કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૨. પિતા—

૧૨. પિતા—

નિરંજન ભગત

પિતા, મરણનેય તેં પરમ મિત્ર માન્યો હતો!
તને જીવન જ્યાહરે પુનિત પૂર્ણ લાગ્યું ન’તું,
તદા સતત મૃત્યુનું શરણ તેં ન માગ્યું હતું?
પિતા, મરણનેય તેં જીવનમંત્ર જાણ્યો હતો!

તને પ્રબલ એક આશ હતી એ જ કેઃ ‘છો મરું,
પરંતુ નિજ દેહનાં જ બસ પંચ તે ભૂતને
કરું નહિ સુધન્ય, કિન્તુ મુજ આત્મના ઋતને
કરું પ્રગટ, વિશ્વના સકલ રોમરોમે ધરું!’

અને કરુણ અંતના જીવનની બની એ વ્યથા!
પરંતુ પ્રિય મૃત્યુએ સદય થૈ મિટાવી, પિતા,
જલાવી તવ દેહનાં સકલ બંધનોની ચિતા!
— અમે નિજ કલંકની શીદ મિટાવશું રે કથા?

નહીં, ઘટમહીં તને કદીય તે ન ઝાલ્યો જતો,
વિરાટમય તું ભલે અભયમુક્ત ચાલ્યો જતો!

૧૨-૨-૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૫૮)