કંદમૂળ/યાયાવર પક્ષીઓ

યાયાવર પક્ષીઓ

કાતિલ ઠંડીથી બચવા
સાઇબીરિયાથી કચ્છ જતાં
પ્રવાસી પક્ષીઓનાં ખરી રહેલાં પીંછાં
હવામાં ઊડતાં જઈ પડે છે
અજાણ્યા પ્રદેશોમાં.
અજાણી ભૂમિઓની પૂજનીય લોકવાયકાઓ જેવાં
એ વિદેશી પીંછાં,
બદલે છે રંગ
સ્થાનિક સ્થળના સ્થાનિક આકાશ પ્રમાણે
અને એ પ્રદેશો પરથી દૂર ઊડી ગયેલાં
એ યાયાવર પક્ષીઓનાં
પીંછાં વગરનાં
હળવાફૂલ શરીર
ખાલી ખાલી ઊડ્યા કરે છે
બમણી ગતિએ.
અમસ્તા આકાશોમાં.