કમલ વોરાનાં કાવ્યો/2 ગાંધી ૧૫૦

From Ekatra Wiki
Revision as of 15:47, 7 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગાંધી ૧૫૦


બાપુ!
હું, તમારો આંગળિયાત,
સત્ય શું છે
તે જાણું છું;
પણ આચરી શકતો નથી.
અસત્યને
તિરસ્કારું છું,
પણ તજી શકતો નથી.
તમે સત્યના કર્યા,
હું ધિક્કારના પ્રયોગોમાં
ગરક છું.

૨.
ધાર્યું નહોતું કે
મારું જીવન તે મારી વાણી
ગોખાવતાં ગોખાવતાં
ચતુર વાણિયાની જેમ,
તમે એકાએક પરીક્ષા લેશો, બાપુ!
હૈયે હતું, હોઠે આવ્યું :
મારી વાણી
તે મારુંં જીવન.

૩.
સોયના પૂળામાં
ખોવાઈ ગયેલું એકાદ તણખલું, સૂકું કે કૂણું
શોધતાં શોધતાં
લોહિયાળ કરી નાખેલ આ હાથે,
કઈ રીતે મેળવું
તમારો હાથ, બાપુ?!

૪.
મિસ્ટર ગેન્ઢી
વી આર કાઇન્ડ ઓફ ડન વિથ યુ
યુ મે લીવ અસ નાઉ
નાઉ વી એક્ઝિસ્ટ ઇન ડિજિટલ વર્લ્ડ વ્હેર
નથિંગ ઇઝ રિયલ નથિંગ અનરિયલ આઇધર
ન તો સત્યનો જય ન અસત્યનો પરાજય
ઇન ફેક્ટ નો ટ્રૂથ એન્ડ નો લાઇ્ઝ
ઓન્લી એ સ્પેક્ટકલ ઓફ વાયોલન્સ
વિથ લાઇવ વિઝ્યુઅલ્સ
નોન-વાયોલન્સ ઇઝ ઓલ જન્ક, મિસ્ટર ગેન્ઢી!
નો ક્લીનલિનેસ નો ગોડલિનેસ
એવરીથિંગ કલરફુલ એન્ડ ઇન્સ્ટન્ટ
ઇન્સ્ટન્ટ ડાયરેક્ટ ટ્રાન્સફર
ફોર અ બિલિયન કન્ટ્રીમેન
હેન્સ નો નીડ ઓફ કરન્સી એટ ઓલ
સોરી, નો પ્લેસ ફોર યુ મિસ્ટર ગેન્ઢી
શ્યોરલી વી આર થેંકફુલ ટુ યુ
બટ,
બટ, ટાઇમ ટુ એક્ઝિટ ધ નેશન, ડિયર ફાધર!
ઇન ફેક્ટ વી ગાઈઝ્ કેન હેલ્પ
એન્ડ ડિલિટ યુ
વિથ એ ટચ ઓફ ધ ફિંગર, બાપુ!


સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર નથી
સત્યરૂપી સૂરજનું સંપૂર્ણ દર્શન
સંપૂર્ણ અહિંસા વિના શક્ય નથી
વ્યાપક સત્યનારાયણના પ્રત્યક્ષ દર્શનને સારુ
જીવમાત્રની પ્રત્યે
આત્મવત્ પ્રેમની પરમ આવશ્યકતા છે
આત્મશુદ્ધિ વિના
અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે
સત્યમય થવાને સારું અહિંસા
એ જ એક માર્ગ છે
પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે.*

આ લખી રહ્યો છું તે કાગળ,
કાગળ પર અક્ષરો પાડતી કલમ,
કલમને પકડતો
અશુદ્ધ છે.
હાથમાં સ્નાયુઓનો સંચાર,
રગોમાં ધબકતું લોહી,
લોહીને ધકેલતું હૃદય - અશુદ્ધ
ચેતના અશુદ્ધ છે.
સાધન-શુદ્ધિનો તમારો આગ્રહ, બાપુ!
દોઢ સદીએય
મને તમારાથી છેટો રાખે છે!

ગાંધીજીની આત્મકથાના ‘પૂર્ણાહુતિ’ પ્રકરણમાંથી ઉદ્ધૃત.


૬.
જીવી જીવીને
માણસ સો શરદ જીવે,
તમે તો દોઢસોને આંબી ગયા, વહાલા બાપુ!
હાઉં, બહુ થયું, હવે સિધાવો
તમારો રહ્યોસહ્યો ઓછાયો
હજુ, ક્યારેક ક્યારેક
અણધાર્યો જ વચ્ચે આવી જઈ
અમારાં તાંડવોનો લય
ભંગ કરી નાખે છે.
ત્યારે, થોડી વાર અમે ઘાંઘાં થઈ
સૂધબૂધ ખોઈ બેસીએ છીએ.
પણ ફરી,
ફરી અમારાં વિચાર, વાણી. વર્તનમાં
પ્રકૃતિ પ્રત્યે
પશુ પ્રત્યે
મનુષ્ય પ્રત્યે
ઝેરી વીજળીઓ ફૂંફાડા મારે છે.
હિંસાહારી, હિંસાચારી, હિંસાકારીના આ હાથે
છેલ્લો કટોરો પી જાઓ,
જાઓને હવે, બાપુ વહાલા!