કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૩. નવા આંક

૨૩. નવા આંક

નિરંજન ભગત

એકડે એકો
પરમેશ્વરને નામે પ્હેલો મેલો મોટો છેકો!

બગડે બેય
પ્રેય જે જે લાગે તેને માની લેવું શ્રેય!

ત્રગડે ત્રણ
કીડીને તો મણ આપો, હાથીને દો કણ!

ચોગડે ચાર
ફૂલનું શું મૂલ? હવે પથ્થરને તાર!

પાંચડે પાંચ
સાચનેય આંચ, એથી ભલી મારી લાંચ!

છગડે છય
ગાડી ગીર્વાણની ને જોડી દેવો ‘હય’!

સાતડે સાત
બોબડા ને તોતડાની નવા કરો નાત!

આઠડે આઠ
ત્રણ છોડો ત્યારે નવી તેર બાંધો ગાંઠ!

નવડે નવ
આટઆટલું કરીને અહીં ગુજારો જો ભવ–

એકડે મીંડે દસ
દાનવ ન માનવથી થશે તોયે વશ?

(બૃહદ છંદોલય, પૃ. ૧૬૬)