કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૯. કરોળિયો

૧૯. કરોળિયો

નિરંજન ભગત

નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભૂંડો ભખ;
સરે લસરતો, તરે શું પવનાબ્ધિ ઑક્ટોપસ;
કુરૂપ નિજ કાય આ પલટવા કયો પારસ?
અને નીરખવા યથાવત ચહે છ કોનાં ચખ?
છતાં મૃદુલ, સ્નિગ્ધ ને રજતવર્ણ કૈં તારથી
ગ્રથે સુદૃઢ જાળ, દેહ નિજથી જ, નિત્યે નવી;
કલાકૃતિ રચે શું ક્લાસિકલ સંયમી કો કવિ,
દબાય નહિ જે જરીય નિજ દેહના ભારથી.

અલિપ્ત અળગો રહે, અતિથિ અન્ય કો સૃષ્ટિથી;
જણાય જડ, સુસ્ત, સ્વસ્થ, અતિ શાંત, કેવો છળે!
સુગંધભર જાળને કુસુમ માનતી જે ઢળે
ન એક પણ મક્ષિકા છટકતી છૂપી દૃષ્ટિથી;
મુરાદ મનનીઃ (નથી નજર માત્ર પૃથ્વી ભણી)
કદીક પકડાય જો નભઘૂમંત તારકણી.

(બૃહદ છંદોલય, પૃ. ૧૩૭)