કંદરા/જળાશયોને રસ્તે

Revision as of 00:33, 21 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જળાશયોને રસ્તે


અત્યારે મને ઊંઘ જેવું ખાસ નથી લાગતું
પણ પૃથ્વીની ધરીના બીજા પ્રદેશમાં
લોકો અત્યારે સૂતા હશે.
એ લોકોયે કંઈ સૂરજની રાહ જોતાં
ચિંતાતુર તો નહીં બની ગયા હોય,
પણ છતાં, સૂરજ ત્યાં પહોંચશે.
એટલે એ લોકો જાગશે.
લીલ ભરેલા તળાવ પર ખરી પડશે
શિશિરનાં ફૂલો ને પહાડો પર
ઉકળતી ચાની સુગંધ લેતાં પુરુષો બેઠા હશે
તાપણું સળગાવીને,
એમની સ્કાર્ફ બાંધેલી ભલી પત્નીઓ સાથે.
ગરમ, રાતા કોલસા, રાખના ઢગલામાં ઠરી જાય
તો બીજી કાઠીઓ લાવી, ફૂંકો મારી પેટાવે ફરી.
આકર્ષાઈ જઈ તાપણાથી
ટોળે વળી જશે મૂંગાઓ !
ને એમનાથી થોડેક જ દૂર,
પેલું મૃત શરીર રાતનું,
ઠંડીમાં થીજી ગયેલું,
પોયણીઓ વચ્ચેથી માર્ગ કરતું
વહી રહ્યું હશે,
એક પછી એક જળાશયોના રસ્તે.