કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/કવિ અને કવિતાઃ નિરંજન ભગત

From Ekatra Wiki
Revision as of 05:53, 12 July 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search

Heading text

કવિ અને કવિતાઃ નિરંજન ભગત

નિરંજન ભગત


                                                                                  

       પોતાને ‘આધુનિક ઔદ્યોગિક નગરનું’, ‘વીસમી સદીના પૂર્વાર્ધના સંતાન’ તરીકે ઓળખાવનાર નિરંજન ભગતનો જન્મ તા. ૧૮-૫-૧૯૨૬ના રોજ અમદાવાદમાં થયો હતો. પિતા નરહરિ હરિલાલ ભગત. માતા મેનાબહેન. કુટુંબની મૂળ અટક ગાંધી હતી પણ પિતામહ હરિલાલ ભજનમંડળીમાં સક્રિય હતા, આથી સહુએ એમને ‘ભગત’નું લાડકું નામ આપેલું. જે વંશજોની અટકમાં પરિણમ્યું. પ્રાથમિક શિક્ષણ હાજા પટેલની પોળમાં કાળુપુર મ્યુનિસિપલ શાળા નં. ૧માં. ત્યારબાદ ૧૯૩૬-૩૮માં પ્રોપ્રાયટરી સ્કૂલ તથા ૧૯૩૮-૪૪માં દામુભાઈ શુક્લ માધ્યમિક શાળા — નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની લડત માટે એમણે અભ્યાસ અને પરીક્ષાનો બહિષ્કાર કરેલો. ભગવદાચાર્ય પાસે સંસ્કૃતનો અભ્યાસ. ૧૯૪૪માં તેઓ મૅટ્રિક થયા. કૉલેજશિક્ષણ ૧૯૪૪-૪૬માં એલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ તેમજ ૧૯૪૬-૪૮માં એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈમાં. ૧૯૪૮માં અંગ્રેજી સાહિત્ય સાથે બી. એ., ૧૯૪૮-૫૦માં એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી એમ. એ. થયા. ૧૯૫૦માં એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક, ૧૯૫૩થી ગુજરાત લૉ સોસાયટીમાં આર્ટ્સ વિભાગમાં અધ્યાપક, ૧૯૫૬માં બી. ડી. આર્ટ્સ કૉલેજમાં, અંતે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી અંગ્રેજી વિભાગના અધ્યાપક અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત. પિતા પાસેથી ઉગ્ર મિજાજ અને ઊંચો અવાજ વારસામાં મળેલો ને માતા પાસેથી સ્પષ્ટ ઉચ્ચાર અને સુંદર મરોડદાર અક્ષરોનો વારસો સાંપડેલો. પિતાજી બહારગામ જાય ત્યારે ચાર-આઠ આના કે રૂપિયો શિશુ નિરંજનને આપતા એમાંથી તેઓ શાળા સામેની દુકાનમાંથી પુસ્તકો ખરીદતા. (શાળાના ઝાંપે વેચાતાં આથેલાં આમળાં, ચણીબોર કે ગોરસ આમલી નહીં.) તેઓ માત્ર દસ વરસના હતા ત્યારે, ૧૯૩૬માં પિતાએ ગૃહત્યાગ કરેલો. ત્યારથી તેઓ જેમ કવિતામાં શૈશવ તેમ જીવનમાં પિતા શોધતા રહ્યા.

૧૯૫૬-૫૮ દરમિયાન ‘સંદેશ’ દૈનિકની ‘સાહિત્યસાધના’ સાપ્તાહિક કૉલમમાં લેખન. ૧૯૬૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’ના સંપાદક-તંત્રીમંડળમાં જોડાયા (નગીનદાસ પારેખ તથા ભૃગુરાય અંજારિયા સાથે). ૧૯૭૭માં ‘ગ્રંથ’ સામયિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ‘સાહિત્ય’ ત્રૈમાસિકનું સંપાદન. ૧૯૯૭-૯૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૪૯માં કુમાર ચંદ્રક, ૧૯૫૭માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૪માં ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર, ૧૯૯૮માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, ૧૯૯૯માં સાહિત્ય અકાદેમી, દિલ્હીનું પારિતોષિક, ૨૦૦૦માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘સચ્ચિદાનંદ સન્માન’, ૨૦૦૧માં નરસિંહ મહેતા ઍવૉર્ડ વગેરેથી તેઓ સન્માનિત.
તા. ૧-૨-૨૦૧૮ના રોજ ભગતસાહેબનું મૃત્યુ થયું, સાથે ભગતસાહેબના મૃત્યુનુંય મૃત્યુ... ભગતસાહેબે એમના છેલ્લા જન્મદિવસે — ૧૮ મે, ૨૦૧૭ — કાવ્ય લખેલું — ‘મૃત્યુને’. જેમાં તેઓ મૃત્યુને સંબોધન કરે છે. એ કાવ્યની અંતિમ પંક્તિઓ જોઈએ —



(બૃહદ છંદોલય, પૃ. ૧૨)