એકોત્તરશતી/૭૨. દુઇ નારી

From Ekatra Wiki
Revision as of 02:25, 2 June 2023 by Meghdhanu (talk | contribs) (Added Years + Footer)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બે નારી(દુઈ નારી)

કોઈક ક્ષણે સૃજનના સમુદ્રમન્થનથી બે નારી અતલના શય્યાતલને છોડીને નીકળી હતી. એક જણ ઉર્વશી, સુન્દરી, વિશ્વના કામના-રાજ્યમાં રાણી, સ્વર્ગની અપ્સરી. બીજી લક્ષ્મી તે કલ્યાણી, સ્વર્ગીની ઈશ્વરી; વિશ્વની જનનીરૂપે તેને ઓળખું છું, એક જણ તપોભંગ કરી ઉચ્ચહાસ્યના અગ્નિરસથી ફાગણનું સુરાપાત્ર ભરીને પ્રાણમન હરી લઈ જાય છે; વસન્તના પુષ્પિત પ્રલાપમાં, રાગરક્ત કેસૂડામાં અને ગુલાબમાં, નિદ્રાહીન યૌવનના ગાનમાં, બે હાથે તેમને વેરે છે. બીજી અશ્રુના ઠંડકભર્યા સ્નાનથી સ્નિગ્ધ વાસનામાં (પ્રાણમનને) પાછાં વાળી લાવે છે; હેમન્તની સુવર્ણકાન્તિમયી ફળવતી શાન્તિની પૂર્ણતાએ પહોંચાડે છે; વિશ્વજગતના આશીર્વાદ તરફ અચંચલ લાવણ્યના સ્મિતહાસ્યની મધુર સુધામાં વાળી લાવે છે. ધીરેથી, જીવન મૃત્યુના પવિત્ર સંગમતીર્થને તટે અનન્તની પૂજાના મન્દિરે લઈ આવે છે. ૩ ફેબ્રુઆરી, ૧૯૧૫ ‘બલાકા’

(અનુ. ઉમાશંકર જોશી)