કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૫.તોરણ


૧૫.તોરણ

ચિનુ મોદી

પાણી વચ્ચે નાનું અમથું રણ હશે,
આંસુનું આ કેવું બંધારણ હશે !

ખેસવી લીધા બધા આધાર ને
શ્વાસને ટકવાનું કૈં કારણ હશે.

બંધ દરવાજા ઉઘાડો તો ખરા,
ભીંત છે તો ભીંતનું મારણ હશે.

આવી આવીને બધાં દર્પણ થયાં,
કેટલામું મારું આ પ્રકરણ હશે ?

પી જશું સાકી, હળાહળ ઝંખના,
એનું જો તુજ હાથથી વિતરણ હશે.

નર્કથી છૂટ્યાં તો આ વરદાન છે –
જાવ, ધરતી પર હવે વિચરણ હશે.

શોધી શકશો ઘર તમે મારું તરત,
સાત સપનાનું સૂકું તોરણ હશે.

૨૦, ૨૪-૬-૭૪
(દર્પણની ગલીમાં, પૃ.૩૭)