એકોત્તરશતી/૪૨. પ્રાર્થના


પ્રાર્થના

ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે, જ્ઞાન જ્યાં મુક્ત છે, ઘર ઘરના વાડાઓએ જ્યાં રાતદિવસ પોતાના આગણામાં વસુધાના નાના નાના ટુકડા કરી મૂક્યા નથી, વાણી જ્યાં હૃદયના ઝરણમાંથી સીધી વહે છે, કર્મનો પ્રવાહ જ્યાં અનિવાર રીતે દેશે દેશે અને દિશાએ દિશાએ અજસ્ત્રપણે સહસ્ત્રવિધ સફળતા પ્રતિ ધસે છે, તુચ્છ આચારની મરુની રેતી જ્યાં વિચારના ઝરણાને ગ્રસી લેતી નથી—પૌરુષને શતધા છિન્નભિન્ન કરી નાખતી નથી, હમેશાં તું જ્યાં સકલ કર્મ વિચાર અને આનંદનો નેતા છે, તે સ્વર્ગમાં તારે પોતાને હાથે નિર્દય આઘાત કરીને, હે પિતા, ભારતને જગાડ. જૂન-જુલાઈ, ૧૯૦૧ ‘નૈવેધ’

(અનુ. નગીનદાસ પારેખ)