કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/કવિ અને કવિતાઃ ચંદ્રકાન્ત શેઠ

કવિ અને કવિતાઃ ચંદ્રકાન્ત શેઠ

મૂળની સાથે મેળ છે તેવા, સમષ્ટિના સૂર સાથે પોતાનો સૂર મેળવતા-કેળવતા કવિ ચંદ્રકાન્ત શેઠનો જન્મ તા. ૩-૨-૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ગામે. વતન ઠાસરા (જિ. ખેડા). માતા સરસ્વતીબહેન, પિતા ત્રિકમલાલ માણેકલાલ શેઠ. પ્રાથમિક શિક્ષણ હાલોલ અને કણજરી (તા. હાલોલ), ત્યારબાદ ધોરણ ૫થી ૭ હાલોલની ધ મહાજન સાર્વજનિક હાઈસ્કૂલ; ધોરણ ૮થી ૧૧ પ્રોપ્રાઇટરી હાઇસ્કૂલ, અમદાવાદમાં. ૧૯૫૪માં તેઓ મૅટ્રિક થયા. ૧૯૫૮માં ગુજરાત કૉલેજ, અમદાવાદમાંથી બી.એ. અને ૧૯૬૦માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી તેઓ એમ.એ. થયા. ‘ઉમાશંકર જોશીઃ સાહિત્યસર્જક અને વિવેચક’ વિષય લઈને ૧૯૭૯માં એમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી. (વિદ્યાવાચસ્પતિ) કર્યું. ૧૯૬૧-૬૨ સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ખંડ સમયના વ્યાખ્યાતા, ૧૯૬૨-૬૩ કપડવંજ કૉલેજમાં અધ્યાપક, ૧૯૬૩-૬૬ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં વ્યાખ્યાતા, ૧૯૬૬-૭૨ ભક્ત વલ્લભ ધોળા કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક, ૧૯૭૨ ગૂજરાત વિદ્યાપીઠમાં રીડર, ૧૯૭૯-૮૪માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી લીઅન પર આવ્યા અને ક. લા. સ્વાધ્યાય મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના નિયામક થયા. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન; ૧૯૯૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી પ્રાધ્યાપક તથા ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત. ૧૯૯૮થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સહસંપાદક તરીકે તથા બાળવિશ્વકોશના સંપાદક તરીકે સેવાઓ આપે છે. ૧૯૮૦-૮૨ સહસંપાદક, ૧૯૮૨-૮૪ માનાર્હ સંપાદક, ગુજરાતી સાહિત્યકોશ, ગુ. સા. પરિષદ, અમદાવાદ; ૧૯૮૯-૯૦માં રાષ્ટ્રીય પ્રાધ્યાપક; ૧૯૯૭-૯૮માં ગુજરાતીના અધ્યાપક સંઘના પ્રમુખ; કેટલોક સમય ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં સલાહકાર; કેટલોક સમય ગુજરાતીનો ફાઉન્ડેશન કોર્સ, ઇન્દિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટી, નવી દિલ્હીમાં સલાહકાર અને કન્વીનર તરીકે સેવાઓ આપી. ૧૯૬૪માં ‘કુમાર’ ચંદ્રક, ૧૯૮૩માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૮૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૬માં સાહિત્ય અકાદેમી દિલ્હીનો ઍવૉર્ડ, ૨૦૦૫માં નરસિંહ મહેતા ઍવૉર્ડ, ૨૦૦૬માં ગુજરાત સાહિત્ય અકાદેમીનો ગૌરવ પુરસ્કાર, ૨૦૧૦માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સચ્ચિદાનંદ સન્માન, ૨૦૧૫-૧૬માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, ૨૦૧૭માં ‘દર્શક ઍવૉર્ડ’, ૨૦૧૮માં બાળકિશોર સાહિત્ય માટે સાહિત્ય અકાદેમી, દિલ્હીનો ઍવૉર્ડ વગેરેથી તેઓ સન્માનિત.

ચંદ્રકાન્ત શેઠ પાસેથી ‘પવન રૂપેરી’ (૧૯૭૨), ‘ઊઘડતી દીવાલો’ (૧૯૭૪), ‘પડઘાની પેલે પાર’ (૧૯૮૭), ‘ગગન ખોલતી બારી’ (૧૯૯૦), ‘એક ટહુકો પંડમાં’ (૧૯૯૬), ‘શગે એક ઝળહળીએ’ (૧૯૯૯), ‘ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય’ (૨૦૦૪), ‘જળ વાદળ ને વીજ’ (૨૦૦૫), ‘ભીની હવા, ભીના શ્વાસ’ (૨૦૦૮), ‘ગગન ધરા પર તડકા નીચે’ (૨૦૦૮), ‘ચિદાકાશનાં ચાંદરણાં’ (૨૦૧૨) તથા ‘હદમાં અનહદ’ (૨૦૧૭) એમ બાર કાવ્યસંગ્રહો મળ્યા છે. ‘ચાંદલિયાની ગાડી’ (૧૯૮૦), ‘હું તો ચાલું મારી જેમ!’ (૨૦૦૧), ‘ઘોડે ચડીને આવું છું...’ (૨૦૦૧) બાળકાવ્યોના ત્રણ સંગ્રહો પણ મળ્યા છે.

ચંદ્રકાન્ત શેઠના પિતા ત્રિકમલાલ માણેકલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ.કીર્તનમાં, ઠાકોરજીમાં ઓતપ્રોત. ઘરમાં પુષ્ટિ સંપ્રદાયનું વાતાવરણ. ભજન-કીર્તન ને ભાગવતાદિનું વાચન-શ્રવણ. તેઓ જન્મ્યા અને સ્નેહાળ માતા લકવાગ્રસ્ત થઈ. ઘરમાં વજ્રથીયે વધારે કઠોરતા ને કુસુમથીયે વધારે કોમળતાનો અનુભવ થતો રહ્યો. બાળવિધવા મોટી બહેન સુરીલા કંઠે હલકથી દયારામનાં પદો ગાતી. હવેલીની જેમ ઘરમાંયે સેવા-ઉત્સવ-કથા-કીર્તનનો માહોલ. મંદિરમાં રાસ-હોંચ રમાતાં. આ બધાંના સ્વાદ થકી, ભગવાનના પ્રસાદ થકી કવિતાનો પિંડ બંધાતો ગયો. જાદુના ખેલ, રામલીલા, ભવાઈના ખેલ, નટના ખેલ ને રાસલીલાના ખેલ — આ બધું એમની ચેતનામાં રોપાતું ગયું. સાતમા ધોરણથી કવિતાની શરૂઆત. ૧૯૪૮માં ગાંધીજીનો દેહાંત થતાં કાવ્ય લખેલુંઃ ‘એવા બાપુ અમર રહો!’ કિશોર વયથી જ એમને ગાંધીજી ગમતા ને ખાદી પહેરવાની ઇચ્છા થતી. રવીન્દ્રનાથનું પ્રબળ ખેંચાણ. મૅટ્રિક સુધીમાં પ્રચલિત છંદો પર ઠીક ઠીક પ્રભુત્વ મેળવેલું. ગુજરાત કૉલેજમાં તેઓ દાખલ થયા ત્યાં લાભશંકર ઠાકર તથા રાધેશ્યામ શર્મા જેવા મિત્રો મળ્યા. લાભશંકરે એમને ‘કુમાર’ની ‘બુધસભા’નું ડહેલું બતાવ્યું ને પછી તો જાણે ગગન ખોલતી બારી ખૂલી ગઈ. મુ. બચુભાઈની ‘બુધસભા’માં સુન્દરમ્, ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, પ્રિયકાન્ત, બાલમુકુન્દ જેવા કવિઓની કવિતાને પ્ર-માણવા મળી. રઘુવીર ચૌધરી, ચિનુ મોદી, આદિલ મન્સૂરી જેવા મિત્રો મળ્યા. તો ઉમાશંકર, અનંતરાય રાવળ, નગીનદાસ પારેખ, મોહનભાઈ શં. પટેલ જેવા ગુરુજનો મળ્યા.

આમ પુષ્ટિભક્તિના કથા-કીર્તનવાળા વાતાવરણમાં ઉછેર તથા પ્રકૃતિએ એમને કવિતાની ગળથૂથી પાઈ. ‘કુમાર’ની બુધસભા તથા સઘન અભ્યાસ થકી એમનામાં ભારતીય તેમજ પાશ્ચાત્ય કાવ્યપરંપરાના સંસ્કાર સીંચાતા ગયા. તો ‘રે મઠ’ દ્વારા આધુનિકતા અને પ્રયોગશીલતાની દિશા ઊઘડી. ‘આધુનિકતા’ના બંધિયાર ઓરડામાં તેઓ પુરાઈ ન રહ્યા, પણ ‘ગગન ખોલતી’ બધીયે બારીઓ ઉઘાડતા ગયા. એમની કવિતાએ કશી આભડછેટ રાખ્યા વિના બધીયે દિશાઓમાંથી પોષણ મેળવ્યું છે. આમ, એમની ભીતરના કવિને વિકસવા માટે યોગ્ય વાતાવરણ તથા આબોહવા મળી રહ્યાં.
આ કવિને ગળથૂથીમાંથી જ ‘મૂળની સાથે મેળ’ના સંસ્કાર મળેલા છે. એમની એક ગીતપંક્તિ છે —

‘મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું.’

બધે જ સતનો હ્રાસ થતો જાય છે એવા આ સમયમાં મૂળની સાથે મેળ સધાય, આંતરચેતનાના તાર સમષ્ટિચેતના સાથે જોડાય એ માટે કવિ શું કરે છે?! —

‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ;
એના મનમાં ખાલી સમય સડે છે.

ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
જરા મળ્યો જે ભેજ,
— બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે
દેશકાળને દર્પણ એના ડાઘ પડે છેઃ
ચંદ્રકાન્તનો ચ્હેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.

‘અહમ્’ને દૂર કરવા માટે, કવિમિજાજ સાથે, આ કવિ શું કહે છે?  —
‘હું તો મારા હુંને કહું છુંઃ બ્હાર નીકળ, તું બ્હાર!’
કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે વાત કરતાં આ કવિએ કહ્યું છેઃ “હું મારી કાવ્યસર્જનની પ્રક્રિયાને આંતરસાધના-આત્મસાધના જ લેખું છું.”

(‘શબ્દયાત્રા,’ પૃ. ૯૮)


*
“કાવ્યદેવતાનું થાનક બને તેટલું ચોખ્ખુંચણક ને રળિયામણું રહે એવો મારો અંદરનો ઉછાળ-ભાવ હોય છે. કાવ્યસર્જન દરમિયાન મારો ‘હું’ મને ઓછામાં ઓછી ડખલ કરે એ માપ કે મર્યાદામાં રહે એની બનતી તકેદારી રાખું છું. મારી ખટાપટી તો મારા સર્જનની વૈયક્તિક ક્ષણ વૈશ્વિકતા સાથે સૂરસંધાન (‘ટ્યૂનિંગ’) કરીને કઈ રીતે શાશ્વતીના રસની ક્ષણમાં રૂપાંતરિત થાય એ માટેની હોય છે. મારી સચ્ચાઈ કવિતાના પદે પદે વધુમાં વધુ નિર્મળ ને નમણા સ્વરૂપે પ્રગટવી જોઈએ.”

(‘શબ્દયાત્રા’, પૃ. ૯૯)

નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ વગેરે ઉપનામોથી એમણે લખ્યું છે. શા માટે આ ઉપનામો?! — પોતાનાં જ અનેક બ્રાહ્ય રૂપોને તપાસવા સ્તો! ને એમાંથી સાચા ચંદ્રકાન્તને શોધવા સ્તો! ’ક્યાં છો ચંદ્રકાન્ત?’માં કવિ પોતાનાં બાહ્ય રૂપો વચ્ચેથી ’અસલ ચંદ્રકાન્ત’ની શોધ આ રીતે આદરે છે —

કેટલાયે કૅમેરાની આંખો પ્હેરી,
અંધકારો આંજી આંજી,
પ્રકાશોથી રંગી રંગી,
પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,
ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા;
ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!

ચારે કોર ચંદ્રકાન્તો
ખીચોખીચ
કીડિયારાં રચી રચી જીવે,
– એમાં હું જ હોઉં એવો સાચો
એક તો બતાવો મને
ચંદ્રકાન્ત ક્યાં છે?
ક્યાં છે?
ક્યાં છે?

જાતની વિડંબના કરતાં કરતાં, હસતાં હસતાં આ કવિ બાહ્ય આડંબરોને આમ ઉતારીય શકે છે —

‘જો એ પૂંછડીઓ મને ચોંટી રહે
ને તેથી મિત્રો મને દાદ આપે
તો
ઊભી બજારે
સાત પૂંછડીઓ બતાવતાં ફરવા
કદાચ
નિર્વસ્ત્ર થવાનુંયે હું કરું!

જાતની વિડંબના કરતા જઈને કવિ શબ્દનું, કવિતાનું સત્ય પેટાવે છે — ’એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ’માં કવિ કહે છે —

‘હું શું કરું છું?
બનાવટ – શબ્દોની ચોક્કસ પ્રકારની નમૂનેદાર બનાવટ.
સમય છે, શક્તિ છે, સાધન છે, પ્રોત્સાહન છે,
તો લખીએ છીએ.’

આ કવિને સંગીત, નાટક, ફિલ્મ, ચિત્ર, પ્રવાસમાંય રસ છે, આથી એમની કવિતામાં સાંસ્કૃતિક સંદર્ભો ઊંડાણપૂર્વક પ્રગટે છે. આ કવિનો શબ્દ અનુભવની પ્રક્રિયામાં રસાઈને પ્રગટ થાય છે. સત્યના આગ્રહી એવા આ કવિ એમની કેફિયત — ‘મારો વાગ્યોગ’માં નોંધે છે —

“ક્યારેક મારા થકી નાનાં છમકલાં જેવાં અસત થાય ત્યારે મારી બેચેની ભારેની હોય છે અને કોઈ રીતે એની કબૂલાત કરાય ત્યારે જ મને આશ્વાસન — હાશકારો રહે છે — મારો શ્વાસ હેઠે બેસે છે. આ મારી ભૂમિકાથી મારા કાવ્યના શબ્દને છુટ્ટો ન પાડવો જોઈએ.” “મને ગેરસમજ પોસાય છે, અસત હરગીજ નહીં.” ભીતરની આવી સચ્ચાઈથી આ કવિનો શબ્દ ઝળહળે છે અને કવિતાની ત્રિજ્યા વિસ્તરે છે. આ કવિનો શબ્દ ઊંડાણમાંથી પ્રગટે છે અને ઊંચાણમાં લઈ જાય છે. આ કવિનો શબ્દ ચિદાકાશમાં ચાંદરણાં પ્રગટાવે છે, આ કવિનો શબ્દ હદમાંથી અનહદમાં પ્રવેશે છે.

૧૯૭૪માં આ કવિને પ્રશ્ન થયો હતો —

‘છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી
ઓગણીસો ચુમ્મોતેરને કેમ ચલાવવો?’

આ કવિ કાજે ભાષાએ શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી દીધો છે ને એ ચાલવા માંડી છે રોજના જીવવાના માર્ગે ને ભાષા હવે આ કવિની જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે! આકાશનો સોદો કરવા નીકળતા આ કવિએ હવે એમની કાણી હોડીથી ઇકોતેર પેઢીઓને સામે પાર લઈ જવાની નૈતિક જવાબદારી છોડી દીધી છે. એમની તીવ્ર સંવેદનશીલતા ‘સંવેદનચિત્રો’ જેવી વિલક્ષણ કૃતિઓ રચાવે છે. ‘કક્કાજીની અ-કવિતા’ રચતા આ કવિ કોથળામાં પ્લાસ્ટિક વીણનાર વિશેય કવિતા રચે છે. કવિતામાં તેઓ ભાત ભાતના ખેલ ખેલી શકે છે. કવિતામાં અકસ્માતની એમની બીક નથી, બલકે, એક આલાગ્રાન્ડ ઍક્સિડન્ટનું અરમાન છે! ક્યારેક કશી અઘરી વાત આ કવિ રમત રમતમાં બાળકોની શૈલીમાંય પ્ર-ભાવક રીતે રજૂ કરી દઈ વિસ્મય જગવે છે —

‘દેડકી! ડાહી થા,
મળે તે ખા,
સૂઝે તે ગા
ને નહીંતર જા... પાવલો પા...’

થા, ખા, ગા, જા, પા — જેવા પ્રાસ પણ વિરલ.

આ કવિને તેજની તરસ લાગી છે, એમને અંધકારનો ‘પવન રૂપેરી’ આવતો અનુભવાય છે, ‘ઊઘડતી દીવાલો’ જ નહિ, આ કવિને ‘ગગન ખોલતી બારી’ય લાધી છે. આથી જ તેઓ ‘પડઘાની પેલે પાર’ જવાનો કીમિયો જાણે છે. ‘સ્વ’નાં તેમજ ‘જળ વાદળ ને વીજ’નાં રહસ્યો પામવા તેઓ મથે છે. અધ્યાત્મની એક બારી એમની અંદર ઉઘાડ પામી છે આથી જ તો ‘ચિદાકાશમાં ચાંદરણાં’ પ્રગટ્યાં છે. એમનો શબ્દ અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોને તાગે છે! આથી જ આ કવિમાં કોઈ આંધળું પંખી, તણખલે ગગન બાંધ્યા કરે છે! પડઘા સતની નાડ ભીંસે છે ત્યારે કવિના પંડમાં તિરાડ પડે છે! આ કવિ સતની ડાળ સાહીને સકળને તાગે છે; સતત ઊછળતાં મોજાં વચ્ચે આ કવિના ઉતારા છે!

ગીત-સ્વરૂપે તો આ કવિને હૈયે-માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા છે. દરિયામાં જેમ મોજાં પછી મોજાં પછી મોજાં ઊમટે એમ ગીતો આ કવિની ભીતર ઊમટે છે. અંદરના અધ્યાત્મ વગર કેટલીક પંક્તિઓ પ્રગટી જ ન શકે. જેમ કે —

‘બારીમાંથી ગગન પાડતું સાદ!
સાદ ના પાડો.’

*

‘આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને એક માછલી જ બાકી?’

*

‘નભ ખોલીને જોયું પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી’

*

‘પંખી ટહુકે દૂર
અને અહીં ગગન ખોલતી બારી!’

*

‘અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું?’

*

‘ઊંડું જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.’

*

‘જલને જાણે ફૂલ ફુટિયાં, જલને આવ્યાં પાન’

*

‘શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –’

*

‘ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.’

ક્યારેક ગઝલ પણ આ કવિના પંડમાં ટહુકા કરી જાય છે. પણ એમના કવિસ્વભાવને, કવિસ્વરને ગીત વધારે સહજતાથી ફૂટ્યા કરે છે. ગીત કવિને મૂળથી અધ્ધર ઉઠાવે છે —

‘એવી આજે લ્હેર ચઢી જે
મૂળથી મને ઉઠાવે!’

કાવ્ય-કુંડલિની જાગી હોય એવા કવિને જ આવી લ્હેર ચઢે, જે મૂળથી ઉપર ઉઠાવે!

આવનારા સમયને આ કવિ ખૂબ અગાઉથી ઓળખી-પરખી શકે છે. ‘દલો તરવાડી’માં કવિ કહે છે —

‘શું કરું?
ચીભડાં ગળનારી વાડની હારે પનારું પડ્યું છે મારે!’

*

તો ‘નહિ ગમે આ મારો વેશ’ કાવ્યમાં તેઓ કહે છે —

‘તેઓ તેમની સૉફિસ્ટિકેટેડ એસ્પ્રેસો કૉફીમાંથી
આસ્તેથી
રૂપાના ઢોળવાળી ચમચીથી
કાઢી નાખશે મારું નામ બહાર’

આ કવિને એમના વિદેશ-પ્રવાસો (બ્રિટન, અમેરિકા, આફ્રિકા તથા ઇજિપ્ત)ય ફળદાયી નીવડ્યા છે. એમના વિદેશ-પ્રવાસનાં કાવ્યોમાં જે તે દેશનો, સંસ્કૃતિસંદર્ભો સાથેનો, એક ચહેરો પ્રત્યક્ષ થાય છે ને સાથે સાથે કાવ્યત્વ પણ સિદ્ધ થાય છે. ચંદ્રકાન્ત શેઠ વિશે એમના સમકાલીન કવિ સિતાંશુ ચશશ્ચન્દ્રએ લખ્યું છે — “... વહેવારુ અંતિમો તરફથી આવતાં દબાણોને એ વશ થતા નથી. એમની કવિતાના મૂળને એક શોધકચેતના અને એક શોધનપ્રક્રિયાનું સંયુક્ત રસાયણ પોષણ આપતું જણાય છે. જાતને અને જગતને આ કવિ ફંફોસ્યા કરે છે, શોધતો ફરે છે. સાથે જ એ પોતાનું શોધન કરતો રહે છે, નિર્મળ થતો રહે છે.’

ચંદ્રકાન્ત શેઠની કવિતાનાં મૂળિયાં પોતીકી ભોંયમાં ઊંડાં ઊતરતાં ગયાં છે ને વિસ્તરતાં-વિકસતાં ગયાં છે. — આ મૂળિયાંએ પાતાળમાંથી જળ મેળવ્યું છે ને આકાશમાંથી તેજ. પરંપરા અને આધુનિકતા; કલ્પનો અને રૂપકો; તર્ક, વિચાર અને પ્રતીકો; ચંદુડિયો અને ચંદ્રકાન્ત શેઠ... બધુંયે એમના કાવ્યમાં ઓગળતું જાય છે ને નવાં પરિમાણો સિદ્ધ થતાં જાય છે. એમનું સર્જન ઊંડે ને ઊંચે, પેલે પાર ભણીની ગતિ સાધે છે.

૩૦-૬-૨૦૨૧યોગેશ જોષી

અમદાવાદ