ઉમાશંકરનો વાગ્વૈભવ/૨. ઉમાશંકરનું સર્જકવ્યક્તિત્વ-વિકાસ અને વિશેષતા

ઉમાશંકરનું સર્જક-વ્યક્તિત્વ : વિકાસ અને વિશેષતા

ઉમાશંકરનો સર્જક-વિવેચક તરીકે પરિચય કરતાં પહેલાં જે દેશકાળમાં, જે પરંપરામાં ઉમાશંકરનું સર્જન-વિવેચનનું કાર્ય ચાલ્યું છે તેનો કંઈક પરિચય મેળવવાનો પ્રયત્ન આપણે કર્યો. સર્જક કે વિવેચક ગમે તેટલો પ્રયત્ન કરે, પણ તે તેના દેશ-કાળ ને પરંપરાથી છેડો ફાડીને વેગળો રહી શકતો નથી.[1] જે દેશકાળે, જે પરંપરાએ અનેક સર્જકો-વિવેચકોના ઘડતરમાં પ્રત્યક્ષ-પરોક્ષ ભાગ ભજવ્યો હોય એ સર્જકો-વિવેચકોમાં જે ભિન્નતા વરતાય છે તેનું કારણ શું ? આ પ્રશ્નનો જવાબ આપવા માટે જે તે સર્જક-વિવેચકના વૈયક્તિક જીવનનો સંદર્ભ જોવો પડે. આ કામ કેટલીક રીતે જોખમી છે. કોઈ સર્જક કે વિવેચકના અમુકતમુક આવિષ્કાર માટે આ કે તે પરિસ્થિતિને જવાબદાર ગણાવવા જતાં એક યા બીજા પ્રકારની ન ઇચ્છેલી આરોપણ, પ્રક્ષેપણ આદિગત ભૂલો થવાનો સંભવ પણ રહે. વૈયક્તિક જીવનને આધારે કોઈ સર્જક-વિવેચકની ખૂબીઓ સમજવાના પ્રયત્નમાં મનોવૈજ્ઞાનિક અભિગમ આદિની અપેક્ષાઓ પણ રહે. આ પરિસ્થિતિમાં સાહિત્યના અભ્યાસીએ સર્જક-વિવેચકનો વૈયક્તિક પરિચય આપવામાં ભારે સાવધાની રાખવાની રહે. જે તે સર્જક યા વિવેચકના વિચારો, એનાં લખાણ તથા એની મુલાકાત ઇત્યાદિને આધારે જે કંઈ કહી શકાય તે કહી શકાય. સદ્ભાગ્યે, ઉમાશંકરે પોતાના સંદર્ભમાં છૂટકત્રુટક કેટલુંક લખ્યું છે. જાણવા પ્રમાણે એમની પાસે ડાયરી-નોધS, પત્રો ઇત્યાદિ અપ્રકાશિત પડ્યાં છે ને તેમના પ્રકાશિત લખાણમાંયે ક્યારેક ક્યારેક અત્રતત્ર એમના અંગત જીવનના અણસાર મળે છે. કેટલાક નિકટવર્તી મિત્રોએ એમના વિશેની પોતાની છાપ પ્રસંગોપાત્ત, રજૂ કરી છે. કેટલાક સાહિત્યપ્રેમીઓએ એમની મુલાકાતના અહેવાલ પણ છાપ્યા છે. વ્યાખ્યાનોમાં, રેડિયોવાર્તાલાપો વગેરેમાં થોડુંક આત્મ-કથનાત્મક બયાન એમણે આપ્યું છે. કેટલુંક આત્મલક્ષી બયાન એમનાં કાવ્યોમાં પણ જોઈ શકાય. આ બધાંને આધારે ઉમાશંકરના શીલભદ્ર સારસ્વત [2] વ્યક્તિત્વનો પરિચય પામી શકાય છે. આનંદશંકર જેવા સાક્ષરયુગીન પંડિતવર્ગે ૧૯૨૦ના અરસામાં છઠ્ઠી ગુજરાતી સાહિત્યપરિષદના સત્કારમંડળના પ્રમુખપદેથી ભાષણ આપતાં જણાવ્યું હતું કે “...... સઘળા મહાન યુગપરિવર્તમાં થાય છે તેમ હિન્દુસ્થાનમાં હાલ ચાલી રહેલા પરિવર્તનમાં પણ નવા યુગનું તત્ત્વ સમજનાર, એની ભાવનાઓને અને આકાંક્ષાઓને પોતાની વાણીમાં વ્યક્ત કરનાર, એના આંધળા જીવનને નેત્ર અર્પનાર કવિની જરૂર પડશે, એટલું જ નહિ, પણ એ યુગની ક્ષણિકતા ભેદી, એ યુગની પાર થઈ, જીવનનાં સનાતન સત્યો પ્રગટ કરનાર મહાકવિની પણ જરૂર પડશે.” [3] આનંદશંકરે આ પછી યુગને દ્રષ્ટા અને સ્રષ્ટા – યુગપ્રકાશક અને યુગપ્રવર્તક ઉભયવિધ કવિની જરૂરિયાત હોય છે તે દર્શાવી ઉમેર્યું કે “એક તો એ યુગને ‘આ હું’ એમ આત્મદર્શન કરાવનાર કવિ જોઈશે – જે વિના આપણે પણ આપણા યુગને પૂરો ઓળખી શકીશું નહિ, ભવિષ્યના ઇતિહાસકારે તો ઓળખવાની વાત જ શી ? બીજું – આ નવો યુગ બેસતાંની સાથે જનસમાજની વૃત્તિઓમાં ભારે ઉછાળો આવશે – અત્યારે એ શરૂ થઈ ચૂક્યો છે – એમાં વિશુદ્ધિ, સુંદરતા અને ઉચ્ચતાનાં તત્ત્વો પ્રવેશવાનું કર્તવ્ય સાહિત્યને શિર રહેશે, નહિ તો જીવન જાડું, કદ્રૂપું અને પ્રાકૃત બની જશે. ચોમાસું કોણ નથી ઇચ્છતું ? પણ તે માટે, એ ઋતુનાં ડહોળાયેલાં પાણી પીવાનું કોણ પસંદ કરશે ? એ નવા જીવનને સૂક્ષ્મ, સુંદર અને સંસ્કારી બનાવવા સારુ કવિ-પ્રતિભારૂપી નિર્મળી, બીજું રૂપક આપીએ તો શરદ ઋતુની ચાંદની, અવશ્ય જોઈશે. નવા જીવનનાં સૂક્ષ્મ ભયસ્થાન, અને એના તારની વિષમ ગૂંથણી બલ્કે ગૂંચવણો કવિ નહિ સમજાવે તો કોણ સમજાવશે ?” [4] આનંદશંકર ધ્રુવે જે વિચક્ષણતાથી શરૂ થયેલા યુગને – ગાંધીયુગને પારખીને તે કાળમાં આવનાર કવિ પાસેથી જે કેટલીક અપેક્ષાઓ રાખી છે તે ખાસ ઉલ્લેખપાત્ર છે. જે યુગમાં ઉમાશંકરે કવિકર્મ આરંભ્યું એ યુગમાં એમની જવાબદારીઓ અને મુશ્કેલીઓ કેવા પ્રકારની હતી તેનું સૂચન આનંદશંકરના ભાષણમાં છે જ. ઉમાશંકર યુગપ્રવર્તક કવિ થઈ શક્યા છે કે કેમ એ પ્રશ્નનો ઉત્તર ભલે ભવિષ્ય આપે, તો પણ એ યુગપ્રકાશક કવિ તરીકે તો તુરત જ ધ્યાન ખેંચે છે. સુન્દરમ્ અને ઉમાશંકરના કવિત્વનો પ્રભાવ સાહિત્યક્ષેત્રે સારો એવો પડ્યો છે; નહીંતર વિષ્ણુપ્રસાદ જેવા ગંભીર વિવેચકે ઉમાશંકર-સુન્દરમ્ માટે આવું લખ્યું હોત ? –

“હું કવિને સ્મરણ કરાવું છું કે આ સો વર્ષનો ભારતનો ઇતિહાસ તો દસ મહાભારત લખાવે એવડો છે. આ ગાંધીજીનું ભવ્ય મૃત્યુ નગાધિરાજ ડોલે ને સાત સમુદ્ર ગાય એવું કવિતાભર્યું છે. બીભત્સતા, ભીષણતા, ભયાનકતા, ક્રૂરતા, નીચતા, સ્વાર્થ અને વિલાસ સામે ઉચ્ચ માનવતા, સત્ય ને સંયમ ઝઝૂમી રહ્યાં છે. એક ક્રૌંચ-યુગલના વધનિમિત્તે રામાયણ પ્રગટ્યું : લાખ લાખ કુટુંબ દાઝી રહ્યાં છે ને કોઈ મહાકવિનો કંઠ નહિ ખૂલે ? હું ચારે કોર જોઉં છું... ઉમાશંકર અને સુન્દરમ્ ઉપર હું મીટ માંડું છું. તેમનાં સત્ત્વ જો નકારશે તો મારે કદાચ એક આખી પેઢી વાટ જોવી પડશે.” (‘ઉપાયન’, ૧૯૬૧, પૃ. ૧૬)

આ અવાજમાં ભાવાવેગ છે, વાગ્મિતાનો અંશ છે, પણ એ બાદ કરતાંયે ઉમાશંકર-સુન્દરમાદિની કવિત્વશક્તિમાંની શ્રદ્ધા સ્પષ્ટ છે. આમેય ઉમાશંકરના સર્જન-વિવેચને પૂર્વકાલીન, સમકાલીન અને અનુકાલીન પેઢીઓને આકર્ષી છે. ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧) નવજીવન પ્રકાશન મંદિર દ્વારા પ્રકાશિત થયું ત્યારે ‘ગાંધી-યુગ’ના સાહિત્યના અગ્રગણ્ય પ્રતિનિધિ’[5] કાકાસાહેબે તો એમને આવકાર્યા [6], પરંતુ સાક્ષરયુગના ‘દુરારાધ્ય’ મનાતા વિવેચક શ્રી નરસિંહરાવે પણ એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. સાક્ષરયુગનું ભાવિદર્શન ઉમાશંકરના ‘અસાધારણ ગુણવાળા’ ‘વિશ્વશાંતિ’ કાવ્યના ‘મંગલ શબ્દ’ નિમિત્તે એમણે કર્યું–કરાવ્યું.[7] બ. ક. ઠાકોર જેવા નવીન કવિતાના પુરસ્કર્તાએ સુન્દરમ્-ઉમાશંકરના કવિતાક્ષેત્રે થયેલા ઉદયની નોંધ લેતાં કહ્યું કે “સુન્દરમ્ અને ઉમાશંકર જોષીમાં પણ કોઈ કોઈ કડી સાવિત્રી યમનો આશીર્વાદ પણ ખાટી ગઈ એવી સજીવનતાવાળી જણાશે.”[8] ઉમાશંકરને એમણે ‘શારદાપીઠ અને ગાંધીવાદ બેયના ચેલા’[9] તરીકે ઓળખાવ્યા. શ્રી વિજયરાય વૈદ્યે ઉમાશંકર અને સુન્દરમ્ને નવી જ પ્રણાલી અજમાવનાર શક્તિશાળી કવિઓના વર્ગના ‘સૌથી પ્રતિનિધિરૂપ કવિઓ’[10] તરીકે ઉલ્લેખ્યા. કોઈએ તેમને ‘ન્હાનાલાલ કવિના સીધા અને સમર્થ વારસ’[11] તરીકે ઓળખાવ્યા. ઉમાશંકરના જ સમકાલીન કવિ-વિવેચક શ્રી મનસુખલાલ ઝવેરીએ કન્નડ કવિ પુટપ્પા અને ઉમાશંકરને ભારતીય જ્ઞાનપીઠનું ૧૯૬૭નું એક લાખ રૂપિયાનું પારિતોષિક મળ્યું ત્યારે પ્રસંગને સાહજિક એવા ઉમળકાથી લખ્યું :

“ઉમાશંકર માત્ર ગાંધીયુગના જ અગ્રણી કવિ નથી : એમનું સ્થાન ગુજરાતી ભાષાના સર્વકાલીન કવિઓમાં છે. પણ ઉમાશંકર માત્ર મૂર્ધન્ય સાહિત્યકાર જ નથી : એક જીવંત સંસ્થા પણ છે. કવિ, વિદ્વાન, વિવરણકાર, વિવેચક, વિચારક, વિદ્યાગુરુ, તંત્રી, કાર્યપુરુષ અને સૌમ્યાશયી સજ્જન : ઉમાશંકર ઘણાં ઘણાં માણસોને મન ઘણી ઘણી વસ્તુઓ છે.” (‘ઉમાશંકર જોશી’, ૧૯૭૧, પૃ. ૯–૧૦)

પ્રાસંગિક ઉમળકા સાથે આ વિધાનમાં ઉમાશંકરની બહુમુખી પ્રતિભાસંપત્તિનો સ્વીકાર પણ છે જ.૧૧–૧ ઉમાશંકરની અનુકાલીન પેઢીના એક અગ્રણી કવિ શ્રી નિરંજન ભગતે ઉમાશંકરને પોતાના પ્રિય વિદ્યમાન કવિ તરીકે ગણાવતાં જણાવેલું :

“.....મને ઉમાશંકર પ્રિય છે કારણ કે એ ઉમાશંકર છે. એટલે કે એમની સર્જનપ્રવૃત્તિ – જે મનુષ્યમાત્રની સાચામાં સાચી આધ્યાત્મિક પ્રવૃત્તિ છે – તેમાં એક પ્રકારની અનન્યતા છે, મૌલિકતા છે. એમાં અન્યત્ર ક્યાંય નથી એવાં તત્ત્વોનું દર્શન થાય છે. એ પ્રવૃત્તિ એક પરમ પુરુષાર્થથી પ્રેરિત અને અલબત્ત, અનેક મથામણો અને મુસીબતોથી સભર એવા અખંડ પ્રયોગ જેવી છે.” (કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૮૪)

ઉમાશંકર પ્રથમ સર્જક છે, ત્યાર પછી વિવેચકાદિ અન્ય બધું છે. ‘જ્યોતિષ્કલિકા જેવા’ (‘like a bud of flame’) શબ્દના બંદા તરીકે તેઓ પોતાને ઓળખાવે છે.[12] તેઓ સાહિત્યકાર તરીકે શબ્દને શોધે છે; એટલું જ નહિ, શબ્દ દ્વારા, શબ્દરૂપે પોતાને શોધે છે.[13] એમની શબ્દખોજ આત્મખોજના પર્યાયરૂપ બની રહે છે અને જે શબ્દનો કલાકાર છે તેને શબ્દનો પૂર્ણ સાક્ષાત્કાર સર્જનની લીલાભૂમિ પર ન થાય તો અન્યત્ર ક્યાં થવાનો હતો ? ઉમાશંકરનું ચિત્ર સર્જનક્રિયાન્વિત શબ્દથી હમેશાં ખેંચાય છે. એમણે જ એક ઠેકાણે કહ્યું છે કે “મારા મગજનું બંધારણ કંઈક એવું છે કે હું રચું તે કરતાં તદ્દન જુદી – વિપરીત પણ – જાતની કૃતિઓનો આનંદ લઈ શકું છું. બધે શોધું છું બુલંદ સર્જકતાને અને જ્યાં જરીક પણ એ સાંપડે ત્યાં ઓશિંગણભાવે એને હૃદય વધાવે છે.” (કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૫૭) ઉમાશંકરે પોતાના આંતરવિકાસમાં શબ્દનો જે સર્જનાત્મક ફાળો છે તેનું બયાન આપતાં જણાવ્યું છે કે “મને પૂરો ખ્યાલ પણ આવે તે પહેલાં શબ્દ મને માનવજીવનમાં જે કંઈ અભિવ્યક્તિ માટે તલસી રહ્યું છે તે પ્રતિ દોરી ગયો. વસ્તુજગત અને પ્રાણીજગત સાથે એણે આત્મીયતાનો એક સેતુ રચી દીધો. શબ્દ એક એવી કૂંચી હતી, જેને લીધે વસ્તુઓ પોતાનું અંતર મારી સમક્ષ ખોલતી અને અંતે, શબ્દના જ રૂડા પ્રતાપે, ભૂતકાળમાં જે કંઈ અર્થસંપન્ન હતું તે એક જીવંત વર્તમાનરૂપે પ્રત્યક્ષ થયું અને અણદીઠ ભવિષ્યના મહાર્ણવ ઉપર શબ્દે પથરેખાઓ આંકી, અને એ રીતે મારે માટે સુસમૃદ્ધ એવી ભીતરતા રચી દીધી.” (કવિની શ્રદ્ધા, ૧૯૭૨, પૃ. ૨૩૮–૯) ઉમાશંકરની શબ્દસાધનાએ – એમની શબ્દસર્જકતાએ સાક્ષરપેઢી, ગાંધીયુગીન પેઢી અને અનુગાંધીયુગીન પેઢીને પ્રભાવિત કરી છે. અનુગાંધીયુગીન પેઢી પર એમની સર્જકતાનો પ્રભાવ કેટલો – એ પ્રશ્ન ચર્ચાવિચારણા માગી લે એવો છે, એની વાત પ્રસંગોપાત્ત, કરીશું. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ઉમાશંકરનું ‘વિશ્વશાંતિ’ સાક્ષરપેઢી અને ગાંધીયુગીન પેઢીને, તો એમનું ‘અભિજ્ઞા’ ગાંધીયુગીન પેઢી અને અનુગાંધીયુગીન પેઢી વચ્ચે સેતુરૂપ છે. શબ્દની રાહબરી નીચે ચાલતી એમની આ યાત્રા – એમની શબ્દરૂપ કર્મની સાધના સાક્ષરપેઢી, ગાંધીપેઢી અને અનુગાંધીપેઢીનાં વિલક્ષણ તત્ત્વોના રમણીય સમન્વયનું પ્રસન્ન દર્શન કરાવી રહે છે. એ સાધના સર્જન-વિવેચનમાં કેમ પ્રગટ થઈ છે એ જોવાનું સહેજેય રસપ્રદ થઈ પડે એમ છે. ઉમાશંકરની શબ્દ-સર્જકતાનું નિશાન સદા ઊંચું રહ્યું છે. ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧) લખાયું ત્યારે પણ એમની સિસૃક્ષા કોઈ મહાન નાટક માટેની હતી; જેના આડ-સર્જનરૂપે, ‘વિશ્વશાંતિ’ હતું. પછી પણ ઉમાશંકરના ‘પ્રાચીના’ (૧૯૪૪) તથા ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫)ના પ્રયોગો કોઈ પદ્યનાટક સિદ્ધ કરવાની દિશામાં ચાલતા રહ્યા છે. સર્જનના આરંભકાળે જે નાટક સર્જવાની મનમાં અભીપ્સા જાગેલી તેની જાણે પરિપૂર્તિ માટેનો વણથંભ પુરુષાર્થ સુધી ચાલ્યાં કર્યો હોય તેવો વહેમ ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫) જગાવે છે. ઉમાશંકરે અર્બુદાચલ પાસેથી ‘સૌન્દર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે’ (નિશીથ, ૧૯૬૨, પૃ. ૧૧૦) એવો ‘સૌન્દર્યમંત્ર’ મેળવ્યો પણ બીજી રીતે જોઈએ તો વ્યાસ ને વાલ્મીકિ, કાલિદાસ ને ભવભૂતિ, શેક્સપિયર અને ગ્યુઇથે, ટાગોર ને શ્રીઅરવિંદ — આવા આવા અનેક સર્જક મનીષિઓના ઉન્નત આત્માની અમૃતકલાનું રસપાન કરવાનો સૌન્દર્યમંત્ર પણ કવિએ ઝીલ્યો જણાય છે. સર્જક ઉમાશંકરને પ્રકૃતિ અને મનુષ્ય – ઉભય અમૃત-તીર્થો જણાયાં છે. એનું સૌન્દર્યદર્શન અને સૌન્દર્યગાન કરતાં તેમની હૃદયકળા અબાધિત રીતે પ્રગટે છે – વિકસે છે. ‘નખી સરોવર પર શરત્પૂર્ણિમા’ લખી એક બાજુ પ્રકૃતિને તો ‘વિશ્વશાંતિ’ લખી ‘જીવનના કલાધર’ એવા એક મહામાનવને હૃદયનો અર્ઘ્ય સમર્પતાં ઉમાશંકરે ધન્યતાનો અનુભવ કર્યો છે. મૂળમાં ડુંગરોના એવા[14] ઉમાશંકરને એક ડુંગરાએ – અર્બુદાચલે કાવ્યજીવનની દીક્ષા આપી. એ પ્રસંગનું વિવરણ કરતાં ઉમાશંકર લખે છે :

“લેખક તરીકે જેને અનુભૂતિ – અનુભવ કહેવાય એવા મને થોડાક જ થયા છે. એક તો નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા જોઈને થયેલો અનુભવ. સત્તર વર્ષની ઉંમર, જગતમાંથી ખાસ કરીને પ્રકૃતિ પાસેથી કાવ્યદીક્ષા મેળવવા મન તલસતું હતું. અર્બુદગિરિની પર્વતશ્રીએ શરત્પૂર્ણિમાના પ્રફુલ્લ આલોકમાં એ રાત્રિએ ધન્ય મંત્ર આપ્યો : ‘સૌન્દર્યો પી : ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ અમે પર્વતો મોં ખોલીને પાણી પીતા દેખાતા નથી, અમારી ઉપરથી પાણી પડ્યું એવું દડી જતું દેખાય છે, તેમ છતાં ચૂપચાપ અમે અમારી અંદર પાણી લેતા રહીએ છીએ. અંદર પાણીનો બરોબર સંચય થયો એટલે પછી ગમે તેવી શિલાઓનાં દ્વાર તોડીને પણ ઝરણ આપોઆપ બહાર ધસી આવે છે. જાણે અમારું – કઠોર પર્વતોનું – હૃદય જ ગાવા મંડ્યું ન હોય ! કવિ, વિશ્વમાં સૌન્દર્યની સતત ધારાવર્ષા થઈ રહી છે. તેં જો તારી અંદર એને ઉતારીને એનો પૂરો સંચય કર્યો હશે, તો તારું ઉરઝરણ પછી આપમેળે ગાવા મંડી પડશે. એ વખતે જીવનનો આરંભ કરવા માટે આ મંત્ર બસ હતો.” (‘કવિતાનો જન્મ’, નિરીક્ષા, ૧૯૬૦, પૃ. ૨૩૦–૧)

ઉમાશંકરે ‘આબુ’ નામના આત્મચરિત્રાત્મક લેખ(સંસ્કૃતિ, ઑક્ટોબર, ૧૯૪૭, પૃ. ૩૯૦)માં પણ આ અનુભવની વાત આવા શબ્દોમાં કરી છે : “મૂઢ અવાક જેવો હું ઊભો હતો. ત્યાં હૃદયની જડતાના થરોને ભેદીને જાણે શબ્દસરવાણી ઉદ્ભવી : સૌન્દર્યો પી : ઉરઝરણ ગાશે પછી આપમેળે. રાત્રે ઠંડીથી આંખ ઊઘડી જતાં પાછું એ હૃદયંગમ દૃશ્ય પ્રત્યક્ષ થયું. એ તે સ્વપ્ન હશે કે યથાર્થ અનુભવ ? સ્વપ્ન હોય તોપણ એક સિદ્ધિ જેવું મનમાં રમી રહ્યું. જાણે અર્બુદાચળે આપેલી અણમોલ ભેટ. જાણે અર્બુદાચળે આજે શરત્પૂર્ણિમાના એકાદ કિરણથી મારી આંખો આંજી, સચરાચર સૃષ્ટિ ઉપર હંમેશ માટે બેહદની ભૂરકી છાંટી દીધી અને અનાયાસ ગાનના મર્મની દીક્ષા આપી. મારું બાલચિત્ત કૃતાર્થતાથી લચી રહ્યું.” આ ઉમાશંકરે પ્રકૃતિ પાસેથી આત્મસભર કેમ થવું એનો સંદેશો મેળવ્યો – અર્બુદગિરિ પાસેથી કાવ્યજીવનની (સૌન્દર્યનિષ્ઠ ઉન્નત જીવનની) દીક્ષા મેળવી, તો જીવનસમગ્રની (આધ્યાત્મિક મુક્તિની) દીક્ષા જેલની દીવાલો – બંધનો વચ્ચે મેળવી ! એ પ્રસંગનું નિરૂપણ કરતાં તેઓ લખે છે :

“રોજ સવારે વહેલો ઊઠી દીવાલથી જરીક દૂર – અઢેલ્યા વગર – ટટાર બેસી અંતરનું અતલાન્ત તળિયું તપાસવા ફાંફાં મારવાની ટેવ એ વખતે કેળવી હતી. એક દિવસે પ્રાત:કાળે માથા પર જાણે કોઈ અગોચર સ્પર્શ થયો અને એના વેગ નીચે દબાઈને આખું અસ્તિત્વ પૃથ્વીની સપાટી સાથે સમરેખ થઈ ગયું. પૂર્ણ આત્મવિલોપનનો – પ્રકાશભર્યા આત્મવિલોપનનો ભાવ ઊભરાઈ રહ્યો. શૂન્યતાનો નહિ – સભરતાનો એ અનુભવ હતો.” (‘કવિતાનો જન્મ’, નિરીક્ષા, ૧૯૬૦, પૃ. ૨૩૨)
ઉમાશંકરની કવિતા – એમનું સર્જન એમની આ દીક્ષિત આંતરજીવનની સ્પષ્ટ છાપ આપે છે તે અનેક દૃષ્ટાંતોમાં જોઈ શકાય એમ છે. ‘વિશ્વશાંતિ’માં શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો ગજાવતો અને એ રીતે પ્રતિધ્વનિત થતો જે ચેતનમંત્ર – જે ‘મંગલ શબ્દ’; ગાંધીએ સાંભળ્યો, તે ઉમાશંકરે પણ સાંભળ્યો જ છે. તેથી તો ‘વિશ્વશાંતિ’ સર્જાયું ! આ ‘વિશ્વશાંતિ’ની સાધનામાં – એની કવિતામાં તેઓ પણ ‘આપણે માનવી’ને નાતે સામેલ છે.

“સૌ જીવ આજે ઉપરથી વહાવીએ
કારુણ્યની મંગલ પ્રેમધારા.”
(વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૨૨)

— આ અભીપ્સામાં આબુ પાસેથી લાધેલો સૌન્દર્યમંત્ર અને જેલમાંથી લાધેલો જીવનમંત્ર – બંનેયની પ્રેરી શિવોર્મિ (શબ્દરૂપ કાર્યોર્મિ) વરતાય છે. ઉમાશંકરે સર્જકજીવનના આરંભે જ જે કેન્દ્ર પર રહીને વિશ્વશાંતિનું વર્તુળ દોર્યું છે એની ઊંડળમાં – એના પરિઘમાં ન્હાનાલાલનિર્દિષ્ટ બધા પ્રકારના પ્રેમનાં – પરમ પ્રેમ પરબ્રહ્મનાં બધાં જ સ્વરૂપો આવી જાય છે. ‘વિશ્વશાંતિ’ એમના વિશ્વપ્રેમનું ને તેથી જ બુલંદ માનવપ્રેમનું, સત્યપ્રેમ, સ્વાતંત્ર્યપ્રેમ, રાષ્ટ્રપ્રેમ ઇત્યાદિનું ભાવનાસભર ઉચ્ચારણ બની રહે છે. + ‘ગુજરાતના સાહિત્યસર્જકો’ (૧૯૫૯)માં ‘ઉમાશંકર જોષી’ લેખ (પૃ. ૧૦૬–૮)માં “ઈડરની રાજધાની હિંમતનગરની શાળામાં તો તેમણે નામના મેળવેલી જ” એમ જે વિધાન છે તે કંઈક સંદિગ્ધ છે. ઉમાશંકરે હિંમતનગરની શાળામાં અભ્યાસ નહિ કરેલો એટલું તો સ્પષ્ટ છે જ. જેમ ન્હાનાલાલનો પ્રિય શબ્દ ‘બ્રહ્મ’ છે, તેમ ઉમાશંકરનો પ્રિય શબ્દ ‘વિશ્વ’ છે.[15] ‘વિશ્વતોમુખી’[16]થવું, ‘વિશ્વમાનવી’[17] બનવું, ‘વિશ્વશાંતિ’ સિદ્ધ કરવી, વિશ્વહૈયાનાં સ્પંદનો લઘુ ઉરે ઝીલવાં,Cite error: Invalid <ref> tag; invalid names, e.g. too many — આ એમની તીવ્ર અભીપ્સા છે. વળી વળીને ‘તેજના વારસ’[18] એવા મનુષ્યની દિવ્યતાનું – ‘માનુષ દિવ્યતા’[19]નું એમને પ્રબળ આકર્ષણ છે. એમનો પ્રણય ‘સત્પ્રણય’ છે, ‘વિરાટ પ્રણય’ છે, એમની પ્રિયા માનવજાતિ છે, એમની શોધ કવિતાની છે. કવિતા એમને મન ‘વિશ્વકાવ્યજનની’[20]છે, મહા જનવિમર્દમાં પણ કવિશબ્દ એમને મન સંજીવનીરૂપ [21] છે અને તેથી જ જે સમયમાં છ કલાક ખાદીકામને આપતા હતા એ સમયમાં મગજની કોઢના પાછલા ભાગમાં તેઓ ‘વિશ્વશાંતિ’ને પણ ઘાટ આપતા રહ્યા હતા.[22] ઉમાશંકર જે વાતાવરણમાં ઊછર્યા – ઘડાયા એ જોતાં એમના શીલભદ્ર વ્યક્તિત્વનો – એમના અભિજાત કવિત્વનો કંઈક તાગ પામી શકાય છે. ઉમાશંકરનો જન્મ બામણા ગામમાં, ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિમાં, જેઠાલાલ કમળજી જોષીને ત્યાં, નવલબહેન(તે ભાઈશંકર ઠાકરની પુત્રી)ની કૂખે, ૨૧-૭-૧૯૧૧ (સંવત ૧૯૬૭ના આષાઢ વદ ૧૦)ના રોજ થયો. પિતા જેઠાલાલ (અવસાન : ૧૯૩૪) ‘ડુંગરાવાળા’ તરીકે ઓળખાતા. લુસડિયાની મિશનની શાળામાં સાત ચોપડીનું ઉત્તમ શિક્ષણ પામેલા. લુસડિયા શામળાજી પાસેના ડુંગરોમાં આવેલું છે. મૂળ ત્યાંના, પણ ઉમાશંકરના જન્મ અગાઉ એમનું કુટુંબ છપ્પનિયા દુકાળમાં લુસડિયામાં લૂંટાયું. પછી બામણા ગામમાં આવીને વસેલું. પિતા તે તરફની બે જાગીર દેવની મોરી અને સામેરાના ‘કારભારી’ હતા. કેળવણીનો મહિમા તેઓ સમજતા હતા. સમગ્ર પરિવારના કેન્દ્રમાં તેઓ હતા. કુલ સાત ભાઈ ને બે બહેન [રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જસોદાબહેન (જોઈતી), કેસરબહેન (સોહ્યતી) ને દેવેન્દ્ર]. તેમાં ઉમાશંકર ત્રીજા. ઉમાશંકરને કુટુંબના વહાલભર્યા વાતાવરણનો સારો લાભ મળ્યો હતો. તેઓ લખે છે :

“ઈડર ભણવા ગયો ત્યાં સુધી મારા અનુભવમાં આવેલો સમાજ મુખ્યત્વે મારા ગામનો. સગાંવહાલાંઓને મળવા પાસેનાં બીજાં ગામોનો પ્રવાસ કરીએ – પણ તે પાંચ ગાઉની સીમમાં. દૂરમાં દૂર બિંદુ શામળાજી – લુસડિયાનું – દસબાર ગાઉને અંતરે. આટલા વર્તુળમાં દસ વર્ષ સુધીનું જીવન ચાલ્યું. ફોઈનું ગામ, મામાનું ગામ, શામળાજી, – એ મુખ્ય ભાવકેન્દ્રો હતાં. બાલચિત્ત ઉપર બ્રાહ્મણો સિવાયના સમાજના જીવનની અને સમગ્ર ગ્રામજીવનની – ખેતીપ્રધાન જીવનની અનેકવિધ છાપો પડ્યે જતી. પણ એ વખતે મજબૂત તંતુ તો કુટુંબનો જ.” (કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૫)

માતા નવલબહેન (અવસાન : ૫–૨–૧૯૬૭) આમ નિરક્ષર, પણ તેજસ્વી સ્મૃતિવાળાં ને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર સન્નારી હતાં. તેમના પિતાના મામા અધ્યાત્મસાધનામાં સારી પેઠે આગળ વધેલા સંન્યાસી હતા. તેઓ વડોદરામાં રહેતા. માતા નવલબાઈને બાળપણમાં એમની સાથે રહેતાં ઉચ્ચ જીવનના સંસ્કારો સહેજેય મળ્યા. વળી તે વખતે સારાયે ચરોતરનો પ્રવાસપરિચય પણ સંન્યાસી સાથે ફરતાં તેમણે મેળવેલો. તેથી તેમનામાં આત્મસમૃદ્ધિ ને આત્મવિશ્વાસ સારી પેઠે હતાં. પોતાનો દીકરો (ઉમાશંકર) ‘આજ’ને બદલે ‘અત્યારે’ બોલે તે પણ તેમની નોંધ બહાર જતું નહિ. ઉમાશંકર વીસમી સદીનું ફરજંદ. જે દાયકામાં એ જન્મ્યા એ દાયકો મહાન વૈશ્વિક ઘટનાઓનો દાયકો હતો. એનો પ્રભાવ ગુજરાતના દૂરના એક ખૂણામાં, ‘નાની મારવાડ’ નામે ઓળખાતા ઈડર રાજ્યના બામણા ગામમાં ખાસ ન હોય એ સમજી શકાય એવું છે. આમ ઐહિક સગવડસમૃદ્ધિની દૃષ્ટિએ, અક્ષરજ્ઞાનની દૃષ્ટિએ પછાત એવો એમનો પ્રદેશ પ્રકૃતિની અઢળક કૃપા પામેલો પ્રદેશ હતો. ઉમાશંકરને બાળપણમાં શામળાજીના રળિયામણા પ્રદેશનો ઘનિષ્ઠ પરિચય થયો હતો. ડુંગરોથી વીંટાયેલું ને કમળોથી ભરેલું શામળાજીનું કરમા તળાવ એમનું બાળપણનું સાથી હતું. કેટલાય સૂર્યોદયો અને સૂર્યાસ્તો, કેટલીય સોનારસી બપોરો આ પહાડ અને પાણીની રમ્યશ્રી વચ્ચે પસાર કરેલી. ડુંગર સાથે અથડાઈને પૂર્વથી પશ્ચિમ ડુંગરની ધારે ધારે વહેતો તટપરની વૃક્ષરાજિથી શોભતો મેશ્વો – ‘પરુહ (પુરુષ)’ મેશ્વો પણ તેમનો બાળપણનો સાથી હતો. આ પ્રકૃતિસૌન્દર્યના સમુદાર અનુભવે એમના હૃદયને કવિતાદૃષ્ટિએ ઠીક ઠીક પુષ્ટિ આપી હશે. [23]

  • આમ કહેનાર ઉમાશંકરે MAHFILને આપેલ મુલાકાતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પોતે ગાંધીપ્રેમી હતા, ગાંધીયન – ગાંધીવાદી નહીં. તેઓ કહે છે : “I am, by nature (may be by my artistic nature) a nonconformist and could permit myself to be sucked in by however a powerful force.

(`Journal of South Asian Literature', P. ૩)

  • ઉમાશંકરે બ. ક. ઠાકોર, ગાંધીજી વગેરેનો પ્રભાવ ઝીલવા છતાં પોતાના આંતર વ્યક્તિત્વને સ્વતંત્ર રીતે પ્રગટવા દેવાની કાળજી લીધી જણાય છે.

ઉમાશંકરે કડી છાત્રસંમેલનના પ્રમુખ તરીકે છાત્રોને ઉદ્બોધન કરતાં એમના શૈશવનું સુરેખ ચિત્ર આંકેલું. તેમણે કહેલું :

“તમને જોઉં છું ને તરત મને વરસો પહેલાંની એક સાંજ યાદ આવે છે, જ્યારે ઊંટ પર ચઢી બેસીને મારા ગામના ડુંગરા મેં છોડ્યા હતા, તમને જોઉં છું ને અનેક ગામડાંનાં અનેક પાદરો મારી નજર આગળ તરવરે છે. હોંસભરી બા ‘ડાહ્યો થજે બેટા’ કહી બાળકને હાથે બચી કરી વિદાય આપે છે. દૂર ગાડીમાં રસ્તાના વળાંક પાછળ સૌ એકમેકને દેખાતાં બંધ થાય તે પછી પણ ‘માસ્તરનું કહ્યું માનજે બેટા’ એવો બાનો અવાજ આવે છે તો સામેથી છોકરો, તોફાની હોય તોપણ એ ઘડીએ ઠાવકો બનીને, ‘વારુ’ એમ ટહુકો કરે છે. બધી ધમાલમાં વૃદ્ધ માતાજીએ એને એક બાજુ લઈ જઈ આંખમાં પાણી લાવીને શું કહેલું ? ‘બેટા, દેશાવર ખેડે, પણ આપણી ઝૂંપડી ભૂલીશ મા. ઉગમણે બારણે આપણું ઘર છે.’ આ બધાં હેત લાડ આંસુ આશાઓ, બધું સંભારતો સંભારતો વિદ્યાર્થી છાત્રાલય ભણી કોડભર્યો ચાલ્યો જાય છે. આવા તો કેટલાય વિદ્યાર્થીઓ અનેક ગામોથી નીકળી અનેક છાત્રાલયો ભણી ચાલ્યાં આવે છે. નથી જોતા શિયાળાની ઠંડી, નથી જોતા ચોમાસાની રેલ. ઉનાળો તપતો હોય, નવા નવા ખરીદેલા જોડા સવારના પહોરમાં જ ઉત્સાહથી પહેરતાં ડંખ્યા હોય એટલે રેતી તપે ત્યારે તો હાથમાં ઉપાડીને પગે થનગનતા ચાલે. નાનકડી કોઈ લીંબડી મળી જાય તો તેની નીચે જઈ થોડો વિસામો લે. અર્ધા અર્ધા ગવાતા હોલાના ગીતને અણસારે જળાશય કલ્પીને તે તરફ બપોરા ગાળવા માટે જાય. પણ નમતો પહોર થતાં કોયલોને સામો અવાજ કરી ચીડવતાં ચીડવતાં, સાંજ પડતાં તો શંભુ મહારાજની બનાવેલી ભાખરી ખાવા છાત્રાલયમાં હાજર થઈ જાય છે. હોળીગાળે કેસૂડાંની રંગલીલા માણતા, ટેકરીઓ ચઢતા-ઊતરતા, વસંતની મસ્તીનો ફાગ લલકારતા ઘર તરફ આંટો મારી આવે છે; તો ચોમાસે વળી બાજરીનાં વિશાળ ખેતરો તરી ઊતરી નદી-નાળાં પાર કરી શ્રાવણના મેળા માણી આવે છે. અને વૅકેશન પૂરુ થતાં ? મુસાફરીમાં એકાદ ટટ્ટુ હોય તો કયા બે જણા સવાર થાય, કોણ આગળ બેસે, કોણ પાછળ, કોણ લગામ પકડે ને કોણ સોટી ચમકાવે એના રમૂજી કજિયા ચલાવતા. રસ્તે આંબા પરની શાખો પાડતા, કરોળિયાનાં જાળાં પાંપણોમાં ભરાઈ જાય તેને હઠાવતા, કલ્લોલ કરતા છાત્રાલય ભણી ચાલ્યા આવે છે. કુદરતમાંથી અને મનુષ્યોમાંથી, દુનિયાને ખબર ન પડે એમ, અખૂટ આનંદ-ઉલ્લાસ પીને, પ્રજાજીવનનાં આ નવાણો કદી કૂદતાં, કદી પછડાતાં, ક્યાંક છલંગ મારતાં, ક્યાંક ઠોકરાતાં, કોઈ સુકાતાં તો કોઈ બમણા વેગથી છલકાતાં અને આગળ ધપ્પે જતાં અત્યારે મારી નજર સામે તરવરી રહે છે – અત્યારે તમને જોઉં છું ત્યારે.” (‘મને સાંભરે રે’, ગોષ્ઠિ, ૧૯૫૭, પૃ. ૫૦–૫૨)
  • ડૉ. ચંદ્રકાન્ત મહેતા (‘કવિતાની રમ્ય કેડીએ’, ૧૯૭૧, પૃ. ૧૯૫) લખે છે : “આજે એઓ વ્યક્તિ મટીને વિશ્વમાનવી બન્યા છે.” આ ઉદ્ગારોનો ઉમાશંકર પ્રત્યેના સદ્ભાવથી વિશેષ અર્થ કરવો જરૂરી ખરો ? એક અર્થમાં કવિમાત્ર ‘વિશ્વમાનવી’ હોય છે. અહીં એવો અર્થ લેવો રહ્યો.

આ દીર્ઘ અવતરણ એમના બાળપણનું ચિત્રાત્મક દર્શન કરાવી રહે છે. ગુજરાતી ચાર ધોરણ બામણા ગામની શાળામાં કર્યા પછી, ૧૯૨૦માં આગળના ભણતર માટે તેઓ બાર ગાઉ છેટે આવેલા ઈડરના છાત્રાલયમાં રહ્યા. આ વખતે ઉમાશંકરની ભાળવણી મોટા ભાઈ રામશંકર દ્વારા પન્નાલાલને કરવામાં આવી હતી. આ છાત્રાલયનિવાસ દરમિયાન ઉમાશંકરની આંતરશક્તિઓ સારા પ્રમાણમાં વિકસી હતી. દસમા ધોરણમાં તેઓ વડાછાત્ર (હેડ બોર્ડર) બનેલા. કોઠારનો અને તમામ વિદ્યાર્થીઓનો હિસાબ પણ તેઓ રાખતા. આ છાત્રાલયજીવને દસબાર જિંદગી સુધી વાગોળ્યા કરીએ તોયે ન ખૂટે એટલો ઊંડો આનંદ અને દુનિયાનો મોંઘો અનુભવ [24] થોડાં વરસોમાં એમને આપ્યો. ઉમાશંકરે કવિતા તરફ પોતાને પ્રેરનાર પરિબળો વિશે વાત કરતાં કુટુંબના વહાલસોયા જીવનની, ગામડાંની સીમ ને ગિરિપ્રદેશનાં કુદરતી સૌન્દર્યની, તે બાજુના લોકમેળાઓ અને લોકોની ભાષાસ્વાદની શક્તિની ખાસ નોંધ કરી છે. તેઓ જણાવે છે :

“ડુંગરની ભેખડે આવેલા ઉગમણા ઘરની સામે ક્ષિતિજ ઉપર ગિરિમાળાને મથાળે રમતા ઉષાના રંગો અને એમાં ક્યારેક તરવરતો સારસોનો ધ્વનિ, લીલાંછમ ખેતરો, ચોમાસાના ઉત્સવો, વધામણાં, ઉજાણી અને મેળા – આ બધાં દ્વારા કુદરતનો અને માનવજીવનનો સંસ્પર્શ અનુભવાતો. આવા અનુભવો ગામડામાં જાણે કે ગળથૂથીમાં જ મળી રહે. ખાસ કરીને મેળાઓની છાપ મને ખૂબ મહત્ત્વની લાગે છે. મેળો એકદમ આપણને આપણા સીમિત કુટુંબમાંથી ઉઠાવીને એક વિશાળ કુટુંબના બનાવી દે છે. મેળો આ શિક્ષણ આપે છે – બહુ ગૂઢ રીતે, રંગો, અવાજોની કૌતુકમયી એક આખી દુનિયાની અનુભૂતિ દ્વારા ચેતના ઉપર વિશાળતાની એક છાલક નાખીને.” (કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૫–૬)
  • ઉમાશંકરે એમની વિદ્યાપીઠ-વાસરીમાં ૨૨–૧૦–૧૯૩૧ની નોંધમાં ‘વિશ્વશાંતિ’ની કાકાસાહેબની પ્રસ્તાવનાના ‘ઊગતી સૃષ્ટિ સાથે જેમને... શોધી કાઢે છે’ – એ વિધાનના અહંલક્ષી અર્થઘટનના અનુષંગે તટસ્થ આત્મદર્શન કરતાં લખ્યું છે : “અહો ! હું !! ઓ અનંત સર્વવ્યાપી હું ! આ નાનકડા ‘હું’ને ગળી જા !”�(’૩૧માં ડોકિયું, ૧૯૭૭, પૃ. ૧૪૦)

તેમણે શામળાજીના કાર્તિકી પૂનમના એક મેળાના સંદર્ભમાં જણાવ્યું છે કે “સમગ્ર શિક્ષણ–અધ્યયનમાંથી ગીતલેખન અંગે હું નહીં પામ્યો હોઉં એટલું એ એક રાત્રિના અને તે પણ એક મંડળીના અનુભવમાંથી પામ્યો છું. એમ કહું તો એમાં કશી જ અતિશયોક્તિ નથી. ગીતોનાં ઢાળ, લય, શબ્દાવલી, વિષય – અને અભિનય પણ – બધું જ ગમે તે ધોરણે તપાસીએ તો અત્યંત ઉચ્ચ કક્ષાનું હતું. મારા પૂરતી તો એને ગીતલેખનની યુનિવર્સિટી ગણું.”[25] આ સાથે તેમણે કવિતા તરફ પ્રેરનારી સૌથી મોટી વસ્તુ તે એમના સમાજના લોકોની ભાષાનો સ્વાદ લેવાની શક્તિ છે. ઉમાશંકરે જ એ જણાવ્યું છે : “મને એ વખતે અને પછીથી પણ લાગ્યું છે કે દરેક વ્યક્તિ શબ્દો બોલતાં એનો પૂરો સ્વાદ માણે છે.” [26] ઉમાશંકરની શબ્દાભિમુખવૃત્તિનો – ભાષાસ્વાદનો પરચો ‘સાપના ભારા’-માંથી મળી રહે છે; એટલું જ નહિ, એમના તે સિવાયના સર્જન અને વિવેચનમાંથી પણ ભાષા-સ્વાદનાં મનોહર દૃષ્ટાંતો મળી આવે છે, જેની વાત આગળ પર કરીશું. ઉમાશંકરની શબ્દને પામવાની, શબ્દમધુને અંતરમાં સારવી લેવાની વૃત્તિ પ્રબળ છે. જ્યાંથી મળે ત્યાંથી શબ્દને પામવાનો યોગ (એક પ્રકારનો સહજયોગ જ વળી !) ઉમાશંકરને સંસિદ્ધ છે. એમની આંખ જેમ મનુષ્ય અને પ્રકૃતિની ભાવરેખાઓ અને સૌન્દર્યરેખાઓને વાંચી લેવામાં પાવરધી હતી એમ એમનો કાન શબ્દ અને લયને પામી લેવામાં અત્યંત ચપળ હતા. ઉમાશંકરે ‘નિદ્રા મહીં નહીં હતું તનભાન જ્યારે’ એ ત્યારના પાઠ્યપુસ્તકમાંના વસંતતિલકાના છંદોઘોષના પોતાના અવિસ્મરણીય અનુભવની વાત કરી છે. આનર્તના આ બાળકને નાટ્યખેલોનું આકર્ષણ પણ રહ્યું છે ને પ્રસંગોપાત્ત, સૂત્રધારની જવાબદારી ભુજંગી છંદ વાંચીને અદા પણ કરી છે ! વળી હાર્મોનિયમ જાણનાર એક સહાધ્યાયી પાસેથી છંદની દીક્ષા મળ્યાનું પણ તેમણે નોંધ્યું છે.[27] ઉમાશંકર પોતાનો ઉછેર સરકારી વાચનમાળા પર થયાનું જણાવે છે.[28] પણ એમની વાચનભૂખ એટલી કે ‘વાચનયોગ’નો વિસ્તાર-વિકાસ કરવાની તક જ્યારે મળી છે ત્યારે તેમણે તે જતી કરી નથી. એમની સ્મરણશક્તિ પહેલેથી ખૂબ સતેજ રહી છે, શિક્ષકો પણ કુદરતનો શોખ પોષનારા અને ભાષા, વ્યાકરણ, ગણિત – બધા વિષયો અત્યંત ચીવટથી ભણાવનારા હતા. પરિણામે શરીરે નબળા દેખાતા ઉમાશંકર ભણવાની શક્તિ સારા પ્રમાણમાં વિકસાવી શક્યા.[29] ઉમાશંકરે એમના ઘડતરકાળમાં ‘મણિકાન્તકાવ્યમાળા’, ‘દલપતકાવ્ય’, ‘કાવ્યમાધુર્ય’ વગેરેના વાચનથી કેવી અસર અનુભવેલી એનું બયાન કર્યું છે. લૉર્ડ ઓવેબરીના ‘પ્લેઝર્સ ઑવ લાઇફ’નો ડૉ. હરિપ્રસાદ દેસાઈકૃત અનુવાદ ‘સંસારનાં સુખ’ એમનું એક કાળે પ્રિય પુસ્તક હતું. ચાર્લ્સ અને મેરી લૅમ્બની શેક્સપિયર-કથાઓ એમણે વાંચી હતી. સાતમા ધોરણમાં હતા ત્યારે ‘સરસ્વતીચંદ્ર’ ભાગ પહેલો એમના સુધી પહોંચી ગયેલો અને તે વેળા એમના ચકોર શિક્ષક ખેમજીભાઈએ વત્સલ અવાજથી ટકોર પણ કરેલી : “ઉમાપતિ, ‘સરસ્વતીચંદ્ર’ વાંચવાની હજી વાર છે.”૩૧ ઈડરમાં ઉમાશંકર હતા તે દરમ્યાન પુસ્તકો તો ઝાઝાં મળ્યાં નહિ, પણ એમની પુસ્તકો માટેની ભૂખ તીવ્ર હતી. તેઓ એ ગાળાને યાદ કરતાં કહે છે : “હેડમાસ્તરના ટેબલ પર પડી રહેતું એન. એમ. ત્રિપાઠીનું સૂચિપત્ર – એ મને કેટલું વહાલું હતું ! અમદાવાદ જાઉં અને હાથમાં પાંચ રૂપિયા હોય, દસ રૂપિયા હોય તો કયાં કયાં પુસ્તકો લઉં એની યાદી જિહ્વાગ્રે હતી. લેખકોનાં અને પુસ્તકોનાં નામોથી મન ભર્યું ભર્યું રહેતું.”[30] આ ઉમાશંકરને ‘પુસ્તકોનું પેટ ભરીને દર્શન’ કરવા મળ્યું, અમદાવાદ આવ્યા ત્યારે, ગૂજરાત વિદ્યાપીઠના ‘ઓપન-એક્સેસ’ ગ્રંથાલયમાં.

  • શ્રી ચુનીલાલ મડિયા ૧૯૪૬થી ખાસ્સા એક તપ સુધીની સ્વૈચ્છિક નોકરીત્યાગ વડે કરેલ સાહિત્યસાધનાને તેમના વિખ્યાત ‘ત્યાગકર્મ’ તરીકે ઓળખાવે છે. (‘પુરસ્કાર અને અનુદાન’, રુચિ, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૮)

અમદાવાદ મૅટ્રિકના અભ્યાસ માટે આવ્યા+ તે દરમ્યાન એમનું વાચન ઠીક ઠીક આગળ ચાલ્યું. કાલિદાસનું ‘શાકુંતલ’ મણિલાલ નભુભાઈ દ્વારા અનૂદિત ભવભૂતિનું ‘ઉત્તરરામચરિત’ તેમના વાંચવામાં આવ્યાં. કૉલેજકાળ દરમ્યાન ઉપનિષદના ટુકડાઓ, શાંકરભાષ્ય આદિનો પરિચય થયો. કાન્તનો ‘પૂર્વાલાપ’ ને રા. વિ. પાઠકની ‘દ્વિરેફની વાતો’ પ્રો. કીકુભાઈ દેસાઈના આગ્રહથી વાંચ્યાં. ‘વાચનયોગ’ની ખરેખરી તક મળી ઉમાશંકરને જેલમાં. ૧૯૩૦માં સાબરમતી જેલમાં તેઓ મરાઠી શીખ્યા, તુકારામને વાંચ્યા. યરવડા જેલમાં બંગાળી શીખ્યા અને રવીન્દ્રનાથનાં કાવ્યો વાંચ્યાં; ટૉલ્સ્ટૉયનાં નાટકો પણ એમના વાંચવામાં આવ્યાં. આ બધા વાચને એમના સર્જકચિત્તને મૂળ પોષણ આપ્યું; કેમ કે, લેખક શી ચાલ ચાલે છે તેના ઉપર સતત નજર રાખીને વાંચવાની એમની ટેવ હતી. સર્જનને અનુષંગે પણ કેટલુંક વાંચવાની એમને જરૂરિયાત લાગી. ઉમાશંકરે શંકર દીક્ષિત-કૃત ‘જ્યોતિર્વિલાસ’, ટૉમસ ઈ. કેમ્પીઝકૃત ‘ઇમિટેશન ઑવ ક્રાઇસ્ટ’ વગેરે પુસ્તકો તો વાંચ્યાં જ પણ ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મેળવવાના પ્રયત્નો પણ એમણે કર્યા અને તેનો લાભ ‘વિશ્વશાંતિ’ને મળેલો જોઈ શકાય છે. વળી ખગોળ, ભૂગોળ, નાટ્યકલા ને કાવ્યવિવેચના જેવા પ્રિય વિષયોમાં પણ તેમનું ચિત્ત ત્યારે અને પછી પણ રમમાણ રહેલું અને તેનો લાભ ‘નિશીથ’ જેવાં કાવ્યો, ગદ્યનાટકો ને પદ્યનાટકોના પ્રયત્નો, રસલક્ષી વિવેચના, રમણીય પ્રવાસપત્રો ઇત્યાદિને મળતો રહેલો જણાય છે. ૧૯૩૧માં ગાંધી-ઇરવિન સમજૂતી પછી કૉલેજમાં પાછા ન જતાં, ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના સાંનિધ્યમાં રહેવાનું પસંદ કર્યું એથી પણ એમને ઠીક ઠીક લાભ થયો.[31] ઉમાશંકરના ઘડતરમાં જેમ એમના કૌટુંબિક વાતાવરણ, પ્રકૃતિનો સંસર્ગ, લોક અને શાસ્ત્રનું અવેક્ષણ વગેરે મહત્ત્વનાં છે તેમ એમના સમયની જે મહત્ત્વની ઘટનાઓ તેનો પણ ફાળો ખૂબ અગત્યનો છે. ગાંધીજીનાં હિન્દુસ્તાનમાંના કાર્યના જે ત્રણ કે ચાર તબક્કા ૧૯૨૦, ૧૯૩૦, ૧૯૪૨, તેમાં ઉમાશંકર ૧૯૨૦ના તબક્કાને જુવાળનો (લોકઆંદોલનનો) તબક્કો ગણે છે, ૧૯૩૦ના તબક્કામાં નીતર્યાં પાણીની સ્થિતિ જુએ છે. એ ગાળામાં “એમની તપસ્યા પ્રજા સુધી પહોંચી હતી. એ ગાળામાં લેખકો, કલાકારો, સાંસ્કૃતિક કાર્યકરો એમના પ્રત્યે ખેંચાઈ આવ્યા.”[32] એમના આ નિરીક્ષણની પોતે જ એક સાબિતી છે ! તે કાળના હવામાનમાં જેમનો ‘મંગલ શબ્દ’ ગુંજરતો હતો તે ગાંધીજી, વિવેકાનંદ, ટૉલ્સ્ટૉય વગેરેથી ઉમાશંકરનો મનોગર્ભ પોષાયો હતો. ઈડરની બોર્ડિંગમાં હતા તે સમય દરમ્યાન રાષ્ટ્રપ્રેમની યત્કિંચિત્ વાતો કઈ રીતે તેમના સુધી પહોંચી તેનું રસમય બયાન તેમણે આપ્યું છે : “મને યાદ છે કે મને રાષ્ટ્રપ્રેમના પદાર્થપાઠ અમારી બોર્ડિંગના રસોઇયા પાસેથી મળ્યા તે પહેલાં કોઈએ આપવાની દરકાર કરી ન હતી. અસહકારનો પ્રથમ જુવાળ આવતો હતો. વાતાવરણ બધે ગરમ દેખાતું, પણ માંડીને વાત કોણ કહે ? એક વાર પીરસી આવી, રોટલીની મોટી થપ્પી પર, તબલા ઉપર લગાવતો હોય એમ ઠોક લગાવીને મોટી મૂછાળો અમારો રસોયો છટાથી કોઈ એક ‘માત્મા’નું આછું-ઊડતું રેખાચિત્ર દોરી દેતો અને એણે બડા ગવંડરને કેવા કેવા ચમત્કાર કરી બતાવી મહાત કરી દીધો હતો એના દિલ ઉશ્કેરનારા કિસ્સા કહેતો.” (ગોષ્ઠી, ૧૯૫૭, પૃ. ૬૧–૬૨) આ ઉમાશંકર ૧૯૨૭માં અમદાવાદ આવ્યા ત્યારે અમદાવાદ તેમને માટે કેવળ શિક્ષણતીર્થ જ નહિ, સાક્ષરતીર્થ અને ગાંધીતીર્થ પણ હતું. સ્વ. બલવંતરાય પ્રમોદરાય ઠાકોર તથા શ્રી જીવણલાલ દીવાન જેવા વિદ્યાર્થીવત્સલ અને સ્વદેશ-વત્સલ શિક્ષકોનો પ્રૉપ્રાયટરી સ્કૂલમાં સંપર્ક, ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબની પ્રેરક – સર્જનપ્રેરક સંનિધિ – તેમના સંસ્કારપિંડના સંવર્ધનમાં સારી પેઠે ઉપકારક થયાં જણાય છે[33] મુનશી જે ‘પંચદેવ’ને [34] અમદાવાદમાં આવતાંવેંત નમસ્કાર કરવાની ઇચ્છા ધરાવતા તે આનંદશંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, કવિ ન્હાનાલાલ, કેશવ હર્ષદ ધ્રુવ અને નરસિંહરાવ દિવેટિયા – આ બધાથી અમદાવાદનું સાહિત્યાકાશ જ્યારે ઝળાંહળાં હતું ત્યારે એક નવયુવાન કવિના ભીતરના નવાણમાં શીલ અને સંસ્કારનો સૌન્દર્યરસ સંચિત થયો હતો. એ યુવાન કવિહૃદયમાં ઝરણ આપમેળે ગાઈ ઊઠવા તૈયાર થઈ રહ્યું હતું. અમદાવાદ એક બાજુ એમના શબ્દને સમૃદ્ધ કરવામાં તો બીજી બાજુ એમના હૃદયને સ્નેહપ્રફુલ્લ કરવામાં નિમિત્ત થયું હતું. ઉમાશંકરે આ સ્પષ્ટ કર્યું જ છે : “આ અમદાવાદ શહેર, એમાં હું એક નાનકડા વિદ્યાર્થી તરીકે આવેલો, ચાલીસ વર્ષ પહેલાં અને અમદાવાદમાંથી જીવનની મોટી બક્ષિશો હું પામ્યો : ઉચ્ચ શિક્ષણ, રાષ્ટ્રપ્રેમ અને ગૃહસ્થાશ્રમ. એ ત્રણેની દીક્ષા મને અમદાવાદમાં મળેલી છે અને એનાથી વધારે સારી ભૂતળ ઉપર ક્યાંય મળી શકત નહિ.”[35] આમ સરવાળે તો અમદાવાદે એમના જીવનને પ્રફુલ્લ રૂપ આપવામાં એક નિમિત્તરૂપે અગત્યનો ભાગ ભજવ્યો છે. ઉમાશંકર જે સમયમાં અમદાવાદમાં હતા એ એવો સમય હતો જ્યારે ગાંધીજીની ભાવનાસૌરભથી અળગા રહીને શ્વસવું – જીવવું એ સંવેદનશીલ રાષ્ટ્રપ્રેમી જાગૃત વ્યક્તિ માટે અશક્યવત્ હતું : “એવું કોણ હતું હિંદુસ્તાનમાં જે એ વખતે ગાંધીજીની બહાર જીવી શક્યું ?S એ વખતના તરંગમાં અમે સહુ ઊંચકાયા હતા. એ અમારી નહીં, યુગની ઊંચાઈ હતી. એ અનુભૂતિનો રોમાંચ હજી આજેય અનુભવાય છે.”[36] તે કાળના ૧૯ વર્ષના ઉમાશંકરની કલ્પના જ આપણે તો કરવાની રહી. ૧૯૨૮માં મૅટ્રિકની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રમાં પહેલા ને મુંબઈ પ્રાંતમાંથી ત્રીજા નંબરે પાસ થઈ, કૉલેજની ત્રણ શિષ્યવૃત્તિઓ (સ્કૉલરશિપ) મેળવનાર આ તેજસ્વી વિદ્યાર્થીએ ઇન્ટરની પરીક્ષાના પરિણામની પરવા કર્યા વિના સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું અને ઊપડ્યા સીધા વીરમગામ છાવણીમાં. આ સત્યાગ્રહ છાવણીમાં એમને ઠીક ઠીક ઘડાવાની તક મળી. લોકકેળવણીની સભાઓ અને યુદ્ધસમિતિના વ્યૂહકાર્ય ઉપરાંત સત્યાગ્રહપત્રિકાના લેખનકાર્યની જવાબદારીઓ અદા કરતાં તેમણે સારું ગજું કાઢ્યું.[37] વીરમગામ છાવણીમાં સૈનિકોના માહિતીપત્રમાં એક પ્રશ્ન હતો, “તમે લડતમાં શા હેતુથી જોડાયા છો ?” ઉમાશંકરે એનો જે ઉત્તર આપેલો તેનો ભાવ એમના શબ્દોમાં આ હતો : “જીવનનું નિયામક તત્ત્વ પશુબળ નહિ પણ પ્રેમ છે એમ આ ધર્મયુદ્ધ દ્વારા સાબિત કરી ભારતવર્ષ પોતાની સ્વતંત્રતાના પાયા ઉપર આંતરરાષ્ટ્રીય સ્નેહસંબંધોની ઇમારત રચે એ સૈનિકજીવનનો પરમ લહાવ છે એ સમજણથી.”[38] હજુ જીવનની પહેલી જ વીસીમાં આ પાણીદાર યુવાનને આ ઉત્તર સૂઝ્યો એ એની ભીતરની શક્તિ-સમૃદ્ધિનો – એની આંતરિક સજ્જતાનો – એની શ્રેયોલક્ષી જીવનનિષ્ઠાનો સૂચક છે.

ઉમાશંકરને માટે શબ્દસાધના અને રાષ્ટ્રસાધના અલગ રહ્યાં નહોતાં. વ્યક્તિપ્રેમ અને સમષ્ટિપ્રેમ પણ અલગ રહ્યાં નહોતાં. વિશ્વના કેન્દ્રથી વિમલ સૌન્દર્યનો જે શુભ્ર ફુવારો ઊડી રહ્યો છે[39] તે જોવાની જે ભૂમિકા એમણે “વિશ્વશાંતિ” – કાળે પસંદ કરી તે જીવનના અંતિમ તબક્કે પણ ચિત્તમાં એટલી જ સંગીન રહેલી. એમની “વિશ્વશાંતિ”ની ઉપાસનામાં ‘મંગલ શબ્દ’ જ પ્રથમ ઝિલાયો છે. એ ‘મંગલ શબ્દ’ સંવાદ-શાંતિનોય સૂચક છે, સાહિત્ય અને ધર્મથી પરિપુષ્ટ એવો એ ‘મંગલ શબ્દ’ છે. ઉમાશંકરે ‘કરાલદર્શન’ કાવ્યમાં કહ્યું છે :

“ઝરણભોમ વિષે જન્મ્યો હતો,
સરિતસંગતિમાં ઊછર્યો હતો;
ઊઘડી કોમળ, કાલ જતાં, ઉરે
જલધિના સહચારની વાંછના.”
(ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૧૦)

ઉમાશંકરના હૃદયમાંથી આ “સિંધુરટણા”[40] છેવટ સુધી શમી નહોતી. એમની મનીષા વિશ્વમાનવી બનાવની જ રહેલી. ‘કવિ’ના વિશાળ અર્થમાં એ મનીષા એમના થકી સિદ્ધ થઈને રહી એમ કહેવામાં અતિશયોક્તિ જણાતી નથી.x એમની આ મનીષામાં મહત્ત્વાકાંક્ષા નહિ પણ દિવ્ય અભીપ્સા જોવી ઘટે, કેમ કે વિશ્વમાનવી થવા માટે વ્યક્તિ-મૂલ્યને નિ:શેષ કરી દેવાની એમની તૈયારી હમેશાં રહેલી; અલબત્ત, એ વ્યક્તિ-મૂલ્ય એમના થકી નિ:શેષ થયું યા નહિ અથવા એ મૂલ્યને નિ:શેષ કરી શકાય કે નહિ એ પ્રશ્ન જુદો છે.

ઉમાશંકરે ‘આત્માનાં ખંડેર’ (નિશીથ, ૧૯૬૨, પૃ. ૧૪૯–૧૫૭)માં, ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ એમ જ્યારે કહ્યું છે ત્યારે એ કથનને વૈયક્તિક અહમ્ના સંદર્ભમાં જોવાની અનિવાર્યતા નથી; કેમ કે, મનુષ્યના સંદર્ભમાં – કોઈ પણ મનુષ્યના “હું” તરીકે તેને જોઈ શકાય એમ છે. અલબત્ત, ઉમાશંકર ‘હું’ની બહાર નીકળવા મથતા છતાં એમાંથી ન નીકળી શક્યા હોય એવું અવારનવાર લાગે, આમ છતાં “હું”ની બહાર નીકળવાની એમની ઉત્કટ અભીપ્સા શંકાનો વિષય ન બનવી જોઈએ.S

  • મનસુખલાલે ‘અભિગમ’ (ડિસેમ્બર, ૧૯૬૬)માં પણ ઉમાશંકરને અભિરુચિ નિમિત્તે પત્ર લખતાં એમાં જણાવ્યું છે : ‘અભિરુચિ’ વાંચતાં તમારા સાન્નિધ્યનો સુખદ અનુભવ ક્ષણે ક્ષણે થયાં કરતો હોય છે. તમારી બુદ્ધિની વિશાળતા અને ગહનતા, તમારા હૃદયનાં આભિજાત્ય (નોબિલીટી), રસિકતા અને નાગરિકતા, તમારી દૃષ્ટિની મૂલગામિતા અને મર્મગામિતા, તમારી ભાવનાપરાયણતા અને વ્યવહારદક્ષતા, ગુણદર્શિતા-સ્પષ્ટવક્તૃતા, ચાલાકી, વિનોદવૃત્તિ અને બહુશ્રુતતા; ટૂંકમાં કહું તો તમારામાંના માનવતાપ્રેમી કવિજન, બહુશ્રુત પંડિત, સહૃદય શિક્ષક અને વ્યવહારકુશળ સજ્જન ‘અભિરુચિ’માં સ્થળે સ્થળે પ્રકટ થાય છે અને મારા જેવાને તો વૃદ્ધસેવન કર્યું હોવાનો સંતોષ આપે છે.” (પૃ. ૪૭૦)
  • આ એમના ઉમળકાની શ્રીકાન્ત શાહે ‘ગ્રંથ’માં ટીકા પણ કરી છે. જુઓ ‘ગ્રંથ’, માર્ચ, ૧૯૭૨, પૃ. ૧૧–૧૨.

ઉમાશંકરને એમના સર્વતોમુખી સાહિત્યસર્જનની પાછળનું પ્રેરકબળ કયું છે એવો પ્રશ્ન પૂછતાં એમણે સચોટ રીતે કહ્યું હતું : “જીવન, જીવનનો કંઈક સંવેદનશીલતાથી થતો અનુભવ તે. જીવન અતિ વિશાળ છે. એના કેટલા ઓછા ભાગને આપણું હૃદય પામી શકે છે ? કેટલી બધી વસ્તુઓ આપણને સ્પર્શતી પણ નથી. આજે સવારે સૂર્ય ઊગ્યો હતો, અને જે કંઈ એક પ્રભાત હતું તેનો કેટલો ભાગ આપણે આપણા વ્યક્તિત્વના પાત્રમાં ઝીલી લીધો ? ઘણુંબધું પકડાયા વગરનું રહી જાય છે. કવિ એક એવું પ્રાણી છે, જે બહુ જ ચીવટથી ચકોરપણે રજેરજને પકડવા પ્રયત્ન કરે છે. અને મને પોતાને એમ લાગે છે કે જગતનું જે અનરાધાર સૌન્દર્ય છે એને – એના અંશને પણ પામવા માટે એક મનુષ્યજીવન, જીવનની આ આયુષ્યમર્યાદા, પર્યાપ્ત નથી. મારી પ્રેરણા જો કોઈ હોય તો તે આ જીવનની આશ્ચર્યમયતા છે. તે મુખ્ય પ્રેરણા છે.” (સંસ્કૃતિ, જૂન, ૧૯૬૮, પૃ. ૨૦૨) આ ઉમાશંકરે ૧૯૩૨માં આંખોનો રોગ થયેલો છતાં વાચન-અભ્યાસ તો ચાલુ જ રાખ્યો હતો અને અર્થશાસ્ત્ર (મુખ્ય) તથા ઇતિહાસ (ઑનર્સ)ના વિષયો લઈ ઈ. સ. ૧૯૩૬માં મુંબઈની ઍલ્ફિનસ્ટન કૉલેજમાંથી બી.એ. કર્યું અને ગુજરાતી (મુખ્ય) તથા સંસ્કૃત લઈ ૧૯૩૮માં પ્રથમ વર્ગમાં એમ.એ. પાસ કર્યું. દરમ્યાન ૧૯૩૭માં, અમદાવાદના એમની જ જ્ઞાતિના એક સંસ્કારી કુટુંબનાં પુત્રી અને કર્વે વિદ્યાપીઠનાં સ્નાતક જ્યોત્સ્ના જોશી (અવસાન : ૧૭–૧–૧૯૬૪) સાથે એમનું લગ્ન થયું. તેઓ આથી નાતબહાર પણ થયેલાં. વચ્ચે કાયદાના અભ્યાસ માટે બે સત્રો પણ ભરેલાં, પણ તેમાં છેલ્લી પાટલીએ બેસીને વાર્તાઓ લખવા ઉપરાંત કાંઈ કર્યું નહોતું.’ (‘કુમાર’, જૂન ૧૯૬૮, પૃ. ૨૫૩) એમ.એ.નું પરિણામ આવતાં અગાઉ સિડનહામ કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે એમની નિમણૂક થઈ હતી. તે વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેનું પૂર્વે એક વરસથી લીધેલું કામ પણ જારી રાખ્યું હતું. ઉમાશંકરે ૧૯૩૮માં – ૩૯માં સિડનહામ કૉલેજમાં એક વિદ્યાકીય વર્ષ કામ કર્યું. એ ગાળામાં ‘સાપના ભારા’ (૧૯૩૬, નાટક) તથા ‘શ્રાવણી મેળો’ (૧૯૩૭, વાર્તા) પ્રગટ કર્યાં. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧, કવિતા) અને તે પછી ‘ગંગોત્રી’ (૧૯૩૪, કવિતા) આપી કવિ તરીકે તો પ્રતિષ્ઠા મેળવી જ હતી, ‘સાપના ભારા’ ને ‘શ્રાવણી મેળા’થી તેમની નાટ્યકાર, વાર્તાકાર તરીકે પણ પ્રતિષ્ઠા થઈ. મુંબઈના નિવાસ દરમ્યાન ઉમાશંકરે કાવ્યો અને નાટકો ઉપરાંત વાર્તાઓ લખવી શરૂ કરી, યુરોપીય સાહિત્યના સંપર્કમાં પણ આવ્યા. એમણે પશ્ચિમ ભારતમાં પ્રગતિશીલ મંડળો સ્થાપવામાં પણ આગળ પડતો ભાગ લીધો. ૧૯૩૯માં ઉમાશંકર અમદાવાદથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઉચ્ચ અભ્યાસ અને સંશોધનના નવા વિભાગમાં આનંદશંકરના નિમંત્રણથી જોડાયા. આ અગાઉ ‘ત્રણ અર્ધું બે’ (૧૯૩૮) વાર્તાસંગ્રહ પ્રગટ થઈ ચૂક્યો હતો. અહીંના તેમના સંગીન સંશોધનકાર્યના પરિપાકરૂપે ‘અખો : એક અધ્યયન’ (૧૯૪૧) અને ‘પુરાણોમાં ગુજરાત’ (૧૯૪૬) એ ગ્રંથો મળ્યા. ગુજરાત સાહિત્યસભાએ સોંપેલું કવિ બાળાશંકરનાં કાવ્યોના સંપાદનનું કામ ‘ક્લાન્ત કવિ’ (૧૯૪૨) પણ એમણે સારી જહેમત લઈને પાર પાડ્યું.[41] ઉમાશંકર ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં કામ કરતા હતા તે દરમ્યાન તેમનો, આ સંસ્થામાં જોડાયા પૂર્વે કરેલો પોલિશ કવિ મિત્સ્કિયેવિચનાં સૉનેટોનો અનુવાદ ‘ગુલે પોલાંડ’ (૧૯૩૯) પ્રગટ થયો. વળી આ સમય દરમ્યાન તેમના મહત્ત્વના કાવ્યગ્રંથો ‘નિશીથ’ (૧૯૩૯) તથા ‘પ્રાચીના’ (૧૯૪૪) પ્રસિદ્ધ થયા. વળી તેમની એકની એક નવલકથા ‘પારકાં જણ્યાં’ (૧૯૪૦) પણ આ સમયગાળાનું પ્રકાશન છે. ઉમાશંકરે આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવના ‘કાવ્યતત્ત્વવિચાર’ (૧૯૩૯), ‘સાહિત્યવિચાર’ (૧૯૪૦), ‘દિગ્દર્શન’ (૧૯૪૨) અને ‘વિચારમાધુરી’ (૧૯૪૬) – એ ગ્રંથોનું શ્રી રામનારાયણ વિ. પાઠક સાથે રહીને સંપાદન પણ કર્યું. ઉમાશંકરે એક સારા સર્જક તરીકે તો પ્રતિષ્ઠા જમાવી હતી જ, એ પ્રતિષ્ઠા આ ગાળા દરમ્યાન ટકાવી ને વધારી. તે ઉપરાંત એક સંનિષ્ઠ સંશોધક-સંપાદક અને રસજ્ઞ વિવેચક તરીકેનું પોતાનું સ્થાન પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મેળવી લીધું. તેઓ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી આ સંસ્થામાંથી ૨, સપ્ટેમ્બર ૧૯૪૬થી છૂટા થયા; પણ માર્ચ સુધી વિના વેતને ત્યાં ભણાવ્યું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ તેમને સાહિત્યસાધના માટે અનુકૂળ ભૂમિકા પૂરી પાડી હતી. આ સોસાયટીએ સામે ચાલીને તેમને સોસાયટીનું માનાર્હ સભ્યપદ આપી, તેમની વિદ્વત્સેવાને પાછળથી નવાજી પણ ખરી. ઉમાશંકરે ૧૯૪૬થી જૂન, ૧૯૫૪ લગી વ્યવસાયમુક્તિS મેળવી, ત્યાર બાદ આત્મશિક્ષણ અર્થે અધ્યયનકાર્ય અને અવારનવાર ગુજરાતના ‘સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક’ તરીકે ગુજરાતભરમાં અનૌપચારિક અધ્યાપનકાર્ય કર્યું. આ સમય દરમ્યાન કવિતા, વાર્તા, નિબંધિકાઓ, નાટક વગેરેનું તેમ જ વિવેચન, સંશોધન, સંપાદન અને અનુવાદનું નક્કર કામ ગુજરાત સમક્ષ મૂક્યું. જાન્યુઆરી, ૧૯૪૭માં એમણે શરૂ કરેલા ‘સંસ્કૃતિ’ માસિક દ્વારા પણ સાહિત્ય, કલા, સમાજ, રાજ્ય, ઇતિહાસ, ધર્મ આદિ મનુષ્યજીવનના અનેકવિધ ક્ષેત્રોના પ્રશ્નો વિશે રસિક અને વિચારપ્રેરક સામગ્રી ગુજરાતને નિયમિત રીતે પીરસવાનું સંસ્કારકાર્ય પણ ૧૯૮૪ સુધી સતત થતું રહ્યું. ૧૯૫૨માં ઉમાશંકરે ચીનનો ચોપન દિવસનો અને તેના અનુસંધાનમાં સિંગાપોર, જાવા, બાલી ને લંકા જેવા એશિયાઈ દેશોનો પ્રવાસ કર્યો. આવા પ્રવાસોએ – નાનામોટા દેશવિદેશના પ્રવાસોએ વિશ્વમાનવના અંતરતમ રહસ્યને પ્રત્યક્ષ કરવાની તેમની સાધનામાં તેમને અગત્યની મદદ કરી જણાય છે. ૧૯૫૩માં “સંદેશ” દૈનિકમાં “સાહિત્ય સાધના” કટારનું સંપાદનકાર્ય તેમણે સ્વીકાર્યું અને તે જૂન, ૧૯૫૪ સુધી કરી તેમાંથી સ્વેચ્છાએ મુક્તિ મેળવી. ઉમાશંકરે ૧૯૪૬થી ૧૯૫૪ સુધીના સ્વૈચ્છિક વ્યવસાયમુક્તિના ગાળા દરમ્યાન ‘આતિથ્ય’ (૧૯૪૬, કવિતા), ‘અંતરાય’ (૧૯૪૭, વાર્તા), ‘સમસંવેદન’ (૧૯૪૮, વિવેચન), ‘ઉત્તરરામચરિત’ (૧૯૫૦, અનુવાદ), ‘શહીદ’ (૧૯૫૧, એકાંકી), ‘ગોષ્ઠી’ (૧૯૫૧, નિબંધ), ‘અખાના છપ્પા’ (૧૯૫૩, સંશોધન-સંપાદન), ‘મ્હારાં સૉનેટ’ (૧૯૫૩, સંપાદન) અને ‘વસંતવર્ષા’ (૧૯૫૪, કવિતા) – આ ગ્રંથો આપ્યા. ઉમાશંકરની સાહિત્યપ્રવૃત્તિ કેવી બહુમુખી, સાતત્યપૂર્ણ અને સત્ત્વલક્ષી છે તે આ આઠેક વર્ષની ગ્રંથપ્રકાશનની સમૃદ્ધિ જોતાં તુરત પ્રતીત થાય છે. જૂન, ૧૯૫૪માં ઉમાશંકરે ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનનું અધ્યક્ષપદ સંભાળ્યું. એ પદ તેમણે ૧, એપ્રિલ, ૧૯૭૦ સુધી શોભાવ્યું. ગુજરાત યુનિવર્સિટીના જ ભવનના એક પ્રાધ્યાપક યુનિવર્સિટીના કુલપતિ (‘વાઇસચાન્સેલર’) હોય એવી સુભગ ઘટના હજુ સુધીના ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં ઉમાશંકરની બાબત-માં જ પહેલી બની. તેમણે ગુજરાત યુનિવર્સિટીનું કુલપતિપદ ૩૦, નવેમ્બર, ૧૯૬૬થી નવેમ્બર ૧૯૭૨ સુધી શોભાવ્યું. ૩ એપ્રિલ, ૧૯૭૦ના રોજ રાજ્યસભાના સભ્ય નિમાતાં તેમણે ગુજરાતી વિભાગના અધ્યક્ષ–પ્રાધ્યાપકનું માનાર્હ પદ જે અવૈતનિક રીતે પોતે ૩૦, નવેમ્બર ૧૯૬૬થી રાખેલું તે છોડી દીધું. ઉમાશંકરે જેમ સાહિત્યિક તેમ શૈક્ષણિક મૂલ્યોના જતન-સંવર્ધન માટે પણ સતત સક્રિયતા દાખવી છે. તેઓ વિશ્વવિદ્યાલય અનુદાન-આયોગ(યુ.જી.સી.)ની કુલપતિઓની બનેલી સલાહકાર સમિતિમાં પણ હતા અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડીઝ, સિમલાના પણ એક પ્રારંભિક સભ્ય હતા. ઉમાશંકર ગુજરાતના સાચા અર્થમાં સંસ્કારપુરુષ હતા. ગુજરાત તેમ જ ભારતની અનેક સંસ્કાર-પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા રહેલા. સાહિત્ય અકાદમીની ૧૨ માર્ચ, ૧૯૫૪ના રોજ દિલ્હીમાં સ્થાપના થઈ ત્યારથી જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલના તેઓ સભ્ય રહ્યા હતા. તેઓ સાહિત્ય અકાદમીમાંથી [42] ડિસેમ્બર, ૧૯૭૨માં મુક્ત થયા. આ અકાદમીની કામગીરીને અનુષંગે જવાહરલાલ નેહરુ, મૌલાના અબુલકલામ આઝાદ, સરદાર પણિકર, રાધાકૃષ્ણન્ વગેરેના સંપર્કમાં આવવાનું બન્યું. તેમાંય જવાહરલાલ ને રાધાકૃષ્ણન્ સાથેનું તેમનું નૈકટ્ય ઉલ્લેખનીય ગણાય. ૧૯૬૫માં નૅશનલ બુક ટ્રસ્ટના અને ૧૯૬૬માં કેન્દ્રીય ભાષા સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમાયા હતા. ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના પ્રમુખ હતા. ૧૯૫૬માં ભારત સરકાર તરફથી અમેરિકાની યુનિવર્સિટીઓમાં અને ઇંગ્લંડમાં (લંડન) ‘જનરલ એજ્યુકેશન’ની પ્રવૃત્તિઓના નિરીક્ષણ માટે મોકલવામાં આવેલી અધ્યાપકોની સમિતિના તેઓ સભ્ય હતા. તે અરસામાં તેમણે લંડનમાં પી. ઈ. એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો હતો અને દેશ પાછા વળતાં ફ્રાંસ, જર્મની, ઇટાલી અને ગ્રીસ જેવા યુરોપના મુખ્ય દેશોની યાત્રા પણ કરી હતી. ૧૯૫૭માં તોકિયોમાં પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો હતો અને જાપાનનાં હીરોશીમા આદિ વિવિધ સ્થળોની યાત્રા કરી હતી. ૧૯૫૭માં કલકત્તામાં અખિલ ભારતીય લેખક પરિષદમાં વિભાગીય પ્રમુખ તરીકે તેમણે ભાગ લીધો હતો. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના આમંત્રણથી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો આપ્યાં હતાં. ૧૯૬૧માં ઉમાશંકરે દિલ્હીમાં સાહિત્યઅકાદમી આયોજિત રવીન્દ્ર-જન્મશતાબ્દીના આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ભાગ લીધો હતો. એ જ વરસે કટકમાં ઊડિયાભાષી લેખકોના “વિષુવમિલન”માં મુખ્ય અતિથિ તથા પ્રમુખનું સ્થાન તેમણે શોભાવ્યું હતું. તેમણે ભારત સરકારના ઉપક્રમે લેખક પ્રતિનિધિ તરીકે ૫, સપ્ટેમ્બર, ૧૯૬૧થી ૨૯, સપ્ટેમ્બર, ૧૯૬૧ સુધી રશિયાનો પ્રવાસ કર્યો હતો. વળી નિખિલ ભારતબંગીય સંમેલનના રવીન્દ્ર-જન્મશતાબ્દી અધિવેશનનું કવિના ઘર ‘જોરાસાંકો’માં ઉદ્ઘાટન કર્યું હતું. ૧૯૬૨માં મૈસૂરમાં પી. ઈ. એન.ના અધિવેશનમાં તેઓ વિભાગીય પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કલકત્તા યુનિવર્સિટીના આમંત્રણથી રવીન્દ્રનાથની કવિતા ને લઘુકથા પર વ્યાખ્યાનો આપ્યાં હતાં. ૧૯૬૬માં પુણે યુનિવર્સિટીના આમંત્રણથી રવીન્દ્રનાથની સમગ્ર કવિતા પર વ્યાખ્યાનો આપેલાં. ૧૯૬૭માં, દિલ્હીમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૪મા અધિવેશનના પ્રમુખ તેઓ થયા હતા અને પ્રમુખપદેથી ‘કવિની શ્રદ્ધા’ નામનું વ્યાખ્યાન આપ્યું હતું. ૧૯૬૮માં કલકત્તામાં મળેલી પ્રથમ ‘અખિલ ભારતીય કવિ પરિષદ’નું મુખ્ય અતિથિપદ તેમણે શોભાવ્યું હતું.[43] ઉમાશંકરે ૧૯૫૪થી ૧૯૭૫ સુધીના સમયગાળામાં પણ સર્જન-વિવેચન-સંપાદનના આ નોંધપાત્ર ગ્રંથો આપ્યા છે : ‘શાકુંતલ’ (૧૯૫૫, અનુવાદ), ‘ઉઘાડી બારી’ (૧૯૫૯, નિબંધ), ‘અભિરુચિ’ (૧૯૫૯, વિવેચન), ‘વિસામો’ (૧૯૫૯, વાર્તા), ‘શૈલી અને સ્વરૂપ’ (૧૯૬૦, વિવેચન), ‘નિરીક્ષા’ (૧૯૬૦, વિવેચન), ‘કવિની સાધના’ (૧૯૬૧, વિવેચન), ‘શ્રી અને સૌરભ’ (૧૯૬૩, વિવેચન), ‘શેક્સપિયર’ (૧૯૬૪, લઘુપરિચય), ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫, કવિતા), ‘દશમસ્કંધ-૧’ (૧૯૬૬, સંપાદન, હરિવલ્લભ ભાયાણી સાથે), ‘પ્રતિશબ્દ’ (૧૯૬૭, વિવેચન), ‘અભિજ્ઞા’ (૧૯૬૭, કવિતા), ‘અખેગીતા’ (૧૯૬૭, સંપાદન, રમણલાલ જોશી સાથે), ‘ગાંધીકથા’ (૧૯૬૯, ચરિત્ર), ‘કવિતા વાંચવાની કળા’ (૧૯૭૧), અને ‘કવિની શ્રદ્ધા’ (૧૯૭૨, વિવેચન). તેમણે ‘ભોમિયા વિના’માં તેમના ‘અભિજ્ઞા’ સુધીના કાવ્યસંગ્રહોમાં પ્રસિદ્ધ થયેલાં ગીતોમાંથી ૮૫ જેટલાં ગીતો આપ્યાં છે. આ ઉપરાંત પણ તેમણે ‘આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ’ ‘મેઘાણી સ્મૃતિગ્રંથ’ ‘કાલેલકર અધ્યયન ગ્રંથ’, ‘મડિયાનું મનોરાજ્ય’ આદિ ગ્રંથોમાં સંપાદકની જવાબદારી પણ એક યા બીજી રીતે સ્વીકારી છે. તેમણે પોતાના વિદ્વાન કવિમિત્ર હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતાનું ‘સ્વપ્નપ્રયાણ’ નામે કાવ્યસંપાદન કરી ઉમદા સાહિત્યસેવા – ઉમદા મિત્રકાર્ય કરી બતાવ્યું છે. તેમણે ૧૯૩૭માં સ્નેહરશ્મિની સાથે રહી ‘ગાંધીકાવ્યસંગ્રહ’ પણ પ્રસિદ્ધ કર્યો હતો. વળી શાળાઓ માટે સ્નેહરશ્મિ સાથે ‘સાહિત્ય પલ્લવ’ની ત્રણ ભાગમાં પુસ્તકશ્રેણી પણ તૈયાર કરી આપી. એમના સર્જક-ચિત્તનાં સ્ફુરણો આયુષ્યના અંત લગી વિરમ્યાં નહોતાં. હજુ પણ ડાયરી, પત્રો, જીવનચિત્રો, વ્યાખ્યાનો – વિવેચનલેખો આદિના કેટલાક સંગ્રહો-ગ્રંથો પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ગુજરાત કૉલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે સંસ્કૃત કવિતા લખવાની સુચેષ્ટા કરેલી. તેમની સર્જકસ્ફૂર્તિ હજુ આજેય સંસ્કૃત શ્લોકો લખવા માટે તેમને પ્રેરે છે. ૧૯૪૭થી શરૂ કરીને ૧૯૮૪ સુધી નિયમિત રીતે ‘સંસ્કૃતિ’ માસિક ચલાવીને ગુજરાતના સાહિત્યિક-સાંસ્કૃતિક ક્ષેત્રે જે ફાળો તેમણે આપ્યો છે તે અવિસ્મરણીય છે. ઉમાશંકરનો સમસ્ત સાહિત્યિક સાંસ્કૃતિક સંદર્ભ ખ્યાલમાં લેતાં તેઓ કેવળ ગુજરાતના જ નહિ, ભારતના વિદ્યમાન સારસ્વતવર્ગમાં પણ અગ્રણી છે એ સ્પષ્ટ છે. ‘હું ગુર્જર ભારતવાસી’ એ એમની સાચી ઓળખાણ છે. વિશ્વના થઈને રાષ્ટ્રના થવું, રાષ્ટ્રના થઈને પોતાના થવું, વિશ્વદેવ ને આત્મદેવ ને એકાકારરૂપે પ્રતીત કરવા એ એમની જીવનસાધના–કાવ્યસાધના રહી છે. ઉમાશંકરને ૧૯૩૯માં ‘ગંગોત્રી’ માટે રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪માં ‘પ્રાચીના’ માટે મહીડા પારિતોષિક, ૧૯૪૩થી ૧૯૪૭ સુધીનાં પાંચ વર્ષ દરમ્યાનની શ્રેષ્ઠ કૃતિ તરીકે ‘પ્રાચીના’ માટે નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૬માં ‘મહાપ્રસ્થાન’ માટે ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૬૭ વર્ષનાં શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે ‘અભિજ્ઞા’ને કવિ ન્હાનાલાલ પારિતોષિક અને ૧૯૩૫થી ૧૯૬૦ સુધીનાં ૨૫ વર્ષ દરમ્યાનના ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જન તરીકે ‘નિશીથ’ માટે ભારતીય જ્ઞાનપીઠનો ઈ.સ. ૧૯૬૭નો એક લાખ રૂપિયાનો રાષ્ટ્રીય પુરસ્કાર (કન્નડ કવિ પુટપ્પા સાથે સમભાગે) તેમને મળ્યાં છે.[44] સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી ‘કવિની શ્રદ્ધા’ને ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તક તરીકે નવાજવામાં આવ્યું છે. આપણા પૂરતું તો આ બધાં પારિતોષિકો ઉમાશંકરના શબ્દનો જ સાર્વત્રિક ઉમળકાભર્યો જે સ્વીકાર થયો છે તેના નિર્દેશક તરીકે અગત્યનાં છે. બાકી પારિતોષિકોનો ખ્યાલ ‘જરી ખૂંચે એવો’ અને ‘સાહિત્ય આદિ કળાઓની – વિદ્યાની ઉપાસના સાથે તો સુસંગત ન લાગે’ એવો હોવાનું ઉમાશંકરે ‘સંસ્કૃતિ’ના પહેલા જ અંકમાં (પૃ. ૮) ‘મહીડા પારિતોષિક’ નિમિત્તે જણાવ્યું છે. ઉમાશંકરના વ્યક્તિત્વને સમજવા–વર્ણવવાના પ્રયત્નો પણ થયા છે. કોઈએ તેમનો ‘નિષ્ઠાના મોતી’[45] તરીકે પરિચય આપ્યો છે. કોઈએ તેમને ‘તેજસ્વી, તપસ્વી, શીલભદ્ર સારસ્વત’[46] તરીકે વર્ણવ્યા છે. કોઈએ ઉમાશંકરની ‘સાતત્યમાં શ્રદ્ધા’ રાખનાર તરીકેની તસવીર આલેખી છે.[47] કરસનદાસ માણેકે તો ઉમાશંકરનું તેજચિત્ર આંકવામાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો. તેમણે તેમનો ચિત્રાત્મક પરિચય આપતાં લખ્યું છે :

“વિદ્યુતના ઝગારા સમી સુતીક્ષ્ણ છતાં શરદપૂર્ણિમાના શશીની જ્યોત્સ્ના સમી સુસ્થિર અને આહ્લાદમયી મેધા, અને સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્પર્શથી પણ રણઝણી ઊઠતી વીણાશી કોમલ, છતાં મહાન કો વટરાજના સમી ખડતલ એવી ભાવનાશીલતાના અતિવિરલ સમન્વયયોગથી એમની પ્રતિભા સુમંડિત છે. બહુધા વિફળ એવા વૈયક્તિક પ્રણયનાં ચૂંથણાં ચૂંથતા કવિ-પ્રેમીઓને એમણે એક તરફ વિરાટ પ્રણયનો અભિજાત રાજમાર્ગ ચીંધી આપ્યો છે, અને બીજી તરફ, પ્રિયામાં કવિતા અને કવિતામાં પ્રિયાને નિહાળવાનો રસકીમિયો પણ બતાવી દીધો છે.
પણ વિશ્વશાંતિ અને વિરાટ પ્રણયનાં ગીતો ચગવનાર કવિ અન્નબ્રહ્મને ભૂલ્યો નથી, અને એ જ બતાવી આપે છે કે શ્રી ઉમાશંકરનો કાવ્યાત્મા ભલે વ્યોમના તારાખચિત વિતાનમાં વિહાર કરતો હોય, પણ એમનાં ચરણો તો આ નક્કર ધરતી ઉપર સાબૂત છે ! પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ – પંચમહાભૂતોમાંથી એક્કેયને એ ઉવેખતો નથી, અને એક્કેયને વીફરવા કે વીખરવા પણ દેતો નથી, અને એમાં જ એમના કાવ્યતત્ત્વનો અને એમના વ્યક્તિત્વનો વિજય છે, – तं वेधा विदधे नूनम महाभूतसमाधिना !...(અક્ષર-આરાધના, પૃ. ૨૧૪)

કિશનસિંહે મિત્ર ઉમાશંકરની ભારતીયતા – આર્યતા – Indianness અને ટાગોરની જેમ એમની ઉજ્જ્વળ સત્ત્વશીલતાનો નિર્દેશ કરતાં એક સૂચક વાત નોંધી છે :

“એમણે એક દિવસ વાતવાતમાં બહુ જ ગંભીરતા અને ગૌરવપૂર્વક છતાં સહજતાથી કહ્યું હતું કે હું ભલે કાંઈ બીજું જીવનમાં ન કરી શકું; પરંતુ કોઈ માણસ એને ધિક્કારવામાં મને વિવશ અને બાધ્ય નહીં કરી શકે. અને કોઈ પણ માણસ મારે મન અસહ્ય નથી. આ બે મારે પોતાને કરવાનાં રોજનાં કામ છે.” (તારામૈત્રક, ૧૯૬૮, પૃ. ૬)

મનસુખલાલ ઝવેરીએS એમના વ્યક્તિત્વનો ઉમળકાભેરx પરિચય આપતાં લખેલું :

“પોતાની વિદ્યા, પ્રતિષ્ઠા અને પ્રજાહૃદયમાંના સ્થાનના ભારને ઉમાશંકર આસાનીથી વહન કરી રહ્યા છે. એ ઉત્તમ આત્મલક્ષી કવિ છે ; પણ વ્યવહારમાં મુનિવ્રતી છે; પોતા માટેની ઝાઝી વાત એ કરતા જ નથી. એમની જ્ઞાનસાધના અત્યંત ગંભીર છે, પણ એ હસી શકે છે, મોકળે મને : ને હસાવી પણ શકે છે, ગ્રામ્ય, દ્વેષીલા કે દંશીલા બન્યા વિના. એ અત્યંત મિલનસાર છે. મિત્રો એ સહેલાઈથી મેળવી શકે છે, ને મૂર્ખાઓની મૂર્ખાઈને પણ એ રસપૂર્વક માણી શકે છે, સૌને એ પોતાના લાગે એવું જીવનરસાયન એમણે સિદ્ધ કરી લીધું છે, પણ એ ‘રીઝર્વ્ડ’ પણ ઓછા નથી. એમનાં સૌજન્યસંપન્ન ને સંસ્કારશોભન સદ્ગત પત્ની જ્યોત્સ્નાબહેન વિના બીજું કોઈ પણ ઉમાશંકરના હૃદય સુધી પહોંચ્યું હશે કે કેમ તેની મને શંકા છે. એમની સિદ્ધાન્તનિષ્ઠા ઘણી પ્રબળ છે; પણ દિલ એમનું સુકુમાર ને મુલાયમ છે. બીજાના દૃષ્ટિબિન્દુને સમજી લેવા માટે એ સદાકાળ ઉત્સુક હોય છે, પણ આ બધી મૃદુલતાના અંતસ્તલમાં છુપાયું છે કઠોર વજ્ર – न दैन्यं न पलायनम् પોતાના સિદ્ધાન્તની વસ્તુઓમાં બાંધછોડ કરવા કરતાં એ ભાંગીને ભૂકો થઈ જવાનું પસંદ કરે એ સૌ જાણે છે.” (‘ઉમાશંકર જોશી’, પૃ. ૧૯૭૧, પૃ. ૮–૯)

ઉમાશંકરની ‘આત્મવાન બ્રાહ્મણ’[48]ની એક મુદ્રા કમમાં કમ એમના એકંદરે સ્વચ્છ અને દીપ્તિમંત એવા શબ્દમાંથી તો ઊઠે જ છે. ઉમાશંકરનું માનસબંધારણ એવું છે કે તેઓ કશું હીણું ચલાવી લઈ શકે નહીં. હૃદયના હીણા રાગ ડામવાની વાત એમણે કરી જ છે.[49] એમનો સતત પ્રયત્ન પોતાને ઘડવાનો રહ્યો છે અને એમાં સદ્ભાગ્યે, શબ્દને માથે ઠીક જવાબદારી આવી છે. જે ઉમાશંકરે ‘સંવાદિતાના સાધક’ તરીકે પોતાનો પરિચય આપ્યો છે એ ઉમાશંકરને છિન્નભિન્નતાનું તત્ત્વ અકળાવે છે, અને છતાં સંવાદિતાની પ્રબળ અભીપ્સા જ એમને રાગમૂર્તિ, દ્વેષમૂર્તિ અને ભયમૂર્તિને વંદન કરવા પ્રેરે છે.[50] ઉમાશંકરની સતત મથામણ એક-કેન્દ્ર બનવાની છે, સર્વમાં ફેલાઈને સ્વ-રૂપ સિદ્ધ કરવાની છે. આ માટે ઉમાશંકરને શબ્દ જ વધુમાં વધુ કામયાબ લાગ્યો છે, કેમ કે શબ્દ જ બે હૃદયને જોડનાર સેતુ છે. તેમણે કહ્યું છે : “કવિનો શબ્દસેતુ વિસદૃશોને સંમિલિત કરે છે. કવિની વાણી મનુષ્યસમાજની અંતરતમ એકતાનો ફુવારો છે.”[51] આ સંવાદિતાની જનની એવી કવિતાને તેમને દ્વૈતમુક્તિનું સાધન માન્યું છે. એક કવિવિવેચકે આ સંદર્ભમાં લખ્યું છે : “ઉમાશંકર ઉમાશંકર રહ્યા ન હોય એવી ક્ષણ અનુભવી છે ? દ્વૈત છે, અને દ્વૈત છે તેથી તો સમગ્રમાં વ્યાપી સ્વ-રૂપને શબ્દ દ્વારા – શબ્દરૂપે પામવું છે. પરમાં વ્યાપીને સ્વ-રૂપને પામવું છે. પૃથ્વી પરે દેશવટે ગયા સમા ભમીને કેન્દ્ર શોધવું છે, શબ્દને દ્વાર પહોંચવું છે.”[52] કદાચ આ સંદર્ભમાં ઉમેરી શકાય કે એક ભૂમિકા એવી પણ આવે જ્યારે ઉમાશંકરના જ કહેવા પ્રમાણે “શબ્દ કેવળ કર્મ બની રહે, શબ્દ ને કવિ વચ્ચેનો ભેદ ન રહે, શબ્દ જ કવિનું મુખ બની રહે. ને તેથી જ કવિની ક્યાં છે કવિતાની શોધ[53] આત્મખોજ જ બની રહેવાની હોય છે. ઉમાશંકરે કલકત્તામાં ૧૨–૪–૧૯૬૮ના રોજ ભરાયેલા અખિલ ભારતીય કવિસંમેલનના ઉદ્ઘાટન-પ્રવચનમાં “ભારતીય કવિની તસવીર–૧૯૬૮” (‘પોર્ટ્રેટ ઑફ એન ઇન્ડિયન પોેએટ’–૧૯૬૮) વિશે વાત કરતાં જણાવેલું :

“કાવ્ય પોતે એક વિશ્વ છે, સુવ્યવસ્થિત અને આકારબદ્ધ. કશાક વૈશ્વિક તત્ત્વનું એ વ્યક્તીકરણ છે. કાવ્ય દ્વારા કવિના વ્યક્તિત્વ સાથે જ મુકાબલો થતો નથી પણ કવિના સારાય સાંસ્કૃતિક સંદર્ભ સાથે, ભાષા તેના સંકુલ અન્વય સંબંધો દ્વારા જેને પહોંચી શકે અને એની રણઝણ દ્વારા જે કંઈ ઝીલી શકે તે તમામ સાથે – શક્ય છે કે અખિલ વિશ્વક્રમ સાથે મુકાબલો થવા પામે છે. કાવ્ય નિ:સારતા (ઍબ્સર્ડિટી)નું હોય, નિરર્થકતાનું હોય પણ काव्य-રૂપે તો એ જીવનની ચિરંતન રહસ્યમયતાનું સાર્થક આત્મસ્થાપન છે. પ્રત્યેક નવું કાવ્ય એ કવિને પક્ષે આપઓળખની, આત્મતત્ત્વ સાથેના તાદાત્મ્યની નવી ખોજરૂપ છે, સંકુચિત અહમ્ ઉપરના – આત્મહ્રાસ ઉપરના વિજયરૂપ છે.” (સંસ્કૃતિ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૨૪૭–૮)

એમની જ આ વાતના સંદર્ભમાં એમની કવિતાને – એમના સર્વ સર્જન–વિવેચનને, એમની સમગ્ર શબ્દસાધનાને જોઈએ તો એમની વિશ્વમાનવ માટેની સાધનાનો મર્મ પામી શકાય. તેઓ સાહિત્યકળા ને વિદ્યાજ્ઞાન દ્વારા સમજના ક્ષેત્રનો સતત વિકાસ કરતાં માનવસંવાદને વધુ ફલદાયી સ્વરૂપમાં સિદ્ધ કરવાની સૂક્ષ્મ સાધનાના મહાન નહીં તો વિનમ્ર સાધક તો રહ્યા છે જ. ઉમાશંકર કવિ છે એમ કહ્યા પછી વિશ્વમાનવ છે એમ કહેવાની જરૂર નથી. આમ છતાં કોઈ પણ કવિ – શુદ્ધ કવિ તરીકે વિશ્વમાનવ જ હોય છે – એ ન્યાયે એમને ‘વિશ્વમાનવ’ કહેવાનું કોઈ પસંદ કરે તો સમજી શકાય એમ છે. ‘વિશ્વમાનવ’ – ઋગ્વેદનો શબ્દ વાપરીને કહીએ તો ‘વિશ્વમાનુષ’ (‘યુનિવર્સલ મૅન’) આમ તો પ્રત્યેક વ્યક્તિમાં ઉપસ્થિત છે જ, पुरुषोऽयम् – એ પુરુષ મનુષ્યની ભીતર ખરો જ, એને જ પૂર્ણપણે પામવાનો પ્રશ્ન તો છે. ઉમાશંકરે જો વીતેલાં વરસો પાછાં મળે તો પોતે જે કરવા ધારે છે તેનો નિર્દેશ કરતાં એક વાર જે કહ્યું છે તે આ સંદર્ભમાં યાદ કરવા જેવું છે. તેમણે જણાવેલું : “મને જો વીતેલાં વરસો પાછાં મળે તો ‘જે રીતે જીવવા મળે એ રીતે જીવું. મને લાગે છે કે તે તે ક્ષણે મન મૂકીને જીવવું એ જ બસ છે. પૂરી સભાનતાથી, ખુલ્લી આંખે, ખુલ્લા હૃદયે, ખુલ્લી ચેતનાએ સમગ્ર વિશ્વજગતની અભિમુખ થવું, એને ઝીલવું, એનામય થવું, એથી વિશેષ શું જોઈએ ?” (‘સંસ્કૃતિ’, નવેમ્બર, ૧૯૬૮, પૃ. ૪૧૧) આમ, ઉમાશંકરની ‘વિશ્વશાંતિ’ની સાધના અને ‘કવિતા’ની શોધયાત્રા વચ્ચે મૂળમાં વિરોધ નથી એમ અભ્યાસીને એક તબક્કે લાગ્યા વિના નહિ રહે. તેઓ દેખીતા વિરોધો વચ્ચે એક સંવાદપૂર્ણ મેળની પ્રતીતિ કરતા – કરાવતા રહ્યા છે. રાષ્ટ્રધર્મ ને સારસ્વતધર્મ, શિક્ષકધર્મ અને કવિધર્મ વચ્ચે તેઓ વિરોધ નહિ, બલકે પરસ્પરને ઉપકારક એવો સુમેળ બતાવે છે. તેઓ માને છે કે સાહિત્યેતર કાર્યોએ એમના શબ્દને વધુ બળ અને વ્યાપ બક્ષ્યાં છે. શબ્દ પ્રત્યેની અનન્ય પ્રીતિ જ શબ્દને કુંઠિત કરનાર કે કરી શકે એવી પ્રવૃત્તિ સામે એમને સંઘર્ષમાં મૂકે છે અને એવા સંઘર્ષમાં તેઓ દૈન્ય કે પલાયનવૃત્તિ ન બતાવતાં મક્કમપણે ઊભા રહે છે. ઉમાશંકરની સર્જનગંગોત્રીને શબ્દ દ્વારા વિશ્વ-અભિજ્ઞાની સિંધુરટણા છે. એમના ‘સારસ્વત સહોદર’ સુન્દરમે મિત્રની અભિજ્ઞા’ (કરતાં) કરાવતાં અને તેમને શુભેચ્છા પાઠવતાં જે લખ્યું હતું તે કેટલું માર્મિક છે તે આ ચર્ચાના સંદર્ભમાં કદાચ વધુ તીવ્રતાથી પ્રતીત થશે. એમણે જણાવ્યું છે :

“માનવે પોતાના નાનકડા અહમ્થી માંડીને વિશ્વને વ્યાપતી અને વિશ્વથીયે પરાત્પર એવી વિશ્વાતીત પરમ દિવ્યતા સુધીની જે વિરાટ સૃષ્ટિ છે તેના પ્રતિ યાત્રા આદરવાની છે, પોતાની અંદર વધુ ને વધુ ઊતરવાનું છે, પોતાને તેમ જ જે જગત સાથે આપણે સંકળાયેલા છીએ તેને પણ વધુ ને વધુ પામવાનું, સમજવાનું છે, અને આ સકલમાં જે કાંઈ નિગૂઢ તત્ત્વ અભિવ્યક્ત રહી પોતાના ઇશારા અને ઇજન પાઠવી રહ્યું છે, પોતાનો સ્પર્શ મૂકી રહ્યું છે, અને જરૂર છે ત્યાં પોતાનો વિરાટના સાડાત્રણમા પગલા જેવો, બલિને પાતાળમાં ચાંપી દેતો પ્રબળ પાદસ્પર્શ મૂકી રહ્યું છે, વર્તમાનનું અશેષ વિસર્જન કરી એક પૂર્ણ અભિનવતાનું તે જે નિર્માણ લાવી રહ્યું છે તેના અનુષંગી બની રહેવાનું છે, તેના નચિકેતા બની તેની અમૃતવિદ્યાને પ્રાપ્ત કરવાની છે.

આ વિરાટ યાત્રામાં ઉમાશંકર આપણા એક અગ્રયાત્રી છે. વિશ્વ શબ્દનો મધુર ઉદ્ગાર આપણા અર્વાચીનોમાં એમણે પોતાની ‘વિશ્વશાંતિ’થી કરેલો છે. આ પહેલાંના આપણા કવિઓ ‘દિવ્ય’ અને ‘બ્રહ્મ’ની ઘણી આરાધના કરી ગયા છે, પણ છેવટે જતાં એ શબ્દો માત્ર શૂન્ય અક્ષરો બની રહેલા. આ દિવ્ય બ્રહ્મ હવે વધુ સઘન અને જીવંત રૂપે આપણામાં આપણી કવિતામાં ઊતરી રહ્યું છે. વ્યક્તિ વિશ્વતામાં હવે સભાન અને સઘન રીતે જઈ રહી છે. અત્યારનું જગત હવે પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો પ્રદેશ છોડી ઊર્ધ્વઊર્ધ્વ આકર્ષણાતીત આકાશમાં ગતિ કરે છે, – કોઈ બીજા આકર્ષણમાં પહોંચવા માટે, કેમ કે જ્યાં જ્યાં પદાર્થતત્ત્વ છે ત્યાં આકર્ષણ તો હોવાનું જ, અને સૌથી સઘન તો પરમાત્મા છે, અને એ જ આકર્ષકતમ તત્ત્વ, પરમકર્ષક કૃષ્ણ છે – તેમ આપણી કવિતામાં પણ સ્થૂલને હળવું કરી સૂક્ષ્મમાં ગતિ કરવાના આરંભો થઈ ચૂક્યા છે. અને ઉમાશંકર આપણા એવા એક અવકાશયાત્રી છે. ‘ગંગોત્રી’માં ‘વિશ્વતોમુખી’ ‘વિશ્વમાનવી’ બનવાથી આરંભ કરી તે વિરાટ વિશ્વની અનેકવિધ યાત્રાએ જઈ આવ્યા છે, અને પૃથ્વીપારનાં વિશ્વોને પૃથ્વીના ઉત્તમોત્તમ પદાર્થોની ભેટ આપવાનો સંભાર પોતાની ઝોળીમાં ભરી રહ્યા છે. અને સાથે સાથે એ પરમ સૃષ્ટિને પોતામાં ઝીલવાની, વિરાટના એ સિંહાસનને પોતામાં માંડવાની પણ તૈયારી સુગભીર પરમાર્થયુક્ત સાધના (દ્વારા ?) કરી રહ્યા છે. એમને સૌંદર્ય તો વરેલું જ છે. સૌન્દર્ય પીતાં પીતાં તે કવિ બન્યા છે. હવે સત્યનું વધુ ને વધુ પાન તેમને કવિ કરતાંયે વિશેષ – સિદ્ધ માનવ બનાવશે...” (કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૩૩-૩૪) સુન્દરમ્ના આ શબ્દો એક “જ્યોતિષ્પથયાત્રી” તરીકે ઉમાશંકરની આંતરયાત્રાનો જે પરિચય આપે છે તે પ્રમાણ્યા પછી કશુંયે ઉમેરવાની જરૂર ભાગ્યે જ હોય.



  1. “મને તો એમ લાગે છે કે કવિમાણસ એ કવિતા તો પ્રેરણાથી લખતો હોય છે. એ પોતે સાધન, વાહન, બને છે એ વાત સાચી, પણ કંઈક યુગબળ જેવું પણ છે. આખો ભાષાકીય, સાંસ્કૃતિક સંદર્ભ પણ હોય છે.” – ઉમાશંકર (સંસ્કૃતિ, જૂન, ૧૯૬૮, પૃ. ૨૦૧)
  2. નિરંજન ભગત, ‘કુમાર’, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૪.
  3. સાહિત્યવિચાર, ૧૯૪૭, પૃ. ૮–૯.
  4. એજન, પૃ. ૯–૧૦.
  5. નરસિંહરાવ, ‘મનોમુકુર’ – ગ્રંથ બીજો, ૧૯૩૬, પૃ. ૩૧૫.
  6. જુઓ ‘વિશ્વશાંતિ’(૧૯૭૦)માં ‘આમંત્રણ’.
  7. મનોમુકુર – ગ્રંથ બીજો, ૧૯૩૬, પૃ. ૩૦૨–૩૧૫.
  8. વિવિધ વ્યાખ્યાનો – ગુચ્છ ત્રીજો, ૧૯૫૬, પૃ. ૫૨.
  9. નવીન કવિતા વિષે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૧૩.
  10. ગુજરાતી સાહિત્યની રૂપરેખા, બીજી આવૃત્તિ, ૧૯૪૯, પૃ. ૩૩૫.
  11. હીરાબહેન પાઠક, ‘કાવ્યભાવન’, ૧૯૬૮, પૃ. ૨૨૬.
  12. કવિની શ્રદ્ધા, ૧૯૭૨, પૃ. ૨૩૮.
  13. જુઓ ઉમાશંકરનો “સાહિત્યકાર શું શોધે છે ?” લેખ. (‘સંસ્કૃતિ’, સપ્ટેમ્બર, ૧૯૬૫, પૃ. ૩૨૩–૩૨૪) ઉમાશંકર આ લેખમાં સાહિત્યકારની શોધની બાબતમાં કહે છે :
    “સાહિત્યકાર શબ્દ શોધે છે, શબ્દરૂપે સ્વ-રૂપ શોધે છે. અને જો, શબ્દને પામે છે તો સ્વરૂપને પણ પામે છે.” (પૃ. ૩૨૪) સાહિત્યકારના સંદર્ભે કહેલી વાત ‘ક્યાં છે કવિતા ?’ એમ પ્રશ્ન કરી કાવ્યની ‘શોધ’ કરનાર ઉમાશંકરને લાગુ પાડવામાં જ ઔચિત્ય છે.
    ઉમાશંકરે ‘જર્નલ ઑફ સાઉથ એશિયન લિટરેચર’માં MAHFIL તરફથી લેવાયેલી મુલાકાતમાં એક પ્રશ્નના જવાબમાં કહેલું આ સંદર્ભે નોંધવા જેવું છે. તેમણે જણાવેલું કે ``The new beginnings in my poetic writings and the phrasing of my criticical utterences were, I think, not lost on my younger contemporaries. My poetry and criticism must have contributed. to the creating of a critical climate in which newer writing flourishes. I know I am an adept at provoking sharp reactions and open oppositions. This is exactly what I would cherish more than founding a school. (P. ૭) (૭ માર્ચ, ૧૯૭૩, નવી દિલ્હી)
  14. ‘मूलमें मैं डुंगरोंका । उमाशंकर, ‘निशीथ एवं अन्य कविताएं’, ૧૯૬૮, पृ. ૧૧.
  15. ઉમાશંકર સમક્ષ પૃથ્વી નહીં, કિન્તુ વિશ્વ છે.’ રઘુવીર ચૌધરી (ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૨મું સંમેલન, હેવાલ, પૃ. ૪૨૦)
  16. ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૨૪.
  17. એજન, પૃ. ૪૩.
  18. અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૦૪.
  19. વસંતવર્ષા, ૧૯૬૨, પૃ. ૮૧.
  20. ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૯૭.
  21. આતિથ્ય, ૧૯૬૯, પૃ. ૬૨.
  22. પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૪૩.
  23. કુમાર, મે, ૧૯૪૦, પૃ. ૧૭૨.
  24. ગોષ્ઠિ, ૧૯૫૭, પૃ. ૫૨.
  25. કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૬.
  26. એજન, પૃ. ૨૧૭.
  27. એજન, પૃ. ૨૨૨.
  28. કવિતા વાંચવાની કળા, ૧૯૭૧, પૃ. ૩.
  29. કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૯–૨૦.
  30. એજન, પૃ. ૨૨૨.
  31. એજન, પૃ. ૨૨૩–૨૨૪.
  32. મિલાપ, ડિસેમ્બર, ૧૯૬૮, પૃ. ૧૪.
  33. ગુજરાત સાહિત્યસભા અમદાવાદ – કાર્યવહી સને ૧૯૩૯–૪૦, વિભાગ ત્રીજો, પૃ. ૨૨. ઉમાશંકર એમની વિદ્યાપીઠ ડાયરીમાં પણ આશ્રમ રસ્તે ચાલતાં ભાવાવિષ્ટ થઈને લખે છે : “આ જ રસ્તે બાપુ ચાલ્યા હશે ! એ પવિત્ર ધૂલિનો સ્પર્શ હું અનધિકારી કરી રહ્યો છું. એવાં મારાં શાં પરભવનાં પુણ્ય હશે ? મહાન પુરુષોના સમકાલીન હોવું એ કેવું અહોભાગ્ય ! ....” આગળ જતાં આ ભાવાનુસંધાનમાં તેઓ લખે છે : “હું શું અધિકારથી એમની વચ્ચે પગ મૂકું છું ? ને ઘણીયે વાર એ રસ્તે મેં ગળગળા થઈને દેશસેવાની દીક્ષા લીધી છે. ચાલતો છતાં એ રસ્તાની ધૂળ પર મનથી આળોટી તે માતાને વફાદાર રહેવાની ભાવના ત્યાં મેં બળવત્તર બનાવી છે.” (૭–૮–૧૯૩૧ : “ ’૩૧માં ડોકિયું”, ૧૯૭૭, પૃ. ૭૩.)
  34. સંસ્કૃતિ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૨૪૧.
  35. એજન, પૃ. ૨૪૧.
  36. મિલાપ, ડિસેમ્બર, ૧૯૬૮, પૃ. ૧૪. ઉમાશંકરે ‘કવિની શ્રદ્ધા’(૧૯૭૨)માં, ‘અભિભાષણ’ વ્યાખ્યાનલેખમાં પણ સ્પષ્ટ જણાવ્યું છે : “અમે ગાંધીજીની પ્રેરણા નીચે જેલમાં ગયા હતા. ત્યાં અમારી મહેમાનગતિ બ્રિટિશ સરકારે કરી હતી, પણ જેલ છોડી ત્યારે અમે ૧૯૩૦ના ગાળાના યુવકો સમાજવાદના વિચારો લઈને બહાર આવ્યા. તેમ છતાં અમારી ઉપર મુખ્ય પ્રભાવ તો ગાંધીજીનો જ રહેવા પામ્યો.” (પૃ. ૨૩૮)
  37. કુમાર, મે, ૧૯૪૦, પૃ. ૧૭૪.
  38. પહેલી આવૃત્તિનું નિવેદન, વિશ્વશાંતિ.
  39. અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૦૫.
  40. “અજાણ્યું વ્હૈ આવ્યું ગભરુ ઝરણું કો તવ પદે; પ્રવાસી, તેં એને હૃદય જગવી સિંધુરટણા.” – ઉમાશંકર (આચાર્ય શ્રી કાકાસાહેબ કાલેલકરને ‘ગંગોત્રી’નું અર્પણ કરતાં લખેલી પંક્તિઓ) ઉમાશંકરની આવી ગ્રંથ-અર્પણ-પંક્તિઓ એમના આંતરમધુર સ્નેહસંબંધના રસભીના સમયનું માર્મિક રીતે દર્શન કરાવી આપે છે.
  41. કુમાર, મે, ૧૯૪૦, પૃ. ૧૭૫, ૧૯૧.
  42. એજન, પૃ. ૨૨૦–૨૧.
  43. કુમાર, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૩–૨૫૪.
  44. કુમાર, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૪.
  45. કિશનસિંહ ચાવડા, ‘તારામૈત્રક’, ૧૯૬૮, પૃ. ૧–૬.
  46. નિરંજન ભગત, ‘કુમાર’, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૪.
  47. રઘુવીર ચૌધરી, ‘ગ્રંથ’, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૪૯.
  48. તારામૈત્રક, ૧૯૬૮, પૃ. ૬.
  49. જુઓ ‘બલિ’ કાવ્ય, આતિથ્ય, ૧૯૬૯, પૃ. ૧૭૩.
  50. અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૧–૧૨.
  51. સંસ્કૃતિ, જાન્યુઆરી, ૧૯૬૯, પૃ. ૩૪.
  52. ગ્રંથ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૪૯.
  53. અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૫.