જાણે પરિચિત ન હો કૈંક ભવના.’

(‘ચ્હેરા મનુજના’, વસંતવર્ષા, પૃ. ૧૪૪)


આ ચહેરાઓને આ પછી ઉશનસ્ના ‘તૃણના ગ્રહ’માં ‘રસ્તો અને ચ્હેરો’ સૉનેટગુચ્છમાં વિસ્તારપૂર્વક નિરૂપાવાની તક મળી. જે કવિ છે તે તો ‘મધુર નમણા ચ્હેરાઓનો ભવોભવનો ઋણી’[38] હોવાનો જ. ઉમાશંકરને અજાણ્યાં શહેરોમાં માનવીના ચહેરા અજાણ્યા રહ્યા નથી તેનું કારણ માનવ્યનો ચિર-ગાઢ સ્વાદ-પ્રસાદ છે. ઉમાશંકરને અજાણ્યા વાતાવરણમાં પણ અજાણ્યાં માનવીમાં માનુષ દિવ્યતા અથવા દિવ્ય મનુષ્યતાનાં[39] દર્શન થતાં રહ્યાં છે. તે કારણે તો માનવના વિશ્વમાનવ-પણામાં તેમનો રસ ઉત્તરોત્તર વધતો રહ્યો છે. આ મનુષ્યજીવને એમનામાં હતાશા કે નિરાશાની લાગણી હંમેશ માટે પ્રેરી નથી એ હકીકત પણ આ સંદર્ભમાં સૂચક છે. આ માનવસંસારમાં જે કંઈ વર્ષો જીવવા મળ્યાં તેમાં વિષ, વિષમ ઓથાર, અસત સંયોગોની અદયા – આવું આવું કંઈક સહન કરવાનું આવ્યું છે, પણ તે સહન કરવાથી તો જીવનની શક્તિ બઢી છે. જે કંટકો હતા તે કુસુમ બન્યા છે ને તિરસ્કારોમાંથી ગૂઢ કરુણાનું પ્રાગટ્ય થતું અનુભવ્યું છે. છેવટે તો જે વર્ષો ગયાં એનું સ્મરણ એકંદરે આહ્લાદક જ રહ્યું છે.[40] ‘રહ્યાં વર્ષો તેમાં –’ એ કાવ્યમાં ઉમાશંકરે છેલ્લે કહ્યું છે : ‘મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.’ આ કથન જે અનુભવ-બળે – શ્રદ્ધાબળે થયું છે તેમાં ઇહ જીવનની રસિકતાનો વિજય જ જોઈ શકાય.[41] મનુષ્યની ચારેય બાજુ સૃષ્ટિમાં જે પરમ ઋતલીલાની અભિરમણા છે તેનો રસ અખૂટ છે અને તેની સુદૃઢ પ્રતીતિ ઉમાશંકરને છે. તેથી તો જે વર્ષો રહ્યાં છે તેમાં આ સૃષ્ટિનો બધો સૌન્દર્યરસ – પ્રણયરસ આકંઠ પીવાની એમની મહેચ્છા છે. ઉમાશંકરે ‘અભિજ્ઞા’ કાવ્યસંગ્રહના છેલ્લા કાવ્ય “શું શું સાથે લઈ જઈશ હું ?”માં પોતે જ પ્રશ્ન ઉઠાવી એનો ઉલ્લાસભેર ઉત્તર આપ્યો છે તે જોવા જેવો છે. પ્રશ્ન તો જાણે મજાનું બહાનું છે. એના ઉત્તર નિમિત્તે જે કહેવું છે તેનો ઉલ્લાસ અછતો રહેતો નથી. કવિજીવનની ધન્યતાનો અનુભવ એ કાવ્યમાં વ્યક્ત થયો છે. કવિજીવનની સમૃદ્ધિ-સિદ્ધિનો એક રમણીય આલેખ આ છે. આપણે આખું કાવ્ય જોવું રહ્યું :

“શું શું સાથે લઈ જઈશ હું ?
કહું ?
લઈ જઈશ હું સાથે
ખુલ્લા ખાલી હાથે
પૃથ્વી પરની રિદ્ધિ હૃદયભર –
વસંતની મ્હેકી ઊઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર,
મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો,
વિમળ ઊમટ્યો, જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો,
માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ
અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ,
પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય, શિલાનું મૌન ચિરંતન,
વિરહ-ધડકતું મિલન, સદા-મિલને રત સંતન
તણી શાન્ત શીળી સ્મિતશોભા,
અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા,
પ્રિય હૃદયોનો ચાહ
અને પડઘો પડતો જે ‘આહ !’
મિત્રગોઠડી મસ્ત, અજાણ્યા માનવબંધુ
તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ,
નિદ્રાની લ્હેરખડી નાની – કહો, એક નાનકડો
સ્વપ્ન-દાબડો,
(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયાં જ)
– અહો એ વસુધાનો રસસિદ્ધિભર્યો બસ સ્વપ્ન-સાજ ?–
વધુ લોભ મને ના,
બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં
લઈ જઈશ હું સાથે
ખુલ્લા બે ખાલી હાથે,
ખુલ્લા બે ‘ખાલી’ હાથે ?”

(અભિજ્ઞા, પૃ. ૧૧૨)


ઉમાશંકર જે કંઈ લઈ જવાની વાત કરે છે એમાં એમની રસરુચિ – સૌન્દર્યદૃષ્ટિનો, એમના ‘શીલભદ્ર’ – સૌન્દર્યનિષ્ઠ સર્જક વ્યક્તિત્વનો અંદાજ મળી રહે છે. પ્રકૃતિ અને મનુષ્યજીવનના સૌન્દર્યથી આકૃષ્ટ આ કવિની સૌન્દર્યવિભાવના કેવી ઉત્તમ, સૂક્ષ્મ અને દર્શન-પ્રતિષ્ઠ છે, એમનું જીવનનું આકલન કેવું સમર્થ છે, એમનું ભાવનાજગત કેવું માંગલ્યલક્ષી છે, એમનું ભાવજગત કેવું સ્નેહધર્મી છે – તેનું સૂચન અહીં મળે છે. (આ કાવ્યનું રસલક્ષી વિવરણ કરતાં અંતે શ્રી હરીન્દ્ર દવે લખે છે : ‘આપણી આ અપાર સંપત્તિનું ભાન આપણને કવિ કરાવે છે : એટલા માટે જ જગત કવિનું ઋણી હોય છે.’ (‘કવિ અને કવિતા’, પૃ. ૬૫–૬૭) શ્રી યશવંત ત્રિવેદીએ આ કાવ્યનો માનવજાતિના ઉત્તમ વસિયતનામાની કવિતાઓમાં સમાવેશ કર્યો છે ! ‘વસિયતનામા’ના અર્થનો કાવ્યના ભાવાર્થ સાથે મેળ ગોઠવવો રહ્યો ! (જુઓ ‘કવિતાનો આનંદકોશ’, પૃ. ૩–૭)) ઉમાશંકર વિશ્વની અખિલાઈના સંદર્ભમાં જીવન-કલાને જુએ–મૂલવે છે. તેઓ કોલાહલ, સંઘર્ષ વગેરેમાંથી સંવાદ તરફ જવા સતત પ્રયત્નશીલ હોય છે, પણ તે સાથે કોલાહલ–સંઘર્ષ વગેરે વચ્ચે પોતાના સત્ત્વબળથી અણનમ રહેવા પણ મથે છે. એમની જીવનદૃષ્ટિ સત્ત્વસંશુદ્ધિને મહત્ત્વ આપનારી અને સત્ત્વબળને અનુસરનારી છે. ‘અસ્તિત્વમાં સત્ય જ એક થંભ’[42] – આ એમની પ્રતીતિ છે, અને તેથી જ સત્યને અવિરોધી એવા સૌન્દર્ય-આનંદના તેઓ પુરસ્કર્તા રહે છે. ‘અસત્ આનંદોની પરબ રચી વ્હેંચો ન મદિરા’[43] એમ તેમણે કહ્યું એનું કારણ પણ સત્યની શક્તિની પ્રતીતિ છે.

ઉમાશંકર એક ભૂમિકાએ સત અને અસતનો ભેદ કરી, સતનો પક્ષ લઈને વાત કરે છે, તો બીજી ભૂમિકાએ સત અને અસત વચ્ચેના મેળની હિમાયત કરે છે. આ ભૂમિકાએ અસત સતને કારણે ને સતને માટે હોવાની પ્રતીતિ જોવા મળે છે. એ રીતે ‘સ્વપ્નોને સળગવું હોય તો –’ કાવ્યમાં તેઓ પોતાના જીવનના દુરિતનેય પોતાના જીવનના ‘આશ્ચર્યકર અનિવાર્ય માધ્યમ’ તરીકે સ્વીકારે છે. વળી એના જ બળે પોતાનાથી સુગઠિત થવાય છે એમ તેઓ માને છે.[44] સમગ્ર વિશ્વનું ઋત સંવાદતત્ત્વ (‘હાર્મની’)માં છે. આત્માના વિકટ ઘમસાણને અંતે રુચિર શારદ-ચંદિરાની


શોભા હોવાની આશા તેઓ વ્યક્ત કરે છે. આમ તો ભારતીય સંસ્કૃતિની વારસાગત આધ્યાત્મિક ભાવનાએ ઘડાયેલું – પોષાયેલું કવિચિત્ત વિપરીત પરિસ્થિતિમાં પણ ઈશ્વરની શુભ યોજના જોઈને સ્વસ્થ રહેવામાં સતનો વિજય – જીવનતત્ત્વનો વિજય નિહાળે છે, પરંતુ આ જ કવિચિત્ત સંધ્યાકાશે તરતી-ડૂબતી ધૂંધળી સંસ્કૃતિને સ્થિર કીકી રાખી, થથરતે અંતરે જોયાનો[45] સ્વાનુભવ અભિવ્યક્ત કરે છે. તેમની બુદ્ધિ ‘ઉત્ક્રાન્તિને કયે ઊભી સોપાને સૃષ્ટિ આ હશે ?[46] એવો પ્રશ્ન રજૂ કરે છે. આ પ્રશ્ન સાચી રીતે આ સંસ્કૃતિમાં જીવવા મથનારને થાય એવો પ્રશ્ન છે. મનુષ્યના શુભ ભાવિ વિશે શ્રદ્ધા રાખતાંય, યુધિષ્ઠિરવૃત્તિથી રહેવા પ્રયત્ન કરતાંય, મનુષ્ય જે દારુણ યંત્રણામાંથી આજે પસાર થઈ રહ્યો છે તેની વેદના તો તેઓ અનુભવે છે. યુધિષ્ઠિર ને કૃષ્ણના જીવનાદર્શને ગાનાર, ધર્મના જય વિશે ઊંડી શ્રદ્ધા સેવનાર ઉમાશંકરના મુખમાંથી ‘જીત્યું કુરુક્ષેત્ર પરંતુ સર્વને’[47] – એવા ઉદ્ગાર પણ પ્રસંગોપાત્ત, નીકળે છે. ઉમાશંકરનો, આમ છતાં સત્યમાંની શ્રદ્ધાએ પ્રેરેલો આશાવાદ પ્રબળ છે. ઉમાશંકરની સત્ય-શિવ-સુંદરના ત્રિયોગમાંની શ્રદ્ધા એટલી તો દૃઢમૂલ છે કે એમના સાહિત્યસર્જનમાં એમની ઉત્કટ સંવેદનની ક્ષણોમાં પણ એક અવિચલ સ્વ-સ્થતાનો તાર તંબૂરના તારની જેમ અતૂટ રીતે, સતત ગુંજરતો સંવેદનનાં વિસંવાદી લાગતાં વલયોને સંવાદનું એક ધ્રુવ પરિમાણ અર્પી રહે છે.

ઉમાશંકરની સત્ય-ધર્મ નિષ્ઠા કોઈ ને કોઈ રૂપે – અલબત્ત, શક્ય તેટલા કલાત્મક રૂપે – કેવળ ગાંધી વિષયક કે સત્યાગ્રહવિષયક જ નહિ, રામાયણ – મહાભારતવિષયક કાવ્યોમાં પણ સંચારિત થયેલી જોઈ શકાય છે. શિવ, કૃષ્ણ, ભીષ્મ, બુદ્ધ, સૉક્રેટિસ, ઈશુ, મીરાં જેવી મહાન વિભૂતિઓના જીવનકાર્યની પડછે ગાંધીજીના કાર્યને ઐતિહાસિક ને સમજની ભૂમિકાએ અવલોકવા – મૂલવવાનો પ્રયત્ન ઉમાશંકરે કર્યો છે. સમાજની સામે ચાલીને વિષ શોધીને પીનાર અને અમૃત બક્ષનાર ‘સત્યવીર’ ગાંધીને સ્નેહાંજલિ અર્પનાર ઉમાશંકર વર્ષો પછી, ‘અભિજ્ઞા’– કાળે પણ એમને પૂર્વવત્ યાદ કરે છે. યૌવનના આરંભકાળે ગાંધીજી પ્રત્યેનું અહોભાવયુક્ત ભાવનાદર્શન હતું, ‘અભિજ્ઞા’-કાળે ગાંધીજી પ્રત્યેનું સ્વસ્થ વાસ્તવદર્શન જોવા મળે છે. ગાંધીજીના જીવનકાર્યનું મહત્ત્વ સ્વાતંત્ર્યપૂર્વે સમજાયું હતું. તેથી અધિકું સ્વાતંત્ર્ય પછી સમજાયું છે. ગાંધીજીના નિધનપ્રસંગે જે રુદન છે તે તો કલંકમય દૈન્યનું જીવન (ભારતવાસી – વિશ્વવાસી) મનુષ્ય જીવે છે તેના પ્રાયશ્ચિત્તરૂપ છે. [48] પરમ સતમાં જીવનાર ગાંધીનો[49] જન્મ જ્યારે કંઈ પણ શ્રેયસ્કર થાય ત્યારે જ માનવો ઘટે :

‘માર્ગમાં કંટક પડ્યા
સૌને નડ્યા,
બાજુ મૂક્યા ઊંચકી,
તે દી નકી
          જન્મ ગાંધી બાપુનો,
          સત્યના અમોઘ મોંઘા જાદુનો.’

(‘ગાંધીજયંતી તે દિને’, અભિજ્ઞા, પૃ. ૬૫)


ઉમાશંકરે ગાંધીજીના રક્તબિન્દુમાં વિશ્વ જેવડું વિશાળ પ્રેમ સ્વરૂપ પ્રગટેલું જોયું છે એમાં જ એમને પરમાત્માનું પ્રતિબિંબ જોવા મળ્યું છે. (ધારાવસ્ત્ર, પૃ. ૪૭) ઉમાશંકરને માનવદેહને સંગોપતા ખાદીના તારમાં ગાંધીજીના શ્વાસનો પ્રેમલ ધાગો ભળેલો વરતાય છે. એમનું અવસાન ઈશુના અવસાન વખતની સૃષ્ટિની સ્થિતિનો પરચો ઉમાશંકરને આપી રહે છે. (ધારાવસ્ત્ર, પૃ. ૬૨)

ઉમાશંકરે માનવસંસ્કૃતિની ઉત્ક્રાંતિનું દર્શન ગાંધીજીના જીવનકાર્યમાં કર્યું છે. ગાંધીજીનું મહિમાગાન ઉમાશંકર ‘ગાંધીવાદી’ છે ને માટે કરે છે એવું નથી. તેઓ માનવતાપ્રેમી હોઈ ગાંધીપ્રેમી બન્યા છે, ‘ગાંધીવાદી’(તેમણે પોતે ગાંધીવાદી હોવાનો રદિયો આપ્યો છે – ગાંધીજી પણ ‘ગાંધીવાદી’ હતા નહીં એમ સૂચવીને !) તો નહિ જ. આમેય ‘વિશાળ ઉરભાવ વિસ્તર અસીમ દેશે અયે !’[50] એમ કહેનાર કવિ કોઈ ફિરકામાં પોતાને ખરેખર ગોઠવી શકે એમ લાગતું નથી. તેઓ સામ્યવાદી અને સમાજવાદીની, ગાંધીવાદીની, આસ્તિક તથા નાસ્તિકની, કલાવાદીની ને સંસ્કારસેવકની – આ રીતે વિવિધ મત-માન્યતા-વાદવાળાઓની ભાષામાં બોલતા લાગે છે ખરા, પરંતુ પ્રસંગાનુસાર જુદા જુદા રંગ દાખવતી એમની ભાષામાં માનવપ્રેમનો રંગ જ ખરો શાશ્વત રંગ છે. પરંપરાભક્તિ ને પક્ષિલતા, ઊર્મિલતા ને ભાવનામુગ્ધતા – આ બધાંની વચ્ચે શાશ્વત માનવમૂલ્યોની માવજતનો – માનવસમાજની પ્રતિષ્ઠાનો ખ્યાલ જ મુખ્ય – બુલંદ રહ્યો છે.

ઉમાશંકર માનવજાતિના આશક છે. (યુદ્ધદેવ કરતાંય પોતાની માનવભૂખ વિશેષ હોવાનું તેઓ એક કાવ્યમાં કહે છે !) તેથી તો તેમને માનવના ઇતિહાસમાં, એની સંસ્કાર-સંસ્કૃતિની ગાથામાં રસ પડે છે. ‘વિરાટ પ્રણય’માં તેમણે માનવજાતિનો ઇતિહાસ આપી, છેવટે તો માનવપ્રેમી કવિના ભાવથી આ જ વાંછ્યું છે :

“રહો તું ચાહવા જેવી હુંથી કે અન્ય કોઈથી,
એટલી ઉદ્ભવી તુંને ચ્હાતાં ચ્હાતાં જ ઝંખના.

અને ચ્હાનારની કો દી કમીના ન હજો તને,
અવિશ્રાંત તને ચાહી માગું આજ હું એટલું.”

(નિશીથ, પૃ. ૬૧)


ઉમાશંકરની માનવજાતિ પ્રત્યેની આ પ્રકારની સદ્ભાવનામાં એમની સંવાદિતાની સાધનાનો સૂર જ સાંભળી શકાય એમ છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ સમષ્ટિ વચ્ચે કેમ ઉત્તરોત્તર વધુ ને વધુ સંવાદ સાધવો એ જ જીવનની મુખ્ય મથામણ છે. એ જ એમની કવિતાનો સમ છે. ‘છે કો મારું અખિલ જગમાં ?’ – એમ બૂમ પાડતાં જે જવાબ મળ્યો છે (જે જવાબ પોતાના જ પ્રયત્ને મળ્યો છે !) તે સંવાદિતાના સાધકને જ મળે એવો સુંદર જવાબ છે : પોતાનું હૃદય બીજા માટે છે તો બીજાનું હૃદય પોતા માટે નહિ હોય ? –

‘બીજાં કાજે વસતું મુજમાં ?! તો મદર્થે બીજાંમાં
હૈયાં વાસો નહિ શું વસતાં કૈં હશે સ્નેહભીનાં ?’

(‘પ્રશ્ન’, ગંગોત્રી, પૃ. ૪)


માનવસ્નેહનું આ પ્રબળ તત્ત્વ – એ સ્નેહની પ્રબળ ગતિ જેમ એમની ગાંધી-કવિતામાં તેમ જ સ્વાતંત્ર્ય-કવિતામાં, ભારત ને ગુજરાતવિષયક કવિતામાં, પ્રણય અને પ્રકૃતિની કવિતામાં તથા કવિતાવિષયક કવિતામાં વિવિધ રૂપે જોવા મળે છે. માત્ર ભારતીય હોવાને કારણે જ શા માટે, ખાસ તો માનવતાનાં મૂલ્યોના પુરસ્કર્તા હોવાને કારણે ઉમાશંકર ભારતીય સંસ્કૃતિના પણ સમર્થક બની રહે છે. નરસિંહરાવને જે સંકુચિત દેશાભિમાનનો ભય હતો તે ઉમાશંકરના ‘હું ગૂર્જર ભારતવાણી’[51]ના ઉદ્ગારોમાં જરાય વરતાતો નથી, ઊલટું, એમાં તો ભારતીય સંસ્કૃતિની માનવ્યલક્ષી વિશાળ દૃષ્ટિ જોવા મળે છે. ઉમાશંકરને મન ભારત લખચોરસ કોસોમાં વિસ્તરેલી જડ ભૂમિ નથી, એ તો મૃદુ માટીથી ઘડ્યા ભડવીર પ્રાણની ઊર્મિ છે; ભારત તો જગની જમાત વચ્ચે ‘મનકૂલ-મનનની ધારા’(ઉશનસે્ ઉમાશંકરની વાણીને પણ સોત્સાહ ‘મનુકૂલ-મનનની ધારા’ તરીકે ઓળખાવી છે ! (ઉપસર્ગ, પૃ. ૧૯) છે.[52] ભારતને – હિંદને એમણે પ્રત્યેક હિન્દીમાં જોયું છે.(‘હર એક હિંદી હિંદ છે.’ (વસંતવર્ષા, ૧૯૬૨, પૃ. ૧૦૫) ભારત માનવતામાર્ગે નમ્ર પ્રવાસી હોઈ તેના પ્રત્યે તેઓ પ્રગાઢ ખેંચાણ અનુભવે છે.[53] ભલે ભારતમાતાની હાલત ખરાબ હોય, તેની પરિસ્થિતિ જીર્ણ મહાવડ જેવી હોય, પણ તેનામાં પ્રાણતત્ત્વ ભરપૂર છે. તેની માતા તરીકેની કલ્પના કરતાં તેઓ તેની પ્રાણદાયિની મંગલમૂર્તિને આ રીતે રજૂ કરે છે :

‘ભારતમાતા ! નથી કદીયે શોભી તુજ કરમાં તલવાર,
કમલ સહસ્રદલ, ધાન્ય જવારા : આશિષ-શો મા ! તવ શણગાર.’

(‘સન સત્તાવન’, અભિજ્ઞા, પૃ. ૭)


આ ભારતમાતા તથા મા ગુર્જરીની અવદશા માનવતાનાં મૂલ્યોના વિઘાતે જ થતી હોવાની એમની ચિકિત્સા છે ને તેથી જ એ મૂલ્યો માટે ઝૂઝવામાં મનુષ્યધર્મ-યુગધર્મ-રાષ્ટ્રધર્મ-કવિધર્મ એમને દેખાય છે. ઉમાશંકરનો માનવ્યરસ એમના સાહિત્યરસને – શબ્દરસને એકંદરે ઉપકારક જ થયેલો દેખાય છે. શબ્દની શક્તિ – શબ્દનું તેજ તે કેટલો માનવને ઉપકારક છે તે પરથી જ એની અંતિમ કસોટીમાં અંદાજવાનું રહે. ઉમાશંકરે શબ્દ વધુ ને વધુ માનવ્યોપકારક કેમ બને તેની ચિંતા કરી છે. ‘મુખે સમરગાન હો !’ની અભિલાષા પોતાની પૂર્તિ માટે ‘પ્રિય સ્વતંત્રતા પ્રાણ હો !’ – એવી અપેક્ષા રાખે જ છે. ઉમાશંકરે શબ્દને મહત્ત્વ આપ્યું જ છે, પરંતુ શબ્દ જેને માટે છે તેને વધુ મહત્ત્વ આપ્યાનુંયે કેટલાક દાખલાઓમાં બન્યું છે. ‘ધ્રુવતારલી’માં સ્વતંત્રતાને કારણે મરણની પણ તૈયારી – અલબત્ત, ભાવનાના ઉદ્રેકમાં – સૂચવાઈ છે, આમ છતાં ‘વિશ્વકાવ્યજનની’ – એવી કવિતા પ્રત્યેની એમની નિષ્ઠા તથા પ્રીતિ પણ સાચી ને દૃઢમૂલ છે. તેઓ જાણે છે કે મુક્તિ વિના માણસાઈ કે કવિતા – બેમાંથી કોઈ સલામત નથી, ઉત્કર્ષની તો પછી વાત જ શું કરવી ? તેમની સ્વતંત્રતા માટેની દોડમાં યૌવનસહજ ઉત્સાહ, મુગ્ધતા, સ્વપ્નિલતા, આદર્શપરાયણતા સાથે મુક્તિના જીવનગત ને કલાગત મૂલ્યની પ્રતીતિ પણ કારણભૂત લાગે છે. કવિ જનશક્તિના પોતે પ્રતિનિધિ હોવાનો ભાવ મુક્તિની હવામાં જ અનુભવી શકે. ‘જનશક્તિ હું’-માંથી તેનું સૂચન પામી શકાય.વસંતવર્ષા, ૧૯૬૨, પૃ. ૯૯.</ref> મુક્તિનો આદર્શ જો આકર્ષક છે, તો મુક્તિનો સંઘર્ષ કઠોર અને કઠિન છે. ઉમાશંકરે મુક્તિના આદર્શને ભાષામાં ઠીક ચગાવ્યો છે, પરંતુ મુક્તિના સંઘર્ષનું જે મર્મભેદક આલેખન જોઈએ તે પ્રમાણમાં ઓછું મળે છે. કદાચ એનું કારણ મુક્તિનો આદર્શ – કલાકારની મુક્તિનો આદર્શ પોતાની અંદરથી પૂરેપૂરો ઊગે – વિકસે – એવું બને તે પહેલાં બહારથી એ આદર્શે આવીને એમનો કબજો લઈ લીધો જણાય છે. એ આદર્શ ક્રમશ: વિકસતો, ટકતો ગજું કાઢે છે ને પછી કવિને જ માર્મિકતાથી પૂછે છે : ક્યાં છે કવિતા ? ‘શૂરસંમેલન’ જેવું એકાદ કાવ્ય જોતાં પણ આ મુદ્દાની સ્પષ્ટતા થઈ શકશે. ‘ગુલામ’ જેવા કાવ્યમાં કવિની અનુભૂતિનું બળ જે રીતે વિશિષ્ટ કાવ્યરૂપમાં પ્રગટ થયેલું અનુભવી શકાય છે એવું બીજે ઓછાં કાવ્યોમાં બને છે (આવા સરસ કાવ્યને વિશે પન્ના નાયક લખે છે : `The poem moves in a predictable pattern catalouging nothing that is not obvious. There is hardly any or the freshness of discovery that is essential to good poetry. The poem actually sounds wores in the original because of the padantry of sanskritised diction.' (`Journal of South Asian Literature, P. ૮૬). પન્ના નાયકનાં કાવ્ય વિશેનાં ગૃહીતો જ ‘ગુલામ’ના કવિતાતત્ત્વના આકલનમાં કેટલેક અંશે અવરોધરૂપ થયેલાં સમજાય છે.)
સ્વાતંત્ર્યનો આદર્શ ઊંચા પ્રકારના ખમીર વિના, ત્યાગ વિના સિદ્ધ થઈ ન શકે એની કવિને બરોબર જાણ છે. જુગ જુગ તરસ્યા જગકંઠની તૃષા શમાવવાની અભીપ્સા[54] જીવનમાં જે ત્યાગ માગે છે તે ઓછો નથી. ‘બળતાં પાણી’ (ગંગોત્રી, પૃ. ૧૩)માં વ્યક્ત થયેલી વેદના તીવ્ર છે. એ વેદના જીવનઘટનાના એક અનિવાર્ય અંશરૂપે પ્રતીત થાય છે. રામનારાયણે એમાં રાષ્ટ્રીય સંઘર્ષનો સંદર્ભ પણ જોયો છે. (‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’, ૧૯૩૮, પૃ. ૧૨૮) ઉમાશંકર સ્વાતંત્ર્યની –

‘એ કૂચમાં, એ યુગકર્મપૂરમાં
હુંયે બનું, એક લઘુ તરંગ,
ત્રિકાલનો દુર્લભ સાધું સંગ,’

(‘મોખરે’, ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૫૯)


– એવી અભીપ્સા વ્યક્ત કરે છે તેમાં ઉત્સાહ છે તો સાથે અમરત્વની અભિલાષા અથવા ભવિષ્યમાં પણ જીવતા રહેવાની ઇચ્છા – વિશિષ્ટ પ્રકારની જિજીવિષા પણ છે. આ જિજીવિષામાં શિવવૃત્તિ છે એમ અલગ રીતે કહેવાની જરૂર ખરી ? ઉમાશંકરે સ્વાતંત્ર્ય બાદ ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીની સરકારે કટોકટી લાદી ત્યારે તેનો ખુલ્લેઆમ પ્રતિકાર કરતાં એક કાવ્ય ‘તા. ૨૬ જૂન, ૧૯૭૫’ રચેલું; જેમાં તેમણે સ્પષ્ટ પ્રશ્ન કરેલો : ‘કાલે હતો તે તડકો ક્યાં છે ?’ (ધારાવસ્ત્ર, પૃ. ૫૧) તેમણે કંઈક તીખી રીતે એક લઘુ વ્યંગકવિતામાં કહેલું : {{Poem2Close}]

“તમે કહો છો વસંત છે
          પણ પંખીને કહો છો : ચૂપ !
અમને સૌને દર્પણ સમજીને
          જોયાં કરો છો પોતાનું રૂપ.”

(‘વસંત છે’, ધારાવસ્ત્ર, પૃ. ૫૫)


ઉમાશંકરની વિકાસવાંછા અત્યંત પ્રબળ છે. ‘ગંગોત્રી’માં તો અવારનવાર તે અભિવ્યક્ત થઈ છે. (તે પછીના ‘નિશીથ’માં પણ વિકાસવાંછા – વિકાસોન્મુખતા જયંત પાઠકને પ્રતીત થઈ છે તે અત્રે ઉલ્લેખવું ઘટે. ‘ભાવયિત્રી’, ૧૯૭૪, પૃ. ૮૯). આ વિકાસવાંછા પાછળ મનુષ્યત્વની દિવ્યતાનો સાક્ષાત્કાર કરવાની વૃત્તિ કારણભૂત છે. ‘રખડુના ગીત’(નિશીથ, પૃ. ૨૨)માં માનવમેળા(આ રખડવાની ને માનવમેળામાં ભળી જવાની વાતમાં તે જમાનાની આબોહવા કારણભૂત હશે ? ન્હાનાલાલે સ્વૈરવિહારી ધૂમકેતુની ભાવના રમતી મૂકેલી. રવીન્દ્રનાથે માનવમેળાના રસાકર્ષણનો મહિમા કરેલો. અરે ! સરસ્વતીચંદ્ર પણ રખડવાનો પક્ષકાર છે ! ને કાકાસાહેબનો ‘રખડવાનો આનંદ’ કોને અજાણ્યો છે ? આ વાત પછી ‘નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ’માં રાજેન્દ્ર દ્વારા પણ પ્રગટ થઈ છે.)માં ભળી જવાનું કહે છે તે પણ પૃથ્વીનો ક્ષિતિજઉંબર ઠેકવાનું બળ મળે તે માટે. ઉમાશંકરનું નિશાન જીવનમાં હંમેશાં ઊંચું રહ્યું છે ને તેથી નિષ્ફળતાઓના અનુભવે પણ આવું લખવાનું પ્રાપ્ત થઈ શકે છે :

‘મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.’

(વસંતવર્ષા, પૃ. ૮૫)


ઉમાશંકરે જે યુગમાં કલમ ઉપાડી તે યુગમાં ઔદ્યોગિક પરિબળોએ વ્યષ્ટિ-સમષ્ટિજીવનમાં પ્રેરેલ ક્રાંતિમૂલક ઘટનાઓ તથા પરિવર્તનો પરંપરાગત જીવનમૂલ્યો વિશે ફેરવિચારણા કરવાની ફરજ પાડે એ પ્રકારની સ્થિતિ હતી. પ્રગતિવાદી વિચારધારા પણ ત્યારે પ્રવર્તમાન હતી. ‘મુંબઈમાંના ગુજરાતી પ્રગતિશીલ આંદોલનનું નેતૃત્વ તો શ્રી ઉમાશંકર જોશીએ આરંભથી જ ઉપાડી લીધું હતું.’(તેઓ જણાવે છે : `I was one of the pioneers of the Progressive Movement in Indian Literature.' (Journal of South Asian Literature, p. ૫). ભોગીલાલ ગાંધી પણ ‘મિતાક્ષર’(૧૯૭૦)માં ‘મુંબઈમાંના ગુજરાતી પ્રગતિશીલ આંદોલનનું નેતૃત્વ તો શ્રી ઉમાશંકર જોશીએ આરંભથી ઉપાડી લીધું હતું’ એમ જણાવે જ છે. (પૃ. ૧૨૮)) વૈજ્ઞાનિક-બૌદ્ધિક અભિગમના આગ્રહ સાથે માનવતાવાદી ધોરણોનો જીવનનાં સર્વ ક્ષેત્રે પ્રચાર-પ્રસાર થતો જતો હતો. એક બાજુ ઉદ્યોગો ને સમૃદ્ધિ તો બીજી બાજુ બેકારી ને ગરીબી; એક બાજુ વિજ્ઞાન ને સુખસગવડો તો બીજી બાજુ તંત્રગ્રસ્તતા ને યુદ્ધખોરી – એક એવી વિષમ પરિસ્થિતિ દિનપ્રતિદિન ઘેરી થતી જતી હતી કે માનવતાવાદીઓને માનવજીવનની કારવાં વિશે નવેસરથી, મૂળભૂત રીતે વિચારવાની જરૂર ઊભી થઈ. એક બાજુ બુદ્ધના ‘વિજ્ઞાન’નું ‘નિર્વાણ’ હતું ને બીજી બાજુ આઇન્સ્ટાઇનના વિજ્ઞાનનું નિર્વાણ. બુદ્ધના નિર્વાણની જગતને આજે, આ પૂર્વે ક્યારેય

નહોતી એટલી ગરજ પડી છે ને આઇન્સ્ટાઇને પણ પોતાના જીવનમાં એની જ ખોજ ચલાવી છે..[55] આજનાં આ યંત્રોની વચ્ચે મનુષ્ય જાણે યંત્ર બનતો જાય છે, એનો ચહેરો ભૂંસાતો જાય છે.(ઉમાશંકરે આ જમાનાને ‘age of a faceless man’ તરીકે ઓળખાવ્યો છે. છેલ્લા ત્રણ દસકામાં અભૂતપૂર્વ યંત્રવૈજ્ઞાનિક વિકાસે યંત્ર-માનવને (‘રોબો’ને) જીવનમાં કેન્દ્રસ્થાન આપ્યું જણાય છે. આ મંતવ્ય માટે જુઓ એમનો ‘કેળવણીનો કોળિયો’ ગ્રંથ (૧૯૭૭), પૃ. ૨૫૫–૬.) ઉમાશંકરે ‘સ્વપ્નોને સળગવું હોય તો –’ કાવ્યમાં સ્પષ્ટ રીતે ‘યંત્ર અને તંત્રમાં મંત્ર ગૂંગળાઈ રહ્યો’ હોવાનું દર્શાવતાં “મંત્ર તો ‘મનુષ્ય’ – માનવનું હોવું, માનવનું જીવવું” – એવી સ્પષ્ટતાયે આપી છે ‘અજબ માનવીજીવન’ના ચાહક ઉમાશંકર માનવ અને માનવતાને રહેંસતી યુદ્ધખોરી – શોષણખોરી વગેરેને; દ્વેષ-ધિક્કાર આદિને બરદાસ્ત ન જ કરી શકે એ સ્પષ્ટ છે. આમ છતાં એક તટસ્થ કવિ-કલાકારની સાહજિક ને સ્વાભાવિક ઉદારદૃષ્ટિથી તેઓ આ અસતનાં – દૂરિત આદિનાં તત્ત્વો નકારાત્મક રીતેય જીવનને ઉપકારક થતાં રહેતાં હોવાનું સ્વીકારી લે છે ખરા !

મનુષ્યના જીવનનું ગાડું જે રીતે ગબડે છે તેનું સૂચન ‘કિચૂડ-ખટ-ચૂં કિચૂડ-ચૂં-ખટ’ (અભિજ્ઞા, પૃ. ૧૨) – એવા અવાજથી થઈ રહે છે.(અત્યારના એક કવિ લાભશંકરે આ યાંત્રિકતાને ‘યાં ત્રિક તા યાં ત્રિક તા’માં તાલબદ્ધ રીતે પ્રત્યક્ષ કરી છે. (જુઓ ‘બૂમ કાગળમાં કોરા’, ૧૯૭૪, પૃ. ૪૮.)). ‘યંત્ર સાથે બન્યો યંત્રની એ કળ’[56] – એમ તેમણે જ કહ્યું છે. ઉમાશંકરે જીવતેજીવત ઢોરમજૂરી કરીને પેટપૂરતુંય ન પામતા માણસની વેદનાને ઠીક ઠીક વાચા આપી છે. ‘અન્નબ્રહ્મ’નો મહિમા કરતાં તેમણે તાત્ત્વિક-વાસ્તવિક-તાર્કિક ભૂમિકા પર રહીને જે ઉદ્ગારો કાઢ્યા છે તે ઉલ્લેખનીય છે: અન્ને સંસ્કૃતિના વિકાસમાં – માનવની પ્રગતિમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેનું ગીતાના જેવી અનુષ્ટુપ-છટામાં સરસ આલેખન છે :

“અન્ને કીધો કરવંતો પશુને, – કીધ માનવી, –
કરે કીધો બુદ્ધિવંતો, બુદ્ધિએ સંસ્કૃતિવતો,
સંસ્કૃતિઓ કીધો દેવ, ચતુષ્પદ હતો જ જે.
પ્રગતિ અણમૂલી આ અન્નમૂલા બુધો લહે.”

(‘અન્નબ્રહ્મ’, નિશીથ, પૃ. ૧૨૭)


આ અન્નની અસમાન વહેંચણીથી – ભૂખમરાથી જે પરિસ્થિતિ સર્જાય છે તેમાં ઉમાશંકર અન્નની જ વિડંબના, અન્નનો જ દ્રોહ જુએ છે.

‘ઉગારશે કો નહિ અન્નદ્વેષીને
બચાવશે સંસ્કૃતિ અન્નદ્રોહી ના.’

(નિશીથ, પૃ. ૧૨૯)


આ અન્નની સમસ્યા હલ નથી થતી તેથી વેદનાપૂર્વક પૂછે છે :


‘કાં ભૂખ ને ભોજન ર્હે વિખૂટાં ?
કાં બેય સ્હેજે જ મળી શકે ના ?’

(‘બૅન્ક પાસેનું ઝાડ’, નિશીથ, પૃ. ૯૪)


આનો ઉત્તર તો સામાજિક ન્યાય પર નિર્ભર એવી નૂતન સમાજવ્યવસ્થામાં છે. એવી વ્યવસ્થા બંધુતા વિના અશક્ય જ. માનવીનું ગૌરવ-મૂલ્ય ન હોય એ સમાજમાં બંધુતાય ક્યાંથી હોય ? આજના સમાજમાં મનુષ્ય પોતે જ પોતાથી પદભ્રષ્ટ થયો છે, તેથી તો કવિને આ પ્રશ્ન થાય છે :


‘રામજી ! કાં રોટલા મોંઘા ?
લોહીમાંસ આટલાં સોઘાં ?!’

(‘પહેરણનું ગીત’, ગંગોત્રી, પૃ. ૨૩)


ઘાણીએ જોતરાયેલા બળદ જેવી સ્થિતિમાંથી જો મનુષ્યને મુક્ત નહીં કરી શકાય તો સર્વનાશ અવશ્ય થઈને રહેશે અને ત્યારે ‘ભસ્મકણી’યે – કશુંયે નહિ ઊગરી શકે :

‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે,
ખંડેરની ભસ્મકણી ન લાધશે.’

(‘જઠરાગ્નિ’, ગંગોત્રી, પૃ. ૨૭)


ઉમાશંકરે ‘સોનાથાળી’(ઉમાશંકરે આ કાવ્ય અંગ્રેજી કથાકાવ્ય ‘ધ ગોલ્ડન પ્લેટ’ પરથી લખ્યું છે.)માં ખેડૂતના શ્રમનો મહિમા કર્યો છે. ‘દળણાના દાણા’માં વૃદ્ધાની બેહાલીનું ઘેરું કરુણ ચિત્ર આલેખ્યું છે. ‘ધોબી’માં એક બાજુ ભદ્ર વર્ગના પ્રતિનિધિરૂપ કવિ તથા વિજ્ઞાની અને બીજી બાજુ શ્રમજીવી વર્ગના પ્રતિનિધિરૂપ ધોબી વચ્ચેના સંવાદ દ્વારા વર્ગીય વિષમતાનું કારુણ્યગર્ભ સૂચન કર્યું છે. ધોબી કપડાં ધુએ છે ત્યારે પાણીના છાંટા ઊડે છે. એ છાંટામાં રંગધનુષની ઝલક જોવા મળે છે. કવિ ધોબીને રંગધનુષના રંગોનું દર્શન માણવાનું સૂચવે છે, વિજ્ઞાની ધોબીને એ માટે સૂર્ય તરફ પીઠ રાખીને કપડાં ધોવાનું સૂચવે છે. આ વખતે ધોબી કહે છે :

‘માબાપ ! એવા કરું જો હું ચાળા,
ઘરે બિચારાં મરી જાય છોકરાં !’

(‘ધોબી’, ગંગોત્રી, પૃ. ૮૫)


ધોબીની આ વાત સાંભળી કવિ અને વિજ્ઞાની મર્મમાં હસે છે અને ટીકા કરે છે :


‘જો ! બાપડો ન્યૂટન વ્યર્થ જીવ્યો,
થૈ શોધ કે ના, – સરખું જ આને !’
હસે કવિ, ‘ના ઉર આનું નાચે,
જીવ્યું અરે ફોગટ વર્ડ્ઝવર્થનું !’

(ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૮૬)


આ હાસ્ય પાછળ બૌદ્ધિકતાનો છાક છે; પરંતુ દીનદલિત પ્રત્યેની હમદર્દી નથી. ભદ્ર વર્ગ ને આમ વર્ગ વચ્ચે સમભાવપ્રેરિત સેતુરચનાનો અભાવ અહીં કઠે છે, આથી તો ‘શિશુબોલ’માંની પેલી બટકબોલી અને એને કારણે વહાલી લાગતી ‘બચુડી’ વધારે સારી – સાચી ! એ બચુડી પોતાને વહાલપૂર્વક ગુલાબ આપનાર ભૈયાજીની નિરક્ષરતા જાણતાં નિર્દોષપણે ને તેથી જ હૃદયવેધક લાગે એ રીતે પોતાની બાને પ્રશ્ન કરે છે :


‘ભણીગણી બંગલામાં રહેવાનું શું ભૈયાજીને નહીં થતું હશે મન ?’

(‘શિશુબોલ’, આતિથ્ય, ૧૯૬૯, પૃ. ૨૩)


ઉમાશંકર “પાંચાલી’માં કંગાલિયતના એક દારુણ દૃશ્યથી વિચલિત થઈ ખુલ્લંખુલ્લાં પૂછે છે :


‘સહસ્ર એ વસ્ત્ર સ્વરક્તમૂલવ્યાં
ડિલે તમારે થકી ખેંચી ખેંચી
દુ:શાસનો શાસી રહ્યા તમોને.
પાંચાલીઓ ! ક્યાં લગ સાંખશો હજી ?’

(‘પાંચાલી’, નિશીથ, પૃ. ૮૭)


કવિ શહેરની ઝાકઝમાળ રોશનીને મજૂરો–ગરીબોનાં મીઠાં જીવનતેલથી જલતી જુએ છે. વસ્ત્ર યંત્રોથી નહિ, મજૂરીથી વણાતાં હોવાનું જણાવે છે. ‘સાબરનો ગોઠિયો’માં કારુણ્ય ને કરુણનો ઉત્કૃષ્ટ મેળ જોવા મળે છે. ઊંચેરી ભેખડનો મોરલો – વનરા તે વનનો વણજારો અમ્દા તે વાદમાં આવી જે બદહાલતમાં સપડાય છે તેનો અંજામ છેવટે ખુદકુશીમાં આવીને રહે છે. સાબરમાં ‘ખંખોળિયું’ ખાતાં પહેલાં જે સંદેશો પાઠવે છે તે નગરજીવન – યંત્રજીવન પરના અભિશાપરૂપ છે. (સંબોધનના સબબે વપરાયેલાં બે આશ્ચર્ય-વિરામો, એક અલ્પવિરામ અને વધારામાં એક લઘુરેખા સિવાય કોઈ વિરામચિહ્ન નહીં ધરાવતી) આ રચનામાં ઉમાશંકરે રાસડાની રીતે જાણીતી વાત પણ આકર્ષક રીતે કથી છે અને તેથી એ વાત એમની મૌલિક પણ ઠરે છે !

ઉમાશંકરે સામાજિક વિષમતાનાં દર્શન ધર્મસ્થાનોમાં પણ કર્યાં છે. ‘સોનાથાળી’માં સ્થાપિત હિતનું ધર્મસ્થાનોમાંય કેવું વર્ચસ હોય છે તેનો સ્પષ્ટ નિર્દેશ છે. દેવમંદિરો ‘દેવનાં કેદખાનાં’ જેવાં છે. દેવમંદિરોની દુર્દશા થઈ છે અને તેવી જ દુર્દશા ‘કેદખાના જેવા વતન’માં રહેતા મનુષ્યોની આપણે ત્યાં થઈ છે. આ દુર્દશાની વાત કરતાં ઉમાશંકર દેવો અને ભૂદેવોને પણ કટાક્ષના સપાટામાં લે છે. જોકે સુન્દરમે જેટલા ને જેવા કટાક્ષોનો પ્રયોગ પોતાની કાવ્યબાનીમાં કર્યો છે તેટલા ને તેવા કટાક્ષોનો પ્રયોગ ઉમાશંકરે કર્યો નથી એ ઘટના ખાસ ધ્યાનપાત્ર છે. ઉમાશંકર વિનોદના માણસ છે, કટાક્ષના નહિ, કટાક્ષ એ ઇચ્છે ત્યારે કરી શકે એમ હોવા છતાં.(ડૉ. ચંદ્રકાન્ત મહેતાએ ઉમાશંકર સંદર્ભે આવું વિધાન કર્યું છે : ‘ઉમાશંકરની વાણીમાં કટાક્ષ તો હોય જ, એ એમની પ્રત્યેક સાહિત્ય-પ્રવૃત્તિમાં દૃષ્ટિએ પડતી એમની લાક્ષણિકતા છે.’ (‘અનુરણન’, ૧૯૭૩, પૃ. ૨૩૧) આ વિધાન દેખીતી રીતે સ્વીકારાય એવું નથી.) વળી ‘ગંગોત્રી’, ‘નિશીથ’ અને ‘આતિથ્ય’ને મુકાબલે પછીના ‘વસંતવર્ષા’ તથા ‘અભિજ્ઞા’ જેવા કાવ્યસંગ્રહોમાં બાહ્ય વૈષમ્ય-વિસંવાદની તુલનાએ આંતરવૈષમ્ય-વિસંવાદ વિશેષ પ્રમાણમાં કવિની ચિંતાનો વિષય બનેલો જોઈ શકાય.(આ સાથે એ પણ જોવા જેવું છે કે ઉમાશંકરે આ ચિંતા સંસ્કૃતિવિધાયક તત્ત્વોના પુરસ્કર્તા તરીકે કરી છે. ક્રમશ: ઉમાશંકરે માનવતાની વ્યાપકતર અને ગહનતર ભૂમિકાને કાવ્યનો વિષય બનાવવાનું લક્ષ્ય કર્યું છે ને એમ કરતાં સંસ્કૃતિવિધ્વંસક તત્ત્વો તરફ સ્વાભાવિક રીતે એમની નજર જાય છે.) અંતતોગત્વા બાહ્ય વિષમતા આંતર વિષમતાના જ વિસ્ફોટરૂપ હોય છે. ઉમાશંકરની ભાવના-પરાયણતા એમના વાસ્તવના પરિચયમાં ક્યાંય અવરોધરૂપ નહિ, બલકે સહાયરૂપ બની છે. ‘ગન્યાને ભૂખ ન ભાગે’.[57] એ તેઓ બરાબર જાણે છે. ‘વચને-સમાજવાદી’[58]ઓની સામેનો એમનો અણગમો સ્પષ્ટ છે. તેઓ લૂલા-આંધળાની વાતને આજની શોષણમૂલક અન્યાયી સમાજરચનાના સંદર્ભમાં સચોટ રીતે ઘટાવે છે. તેઓ કટાક્ષપૂર્વક કહે છે :

‘અક્કલવંતા ખભે અન્યને કેવા જુઓ વિરાજે !
પંગુ ચડે ગિરિ પર ! જય પ્રભુનો કળિયુગેય શો ગાજે !’

(‘લૂલા આંધળાની નવી વાત’, નિશીથ, પૃ. ૮૯)


ઉમાશંકરના સામાજિક વિષમતાનાં કાવ્યોમાં ભાવનાતર્કનો અથવા ઊર્મિલતાનો સંચાર કંઈક વિશેષ વરતાય છે. સામાજિક વિષમતા સંવાદિતાના આ સાધકને અત્યંત અરુચિકર છે એ સાચું, પરંતુ એ વિષમતા એમના આંતરજીવનના અનુભવનો બળવાન અંશ બની, એમના ચિત્તને ઉપરતળે કરી નાખતી, સ્વયં શબ્દરૂપ લઈને અવતરતી હોય એવું ઓછું જોવા મળે છે. બાળકીની ભૈયાજીની વાતમાં, ‘રામજી ! કાં રોટલા મોંઘા ? લોહીમાંસ આટલાં સોંઘાં ?!’ જેવી ઉક્તિઓમાં, વાંસળી વેચનારાની વેદનામસ્તીમાં આ વિષમતાનું જેવું કલાત્મક રૂપ સિદ્ધ થાય છે તેવું કલાત્મક રૂપ સર્વત્ર – અલબત્ત, કંઈક ને કંઈક વિશેષતા સાથે – અનુભવવા મળતું નથી. ‘વિશ્વશાંતિ’ તેમ ‘વિરાટ પ્રણય’માં માનવજાતિની વેદના વધારનારી આત્મઘાતક, વિષમતાસર્જક પ્રવૃત્તિઓનો નિર્દેશ છે, પરંતુ એનું અનુભવચિત્રણ ખાસ નથી. ‘નિશીથ’ જેવા વિશિષ્ટ કાવ્યમાં પણ ‘મૂર્છાછાયાં ભોળુડાં લોકહૈયાં’ની ચિંતા વ્યક્ત થઈ છે, પણ તેથી કવિ ઝાઝું આગળ વધ્યા નથી. એમની આંસુ અને પસીનાની વાતમાં ભાવકને હચમચાવી દે એવી નિરૂપણકક્ષા મહદંશે જોવા મળતી નથી એ હકીકત છે. ‘બુલબુલ અને ભિખારણ’(‘ગંગોત્રી’, પૃ. ૫૨)ના સંવાદમાં સામાજિક વિષમતાના અનુષંગે કવિકર્મના પ્રશ્નનો વિચાર થયો છે. કવિની સામાજિક અભિજ્ઞતાએ આ કાવ્યની સંઘટનામાં ભાગ ભજવ્યો જણાય છે. ભિખારણને બુલબુલનાં ગીત સાંભળવાનો સમય હજુ ઘણો દૂર છે એમ લાગે છે. આ ભિખારણ ને બુલબુલ વચ્ચે પાછળથી જે સંવાદ થાય છે એ વધુ અગત્યનો છે. ભિખારણે બુલબુલનું ગીત નહિ સાંભળ્યું તેથી શું સિદ્ધ થયું ? બહેતર તો બુલબુલનું ગીત સાંભળવું એ હતું. ભિખારણે બુલબુલની હમદર્દીને જતી કરવાની શી જરૂર ? ને ધારો કે ભિખારણને ધનના ઢગલા મળે તે પછી તેના બધા આંતરિક પ્રશ્નો હલ થઈ જવાના છે એવું પણ નથી. વસ્તુત: તો બુલબુલનું ગીત કોઈ પણ અવસ્થામાં ભિખારણને આંતરિક રીતે ઉપયોગી છે. ભિખારણ જ્યારે ‘ગીત જીવતા મોત તણાં મીઠાં આજે તો આ !’ એમ કહે છે ત્યારે બુલબુલ (કવિ) કહે છે :

‘જીવનનાં મૃત્યુનાં ગાણાં ગાઈશ અણગાયાં,
ધન્ય થઈશ કે વ્યથિત હૃદયનાં આંસુ લ્હોવાયાં !’

(‘બુલબુલ અને ભિખારણ’, ગંગોત્રી, પૃ. ૫૨)


ઉમાશંકરની હૃદય હૃદય વચ્ચે સંવાદ સાધવાની મનીષા તીવ્ર છે. એ મનીષા જ સામાજિક વિષમતાના નિરાકરણનો સર્વતોભદ્ર ઉપાય છે. જેમ મણિલાલ નભુભાઈ ત્રિવેદીની અદ્વૈતવાદી વિચારધારાનો પ્રભાવ એમના મોટા ભાગના લખાણમાં તેમ ઉમાશંકરની સંવાદવાદી વિચારધારાનો પ્રભાવ એમના મોટા ભાગના સર્જન-વિવેચનમાં અંકિત થયેલો જોવા મળે છે, જોકે ‘સંવાદ-વાદ’ જેવી વાદગ્રસ્ત ભાષાની એમને સૂગ જરૂર છે. વિચારધારા કાવ્યધારા.[59] બને એ એમના રસનો વિષય છે.

ઉમાશંકરના જીવન-કવનનું લક્ષ્ય સંવાદિતાની સાધના હોવાથી મનુષ્ય મનુષ્ય વચ્ચેના, મનુષ્ય ને પ્રકૃતિ વચ્ચેના સાનુકૂલ સંબંધોમાં એમને ઊંડો રસ છે. એ રસની અભિવ્યક્તિ બુલંદપણે ‘વિશ્વશાંતિ’માં થઈ જ હતી. ત્યારબાદ પણ એમની ચિત્તવૃત્તિનું વધુ ને વધુ અનુસંધાન આ માનવીય સંબંધો સાથે જોવા મળે છે. એક મનુષ્ય બીજા મનુષ્ય માટે છે એ એમની દૃઢ પ્રતીતિ છે જ. વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે વિરોધ નહિ, પરંતુ મેળ એ જ સંસારનું ઋત છે. વ્યષ્ટિસંબંધોનું સમષ્ટિ-સંબંધોમાં પરિણમન એ માનવ્યના વિકાસની ભૂમિકાએ અનિવાર્ય પ્રક્રિયા છે. એમાં જે કંઈ બાધા-વિરોધ કે અવરોધ આવે તેને ટાળવામાં જીવનશક્તિની સાર્થકતા છે; મનુષ્યની આત્મશક્તિનો વિકાસ-વિજય છે. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’, ‘વિરાટ પ્રણય’ જેવા વ્યાપક સાંસ્કૃતિક વિષયોમાં સ્પષ્ટ રીતે વ્યષ્ટિ-સમષ્ટિની સ્નેહમૂલક સંબંધ-ભૂમિકાની ચિંતા કરી હતી. સ્નેહ એ જ સેતુ છે મનુષ્યને એની આસપાસના સમસ્ત જગત સાથે જોડનારો. આ સ્નેહનો સેતુ જેમની વચ્ચે બંધાય તેમનું પરસ્પરનું સમ્યગ્ અભિજ્ઞાન અનિવાર્ય થઈ પડે છે. ઉમાશંકરના પ્રણયવિષયક કાવ્યોમાં પ્રણયનાં આનંદ-રોમાંચ કે વિરહ-મંથન સાથે અનિવાર્યતયા પ્રણયતત્ત્વના અભિજ્ઞાનની, પ્રણયી હૃદયના અભિજ્ઞાનની પ્રક્રિયા ચાલતી રહેલી જોવા મળે છે. ‘આતિથ્ય’માં આ પ્રક્રિયાનું સ્પષ્ટ રૂપ ‘પ્રણય-સપ્તક’, ‘નારી : કેટલાંક સ્વરૂપ’ વગેરેમાં જોઈ શકાય છે. ‘શિશુબોલ’ જેવા દાંપત્યજીવનના લાક્ષણિક સંદર્ભવાળા કાવ્યસંપુટમાં પણ એ પ્રક્રિયા જોઈ શકાય એમ છે. સ્નેહતત્ત્વની વ્યાપકતા ને ગહનતા, સંસ્કાર-સંસ્કૃતિના સંદર્ભમાં એની અનિવાર્યતા. એ તત્ત્વના સ્પર્શે વ્યક્તિજીવન અને સમષ્ટિજીવનમાં આવિર્ભાવ પામતી સાત્ત્વિક સંપન્નતા, એ તત્ત્વે પ્રેરેલ વિચાર-મંથનની જીવનોપકારકતા, એ તત્ત્વના વિશ્વવિજયે સર્જાનારી પરિસ્થિતિની ભાવનાલોકિત રમણીયતા – આ સર્વથી એમની પ્રણયવિષયક કવિતા એમની સંવાદ-સાધનાના જીવનનિષ્ઠ ઉપક્રમમાં અત્યંત અગત્યની બની રહે છે.(‘સવ્યસાચી’એ ‘નિશીથ’ પરના સંક્ષિપ્ત અવલોકનમાં ‘નિશીથ’નાં પ્રણયકાવ્યો વિશે લખતાં જણાવ્યું કે ‘...અંગત પ્રેમના ઊભરાને બદલે વિરાટ સર્વસ્પર્શી પ્રણયભાવનાને આટલી ક્રમબદ્ધ અને મર્મલક્ષી દૃષ્ટિએ નિરૂપાતી આપણને ગુજરાતીમાં તો અહીં જ પહેલવહેલી મળે છે.’ (‘દૃષ્ટિક્ષેપ’, રેખા, એપ્રિલ, ૧૯૪૮, પૃ. ૫૧)) પ્રણયનાં વિવિધ રૂપોના આસ્વાદ–આલેખથી એમની જીવનરસિકતાનું તો ખરું જ એમની ઉત્કટ સંવાદ-અભિપ્સાનું રૂપ પણ પ્રગટ કરી આપ્યું છે. ઉમાશંકરે નર અને નારીને એકબીજાનાં પૂરક તો ખરાં જ, એકબીજાને માટે અનિવાર્ય પણ માન્યાં છે. બંનેનું પૂર્ણત્વ પરસ્પરને
થતા એકત્વના અનુભવમાં એમણે પ્રમાણ્યું છે. એમની અર્ધનારીશ્વરની વિભાવના સૂક્ષ્મ છે. તેઓ લખે છે :

“–જુદાં પુરુષ ને નહીં પ્રકૃતિ, કલ્પના ને કવિ,
અને મનુજ વ્યક્તિમાં નર અને ન નારી જુદાં.
વસે નરઉરે ઊંડાણ મહીં નારી, નારીઉરે
રહ્યો નર વળી, મળે ઉભય એક અસ્તિત્વમાં.–”

(‘મુખર કન્દરા’, ગંગોત્રી, પૃ. ૮૯)


આ પછી તેઓ આગળ વધીને કહે છે :


‘ઘડ્યું દ્વિદલ ઉર આ, જીવનવ્હેણ બે જીવનાં
અને પુરુષ અર્ધ, સ્ત્રી અરધનો ઘડ્યો પ્રાણ આ.’

આમ માનવ-અસ્તિત્વના અનિવાર્ય અંશરૂપે નરત્વ અને નારીત્વનો સંબંધ કવિએ એમની રીતે રજૂ કર્યો છે. બંને પરસ્પર વિના અપૂર્ણ ને તેથી નિરર્થક બની રહે. તેથી ઉભયનું સંમિલન અનિવાર્ય છે અને તેથી દાંપત્યસંબંધની ભૂમિકા કવિને હંમેશાં મહિમાપૂર્ણ અને આવકાર્ય લાગતી રહી છે. દાંપત્યસંબંધ એ ‘બે જીવનો ઉરવિનિમય’ – ‘પ્રાણોનો રસવિનિમય’ (આતિથ્ય, પૃ. ૧૪) છે. આ દાંપત્યસંબંધનું – પ્રીતિસંબંધનું વૈશ્વિક દૃષ્ટિએ મહત્ત્વ છે :

‘મળે બે હૈયાં એ બનવું કહીંથી ધન્ય જ ક્ષણ !
વધાવી ર્હે વિશ્વ દ્વય હૃદયનું પ્રીતિમિલન.’

(‘અભિસાર અને મિલન’, આતિથ્ય, પૃ. ૧૫૭)


ઉમાશંકર ‘નવપરિણીત પેલાં’માં સ્પષ્ટતયા ‘પ્રણયની દીક્ષા એ સ્તો માનવીની જીવનની દીક્ષા, માનવ્યની દીક્ષા’ (સમગ્ર કવિતા, પૃ. ૮૦૮) હોવાનું જણાવે છે. તેમને સ્ત્રી-પુરુષનું પરસ્પરને માટે જન્મવું – હોવું તે ઘટના જ ઘણી મંગલ-મધુર ને આવકાર્ય લાગે છે. માટે તો કહે છે : ‘ધરતીમાં ભલાં રે સરજ્યાં બે જણાં...’ (સમગ્ર કવિતા, પૃ. ૮૦૮)

‘પ્રણયધબક’માં પણ કવિ આ વાત ત્રિકાલના વ્યાપક સંદર્ભમાં, માનવઉત્ક્રાન્તિના સુયોજિત ક્રમમાં રજૂ કરતાં કહે છે :


“સખી, બે હૈયાંની પ્રણયધબકો જે નિરવધિ,
બધીયેમાં ઉષ્મા સભર ગણજે આદિયુગલો
તણાં હૈયાંની ને ઉરયુગલની આજ લગીનાં
અને ભાવિ પ્રજ્ઞામનુયુગલનીયે રસકલા.”

(‘પ્રણયધબક’, નિશીથ, પૃ. ૫૦)


રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે લડાઈ ચાલતી હોય, તુમુલ હિંસાનું તાંડવ ખેલાતું હોય, ભૂખ્યા મનુજની, અપંગો – લાચારોની હાય ઊઠતી હોય, આવે વખતે કવિને પોતાની પ્રણયલીલાના ઔચિત્ય વિશે પ્રશ્ન થાય છે ! સદ્ભાગ્યે, એ પ્રશ્નનું સમાધાન પ્રણયની એક સંવાદ-બળ તરીકેની વૈશ્વિક અસરકારકતામાં જ રહેલું કવિને જણાય છે. આ પ્રણય જ મનુષ્યને સમ્યગ વિચારની – સમ્યક સમજની આવશ્યક ભૂમિકા આપે છે. સૃષ્ટિના – પ્રકૃતિના અંતરતમ રહસ્યને અવગત કરવાની ગુરુચાવી આ પ્રણયમાં છે. આ પ્રણય જ મનુષ્યને અદ્વૈત અનુભવ પ્રતિ પ્રેરે છે. ઉમાશંકરે પ્રણયમાં ધર્મતંતુને વણાયેલો પ્રતીત કર્યો છે. પ્રણય, પ્રકૃતિ અને કવિતા વચ્ચેનો એક રાસાયણિક સંબંધની સંસિદ્ધિ કવિએ અનુભવેલી છે. કવિતામાં તે એક યા બીજી રીતે અભિવ્યક્ત પણ થઈ છે. કવિતા ને પ્રણયનો મેળ ‘બે પૂર્ણિમાઓ’માં સ્પષ્ટ રીતે બતાવ્યાનું અગાઉ જોયું છે.

કવિને પ્રિયતમા મળી નહોતી ત્યારે એની ખોજ તેઓ સર્વત્ર કરતા હતા અને હવે એ મળી ત્યારે એનામાં જ સર્વને જોવાનો ઉપક્રમ તેઓ રચે છે. (‘મળી ન્હોતી જ્યારે –’, નિશીથ, પૃ. ૩૪) આ પ્રિયતમાની અધૂરપોનું ભાન વિસંવાદ જન્માવનાર નહિ, ઊલટું વધુ બળપૂર્વક સંવાદ તરફ પ્રેરનાર બની રહે છે, તેઓ લખે છે :

‘મળી ત્યારે જાણ્યું, : મનુજ મુજ શી, પૂર્ણ પણ ના.
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.’

(“સખી મેં કલ્પી’તી”, નિશીથ, પૃ. ૩૩)



કવિએ સ્નેહનો વિશ્વના ઘટક અંશ તરીકે આદર કર્યો છે. સ્નેહવિહોણાં હૃદય વસમાં લાગે છે. સ્નેહના રૂપની કવિની વિભાવના નીચેની પંક્તિઓ સૂચિત કરે છે :

‘બને અંતે પ્રાણો વિષયરત જો ઇન્દ્રિયગણ,
સુહે ના આત્મૈક્ય, – પ્રણય નહિ એ પામરપણ.’

(‘અભિસાર અને મિલન’, આતિથ્ય, પૃ. ૧૫૭)


કવિને મન પ્રીતિસાધના એ કેવળ રમત નથી, એ જીવનસાધના છે અને તેથી જ કહે છે :


‘બને તો ના ક્યારે કરવી, પણ જો પ્રીતિ કરવી
વિયોગે વા યોગે જીવતર ભરી એ જીરવવી.

(‘અભિસાર અને મિલન’, આતિથ્ય, પૃ. ૧૫૭)


કવિએ નારીનાં વિવિધ રૂપોની કલ્પના કરતાં, એની વિવિધ ભાવમૂર્તિઓને શબ્દાંકિત કરતાં પ્રણયાનુભવની સંકુલતા, ગહનતા અને સૂક્ષ્મતાને સચોટ રીતે વ્યંજિત કર્યાં છે. કવિએ પ્રણયજીવનનાં કરુણમંગલ અને આનંદ-ઉલ્લાસપૂર્ણ ચિત્રો આપ્યાં છે. ‘જવાનલાલ’માં દેખાતી હળવી રજૂઆતની ભીતરમાં વિષમ દાંપત્યનો વેદનાનો કરુણ સ્વર જાણે મૂંગો-દબાતો સંભળાય છે. જવાનલાલની ગામડિયણ વહુની સ્થિતિ ‘સમાજના જીર્ણ વૃક્ષના શુષ્ક છોડિયા જેવી વિધવા’[60]ની સ્થિતિ, સભરા આ સંસારમાં દબાતે પગલે સુખ શોધતી સુંદરી’[61]ની સ્થિતિ – આવું બધું કવિની નજર બહાર નથી. અસૂયા, દ્વેષ, રીસ ને રોષ, બેપરવાઈ ને ઉદાસીપણું, વિરહજનિત વ્યગ્રતા ને ઉપેક્ષાજનિત ઓશિયાળાપણું – આ બધાંએ પ્રેરેલી કંઈક મનોદશાઓ વચ્ચે પણ પ્રણયનું ટકી રહેતું ને વિકસતું સંવેદન આ કવિની પ્રણય-કવિતામાં મળે છે. પ્રણયજીવનની દીક્ષા તો આત્માની ‘વરદ રમ્ય વસંતદીક્ષા[62] છે. ન્હાનાલાલીય ભાષામાં એ વસંતધર્મની દીક્ષા છે. પ્રણયની આધી ક્ષણના આનંત્ય-સભર સ્વાદના એ જાણતલ છે. બે હૃદયનું મિલન એમને મન એક અપૂર્વ રસિક વિસ્મયપૂર્ણ ઘટના છે. તેથી તો તેઓ કહે છે :


          ‘હું તું જન્મ્યાં લાખ કૈં બંધનોમાં,
          હું તું જીવ્યાં બંધનો કૈં ઉમેરી.
તારે મારે હૃદય ઘડી બે પ્રેમનો વાસ ક્યાંથી ?’

(‘આશ્ચર્ય’, નિશીથ, પૃ. ૩૮)


તેઓ ‘નિમંત્રણ’માં પણ ‘અમૃતના વંટોળિયા’ પ્રેરતી પ્રેયસીની પ્રાણશક્તિમાં જ ક્ષણભંગુરતાની વેદના ભુલાવનારી શક્તિ હોવાનું દર્શાવતાં લખે છે :

‘આયુષ્ય અલ્પ, પ્રિય, યૌવન અલ્પ એથી;
ભુલાવ એ દુખ, સખિ, પ્રણયે ડુબાવી.’

(‘ધારાવસ્ત્ર’, ૧૯૮૧, પૃ. ૯૧)


ઉમાશંકર જે યુગબળમાંથી પસાર થયા છે તેમાં ‘વહેવું જગે એકલ, સાથમાં વા’ – એવો ભાવદ્વિધામૂલક પ્રશ્ન સ્ફુરે તો સમજી શકાય એમ છે. આ પ્રશ્ને જગાવેલા મનોમંથનનો અંતે કોઈ હૃદયમાં માળો રચવાનું એમને મુનાસિબ લાગ્યું છે. કારણ ? એમની ઉત્કટ માનવીયતા.

“સખિ, છે સુખ ઝૂરનારને
નથી તે સ્વપ્નની સિદ્ધિમાં કદી.
બહુ જાણું. છતાં હું માનવી
કહીં માળો રચિયો જ મેં ઉરે.”

(‘અપરાધી’, નિશીથ, પૃ. ૪૧)


કવિ હતા ને પ્રણયી થયા, કવિતા ને પ્રિયતમા સાથેના હૃદયસંવાદ માટે પુરુષાર્થરત થયા. એમનું વિકાસોન્મુખ ચિત્ત સંસારમાંથી સૌહાર્દોનો મધુપુટ પામતું, કંટકોને કુસુમોમાં પલટાવતું, તિરસ્કારમાંથી ગૂઢ કરુણા પ્રગટાવવાની કલા અજમાવતું સતત ‘શિવોઽહમ્’ થવાની ભાવનાથી ગતિશીલ – ક્રિયાશીલ રહ્યું છે. સ્નેહ અને અભિજ્ઞા, સ્નેહ દ્વારા અભિજ્ઞા – અભિજ્ઞાન – આ લક્ષ્ય સાથે અનુસંધાન જાળવીને એમની કવનપ્રવૃત્તિ ચાલતી રહી છે. જે કંઈ મધુર હોય – સુંદર હોય તેની સાથે સખ્ય રચી આંતરિક રીતે સંપન્ન થવું અને એ રીતે જીવનના માંગલ્યધર્મનો સતત વિકાસ થતો અનુભવવો – આ એમની મથામણ છે. એ જ રીતે, સમજવું – સતત સમજવું એ માટેની પણ એમની મથામણ તીવ્ર છે; કેમ કે, સમજણને અને સ્નેહને સંબંધ છે (રઘુવીર ચૌધરી ઉમાશંકરની ‘આત્માનાં ખંડેર’ વિશેની સૉનેટમાળા વિશેના એમના એક ઉત્તમ આસ્વાદલેખ ‘વિસ્મયથી સમજ સુધી’માં ઉમાશંકરની મનોયાત્રા કાવ્યમાં વિસ્મયથી સમજ સુધી કઈ રીતે ગતિ કરે છે તેઓ આલેખ આંકી આપે છે. તેઓ લખે છે : “વિસ્મયથી જાગતું સંવેદન સમજમાં – અંડરસ્ટૅન્ડિંગમાં પરિણમે છે. કેટકેટલી કૃતિઓમાં ઉમાશંકર સમજના બિન્દુને આખરી બિન્દુ બનાવે છે ! ‘આત્માનાં ખંડેર’માં એ પ્રક્રિયાનો આલેખ દૃશ્ય બન્યો છે, અને આ એક કાવ્ય પણ ઉમાશંકરની કવિતાનો ઘણોબધો પરિચય કરાવી રહે છે. કવિઓ પૃથ્વી અને અપાર્થિવને સાંકળવા મથતા હોય છે. કોઈ સહજ વેગે, વિસ્મયના લયમાં એ સિદ્ધ કરતા હોય છે. ઉમાશંકર સમજ દ્વારા એ સિદ્ધ કરતા હોય છે. કવિતાને અંતે તારણ સુધી આવવાની પ્રવૃત્તિનું મૂળ પણ એમાં જ છે.” (‘વિશ્વમાનવ’, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૯–૧૦))

તેઓ કહે છે :


‘યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.
અજાણ રમવું કશું ! સમજવું રિબાઈય તે.’

(‘આત્માનાં ખંડેર’, નિશીથ, પૃ. ૧૫૭)


આ સમજણથી રિબામણ હોય તો તે પણ તેમણે ઇષ્ટ માની છે. તેઓ ‘જ્ઞાનસિદ્ધિ’ નામના કાવ્યમાં કહે છે :

“મેં જે ગણી સત્ય હતું જ સારવ્યું,
તે છો ગયું ફોક, ન ખાલી હાથ હું.
ભૂલી, ભમી, આખર માર્ગ અંતે
થૈ ર્હેવું નિર્ભ્રમિત એય અમોઘ જ્ઞાન.”

(નિશીથ, પૃ. ૧૨૪)


આ અભિજ્ઞાનની પ્રક્રિયા કવિને મન અત્યંત મહત્ત્વની છે. સ્નેહ અને કલાજીવનની સાર્થકતા પણ આ અભિજ્ઞાનમાં નથી ? કવિની સ્નેહ યા સંવાદ દ્વારા અભિજ્ઞાનની મથામણ જો સાચી ન હોત તો ‘વિશ્વશાંતિ’થી ‘અભિજ્ઞા’ સુધીની

એમની કાવ્યયાત્રા આહ્લાદક અને વિકાસોન્મુખ થવાને બદલે બોજલ ને નિરુદ્ધ બની ગઈ હોત. ઉમાશંકરે પ્રભુને યાદ કરતાં – સંબોધતાં કાવ્યો પણ રચ્યાં છે. એમનો પ્રભુ એમના માનવ્યના સાધના-ક્ષેત્રની બહાર નથી. પ્રભુનો મનુષ્ય રૂપે સાક્ષાત્કાર વાંછનાર અને મનુષ્યને ‘વામન-પ્રભુ’ તરીકે ઓળખનાર ઉમાશંકર પ્રભુનો પદધ્વનિ પ્રકૃતિના વિવિધ સત્ત્વોના ગતિસંચાર અને રૂપલીલામાં, શિશુના કલબોલમાં, પ્રણય–હિંડોળામાં, જગકોલાહલના કલ્લોલમાં ને સંતનયનના અમૂલ્ય મૌનમાં સાંભળે છે.[63] આ જ પ્રભુ સાગરમાં સંગીત પ્રેરનાર છે.[64] ઉમાશંકર શિશુ અને કવિની સાથે પ્રભુને વધારે સાંકળે છે. પ્રભુ અને કવિને તો તેમણે એક જ શબ્દમાં – ‘પ્રકભુવિ’ રૂપે એકાકાર કરી એક નવો જ પરિચય તે બંનેયનો યુગપત્ રીતે આપ્યો છે. ઉમાશંકરે પ્રભુપાર્થનામાં પ્રકૃતિમાંથી પ્રેરણા, માર્ગદર્શન ને બળ મેળવ્યાં છે. તેમના એકંદરે અસ્તિવાદી – આસ્તિક જીવન-અભિગમમાં પ્રભુનિષ્ઠા-પ્રકૃતિનિષ્ઠા-આત્મ-નિષ્ઠાની એકાકાર ભૂમિકાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે તેમની વિદ્યાપીઠ-વાસરીમાં એમની યુવાનવયે એક સૂચક નોંધ કરી છે :

“મારા પ્રાર્થના વિષેના ખ્યાલો વિચિત્ર રીતે વિકાસ પામતા આવ્યા છે. કુદરતની મૂંગી મૂંગી પ્રાર્થના મેં નાનપણથી સાંભળેલી, ને કવિતા-કલ્પનાની બેવડ પાંખ ન હોત તો આસ્તિકતાના કિનારે જઈ નાસ્તિકતાની ઊંડી ખીણમાં ડોકિયું કર્યા પછી પાછો ફર્યો તે ન ફર્યો હોત. પણ ખરી શ્રદ્ધા તો લડત પછી જ જન્મી, જાગી. તેમાંયે ખાસ કરીને ભજનની ખૂબી સમજ્યા પછી. ને... આ જિંદગી કે હવે પછીની કોઈકમાં પણ આખરે તો येन विज्ञातेन सर्वमिदं विज्ञातं भवति। – તેને જાણ્યા વિના આરો નથી એનું ભાન પણ શરીરને અને મનને બંનેને પ્રાર્થના તરફ હડસેલે છે.”

(૧૮–૮–૧૯૩૧ : ’૩૧માં ડોકિયું, પૃ. ૮૬)

ઉમાશંકરે નિજી શૈલીમાં તેમ પરંપરાગત રીતે કેટલાંક પ્રાર્થનાકાવ્યો – ભજનો આપ્યાં છે. તેમનાં પરંપરાગત શૈલીનાં કેટલાંક ભજનો-પદોમાં પ્રભુના મહિમાનું ગાન છે; દા. ત., ‘ઝંખના’, ‘રામમઢી’, ‘જગતપ્યાલો’ વગેરે. આવાં પદોમાં કવિતાના અંતરંગ તેમ બહિરંગ – ઉભય પરત્વે ભજનિકની શૈલીનો પરચો મળી રહે છે. ઉમાશંકરની પ્રભુપાર્થનામાં વિનમ્રતા સાથે આત્મનિષ્ઠાનું બળ પ્રગટ થાય છે. જીવનક્ષેત્રે – ધર્મક્ષેત્રે અણનમ રીતે પુરુષાર્થ સાધી શકાય એ હેતુથી એ પ્રાર્થના થાય છે.(આ પ્રકારની પ્રાર્થનામાં આજના યુગબળનો પ્રભાવ પણ ન જોઈ શકાય ?) ‘જરીક આત્મશ્રદ્ધા તું દે ! – એ કાવ્યમાં ઉમાશંકર ઈશ્વરને પ્રાર્થના કરતાં કહે છે :

“થરેથર, પ્રભો, પ્રમાદભર પ્રાણના કાપ તું !
અમારી હળની અણી ઉપર વજ્રને સ્થાપ તું !
પરાક્રમવિહીન પામર જયેષણા ભક્ષ તું !
અને કુટિલ પક્ષવાદ થકી સત્ય સંરક્ષ તું !
પ્રભો, કજળતાં ઉરે તણખ એક આશાની દે !
ભલે ન કંઈ દૈ શકે, જરીક આત્મશ્રદ્ધા તું દે !”

(વસંતવર્ષા, પૃ. ૯૬–૯૭)


ઉમાશંકરની ઈશ્વર વિશેની વિભાવના કઈ એ પ્રશ્ન કરી શકાય, પરંતુ એનો ઉત્તર તો સચ્ચિદાનંદની વિભાવના એ જ એમની ઈશ્વરવિભાવના એવો આપવો પડે. જીવનની સાધનામાં – કવિની સાધનામાં જે આનંદતત્ત્વ છે તેમાં જ ઈશ્વરભાવ-નો અનુભવ અનુસ્યૂત છે એમ કહી શકાય. ઉમાશંકરનો ઈશ્વર કોઈ સાંપ્રદાયિક સંકુચિત વાડામાં કેદ રહી શકે એવો નથી. તે તો ‘આત્માધિદેવ’ છે. આ દેહ એનું મંદિર છે. કવિ મૂઠી જેવડા મંદિરમાં પ્રભુને નિમંત્રણ આપે છે તો હૈયાના હીણા રાગ, દ્વેષ-દાવાનળ તથા તૃષ્ણાના ડાઘ દબાવવા માટે. વાસનાની શૂળ ઊખડવાની હોય તો બલિ તરીકે ઈશ્વરના ચરણમાં પોતાનું સર્વસમર્પણ કરવા કવિ તૈયાર છે.[65] ઈશ્વર એમને મન જીવનના વિકાસનું, જીવનના આનંદનું મહાન પરિબળ છે, એનો પ્રભાવ આત્મચેતનાની મુક્તિના પુરુષાર્થ સાથે અનુભવાતો રહે છે. ‘આત્માનાં ખંડેર’ અને ‘શોધ’ પછી, તાજેતરમાં ‘સાહિત્ય ત્રૈમાસિક’ના જાન્યુઆરી-માર્ચ, ૧૯૭૮ના અંકમાં પ્રગટ થયેલું ‘પીછો’ (પૃ. ૫-૯) કાવ્ય તેમની કવિતાનો એક નવો વળાંક રજૂ કરે છે અને એ વળાંક એમની પ્રભુનિષ્ઠાનો, એમની વિશિષ્ટ પ્રભુખોજનો દ્યોતક છે. એ કાવ્ય માનવો વચ્ચે, માનવ દ્વારા માનવમાં, માનવરૂપે પ્રભુસાક્ષાત્કાર કરવાની એમની જીવનસાધનાનો – કવિસાધનાનો રમ્યગંભીર સંકેત આપે છે. ઉમાશંકરે ‘પ્રભુનો હાથ’ (ધારાવસ્ત્ર, ૧૯૮૧, પૃ. ૯૫) કાવ્યમાં જેની આંગળીઓ પર મનુષ્ય ખડો છે ને જેનો નચાવ્યો નાચે છે તે પ્રભુના હાથની વાત મિલેસની એક શિલ્પકૃતિના આધારે છેડી છે. આ કૃતિમાં મનુષ્ય ચેતનાની આધારભૂમિ ઈશ્વર-ચેતના હોવાનો સ્વીકાર તો છે જ, સાથે તેમાં મનુષ્યને સર્વથા સંરક્ષતી ચેતનાશક્તિ તરીકે તેનો પુરસ્કાર પણ છે. ઉમાશંકરની જીવનભક્તિ, રવીન્દ્રનાથીય પરંપરાની છે. રવીન્દ્રનાથના ઇષ્ટદેવતા જીવનદેવતા રહેલા. ઉમાશંકરના ઇષ્ટદેવતા પણ એ જ છે. મૃત્યુ તો જીવન-દીક્ષા આપી શકે, ‘અમી ભિક્ષા’ આપી શકે એવું અમૃતસભર, જીવન-ચૈતન્યસભર કવિને જણાયું છે.(ઉમાશંકર ‘અભિભાષણ’ (કવિની શ્રદ્ધા, પૃ. ૩૮)માં ‘આત્માનાં ખંડેર’ના સંદર્ભે વાત કરતાં લખે છે : “...એ જ ગાળામાં જીવનની બે મહાન અનુભૂતિઓ – પ્રેમ અને મૃત્યુ – એમનો ગાઢ સંસ્પર્શ મારી ચેતનાને થયો, – બલકે એમને એક જ અનુભૂતિ કહીએ, કેમ કે કાવ્યદર્શનમાં તો એ એક રૂપે જ ઉપસ્થિત થાય છે.” ઉમાશંકરે ‘સમગ્ર કવિતા’ (બી.આ. ૧૯૮૧)માં ‘સપ્તપદી’ના પ્રવેશકમાં પણ ‘અંતે તો પ્રેમ અને મૃત્યુ એક અનુભૂતિ બની રહે છે’ એમ દર્શાવ્યું છે. (પૃ. ૭૯૭)) કવિને મૃત્યુ બે ઘડી પાસે બેસાડી એની સાથે નિરાંતે વાત કરવા જેવું આત્મીય લાગ્યું છે[66] ! ‘સદ્ગત મોટાભાઈને’માં તેમણે મૃત્યુને એક ‘અફર સત્ય’ તરીકે સ્વીકાર્યું જ છે.[67]

મૃત્યુ પ્રત્યેનો નચિકેતાનો અભિગમ ઉમાશંકરને પ્રિય – ઇષ્ટ રહ્યો છે. ક્યારેક ચક્રવર્તી ભરતની અદાથી મૃત્યુને મુખ ઉઘાડવાનો પડકાર પણ તેઓ ફેંકે છે ને તે પણ લીલારસે તેના દાંત ગણવા![68]
ઉમાશંકરની સમગ્ર કવિતામાં પ્રકૃતિનો અસરકારક વિનિયોગ જોવા મળે છે. પ્રકૃતિનો મનભર અનુભવ નાનપણથી એમને મળતો રહ્યો છે. એ એમને કાવ્યદીક્ષા દેનાર ગુરુ છે તે તો આપણે જાણીએ જ છીએ. પ્રકૃતિ પ્રત્યેનું ઉમાશંકરનું વલણ સમભાવપૂર્ણ તથા વિનીત છે.(વિદ્યાપીઠ-વાસરીમાં અવારનવાર પ્રકૃતિ સાથેના તેમની આત્મીયતાના દ્યોતક ઉદ્ગારો આવે છે. “પ્રકૃતિના અંતરને તીરની માફક વીંધતી પસાર થતી મોટર” એમને પસંદ નથી. “સાંજે વાદળાંમાંથી સૂરજ ડોકિયાં કરતો હોય છે ત્યારે ચાલતાં આવવું એ એક મોટી ખાસ મહેરબાની ભોગવવા જેવું” એમને લાગે છે. (૪–૮–૧૯૩૧, ’૩૧માં ડોકિયું, પૃ. ૭૦) કાન્તિભાઈને ૨૬–૮–૧૯૩૧ના રોજ લખેલા પત્રમાં પ્રકૃતિ સ્વજન હોય તે રીતે તેનો ભાવપૂર્ણ રીતે નિર્દેશ કરી “જાઓ તો નદીઓને મારી સલામ ભરતા ભરતા જજો !” એમ લખે છે. (’૩૧માં ડોકિયું, પૃ. ૯૯–૧૦૪)) આ પ્રકૃતિ કવિની પ્રેરણા, કવિની માર્ગદર્શક, કવિનું સ્વજન, કવિની જીવન-સૌંદર્યની વિભાવનાની પરિપોષક બની રહે છે. પ્રકૃતિનો સંદર્ભ વળી વળીને તેમને મનુષ્ય સુધી ખેંચી જાય છે. ‘પારેવડા’ની વાત છેડે ને હૈયાનો ટોડલો પારેવડાંને બેસવા માટે હાજર થઈ જાય ! પૂર્ણિમાની વાત કરતાં કવિતા ને પ્રિયાનો સ્વાભાવિક યોગ રચાઈ રહે. ‘યુવેર કાંટા’ની જ વાત, પણ કવિને એ ક્યાં લઈ જાય છે તે જોવા જેવું છે :

“હૈયાં રહ્યાં સાચવી વ્યક્તિપ્રેમને
વાડો રચી દુર્ગમ, એમના તીણા
કાંટા હશે કોમળ આટલા ? કદી
ધ્રૂજી, રિબાઈ, દ્રવી થાય રાતા,
દ્રવંત આ જેમ થુવેરકાંટા ?”

(નિશીથ, પૃ. ૧૧૬–૧૧૭)


વસંત ને વર્ષા, હેમંત ને ગ્રીષ્મ, તારા ને ફૂલો, ડુંગરો ને ઝરણાં, ચાંદની ને અંધાર, મોર ને કોયલ – આ સૌની પ્રાકૃતિક સૌન્દર્યની સમૃદ્ધિ માનવોની ભાવસમૃદ્ધિ સાથે સંમિલિત થઈ એક પ્રસન્નચારુ કાવ્યસૃષ્ટિનું નિર્માણ કરે છે.(‘સંનિધિ’(ડિસેમ્બર, ૧૯૭૬)માં શ્રી ચંદ્રશંકર ભટ્ટ ઉમાશંકરના પ્રકૃતિ-આલેખનની સુન્દરમ્ને મુકાબલે જે વિશેષતા ને વિવિધતા છે તેની નોંધ લે છે. (પૃ. ૫૭)). તિમિરનું રવમૂક નિમંત્રણ, તમ ચીરતી ફેનિલ વીચિઓનું વિશિષ્ટ દર્શન, પંપા સરોવરે કવિને થયેલું પોયણાંનું સંવેદન, રોતાં ઝરણાંની આંખ લોહવાની અભિલાષા, પુષ્પે પુષ્પે પ્રગટ પ્રેમલિપિનું વાચન, શુક્રકણિકાના દર્શને પોતાની પ્રિયતમાની દૃષ્ટિ સાથેના પોતાની દૃષ્ટિના મિલનની સૂક્ષ્મરસિક કલ્પના, ‘ઉષા’માં કરેલું વ્યોમના વિરાટ કમળનું અપૂર્વ દર્શન, ‘પીંછા’માંથી પંખીનું ગીત પામવાનો અનુભવ, ‘કરાલ-કવિ’માં પ્રગટ થતાં કલ્પનાવૈભવ ને સૌન્દર્યભાવના, ‘બીડમાં સોજવેળા’નું કવિને જ લાધી શકે એવું વૈશ્વિક સંદર્ભ ધરાવતું અનોખું ચિત્ર, ‘મુખર કંદરા’માં વ્યક્ત થતો પ્રાકૃતિક વાતાવરણનો રમણીય અનુભવ, ‘બળતાં પાણી’નું ચિંતનગર્ભ વેદના-નિરૂપણ — આ બધું ‘ગંગોત્રી’ની પ્રાકૃતિક કવિતાની વૈવિધ્યસભર રસસામગ્રી બની રહે છે. આ પ્રાકૃતિક રસસામગ્રીનો વધુ અર્થપૂર્ણ, સુઘડ, સૂક્ષ્મ ને સમુન્નત રીતે વિનિયોગ ‘નિશીથ’, ‘વસંતવર્ષા’, ‘ધારાવસ્ત્ર’ જેવા કાવ્યસંગ્રહોમાં મળે છે. ‘નિશીથ’માં ઘનકૌમુદીરસથી મહેકતા મોગરાનું, પ્રફુલ્લ ફેનરાશિનું, વૃક્ષની વલ્લરીમાં પોઢેલી શીળી મીઠી અનિલલહરી ઢળતી જલસેજે ધીમાં ગાત્ર મૂકે એનું, કેડે ગામ ઝુલાવતી સાબરનું, રમતીળી ગમતીલી વાદળીનું, દિગંતરેખથી દ્રવંત ભીના રંગને જેની જીભો તરંગટેરવે પીએ છે તે સમુદ્રનું કવિનું દર્શન એમની પ્રકૃતિરસિકતાનું – પ્રકૃતિ સાથેના એમના સજીવ સંબંધનું દ્યોતક છે. શ્વાસથી રંગ લહવાની ને આંખથી ગંધ નિહાળવાની કળા એમને જ્ઞાત છે.[69] ફૂલનો નિસાસ સાંભળવા જેટલો એમનો કાન સરવો છે. જલમાં તરતા ફૂલને જોઈને કવિ જે વિચારો કરે છે તે એમના પ્રકૃતિ-પ્રેમી – સંવેદનશીલ કવિમાનસના દ્યોતક છે. પાણીના વહેણમાં તરતા જતા ‘ફૂલને લઉં કે ના ?’ એવી દ્વિધામાં પડી જતા કવિને જ પાણીમાં તરતું ફૂલ લઈ લેવું એ ફૂલને જળથી ચૂંટવા બરોબરનું લાગે છે. જલમાં વહેતા ફૂલથી છેવટે તો મનુજ-પ્રકૃતિની શ્રીનો જ ઉત્કર્ષ થનાર છે.

ઉમાશંકરે ‘આતિથ્ય’ના નિવેદનમાં જે કહેલું, તે એમની ઊંડી પ્રકૃતિપ્રીતિ ઉપરાંત વિશુદ્ધ સૌન્દર્યરસિકતાનું પરિચાયક છે. એક સાચા કવિને જે થાય છે તે અહીં થયું છે. કવિ કહે છે :

“વર્ષા-નીતરેલા કોઈ બપોર પછીના ટાણે
લીલાં પર્ણોમાં ગળાતા મૃદુહાસ તડકાને
હૃદય ભરીને કદી ગાઈ જો શકું તો ધન્ય !
હૈયે હૈયે પૂરું એને, જીવ્યાલ્હાવો શો અનન્ય !”

આવા કોઈ ઉત્કૃષ્ટ સ્વપ્નને બળે – આવી કોઈ ઉન્નત અભીપ્સાને બળે જ એમનું આ કવિતાના ઊર્ધ્વલોકમાંનું ઉડ્ડયન સતત વિકાસદ્યોતક રહ્યું છે. ઉપરની પંક્તિઓના સંદર્ભમાં જ કવિ કહે છે :

‘અણગાયું જે કૈં તેની આશાએ, હે કવિમન,
પૃથ્વીતીર્થે ચંચૂ ભરી, કરો ઊંચે ઉડ્ડયન.

(‘નિવેદન’, આતિથ્ય)


‘આતિથ્ય’માં ભાદ્રસુંદરીની કલ્પના, વસંત-નશાની અનુભૂતિ, જોગી ઉનાળાનું ને હૈયે ગ્રીષ્મગીતા હીંચોળી ઝૂલતા ‘અડીખમ’ લીમડાનું વર્ણન, મધ્યાહ્ને અવનીની મૂર્છા ટાળતું કોઈ ભોળિયા ખરનું હોંચી હોંચી, ઉઘાડ નીકળ્યા બાદના ગુલમહોરની ડાળ પરના બુલબુલના ટહુકાનો સ્મૃતિલોકમાં ટકી રહેલો મંજુલ ધ્વનિ, ‘સરવડા’માં પ્રણય ને પ્રકૃતિના રમણીય મેળ દ્વારા વ્યક્ત થતો પ્રકૃતિરસિક કવિનો રંગદર્શી મિજાજ – આ બધું આકર્ષક છે.

‘વસંતવર્ષા’માં વસંત અને વર્ષાનું અવલંબન ગ્રહીને ઉમાશંકરે દાંપત્યસ્નેહની જ નહિ, સમષ્ટિસ્નેહની વાત પણ કરી છે. આ સંગ્રહના આરંભે ‘પરોઢિયું’માં કવિનો ચેતનોલ્લાસ સુંદર અભિવ્યક્તિ સિદ્ધ કરે છે :

“મેં મુખ ભવિષ્ય ભણી કર્યું,
અનુભવ્યું સ્વર્ગીય હૃદય-પરોઢિયું,
ને ભૂત પ્રતિ મટકું ભર્યું,
જાગી ઊઠ્યાં સ્વપ્નાં પડ્યાં જે સુપ્ત વાળી સોડિયું. માળાભર્યાં પંખી તણા કલરવ મહીં
ગંધમત્ત વસુંધરાનું ગૂઢ સર્જનહાસ –
અમિયલ આભનો દ્યુતિભર વિશદ ઉલ્લાસ –
ગુંજ્યાં કરે, ઉરતંત્રીને છેડ્યા વગર છોડે નહીં.”

કવિનો પ્રકૃતિસૌન્દર્યનો અનુભવ છેવટે તો સૌન્દર્યનિષ્ઠ આધ્યાત્મિક અનુભવ જ બની રહે છે. કવિ જેમ પ્રકૃતિમાં ફેલાય છે તેમ પોતાની ચૈતન્યલીલાના સાક્ષાત્કારનો ઉત્તરોત્તર વધુ ને વધુ વિસ્મયાનંદ પ્રાપ્ત કરે છે. ચૈત્ર ને ગ્રીષ્મની રમ્ય રાત્રિઓ, વંટોળિયા ને લૂના સપાટા, ચૈતરની ચાંદની ને ડાળી-ભરેલો શ્રાવણનો તડકો, રમતીભમતીની લીલા, ભાદ્રપદની સમૃદ્ધિ ને શરદનો સુહાગ, હૂંફાળી હેમંત ને પ્રભુના ઘરની પાનખર, શાલતરુની વીથિઓ ને મત્ત મરુતો, પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે સૂર તણો પુલ રચતું બુલબુલ અને ટહુકે ડાળી ડાળી લચાવતી પંચમ બોલ બોલનારી કોકિલા — આ બધાં દ્વારા, પ્રકૃતિનાં રમ્યભવ્ય ને સૌમ્યરુદ્ર સ્વરૂપોના આસ્વાદમૂલક સંબંધ દ્વારા, કવિને સૌહાર્દોનો મધુપુટ રચવાની સર્જનાત્મક ભૂમિકા આ પૃથ્વી પર સતત મળતી રહી છે. મૃદુલ તડકો, દક્ષિણ હવા, દિશાઓનાં હાસ, ગિરિવર તણાં શૃંગ ગરવાં, શશિકિરણનો આસવ – આ બધાંએ તેમને આકંઠ પ્રણયરસ પિવરાવ્યો છે. ને તેથી તેમનો અવનીના અમૃતપાનનો અનુભવ શક્ય બન્યો છે ને સમૃદ્ધતર થતો રહ્યો છે.

કુદરતના કોમલ-કરાલ સૌન્દર્યને ચાહવા-માણવાનો ઉમાશંકરનો ખ્યાલ ‘ગંગોત્રી’માંય જાણીતો છે. ‘કરાલ-કવિ’માં એમણે કહેલું :


“કરાલ-કવિ ! માફ બાલિશ બધા તિરસ્કાર આ
કરો ! અબુધ હું શિશુ લલિતચાટુ ગીતે મચ્યો
રહ્યો ! કદી પિછાન્યું ના અવર પાસું સૌન્દર્યનું !
હવે દંગ કરાલની ખૂબી વધેથી ખોળી શકે
– અઘોર વન, અદ્રિ ભવ્ય, જળધોધ ચંડધ્વનિ,
અખંડ કરતાલ, ને, બજત સિન્ધુના નાદની,
અમાસરજની અને તમપ્રજાળતા ડુંગરે
દવાનલ, સ્મશાન, – જે ભય પમાડતાં’તાં મને,
હવેતવ સુણી મહા કવનમંત્ર ‘મા ભૈ:’ તણો,
ઘૂમીશ સઘળે પીતો શિવ કરાલ સૌન્દર્યને.
જલાવી મુજ માંદલાં કવિતડાં, મથું પાડવા
જીવંત પડઘા કરાલ-કવિ ! ગીત તારાં ઝીલી...”

(‘કરાલ-કવિ’, ગંગોત્રી, પૃ. ૭૬)


અભયની ભૂમિકા (વિશુદ્ધ સૌન્દર્યસ્વાદ માટેની અનિવાર્ય ભૂમિકા) બળવાન હોય તો કરાલ સૌન્દર્યનો આસ્વાદ પણ શક્ય છે એ અહીં સ્પષ્ટ સૂચવાય છે. જોકે કરાલ સૌન્દર્યને નિરૂપતી કવિતા ઉમાશંકરે ખાસ લખી નથી. ‘કરાલ દર્શન’ એમણે કર્યું છે ખરું; પૂર, અંધારું, વંટોળ, લૂ, ઉનાળો, બપોર, પાનખર, અનાવૃષ્ટિ વગેરેની વાત એમણે કરી છે ખરી, રાજસ્થાનમાંથી પસાર થતાં થયેલા અનુભવને સબળ રીતે અભિવ્યક્ત પણ કર્યો છે – એ પણ ખરું; પરંતુ એકંદરે પ્રકૃતિનાં સૌમ્ય-રમ્ય રૂપો પ્રતિ તેઓ વધુ ઢળ્યા હોવાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. પ્રકૃતિ સાથે કેવું તાદાત્મ્ય તેઓ કેળવે છે એ જોવા જેવું છે :

“ઓહો ! પેલો દૂર ડોકાયો ડુંગર,
ચિત્ત અઢેલીને એને થયું જીવ-ભર.
ધારે ધારે ચઢી જઈ ઊંચેરા શિખર પર
મંદિર-ધ્વજાએ થરકી રહ્યું ફરફર
          ફરકી રહ્યું થરથર.”

(‘રાજસ્થાનમાં પસાર થતાં’, અભિજ્ઞા, પૃ. ૨૦)


કવિચિત્ત ડુંગર જોઈને ન અટકતાં, એને અઢેલીને ‘જીવ-ભર’ (કેવો સચોટ શબ્દપ્રયોગ !) થઈ, ડુંગરના મંદિરની ધજા સુધી પહોંચી ક્રિયાન્વિત થાય છે. (અહીં ‘થરકી રહ્યું ફરફર’ અને ‘ફરકી રહ્યું થરથર’માં ‘થ’ ને ‘ફ’ની હેરફેર મર્મજ્ઞોના ધ્યાન બહાર નહિ જાય.) કવિ જેટલો પટુકરણ એટલો એનો પ્રકૃતિનો અનુભવ સૂક્ષ્મ અને પ્રગાઢ થવાની સંભાવના રહે છે. આ કવિનાં આંખ-કાન આદિ ઇન્દ્રિયો પ્રકૃતિના સૌન્દર્યરૂપને – સૌન્દર્યબોલને જ્યાંથી મળે ત્યાંથી પામી લેવામાં સુગ્રહણશીલ છે; નહીંતર ‘ચાંદનીને રોમ રોમ પમરે સુગંધ પારિજાતની’ – એ અનુભવ – પ્રકૃતિ-સૌન્દર્યના સાક્ષાત્કારનો તાજગીસભર અનુભવ શક્ય બને ? હેમંતના રોડકઢા તડકાનું કાવ્ય પણ બને ? મોગરાને જોતાં મન જ મોગરો થઈ મહેકતું હોવાનો ને આભને કાંગરે કાંગરે ઊડતા ગાતા હૈયાનો અનુભવ; તારના થાંભલા પરના પંખીમાળાનું દર્શન, માટીની ધબક ને તેજની સગાઈનો અનુભવ કવિની તીવ્ર સંવેદનશક્તિનો – સૌન્દર્યાભિમુખ જીવનદૃષ્ટિનો સૂચક છે. પ્રકૃતિએ કવિને અને એમની કવિતાને અનેક રીતે સમૃદ્ધ કર્યાં છે એમાં શંકા નથી. પ્રકૃતિએ કવિને કવિતાની માત્ર પ્રેરણા જ નહિ, પ્રતીકાદિ-નિષ્ઠ અભિવ્યક્તિનાં અનેક નવાં રૂપોની નવાજેશ કરી છે. પ્રકૃતિસૌન્દર્યના ખ્યાલે એમની માનવસૌન્દર્યની ભાવનાને વિશોધિત કરી છે; એમની સંવાદિતાની ભાવનાને સંમાર્જિત કરી વિકસાવી છે. પ્રકૃતિએ કવિને પોતાના ‘स:’ સુધી પહોંચવામાં સારી એવી સહાય પણ કરી છે અને પરિણામે સૃષ્ટિ સાથેની તદાત્મતા કેળવવાની તથા જીવનની ચિત્ર-વિચિત્ર ઘટનાઓ વચ્ચે તટસ્થતા જાળવવાની ભૂમિકા પણ તેઓ પામી શક્યા છે.

ઉમાશંકરની કવિચેતના પ્રકૃતિચેતના સાથે જ્યારે તાદાત્મ્યયોગ સાધે છે ત્યારે જે કેટલાક વિરલ ચમત્કારો સર્જાય છે તેમાંનો એક તે ‘માઈલોના માઈલો મારી અંદર —’ એ કાવ્ય. એમાં ‘માટીની શૃંખલાથી બદ્ધ’ મનુષ્યને થતા એક ભૂમામય પ્રાકૃતિક – વૈશ્વિક અનુભવની દ્યુતિલ અભિવ્યક્તિ છે. ધરતીની દ્યુતિ-અભીપ્સાના સંકેતરૂપે ઝબૂકતો આગિયો અહીં આવે છે. ભેડાઘાટનું પ્રાકૃતિક આરસમય સૌન્દર્ય પીતાં તેમને અગોચર કલાદ્રુમની ઊગું ઊગું થતી પ્રક્રિયા પ્રત્યક્ષ થાય છે. (‘ધારાવસ્ત્ર’, પૃ. ૧૨) એક સુકાયેલા ઝાડમાં શાખાબાહુઓ વચ્ચે છાતીસરસું ઝલાયેલું મૃત્યુફળ તો અમરફળની જાણતલ કવિદૃષ્ટિને જ નજરે ચઢે ! (ધારાવસ્ત્ર, પૃ. ૧૪) તેમણે ઇડરિયા પથ્થરોનુંયે ‘પ્રેમની દેખતી આંખ’થી દર્શન કરાવ્યું છે. ‘ચિલિકા’નું દર્શન કવિચિત્તમાં શાંતિની રગને વેગથી ધબકાવી શકે છે. (‘ધારાવસ્ત્ર’, પૃ. ૧૮) આ ઉમાશંકર જેવા મોટા ગજાના કવિ જ ‘કાળની પીઠે સ્થળની પોઠ’ લઈને ઘૂમતી ગોકળગાયને બતાવી શકે ને તેઓ જ સ્થળને ખભે લહેરાયાં કરતા નવા-નવતેરા અનેરા કાળ-ઉત્તરીયનો ફરફરાટ શબ્દોમાં ઉતારી શકે ! (‘ધારાવસ્ત્ર’, પૃ. ૨૧ અને ૨૨) ઉમાશંકરની સૂક્ષ્મ કવિદૃષ્ટિ જ ઝાડનો ટેકો જવા સાથે ડુંગર પણ ફસડાઈ પડતો અનુભવી શકે. (‘ધારાવસ્ત્ર’, પૃ. ૩૦) આકાશમાં ફરફરતા ધારાવસ્ત્રને પૃથ્વી-રોપ્યાં વૃક્ષ જે રીતે ઝાલવા મથે છે તે તો ઉમાશંકરની આંખે જ પામી શકાય. પૃથ્વીથી પૃથ્વી સુધીનો સ્વર્ગસ્પર્શી રંગીન સેતુ રચનાર મેઘધનુ, સાક્ષાત ગૃહદેવતા થતા ઇક્ઝોરાનો, બૃહદના વારસ બ્રહ્મપુત્રનો, લચકેલચકા લીલપનો પરચો તો આ ઉમાશંકરની કલમે જ શક્ય ! જેમની ઋતુ વર્ષા છે એવા વસંતપ્રેમી આ કવિને પંખીલોક દ્વારા પ્રકૃતિનું જ નહીં, પરમ તત્ત્વનુંયે ગહન-મધુર કાવ્ય પ્રાપ્ત થયાનું જણાય છે. કવિના અસ્તિત્વનો કુંભ છલોછલ કરવામાં આ પંખીગાનનો મોટો ફાળો રહ્યો જણાય છે. પંખીગાનથી શ્રુતિગાન વેગળું રહેતું નથી. જેમ શબ્દથી મૌનમાં તેમ કવિચેતના પંખીગાનથી આંતરસંગીત ને વિશ્વસંગીત સુધી વ્યાપે છે. તેજનું આચમન ને તાળાબંધ સત્યનું ઉદ્ઘાટન સાથે ચાલે છે. પ્રકૃતિદત્ત હૃદયના સત્યથી સંસ્કૃતિદત્ત સત્યના હૃદય સુધીનો સહજસેતુ રચતી ઉમાશંકરની કવિતાનું ઉત્ક્રમણ ‘સપ્તપદી’માં લહાય છે. ત્યાં પ્રકૃતિ અંતર્દર્શન ને આંતરદર્શનના, જીવનદર્શન ને વિશ્વદર્શનના અનિવાર્ય માધ્યમરૂપે આવે છે. ઉમાશંકરની કવિતામાં આત્મસંવેદનની ભૂમિકાએ પ્રકૃતિ ને પુરુષની સપ્તપદી સર્જનાત્મક રીતે સંસિદ્ધ થઈને રહે છે.

ઉમાશંકરની કવિતાનું વિશ્વ આમ વ્યાપક છે. એમની કવિતાએ સત-આનંદની પરબ થવાનું સ્વીકારેલું છે. આ વિશ્વમાં જે ઉકરડાનું દર્શન, તેય માંગલ્યની કોઈ ભાવનાને ઉપકારક હોય છે. ઉકરડામાં ઉકરડાને ખાતર એમને રસ નથી. તેઓ તો આ સમસ્ત વિશ્વને સત્, ચિત્ અને આનંદના આવિષ્કારરૂપ માને છે. છિન્ન-ભિન્નતાના પ્રશ્નો આવે, કાળમીંઢ અંધનિયતિનો અવરોધ અકળાવે, ક્યારેક આ મનુષ્યની નિરર્થક, દંભી, ખોટી પ્રવૃત્તિથી વ્યગ્ર થવાય અને કહેવાય પણ ખરું કે –

“અહો ! અસુરહાથ ક્રૂર પકડેલ વેઠે સમાં
મનુષ્ય દિન નિર્ગમે; ગરક કાર્ય મિથ્યા મહીં,
અનર્ગળ રચી રચી મૃગજળો દિયે દોટ શી !
ઠરે ઉર નિરાંતવું, ન કરવું જ બસ એ કદી.
નિરર્થક મચી રહી મજલ દંભ-કર્તવ્યની.
ભ્રમે અદય દુષ્ટચક્ર દિનરાત !...”

(‘આત્મદેવને નિવેદન’, અભિજ્ઞા, પૃ. ૯૩)


ક્યારેક પોતે એમ પણ કહે કે –

‘ભમ્યાં કર્યું છે વળી ને ભમીશ
પૃથ્વી પરે દેશવટે ગયા સમો.’

(‘દેશવટે’, નિશીથ, પૃ. ૧૫૮)


પરંતુ છેવટની – સરવાળે જે અનુભવ-પ્રતીતિ છે તે તો સાર્થકતાની ને આત્મસભરતાની છે. ઉમાશંકરની આત્મનિષ્ઠા – સત્-નિષ્ઠા વિપરીત પરિસ્થિતિ-માંયે તેમને હતાશ યા નિરાશ થતાં રોકે છે. વિસંવાદ સંવાદ માટે છે, વિશ્વનો પોષાક તથા આત્મ-ઉદ્ધારક આંતર દિવ્ય અગ્નિ જે કંઈ અસત છે તેને ખાક કરીને જ રહેશે. ક્યારેક તો આ વિશ્વમાં માધુર્યનો એવો ઉલ્લાસભર્યો અનુભવ કવિ કરે છે કે —

‘મધુરતા ન સમાય અંતરે,
વિશ્વને કરી જ લ્હાણ હું શકું.’

(‘આજ મારું સહુને નિમંત્રણ’, અભિજ્ઞા, પૃ. ૯૧)


– એમ પણ તેઓ કહી રહે છે. એક વાત અહીં સ્પષ્ટ છે કે ઉમાશંકરની જીવનવિભાવનામાં આત્મા-પરમાત્મા, જીવન અને જગત વિશેના ભારતીય માનસના જે મૂળભૂત ખ્યાલો છે તે પ્રગટ થયા વિના રહેતા નથી. વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ ને રવીન્દ્રનાથ આદિની કવિપરંપરા; બીજી બાજુ કૃષ્ણ અને યુધિષ્ઠિર, બુદ્ધ અને ગાંધી જેવી મહા-વિભૂતિઓની પરંપરા – તેના પ્રકાશમાં ઉમાશંકરના જીવનકાર્યને – કવનકાર્યને અવલોકવું જોઈએ. એ રીતે અવલોકતાં જણાશે કે ઉમાશંકરની ‘ગુજરાતીતા’નો અર્થ થાય છે ‘ભારતીયતા’ અને તેમની ‘ભારતીયતા’નો અર્થ થાય છે ‘માનવીયતા’ – ‘વૈશ્વિકતા’. ઉમાશંકરને માટે ‘માનવ એટલે ફક્ત માણસ જ નહીં, એની ધરતી, એનું આકાશ, એ આકાશ ઉપરનો અને માણસના હૃદયમાં પ્રવેશી જતો અવકાશ, એ અવકાશને પૂરતા ઉદ્યત સૂર્ય અને સૂર્ય છે ત્યાં સુધી માણસ છે એવી શ્રદ્ધા — આ બધું ઉમાશંકરમાં નિરંતર અનુભવાય છે, પેલા કેન્દ્રસ્થિત માનવને લીધે !’ (ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૨મું સંમેલન, હેવાલ, પૃ. ૪૨૧)

ઉમાશંકર ‘વિશ્વમાનવ’ ખરા ? એમની કવિતા ‘વિશ્વકવિતા’ ખરી ? અથવા એમની કવિતાનું ‘વિશ્વકવિતા’માં સ્થાન ખરું ? – આવા પ્રશ્નો ઊગે ખરા, પણ તેની ચર્ચા ઉમાશંકરની કવિતાને સમજવામાં કેટલી ઉપકારક થાય તે તો અનુભવે જ સમજાય. કવિ કવિતા દ્વારા શું હાંસલ કરવા માંગે છે એ અગત્યનું ખરું, પણ એથી વધારે અગત્યનું કવિએ શું હાંસલ કર્યું છે તે છે. ઉમાશંકરની સંસ્કૃતિનિષ્ઠા જડ પિરામિડપૂજા માટે નથી; એમની સંસ્કૃતિનિષ્ઠા માનવીય નિષ્ઠાનું – માનવપ્રીતિનું અવાંતર રૂપ છે. માનવીની અંતરતમ શક્તિઓના સુભગ આવિષ્કારરૂપે સંસ્કૃતિને જોવી ઘટે. શબ્દ અને કવિતા એ સંસ્કૃતિની નીપજ છે ને તેથી જ શબ્દપ્રેમી – શબ્દ-ઉપાસક કવિ સંસ્કૃતિનો અહીં નિર્દિષ્ટ સંદર્ભને કારણે ઉપાસક – સમર્થક બની રહે તો તેમાં આશ્ચર્ય નથી. સંસ્કૃત મનુષ્ય થવા માટેનો સાધનાપથ છે ‘મનુષ્ય’ થવું તે. મનુષ્યે પોતાની વન્યતાને નિવારવા ઊંડું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આત્મનિરીક્ષણ, આત્મવિકાસ, મનુષ્યવિકાસ, સંસ્કૃતિવિકાસ – એ વિકાસની સોપાનમાળા એમની કવિતામાં શોધવાનો પ્રયત્ન નિ:શંક રસપ્રદ બને એવો છે. ‘ગુલામ’, ‘નમ્રતા’, ‘આત્માનાં ખંડેર’, ‘કવિ’, ‘પોતાનો ફોટોગ્રાફ જોઈ’, ‘જીર્ણ જગત’, ‘ગયાં વર્ષો’, ‘રહ્યાં વર્ષો તેમાં –’, ‘છિન્નભિન્ન છું’, ‘શોધ’, ‘વંચક’, ‘શું શું સાથે લઈ જઈશ હું ?’, ‘પંખીલોક’ જેવાં કાવ્યોમાં વિકાસવાંછુ ઉમાશંકરના આંતર-જગતનાં તીવ્ર મનોમંથન, ઉત્કટ ભાવસંવેદન, સત્-નિષ્ઠા આદિ જોવા મળે છે. વિક્ષુબ્ધતા વચ્ચેય ‘स्व’ની ખબર રાખવી ને ‘स्व-સ્થ’ રહેવા ને એ રીતે વિકસવા સતત મથવું – આ એમની કવિ તરીકેની સાધનાનું ‘ધ્રુવપદ’ છે. વિશ્વ સુધી – ‘सर्व' સુધી વ્યાપવા ઇચ્છનારને ‘सर्व’ સુધી પહોંચ્યા વિના તો ચાલે જ નહિ તે ઉમાશંકર બરોબર જાણે છે. કવિતાનું મૂળ – ગંગોત્રી ખોજવા નીકળેલા ઉમાશંકરે તાત્ત્વિક અર્થમાં પોતાની ખોજ પૂરી કરી નથી એ તો આત્મ-અભિજ્ઞાની ભૂમિકાએ ‘શોધ’માંથી પામી શકાય છે અને ઉમાશંકરની કવિતાની ખોજ ચાલુ છે એ જ સૌથી રસપ્રદ – આશ્વાસક તથા આનંદજનક ઘટના છે આપણે માટે તો. વિશ્વશાંતિની વાત કરનાર ઉમાશંકરને સ્પષ્ટ રીતે જણાયું છે કે મહાન ભાવનાસિદ્ધિ માટેની જે વાસ્તવિક ભૂમિકા તે આત્મસિદ્ધિ – ને એમને માટે તો કવિત્વસિદ્ધિ – વિના શક્ય જ નથી ને એથી તો ‘વિશ્વશાંતિ’ના નારા ગજાવનાર ‘અભિજ્ઞા’માં સ્વગત-આત્મગત કથનના અભિગમ તરફ ઝૂકે છે. ‘વિશ્વશાંતિ’-ગાયકને આત્મ-અભિજ્ઞાની પ્રસ્થાનરેખા પર છેવટે ભાવિ દોડ માટે આવીને ઊભા રહેવું જરૂરી લાગ્યું છે. આ એમના કવિજીવનની – એમના કવનપ્રવાહની એક ખૂબ મહત્ત્વની ઘટના છે. ગાંધીયુગના કવિએ ‘અભિજ્ઞા’ની – ‘સપ્તપદી’ની કવિતા આપી એ ઘટના એમની સતતવિકાસશીલ કવનગતિની દ્યોતક છે. કવિને ગાંધી બાંધી શક્યા નથી. કવિ વિશ્વશાંતિના મહાલય સામે ઇતિહાસગાથાઓ વાંચતા, વિસ્ફારિત નેત્રે, મુખ વકાસીને ખડા રહ્યા નથી. વિશ્વશાંતિ–વિશ્વપ્રેમની બહાર ચાલતી ખોજ અંતરમાં ચાલતી આત્મશાંતિની ખોજ સાથે સંવાદ રચે તો જ એ ખોજનું કોઈ વાસ્તવિક – શ્રદ્ધેય પરિણામ આવી શકે. ઉમાશંકરની આંતરખોજે(ઉમાશંકરે ‘અભિભાષણ’(‘કવિની શ્રદ્ધા’, પૃ. ૨૪૦)માં આ આંતરખોજને ‘બાહ્ય જગત અંગેની એક પ્રતીતિ’ રૂપે વર્ણવી છે. તેઓ લખે છે :“‘આત્માનાં ખંડેર’ (૧૯૩૫)માં બાહ્ય જગત અંગેની એક પ્રતીતિ નિરૂપાઈ હતી, જ્યારે ‘છિન્ન-ભિન્ન છું’ અને ‘શોધ’ (જે થોડાંક કાવ્યોનું એક સ્તબક બનવા સંભવ છે.)માં આંતર જગત વિષય બને છે. ક્યારેક સર્જકચેતના ઉત્તરોત્તર ગોળ ચક્રાકારે ઉપર ચડતી જોવા મળે છે. સૉનેટમાળા યથાર્થ તરફ પથરેખા આંકે છે, આ ઉદ્બોધનકાવ્યો વીખરાઈ ગયેલા વ્યક્તિત્વને એકકેન્દ્ર બનવામાં સહાયક બને એમાં કોઈ સર્જક સિદ્ધાન્તને હસ્તગત કરવા મથે છે.”) ‘આત્માનાં ખંડેર’નું દર્શન કરાવ્યું. આ ખંડેરનું દર્શન – આ ખંડદર્શન વિશ્વદર્શનની – અખંડ આત્મદર્શનની બુનિયાદ બની રહે છે. યથાર્થના નિર્ભ્રાન્ત આકલન વિના અસ્તિત્વના વૈશ્વિક સત્યનો અર્થ સમજવો અશક્ય છે. વળી યથાર્થની આ નિર્ભ્રાન્ત પ્રતીતિને જીરવવાની શક્તિ વિના કઠિન સત્યને ધારી રહેવું પણ અશક્ય જ બની જાય. મૃત્યુની પાસેથી પણ જીવનદીક્ષા માગનાર આ કવિ અહંમુક્તિ દ્વારા વિશ્વાત્માની એકતા અનુભવતાં અનંત જીવનનું અમૃતપાન કરવાની અને એમ કરતાં `शिवोऽहम्'ની સ્થિતિ માણવાની મનીષા સેવે છે. શબ્દનો આવા મહત્ત્વના આધ્યાત્મિક – વૈશ્વિક સંદર્ભમાં સાર્થક રીતે વિનિયોગ કરવાનો એમનો પુરુષાર્થ જીવનભર સતત એકાગ્રપણે ચાલ્યો. એક નવવિવેચકે એક તબક્કે એમના વિશે સાચું જ કહેલું કે – ‘ઉમાશંકરમાં શબ્દ અને શબ્દ વચ્ચે, શબ્દ અને જીવન વચ્ચે સંગતિ છે. આ સંગતિને પરિણામે છેલ્લા સાડાત્રણ દશકના એમના કાવ્યસર્જનમાં સૂક્ષ્મ સાતત્ય અનુભવાય છે.’ (ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૨મું સંમેલન, પૃ. ૪૨૧) આ પુરુષાર્થની નિષ્ફળતાઓનાં પાનાં પણ એમના કાવ્યસંગ્રહમાં બંધાયેલાં છે, પરંતુ એ પુરુષાર્થની સફળતાઓનાં – અલબત્ત, ઓછાં, પણ મહત્ત્વનાં – પાનાં જે એમાં જોવા મળ્યાં છે તે ઉમાશંકરની ઊંચી પ્રતિની સર્જકતાનાં દ્યોતક છે. ઉમાશંકરની કવિતા ‘શિવોઽહમ્’ થવાની વૃત્તિથી આલેખાયેલી રસિક શબ્દ-કથા છે. એ કથામાં ‘આત્માની અમૃત કલા’ પ્રગટાવવાનો


ધીરજપૂર્વકનો – પ્રજ્ઞતાપૂર્વકનો અભિક્રમ છે. એ અભિક્રમ કેવો આહ્લાદક છે તે જોયા વિના ઉમાશંકરનો પરિચય પૂરો કેમ થાય ?


  


ઉમાશંકર જીવન અને કલામાં જીવનને વધુ મહત્ત્વ આપનાર હતા. તેઓ ‘આર્ટ ફૉર લાઇફ સેઇક’ – જીવનને ખાતર કળા–માં માનનારા હતા. કલાશૂન્ય જીવન એમને માન્ય નહોતું. તેમણે પાછળથી (ઑક્ટોબર, ૧૯૬૦) તો કલાનું જ એક જીવનમૂલ્ય તરીકે દર્શન કરેલું. જીવનના એક રમણીય આવિર્ભાવરૂપે – જીવનશક્તિના એક સર્જનાત્મક ઉન્મેષરૂપે કલાને તેઓ જુએ – મૂલવે છે. તેઓ જેટલા જીવન વિશે એટલા જ કલા વિશે ગંભીર (‘સિરિયસ’ અને ‘સિન્સિયર’) રહેલા. કલાને કેવળ મનોરંજનની ભૂમિકાએથી જોવી – આરાધવી એમને માટે શક્ય જ નહોતું. એમનું માનસબંધારણ જ એવું હતું કે શબ્દની સાથે કામ પાડતી ક્ષણ જીવનની એક ધન્ય ક્ષણ કેમ બને એની મથામણ કર્યા સિવાય તેઓ રહી ન શકે. શબ્દની સાથે કામ પાડતાં ઉમાશંકર શબ્દસ્ફોટમાં અણુવિસ્ફોટથીયે વધુ સામર્થ્ય સૂક્ષ્મ રીતે રહેલું છે તે વિશે સતત સભાન રહ્યા હતા. તેથી એમની શબ્દલીલા બહુધા સતર્ક શબ્દલીલા હોવાનું પ્રતીત થાય છે. શબ્દને કાવ્યમાં પ્રયોજતાં તેના વ્યષ્ટિ-સમષ્ટિગત અર્થસંદર્ભો વિશે તેઓ સારી એવી જાગરૂકતા રાખતા હતા. આમ ઉમાશંકરની શબ્દનિષ્ઠા જીવનનિષ્ઠાના એક અવિયોજ્ય અંશરૂપ જણાય છે. જીવનિષ્ઠાએ એમની શબ્દનિષ્ઠાને વધુ મજબૂત ને અસરકારક બનાવી છે. તેઓ તેથી જ એમની શબ્દસાધનાને ગંભીર, ઉત્કટ, વ્યાપક અને ઉત્તરોત્તર વધુ ને વધુ વિકાસશીલ રાખી શક્યા હતા. શબ્દની શક્તિનો સાક્ષાત્કાર એના સર્જનાત્મક પ્રયોગમાંથી જ પામી શકાય, શબ્દની શક્તિનો તાગ પણ એના જીવંત પ્રયોગમાંથી જ આવી શકે. ઉમાશંકરનું ચિત્ત શબ્દસંવેદનપટુ છે. બોલાતા શબ્દને સાંભળતાં કેટલો પોતાનો કરી લે છે તેનો અંદાજ ‘સાપના ભારા’માં થયેલા બોલીપ્રયોગથી આવી શકે છે. વળી તેમની વાંચવાની રીતેય એવી રહેલી કે વાંચે ત્યારે લેખક શી ચાલ ચાલે છે તેના ઉપર સતત નજર રહે. આથી શબ્દની જીવનલક્ષી – સર્જનલક્ષી ગતિવિધિનો એમનો પરિચય ઉત્તરોત્તર સમૃદ્ધતર થયો રહેલો છે. એમ ન હોત તો ‘મંગલ શબ્દ’નો કવિ ‘પ્રકભુવિ’નો કવિ કેમ બનત ? ઉમાશંકરના સાહિત્યગ્રંથોની પ્રકાશન-સાલો જોતાં પણ તેમની શબ્દસાધના – સાહિત્યસાધના અનવરત ચાલ્યાની ને એકંદરે લખાણની ગુણવત્તા ઉત્તરોત્તર વધતી રહ્યાની પ્રતીતિ થાય છે.

ઉમાશંકરે આપણી કવિતાના – વિશ્વકવિતાના પણ – અમર વારસાનો શક્ય તેટલો લાભ લેવા પ્રયત્ન કર્યો જણાય છે. વાલ્મીકિ ને વ્યાસ, શેક્સપિયર ને ગ્યુઇથે, કાલિદાસ ને ભવભૂતિ, રવીન્દ્રનાથ ને શ્રીઅરવિંદ — આ બધા સર્જકોના કાર્યમાં એમણે ઊંડો રસ લીધો છે. બીજી બાજુ નરસિંહ ને અખો, પ્રેમાનંદ ને ગોવર્ધનરામ, નર્મદ ને બાળાશંકર જેવાઓની ‘ગુજરાતી’ સર્જકતામાં પણ તેમનું મન રમ્યું છે. હેમચંદ્રાચાર્યમાંના કવિને શોધવાનું કામ ઉમાશંકરની સર્જકતાનું જ ગણાય ! ઉમાશંકર મધુકરવૃત્તિથી આપણા વૈશ્વિક સાહિત્યિક વારસામાંના અમૃત અંશોને તારવીને આત્મસાત્ કરવાનો પુરુષાર્થ સોત્સાહ કરતા રહેલા; તેથી તેમની કારયિત્રી-ભાવયિત્રી પ્રતિભાનું તેજ પણ સતત વર્ધમાન રહેલું. લોકસાહિત્યના સમૃદ્ધ વારસાએ પણ ઉમાશંકરના શબ્દને પોષ્યો હતો – ઉત્તેજ્યો હતો. શબ્દનાં અનેક લટકાંને મન ભરીને ઉમાશંકરે માણ્યાં હતાં ને એ મણાવવાનો મીઠો-મંગલ ઉપક્રમ પણ તેઓ જીવનના અંતિમ શ્વાસ સુધી રચતા રહ્યા. ઉમાશંકરે પ્રથમ પ્રસિદ્ધ કરેલું કાવ્ય તે ‘વિશ્વશાંતિ’, વિશ્વશાંતિ જેવા બૃહદ વિષયની પસંદગી ઉદાત્ત વિષયના આગ્રહી નરસિંહરાવના વર્ચસવાળી અને ગાંધીજીના કર્મયજ્ઞથી ઉત્તેજિત હવામાં થાય છે એ સૂચક છે. એક યુવાન કવિનો એના વર્તમાન સાથેનો સંબંધ કેટલો સાચો ને સુમેળભર્યો છે તેની આ કાવ્ય ગવાહી બની રહે છે. ‘વિશ્વશાંતિ’ જેવા બૃહદ વિષય પર કાવ્ય લખનાર આ કવિ એક ચુસાયેલા ગોટલા પર, પીંછા ને ઉકરડા જેવા ‘તુચ્છ’ વિષયો પર નજીકના ભવિષ્યમાં જ કાવ્ય લખવાનો હતો અને તે પણ જીવનદૃષ્ટિએ કે કલાદૃષ્ટિએ તુચ્છ નહિ થવાના આગ્રહ સાથે. સુન્દરમે તો ‘હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, | ને જે અસુંદર રહી તેહ સર્વને, | મૂકું કરી સુંદર ચાહી ચાહી.’ (વસુધા, ૧૯૬૪, પૃ. ૧૬૧) એવા ઉદ્ગારો કાઢેલા. ઉમાશંકરે ‘કરાલ-કવિ’માં ‘ઘૂમીશ સઘળે પીતો શિવ કરાલ સૌન્દર્યને’ એમ કહેલું તે આપણે જાણીએ છીએ. સુન્દરમ્ અને ઉમાશંકર બંનેય ‘સારસ્વત-સહોદરો’ની સુંદરને પામવાની અભીપ્સા તીવ્ર છે. એવી તીવ્ર અભીપ્સા જ સૃષ્ટિને – સૃષ્ટિના પદાર્થોને કંઈક જુદી રીતે – વધુ અર્થપૂર્ણ રીતે જોવા-સમજવાની ભૂમિકા આપી રહે છે. આનાં અનેક ઉદાહરણો આ કવિઓની કવિતામાંથી મળી રહે છે.

ઉમાશંકરની કવિતા જે ઘટના-સંદર્ભમાંથી જન્મ પામે છે તે કેટલીક રીતે વિલક્ષણ અને તેથી નોંધપાત્ર હોય છે. ‘પંપા સરોવર’માં પંપાના વારિમાં ઝૂલતાં પોયણાં અને પંપાતટે બેઠેલી અશ્રુભીનાં નયનાંવાળી શબરીની સહોપરિસ્થિતિ જ મહત્ત્વની (‘સિગ્નિફિકન્ટ’) છે. ‘સમરકંદ-બુખારા’માં શાળાજીવનની એક કઠોર સ્મૃતિની વેદનાસિક્ત સ્વાભાવિક અભિવ્યક્તિ અપૂર્વ છે :

“એ શરાબ ભરભર પ્યાલી, કે એ જંગ સવારી,
કે કાળા તલવાળી પેલી માશૂકા તુર્ક–શિરાઝી,
પોતા પર આલમ આખી ચકચૂર હશે કરનારાં
ભલે ! પરંતુ મને સાંભરે સોટીના ચમકારા
ને ચમકારે મહેતાજીએ નકશાનાં પરભારાં
ભેટ દીધેલાં શહેર એ બે સમરકંદ-બુખારા !”

(‘સમરકંદ-બુખારા’, ગંગોત્રી, પૃ. ૪૫–૬)


સમરકંદ-બુખારા ધ્રુવ-પદની જેમ દોહરાતું સોટીના મારની વેદનાને જે રીતે ઘૂંટી આપે છે તે ખૂબ આકર્ષક છે. આમેય આ કાવ્ય વિષયનાવીન્યની દૃષ્ટિએ ને એક લાક્ષણિક નિરૂપણરીતિને લઈને ગુજરાતી કવિતાના એક ચિરંજીવ ઉન્મેષરૂપ તો છે જ. એમાં એક કિશોરમાનસની ગતિનું જુદા જુદા ભાવસંદર્ભો લઈને, ચિત્રાત્મક રીતે અને લાક્ષણિક ભાષાચ્છટામાં આલેખન થયું છે, જે ખૂબ આસ્વાદ્ય બને છે. ‘દળણાના દાણા’માં ઘટના-પરંપરાનો વણાટ આકર્ષક છે. અલબત્ત, અત્રનિર્દિષ્ટ અકસ્માત-પરંપરાને કવિચાતુરીનું પરિણામ પણ ગણી શકાય. આ કાવ્ય વાંચતાં જ સુન્દરમ્નું ‘મીંદડી’ કાવ્ય યાદ આવી જાય છે. અહીં ડોશીની બેહાલીનું કંઈક કલ્પનાચાતુરીથી એ આસ્વાદ્ય ચિત્ર ઊપસે છે. કપડાં ધોતાં ઊડતા પાણીના છાંટામાં દેખાતા રંગધનુષના રંગોને અનુલક્ષીને ઉમાશંકરે ધોબી અને સામી બાજુ કવિ તથા વિજ્ઞાની વચ્ચે જે સંવાદ યોજ્યો છે તે કેટલો અર્થપૂર્ણ છે ! સંભવ છે કે વર્ડ્ઝવર્થના ‘માય હાર્ટ લીપ્સ અપ વ્હેન આઈ બીહોલ્ડ અ રેઇનબો’ જેવી પંક્તિ આ કાવ્યની વસ્તુકલ્પનામાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે માર્ગદર્શક થઈ હોય. ઉમાશંકરે વર્ડ્ઝવર્થને કવિતામાં યાદ કર્યા છે જ. ‘બળતાં પાણી’માં, રા. વિ. પાઠક કહે છે તેમ, ‘કવિની કલ્પના જ પોતામાં સ્ફુરાયમાણ થયેલું માનવમંથનરહસ્ય કુદરતના આ દૃશ્યમાં જોઈ લે છે અને એ વ્યક્ત થાય એવી રીતે એને કથે છે.’[70] ‘બળતાં પાણી’માં તર્કબળ અને કલ્પનાબળના યુગપત્ પ્રભાવ દ્વારા સિદ્ધ થતી ધ્વનિ-યોજના આકર્ષક છે. ‘એક બાળકીને સ્મશાન લઈ જતાં’માં પણ ઘટના-વસ્તુની પસંદગીમાં જ કવિદૃષ્ટિનો વિજય જોઈ શકાય છે. ‘રોવું ન્હોતું પણ મુજથી રોવાઈ જ ગયું !’ આ પરિણામ જે કારણે આવ્યું એ કારણમાં જ જીવનના વૈચિત્ર્યનો નિગૂઢ ભાવ રહેલો છે. આમ ‘ગંગોત્રી’નાં કેટલાંક કાવ્યો જોતાં પણ ઉમાશંકરની કવિ-દૃષ્ટિનો ઠીક ઠીક પરચો મળી રહે છે. ‘નિશીથ’માંથી પણ ઉમાશંકરની વસ્તુનિષ્ઠ કલ્પનાશક્તિ તથા સંવેદનશક્તિનો મર્મ પામી શકાય છે. ‘નિશીથ’માં નિશીથ જેવા અમૂર્ત તત્ત્વને મૂર્ત રૂપ બક્ષતી કલ્પનામાં ગોઠવણી હોવા છતાંય એ પ્રકારનું રૂપ આપવાની કલ્પના સ્ફુરી એમાં જ એમની કવિત્વશક્તિ વરતાય છે. ‘વિરાટ પ્રણય’માં પણ જે ઉપક્રમથી માનવજાતિ પ્રત્યેનો સ્નેહ અભિવ્યક્ત થયો છે તેમાં કવિતાનું તત્ત્વ રહેલું છે. જોકે કવિએ કાવ્યારંભે સાત મુદ્દાઓમાં કાવ્યના વસ્તુનિરૂપણનો જે નકશો આપ્યો છે તે કવિકર્મની સાહજિકતા વિશે વહેમ પેદા કરે છે. આમેય જ્યારે કોઈ કવિ પોતાની કવિતાનો નકશો આપે — એ આપવા પ્રેરાય ત્યારે ઊર્મિકવિતાને જ સાચી કવિતા લેખનાર ભાવકને એના કવિકર્મની સાહજિકતા વિશે કંઈક શંકા થાય તો નવાઈ નહીં ! ‘વિરાટ પ્રણય’ ઉમાશંકરની મહાકવિ માટેની કેટલીક સજ્જતાનો તેમ જ મહાકવિ થવામાં શક્ય અંતરાયોનો અણસાર આપતું ‘નિબંધસ્વરૂપ’[71] કાવ્ય છે. આ કાવ્ય ‘વિશ્વશાંતિ’ના સાતત્યમાં લખાયેલું છે. સુન્દરમ્ ‘વિશ્વશાંતિ’ના અનુષંગે આ કાવ્યને યાદ કરે છે. તે સાથે તેને ‘ખંડકાવ્ય’માં મૂકવાનું ટાળે છે. વળી ‘આરોહણ’ને પડછે મૂકીને જોતાં ‘વિરાટ પ્રણય’માં વ્યષ્ટિવિકાસની અપેક્ષાએ સમષ્ટિવિકાસનાં પરિબળોનો સંવાદ-મૂલક વિકાસ-નકશો પણ પામી શકાય છે. સમષ્ટિને – માનવજાતિને પ્રિયતમા કહી તેના પ્રેમી તરીકે પચ્ચીશીયે જેણે માંડ પૂરી કરી નથી તેવા યુવાન કવિ ચાહવાને લાગી જાય, અને એ પ્રેમી કવિ પણ સમષ્ટિની વિવિધ સાંસ્કૃતિક અવસ્થાઓનાં પ્રમાણિત ને તે સાથે આહ્લાદક ચિત્રો આપવા માંડે – એ વસ્તુ જ રસિક છે. કેટલાંક ચિત્રો તો શબ્દ અને અર્થ ઉભયના કવિસંવેદન - પ્રેરિત સહકારથી રમણીય બન્યાં છે; દા. ત.,


“નિહાળી રહું બેયથી અજબ મૂર્તિ તારી સખી
વિશાળ પૃથિવીપટે તૃણ તણે મીઠે ગાલીચે
શિલાથી શિર ટેકવી સિંહણ વન્ય ઉન્મત્ત શી
ઉઘાડી વળી મીંચતી હરિણ નેણનું માર્દવ.”

(નિશીથ, પૃ. ૫૨)


બીજાં ચિત્રો જોઈએ :

‘પણે સખી તું રાચતી અરબઘોડલે નાચતી,
ત્વરા ન તવ રક્તની ઘડીય દે તને જંપવા.’



‘વળી કહીંક ધૂલિધૂસરિત હાંફતી તર્ફડે
કઠોર રવિતાપ માંહી જ્વરતપ્ત કાયા તવ.’



‘નિરાંત વળતાં જરીક, પગ વાળીને ઊંટની
મઝાની દ્વય ખૂંધ બીચ, વધતી પથે ડોલતી,
અનભ્ર નભની પરોવી રૂડી બીજ ભાલા મહીં.’



‘શકે મખમલે મઢ્યા મહત ક્યાંક મેદાનના પટે દિવસરાત લેટતી જરી વિસામો કરે.’



‘કપોલ પર ટેકવી કર કહીંક એકાન્તમાં
અઘોર વનનાં પ્રચંડ જળધોધરોણાં સુણે.’

(નિશીથ, પૃ. ૫૭)


‘શકે’ જેવા પ્રયોગોને ચલાવતી આ પદ્યભાષા કંઈક કૃત્રિમ છતાં એની કૃત્રિમતાને સહી લેવાનું મન થઈ જાય એટલી મજબૂત છે ! આ ભાષાનું પોત ‘અભિજ્ઞા’માં પહોંચતાં બદલાય છે, તો આ ભાષાનું વધુ વિશોધિત રૂપ ‘પ્રાચીના’ ને ‘મહાપ્રસ્થાન’નાં દૃશ્યકાવ્યોમાં સિદ્ધ થતું પામી શકાય છે. ‘વિરાટ પ્રણય’માં કવિકૌશલનો સારો પ્રભાવ છે. આમ છતાં કવિનો વિચાર જેટલો પ્રગતિશીલ, ઉદાર ને વ્યાપક છે, એમની ભાવના જેટલી સાચી અને ઉન્નત છે એટલું અનુભૂતિબળ ઉત્કટ નથી. સમગ્ર કાવ્યની સંઘટના–પ્રક્રિયામાં કવિતા કરવાની પ્રેરણાને મુકાબલે સંકલ્પ ને વિભાવના વધુ ડોકિયાં કરે છે. આમ છતાં કવિની સૌષ્ઠવપ્રિય રચનાકળાને મૂર્ત કરતા અનેક રમણીય પદ્યખંડકોથી આ કાવ્ય આસ્વાદ્ય તો બને જ છે. માનવજાતિ પ્રત્યેના પ્રણયને કારણે આ પ્રણય ‘વિરાટ પ્રણય’ છે તે સ્પષ્ટ છે. ‘વાંસળી વેચનારો’માં ઘટના-વસ્તુની ખૂબી છે. આ કાવ્યને કુંતકના ‘વસ્તુવક્રતા’ના ઉદાહરણમાં ન મૂકી શકાય ? ‘ચચ્ચાર આને’ વાંસળી વેચવા નીકળેલા ફેરિયાની વાંસળી કોઈ ખરીદતું નથી ને છેવટે થાકીને ઘર તરફ પાછો વળે છે. એ વખતે પોતે જ વેચવા માટેની વાંસળી વગાડવામાં એટલો ખોવાઈ જાય છે કે વાંસળી ખરીદવા માંગતી બાલાના તાલીસ્વરનું પણ ભાન રહેતું નથી ! આ ઘટનાનિરૂપણમાં જીવનના રહસ્યગર્ભ રૂપનો પરિચય થાય છે. આ કાવ્યમાં કવિનું નિરૂપણ સ્વસ્થ ને સંયમપૂર્વકનું છે, છતાં એમાં વાંસળીવાળાના મુખના શબ્દોમાં ક્યાંક કવિના સૂરનો ઓછાયો ઘૂસી જતો લાગે છે. વળી લેશ ભાન ન રહ્યું – એ પ્રકારના સ્પષ્ટીકરણથી કાવ્યનો અંત ન આવ્યો હોત તો એના ધ્વનિને લાભ થાત. આ કાવ્યને સુન્દરમ્ના ‘બક્ષિસ’ મુક્તક સાથે સરખાવી જોતાં ઉભયની વિશેષતાઓ રમ્ય રીતે જણાઈ આવે છે. ‘અન્નબ્રહ્મ’ કાવ્ય તો જાણે વેદકાલીન કાવ્યશૈલીના ગુજરાતી રૂપાંતર જેવું છે. (આ શૈલીની રચનાઓ હરિશ્ચંદ્ર ભટ્ટે ‘સ્વપ્નપ્રયાણ’માં આપી છે.) અન્નબ્રહ્મની આ સ્તુતિમાં કવિની વાસ્તવનિષ્ઠા સાથે સંસ્કૃતિપ્રીતિ પ્રગટ થાય છે. ‘અન્ન’ ને બ્રહ્મસ્વરૂપે જોવાનું તો આ પૂર્વે પણ બન્યું છે, પણ અહીં તો અન્ન સમગ્ર માનવજીવનના ઋતધર્મના જીવંત પ્રતીકરૂપ હોય એમ વર્ણવાય છે.S નિરંજન ભગતે જેના તરફ વિશેષભાવે ધ્યાન દોર્યું તે ‘લોકલમાં’નો કવિનો અનુભવ વિરલ ને તેથી જ સ્મરણીય છે. લોકલમાં મુસાફરી કરતા કવિ એક રસમૂર્તિની ડોલતી લોલ – મસ્તી છબીનું દર્શન સીધેસીધું નહિ કરતાં, એક વૃદ્ધના કાલજર્જરિત નેત્રમાં કરે છે. રૂપદર્શનનો આ એ રીતે એક અનોખો અનુભવ છે. આ એક રહસ્યમય લાગતું દર્શન છે અને એથી વધુ કશુ કવિ અહીં સૂચવી શક્યા નથી એ જ તો આ દર્શનની ખૂબી છે ! ‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા’ની એ એવી બાલા હોવાથી જ વાત આકર્ષક બની જાય છે. એ ‘અશ્રુસીંચેલ વેલી’ કચ્છો વાળી, ઊંચી નિસરણીએ ચઢીને ગારથી ભીંત લીંપે, લીંપતાં લીંપતાં ગુપ્ત ઉલ્લાસભર્યાં ગીતો ગાય, અબરખ-ખડીથી ભીંતો રંગે, સ્વસ્તિકો કાઢે, બારસાખે સોનેરીરૂપેરી વરખો લગાડે, આસોપાલવનાં તોરણો બાંધે – જે પરણવાની છે એ જ બાલાને આ બધું કરતી જોવી – બતાવવી એમાં કવિનું વેદનાસિક્ત માનવજીવનનું દર્શન કારણભૂત છે. આ કાવ્યમાંનો વિષાદ ને આનંદનો કોઈ અપૂર્વ મેળ-સુમેળ સ્તો – જીવનને કેવા વિશિષ્ટ રૂપમાં આપણી આગળ પ્રત્યક્ષ કરે છે ! ઉમાશંકરની વેદનશીલતાની સૂક્ષ્મતા વિના આ કાવ્ય ન સંભવત. ૧૯૩૫માં ચોવીસ વર્ષની વયે હિન્દી શરાફી અને ચલણના અભ્યાસ પાછળના આઠદસ કલાક પછીની છુટકારાની પળોમાં ત્રણચાર દિવસમાં (‘વિશ્વશાંતિ’ની જેમ જ) ‘આત્માનાં ખંડેર’ની સૉનેટમાળા રચાઈ હતી.+ આ સૉનેટમાળા કવિના કવિત્વની બળવાન મુદ્રા ઉપસાવી આપે છે. ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ એમ અહંઘોષ[72] કરતો, અને ‘વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું’ની ખેવના કરતો કવિ-આત્મા આ સૉનેટમાં કેન્દ્રસ્થાને છે. આ કવિ -આત્મા પાસે એનું એક રમણીય સૃષ્ટિચિત્ર – જીવનચિત્ર હતું, પણ જેમ જેમ યથાર્થતા(‘રિયાલિટી’)નો અનુભવ થવા માંડે છે તેમ તેમ એ ચિત્ર ખંડિત થાય છે. તેણે પોતાની બહાર અને અંદર ‘માનવતાના આત્માનાં ખંડેર’નું દર્શન થાય છે. આ દર્શન પછી પોચટ આશાવાદને ટકવું મુશ્કેલ છે, ભ્રમણાઓમાં જીવવું મુશ્કેલ છે ને તેથી જ આ દર્શન જીવનના સ્વાસ્થ્યપ્રદ સાચા નક્કર અનુભવ માટે સર્વથા આવકાર્ય બની રહે છે. ઉમાશંકરે ‘નિશીથ’નાં કાવ્યોની માનસિક-ઐતિહાસિક ભૂમિકાની સ્પષ્ટતા કરતાં એમની કવિતામાં માનવનિયતિ પરત્વેનો, પ્રણયકવિતાનો, મૃત્યુ અંગેના સંવેદનનો, જીવનની વાસ્તવિકતાઓનો, – આ ચાર તંતુઓ ઉપરાંત આ ચારેય મળીને થતા પાંચમા તંતુની વાત કરતાં કહેલું કે –

‘પાંચમો તંતુ – બલકે પાંચમો ન કહીએ; આ ચારેય સમવેત બનીને એક અનુભૂતિ-રૂપે સ્ફુટ થવા કરતા હોય તે અંગેનો છે અને મારા પૂરતો એ જીવનનો, કંઈ નહિ તો કવિ-જીવનનો કદાચ એક મુખ્ય ભાગ બનતો રહે છે. તે જોવા મળે છે ‘આત્માનાં ખંડેર’માં. વિશ્વશાંતિને બદલે અહીં વ્યક્તિની અશાંતિ કદાચ વિષય બને છે. બુલંદ અભીપ્સાને જિવાતા વિવિધરંગી જીવનના સંસ્પર્શથી પહેલ પડે છે, અને યથાર્થ – નર્યા યથાર્થ, કેવળ યથાર્થનું સ્વાગત કરવામાં એ પરિણમે છે. વિશ્વશાંતિ અને વ્યક્તિ-અશાંતિ એ બે વિરોધી વસ્તુ રહેતી નથી. બંને યથાર્થના સેતુથી સંધાય છે. સૉનેટમાળાના અંતભાગમાં એક જાતના સંશયવાદ, નિરાશાવાદ, શૂન્યવાદ, (‘નિહિલિઝમ’), સ્વપ્નો, આદર્શો, ભાવનાઓ અંગેના પરાજયવાદ (ડીફીટિઝમ) અને પાછળથી આપણને પાશ્ચાત્ય સાહિત્યે એકાગ્ર રૂપે બતાવેલા નિ:સારતાવાદ (ધ ઍબ્સર્ડ), અસ્તિત્વવાદ – એ બધાંનાં ઇંગિતો છે અને પરિણામે ઊગરે છે એક જાતની કોઈ એક આધ્યાત્મિક અનુભૂતિ. વ્યક્તિ દબાઈ ટિપાઈ તવાઈ બહાર આવે છે, પણ યથાર્થને મુક્ત હૃદયે આવકારતી, અપનાવતી. મોકળે હૈયે, મોકળે ચિત્તે યથાર્થનો સ્વીકાર એ પોતે જ એક આધ્યાત્મિક વિજયની ભૂમિકા છે.’

(‘પ્રશ્નોત્તરી’, કવિનો શબ્દ, પૃ. ૨૩૭)


‘આત્માનાં ખંડેર’ કવિની ચિંતનપ્રધાન ઊર્મિકવિતાની સિદ્ધિરૂપે અવલોકી શકાય. કવિ નર્મદે ૧૮૬૩માં નર્મ ટેકરી પરથી સ્ફુરેલા વિચારોને કવિતામાં ગોઠવેલા એમ આપણા આ કવિ પણ પોતાનું સંવેદન સૉનેટમાં ઢાળે છે. નર્મદની પરંપરામાં ઉમાશંકરનું આ કામ ચાલે છે ને છતાં જુદી રીતે – નવી રીતે ચાલે છે. એમાં કવિની સર્ગશક્તિ ઉપરાંત યુગશક્તિનોય ફાળો ખરો જ. નિરંજન ભગતે આ સંદર્ભમાં વિસ્તૃત આલોચના એમના ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (૧૯૭૫) નામના પુસ્તકમાં પૃ. ૧૭૬થી ૧૮૯ સુધીમાં કરી છે. ગોપસંસ્કૃતિનો સંતાન કાવ્યનાયક નગરસંસ્કૃતિની હવામાં યથાર્થનો સ્વીકાર કરી દેખીતી રીતે પરાજય સ્વીકારતો જણાય છે, પણ અંતે તેમાં જ તેનો આધ્યાત્મિક વિજય હોવાનું દર્શન નિરંજન ભગતે કર્યું છે તે યોગ્ય છે. (પૃ. ૧૮૬) કવિ જયન્ત પાઠક ‘આત્માનાં ખંડેર’નો ‘યથાર્થના સેતુબન્ધ’ તરીકે ઉલ્લેખ કરે છે. એમાં તેમને ‘કવિની જીવનઆસ્થાની અભિવ્યક્તિ’ વરતાય છે. જોકે તેમાં સૉનેટમાળાની ગૂંથણીમાં તેમને શૈથિલ્ય પણ જણાય છે. (‘કિમપિ દ્રવ્યમ્’, ૧૯૮૭, પૃ. ૨૩૮–૨૫૦)

આ સૉનેટમાળામાંના કેટલાક આસ્વાદ્ય – મનનીય વાગંશોને જોતાં કવિની મૌલિક સર્જકતાનો ને જીવનની ઊંડી સમજદારીનો ચમત્કાર પામી શકાશે :

‘મહા વિસ્તારો આ અમિત વિહરે કાલરસ્થલના,
ખચેલા સૌન્દર્યે, પણ હું-વિણ સૌ શૂન્ય-સરખા.’

(નિશીથ, પૃ. ૧૪૯)


‘રાતે શ્વસે ધડક થાનની તેજગૂંથ્યા
કમખા પૂંઠે, વળી દિને રવિહીરલો તે
અંબારતેજ મહીં છાતી રહે છુપાવી.
રે ! ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા,
ને ના પટાવ શિશુને, બીજું કૈં ન જોયે
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા !’

(નિશીથ, પૃ. ૧૫૧)


‘શ્વસે શૃંગે શૃંગે યુગ યુગ તણા શ્રાન્ત પડઘા,
અને વ્હેતી તાજી ઝરણસલિલે આદિકવિતા,
તળાવોનાં ઊંડાં નયન ભરી દે કાલની દ્યુતિ,
રચે બીડે ઘાસે પવન ઘૂમરીઓ સ્મિત તણી;
દ્રુમે ડાળે માળે ક્લિકિલી ઊઠે ગીતઝૂલણાં,
લતા પુષ્પે પત્રે મુખચમક ચૈતન્યની મીઠી;
પરોઢે સંધ્યાએ ક્ષિતિજઅધરે રંગરમણા,
– મને આમંત્રે સૌ પ્રણય ગ્રહવા વિશ્વકુલનો.’

(નિશીથ, પૃ. ૧૫૧–૨)


‘ક્ષણેક્ષણ અનંત છે, નવનવે રૂપે વિસ્તરી
પ્રતિક્ષણ વિશે સ્ફુરે અનુભવો ત્રિકાલે ભર્યા.’

(નિશીથ, પૃ. ૧૫૩)


‘અશક્તિ આત્મહત્યાની એને આશા કહે જનો;
મૃત્યુથી ત્રાસતાં તોયે જિંદગી અર્ક મૃત્યુનો.’

(નિશીથ, પૃ. ૧૫૪)


‘આવ, મોત, સંદેશ બોલ તવ ઘર્ઘરનાદે,
નહીં ન્યૂન, વધુ ભલે, રુદ્ર તવ રૂપ ધરીશ તું.
વક્રદંત અતિચંડ ઘમંડભરેલ વિષાદે
મુખ ઉઘાડ તુજ, શાંતચિત્ત તવ દંત ગણીશ હું.’

(નિશીથ, પૃ. ૧૫૫)


‘બિચારો નિચોવે મનુજ વિધિની રેત અમથો;
વૃથા યત્ને ખુએ મૃગજળનીયે રમ્ય ભ્રમણા.’

(નિશીથ, પૃ. ૧૫૬)


‘આત્મા તણાં અરધભગ્ન ઊભેલ અર્ધાં
ખંડેરની જગપટે પથરાઈ લીલા.
ને છાંડીને જયમનોરથ, કો ઘવાયા
પંખી સમું ઉર લપાઈ કહીંક બેઠું
ખંડેરની કરુણભીષણ ગાતું ગાથા,
ને ગોતતું અફળ ગાન મહીં દિલાસા.’

(નિશીથ, પૃ. ૧૫૭)


‘મને અસુખ ના દમે વિતથ સૌખ્ય જેવાં કઠે,
સુખો ન રુચતાં, યથા સમજ માંહી ઊતર્યાં દુ:ખો.
યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.
અજાણ રમવું કશું ! સમજવું રિબાઈય તે.’

(નિશીથ, પૃ. ૧૫૭)

ઉમાશંકરનું ‘વિશ્વશાંતિ’ અને આ ‘આત્માનાં ખંડેર’ એમની સમસ્ત કવિતાના – એમના રાગસંગીતના સંવાદી ને વાદી સૂર જાણે છે.( ‘આત્માનાં ખંડેર’ સંબંધે નલિન રાવળ લખે છે :‘ઉમાશંકરની કવિતામાં એવી અદ્ભુત ક્ષણો આવી છે જ્યારે એમનો કાવ્યાનુભવ વ્યક્તિ-સમાજ-ઇતિહાસ-સંસ્કૃતિ-કલા-ધર્મ અને ખુદ કવિતાનાં પણ સઘળાં પરિમાણોને અતિક્રમી જઈ એક માત્ર આત્મરૂપ બની ઠર્યો છે – ‘આત્માનાં ખંડેરો’ એ સૉનેટગુચ્છનો આ એક ધ્વનિ છે.’ નલિન રાવળનું આ વિધાન અતિવ્યાપક ને તેથી કંઈક અવિશદ લાગે છે. કાવ્યાનુભવનું આત્મરૂપે ઠરવું એટલે શું તે સ્પષ્ટ થતું નથી. (જુઓ, ‘વિશ્વમાનવ’, ઑગસ્ટ, ૧૯૬૮માં ‘શ્રી ઉમાશંકર’ લેખ, પૃ. ૧૪))‘આતિથ્ય’માં ‘પ્રણય-સપ્તક’ની સૉનેટમાળામાં પ્રણય-નિરૂપણની ઉમાશંકરની આગવી ધાટી જોવા મળે છે. ભાવનાની ધુમ્મસિયા વાતો કે બરડ લાગણીઓના ક્ષણજીવી ફુગ્ગાઓ ઉડાવવાને બદલે તેઓ યથાર્થની સમજ દ્વારા પ્રણયાનુભૂતિની
સંગીન ભૂમિકા રચે છે. એ ભૂમિકાએ રહી તેઓ સ્વ-સ્થતાથી ને તેથી વધુ ગહરાઈથી પ્રણયના રસ-રૂપને અભિવ્યંજિત કરી શકે છે. પ્રિયાના પત્રો ‘મૃદુ હૃદયના મૌનમહિમારૂપ’ છે. એ પત્રે ‘અજબ રસ-સંજીવન વસ્યાં’ લાગે છે. પોતાના હૃદયના અવાજનો ઉત્તર વાળતી રમણીના સાન્નિધ્યનું ભાન કવિચિત્તને કેવો અપૂર્વ અનુભવ આપે છે ! પોતાની પ્રિયતમાથી અનેક બાબતોમાં ચઢિયાતી એવી બીજી વામાઓ છે ને એની કવિને જાણ છે, ને છતાં ? –


“જગે રૂપો લક્ષ્યાં રસસભર, લક્ષાવધિ મુખ,
ન કે ઓછાં મીઠાં, પણ તું વિણ ચિત્તે નહિ સુખ.




  1. 1. ઉશનસે ઉચિત રીતે લખ્યું છે  ‘ઉમાશંકરની કવિતાપ્રવૃત્તિના મૂળમાં રહેલા બે ચાલક–નિયામક શબ્દો ‘સૌન્દર્ય’ અને ‘મંગલ’ છે જે એમની કવિતાપ્રવૃત્તિના પ્રારંભથી જ કૃતિઓ સાથે જકડાયેલા રહ્યા છે...’ (ઉપસર્ગ, ૧૯૭૩, પૃ. ૧૮૨). 2. આ સંદર્ભમાં જુઓ ‘કવિની સાધના’ (૧૯૬૧), પૃ. ૪૧. ઉમાશંકર પૂછે છે  ‘સુંદર રૂપે જે સત્ય પ્રગટ્યું હોય તે કલ્યાણકારક – શિવ ન હોય એમ શી રીતે બને ’
  2. ‘સંસ્કૃતિ’, સપ્ટેમ્બર, ૧૯૬૫, પૃ. ૩૨૪.
  3. જુઓ ‘કવિની સાધના’ લેખ; કવિની સાધના, ૧૯૬૧, પૃ. ૯–૪૩.
  4. કવિની શ્રદ્ધા, ૧૯૭૨, પૃ. ૨૪૧.
  5. વિશેષ માટે જુઓ અનંતરાય મ. રાવળનો ‘કવિશ્રીની કાવ્યભાવના’ એ લેખ; ‘કવિશ્રી ન્હાનાલાલ સ્મારક ગ્રંથ’, પૃ. ૧૩૭–૧૪૫.
  6. જુઓ શેલીનો ‘A Defence of Poetry’ લેખ, English Critical Essays (Nineteenth Century), P. ૧૨૦–૧૬૩.
  7. જુઓ ‘ધ્રુવ તારલી’ કાવ્યનું ટિપ્પણ; ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૧૨૯.
  8. ‘ક્ષમાયાચના’, નિશીથ, પૃ. ૪૮.
  9. ‘શોધ’, અભિજ્ઞા, પૃ. ૧૭.
  10. ગંગોત્રી, પૃ. ૧૪.
  11. એજન, પૃ. ૫૨.
  12. વસંતવર્ષા, પૃ. ૫૫.
  13. ગંગોત્રી, પૃ. ૮૧.
  14. નિશીથ, પૃ. ૨૧.
  15. આતિથ્ય, પૃ. ૧૭૮.
  16. એજન, પૃ. ૧૧.
  17. એજન, પૃ. ૬૨.
  18. એજન, પૃ. ૧૭.
  19. એજન, પૃ. ૩૫.
  20. વસંતવર્ષા, પૃ. ૧૦૫.
  21. જુઓ ‘જ્યારે હું તરુણ હતો...’ એ લેખ, સંસ્કૃતિ, જૂન, ૧૯૭૦, પૃ. ૨૦૨.
  22. આમ તો ‘ભલે શૃંગો ઊંચાં’ માટે ઉશનસે આ શબ્દો વાપર્યા છે. જુઓ ‘રૂપ અને રસ’, ૧૯૬૫, પૃ. ૨૭૪.
  23. વસંતવર્ષા, પૃ. ૮૧.
  24. અભિજ્ઞા, પૃ. ૩૭.
  25. આપણું સાહિત્ય, ૧૯૭૧, પૃ. ૨૮૯–૨૯૭
  26. વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૪.
  27. એજન, પૃ. ૭.
  28. ગંગોત્રી, પૃ. ૨૪.
  29. એજન, પૃ. ૨૫.
  30. એજન, પૃ. ૪૩.
  31. એજન, પૃ. ૪૭.
  32. અભિજ્ઞા, પૃ. ૧૦૪.
  33. ‘હીરોશીમા’, વસંતવર્ષા, પૃ. ૮૫.
  34. ‘कस्मै...’, યાત્રા, પૃ. ૬.
  35. અભિજ્ઞા, પૃ. ૧૦૪.
  36. આતિથ્ય, પૃ. ૫૯.
  37. ‘ગિરનાર’, સંસ્કૃતિ, જાન્યુ., ૧૯૪૯, પૃ. ૩૧.
  38. તૃણનો ગૃહ, પૃ. ૬૨.
  39. વસંતવર્ષા, પૃ. ૮૧.
  40. ‘ગયાં વર્ષો –’, વસંતવર્ષા, પૃ. ૧૫૧.
  41. રમણલાલ જોશીએ ‘શબ્દસેતુ’ (માર્ચ, ૧૯૭૦)માં આપેલ ‘ગયાં વર્ષો –’, ‘રહ્યાં વર્ષો તેમાં –’ (પૃ. ૧૪૪ – ૧૫૭) – એ આસ્વાદ્યલેખ જોવો.
  42. નિશીથ, પૃ. ૧૨૨.
  43. એજન પૃ. ૧૫૬.
  44. ‘સપ્તપદી’, ૧૯૮૧, પૃ. ૩૦.
  45. આતિથ્ય, પૃ. ૩૫.
  46. એજન, પૃ. ૩૧.
  47. એજન, પૃ. ૩૧.
  48. વસંતવર્ષા, પૃ. ૧૩૩.
  49. ગંગોત્રી, પૃ. ૧૦૪.
  50. એજન, પૃ. ૧૭
  51. અભિજ્ઞા, પૃ. ૭૩.
  52. આતિથ્ય, પૃ. ૯૬.
  53. અભિજ્ઞા, પૃ. ૭૧.
  54. ગંગોત્રી, પૃ. ૧૩.
  55. અભિજ્ઞા, પૃ. ૬૧.
  56. એજન, પૃ. ૧૦૩.
  57. ગંગોત્રી, પૃ. ૪૨.
  58. નિશીથ, પૃ. ૮૮.
  59. જુઓ ઉમાશંકરનો ‘વિચારધારા કાવ્યધારા બની છે ’ – એ લેખ; સંસ્કૃતિ, જાન્યુઆરી, ૧૯૭૩, પૃ. ૪૦.
  60. ‘આતિથ્ય’, પૃ. ૫૩.
  61. એજન, પૃ. ૧૧૪.
  62. ‘વસંતદીક્ષા’, આતિથ્ય, પૃ. ૧૨.
  63. ‘પગરવ’ વસંતવર્ષા, પૃ. ૧૧૯.
  64. ‘સાગરસંગીત’ વસંતવર્ષા, પૃ. ૧૨૦.
  65. આતિથ્ય, પૃ. ૧૭૩.
  66. ‘મૃત્યુને’, નિશીથ, પૃ. ૭૩.
  67. નિશીથ, પૃ. ૭૦.
  68. એજન, પૃ. ૧૫૫.
  69. એજન, પૃ. ૧૪૩.
  70. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, ૧૯૬૨, પૃ. ૧૨૯.
  71. નિરંજન ભગત, ‘મારો પ્રિય વિદ્યમાન લેખક’; કવિનો શબ્દ, પૃ. ૮૬.
  72. રાજેન્દ્ર શાહ, ‘વિશ્વમાનવ’, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૧૫.