કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧. જાગૃતિ

૧. જાગૃતિ

નિરંજન ભગત

છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
વનોની મસ્તાની મઘમઘ પરાગે છલકતી
વસંતે જાગી ર્‌હે સકલ કવિ જ્યારે રસભીની;
અને પેલી વર્ષા, ઝરમર નહીં, ધોધ વરસી
બધી સીમા લોપે, અતિ તૃષિત જે ગ્રીષ્મદહને
નવાણો નાચી ર્‌હે, છલછલક જોબંન વહને
વહે, જ્યારે ના ર્‌હે, ક્ષણ પણ ધરા તપ્ત તરસી;
તદા મારી હૈયાકલિ અધખૂલી ફુલ્લ પુલકે,
અને પ્યારાં મારાં સહુ સ્વપન ર્‌હે તે પર ઢળી;
નવાણોયે કાંઠાભર રગરગે ર્‌હે ખળભળી,
અદીઠાં સ્વપ્ને શાં નયન સરતાં દૂર મુલકે!
હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને બે જ ગમતી,
સદા સૌંદર્યોની રસસભર જ્યાં સૃષ્ટિ રમતી!


૧૯૪૩

(બૃહદ છંદોલય, સંવર્ધિત આવૃત્તિ, ૨૦૧૮, પૃ. ૩)