કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૩. આ નેત્રનું તેજ


૩૩. આ નેત્રનું તેજ

નલિન રાવળ


નેત્રનું તેજ
સ્થિર થાય તો પ્રભુ
નિહાળી રહું એકીટશે હું
તારાં
આકાશ-પૃથ્વીરૂપ રમ્ય નેત્રો.

નેત્રનું તેજ
સ્થિર થાય તો પ્રભુ
કાલાબ્ધિઓ પૂર્વ પ્રગટેલ
તારાં
ભર્ગે ભર્યા ભવ્ય આદિત્યરૂપને
ઝીલી રહું નેત્ર મહીં પ્રપૂર્ણ.

નેત્રનું તેજ
સ્થિર થાય તો પ્રભુ
સહુ નેત્રમાં ગુંજી રહેલ
તારાં
નેત્રો તણું અક્ષરતેજ પામી
તારું પ્રભુ (તારી કૃપા થકી)
હું
અવકાશવ્યાપી લયચિત્ર આળખું.
(અવકાશપંખી, પૃ. ૧૪૪)