કંદરા/શિલાલેખ

શિલાલેખ

પાટીમાં ઉપસી આવેલી વાદળી ધાબાંઓની વિઘા
આજે અદશ્ય થઈ ગઈ છે.
હું અબોધ થઈ ગઈ છું.
મારા વાદ-વિવાદ, મારું ચાતુર્ય, મારી તીક્ષ્ણ વાણી,
ચર્ચા હતી એની દેશદેશાવરમાં.
પણ આજે મેં મારા ગુરુને લાત મારી.
અને બિચારા વૃદ્ધ, દૂબળા-પાતળા ગુરુએ આપઘાત કર્યો.
હવે મેં એવું સાંભળ્યું છે કે આ બધા લોકો
ભેગા થઈને મને એક મૂર્ખની સાથે પરણાવવાના છે.
ખબર નહીં કેમ પણ મને મારા
અજ્ઞાની પતિ પર ખૂબ વ્હાલ આવે છે.
હું આતુર છું અમારા બાળકને જન્મ આપવા.
એની અજ્ઞાનતાના એક દિવસ
શિલાલેખ કોતરવામાં આવશે.
એ ત્યાંથી પસાર થશે અને એ લિપિને
ઉકેલ્યા વગર જ ચાલ્યો જશે.
એ કાયમ બંધ મુઠ્ઠીઓ વાળીને દોડતો રહેશે.
કોઈ એને પકડી નહીં શકે.
મને ખબર છે કે એની બંધ મુઠ્ઠીમાં શું હશે!