કંકાવટી મંડળ 1/મોળાકત

Revision as of 10:03, 24 May 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મોળાકત|}} '''આષાઢ''' મહિનાનાં અજવાળિયાં નીતરે છે. કુમારિકાઓ જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મોળાકત


આષાઢ મહિનાનાં અજવાળિયાં નીતરે છે. કુમારિકાઓ જવેરા વાવે છે. કેવી રીતે વાવે? બરાબર આષાઢની અજવાળી પાંચમે —

મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો
મારે કિયા ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો
મારે…ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો
મારે…વહુએ સીંચ્યા રે જવ છે ડોલરિયો

એમ ગાતી ગાતી તેવતેવડી કુમારિકાઓ ભેળી મળીને કાળી ધૂળ અને છાણ લેવા નીકળે છે. લાવીને રામપાતરમાં ભરે છે. એમાં જવ, ઘઉં, તલ ને મગ : એમ ચાર જાતના દાણા વાવે છે. ત્રીજે દિવસે તો જવેરા ઊગી જાય છે. લીલા લીલા રૂપાળા કોંટા ફૂટે છે. પાંચમે દિવસે જવેરા પૂજાય છે. કેવી રીતે પૂજે? રૂનો એક નાગલિયો કરીને ચડાવે અને કંકુના છાંટા નાખે. દસમને દા’ડે કુમારિકા ડાટો કરે છે. ડાટો કરે એટલે શું? લાપસી કરે, કાં ચૂરમું કરે. પરોઢિયો પેટ ભરીને ખાઈ લે. દસમથી પૂનમ સુધી રોજ સવારે ઘેરો વળીને કુમારિકાઓ નદીએ નાહવા જાય. જાય ત્યારે ય ગાતી જાય :

મગ મગ જેવડા મોગરા રે
તલ તલ જેવડાં ફૂલ, મોરી સૈયર! આંબો મોર્યો.
ગામનો ગરાસિયો કૃષ્ણકુમાર [1] રે
પાઘડીમાં રાખે ફૂલ મોરી સૈયર! આંબો મોર્યો.
ગામની ગરાસણી…બા1 રે
ફરતાં ઝીલે ફૂલ મોરી સૈયર! આંબો મોર્યો.

નદીકાંઠે ગારાની ગોર્ય (ગૌરી) કરી હોય તેને નાહ્યા પછી કુમારિકાઓ પૂજે. પૂજતાં પૂજતાં ગાતી જાય :

ગોર્યમા ગોર્યમા રે
સસરો દેજો સવાદિયા
તમે મારી ગોર્યમા છો!
ગોર્યમા ગોર્યમા રે
સાસુ દેજો ભુખાળવાં. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
કંથ દેજો કહ્યાગરો. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
નણંદ દેજો સાહેલડી. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
દેરાણી જેઠાણીનાં જોડલાં. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
દેર ને જેઠ બે ઘોડલે. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
ભગર ભેંસનાં દૂઝણાં. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
કાઠા તે ઘઉંની રોટલી. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે
મહીં રે માળવિયો ગોળ રે. — તમે મારી.

  1. પોતાના ગામનાં જે રાજા–રાણી હોય તેનાં નામ લેવાય છે.