કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ

From Ekatra Wiki
Revision as of 15:44, 14 June 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ

– ઊર્મિલા ઠાકર

‘વસંતધર્મી’ મહાકવિ ન્હાનાલાલનો જન્મ ૧૬મી માર્ચ ૧૮૭૭માં અમદાવાદમાં થયો હતો. પિતા કવિશ્રી દલપતરામ. માતા રેવાબા. પત્ની માણેકબા. ૧૮૮૨થી ૧૮૯૨ દરમિયાન તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લોધિકા, સાવરકુંડલા, અમદાવાદ અને વઢવાણમાંથી મેળવ્યું હતું. ૧૮૯૩માં મોરબી હાઈસ્કૂલમાં ગુરુ કાશીરામ દવે પાસે અભ્યાસ માટે તેમને મોકલ્યા. ત્યાં તેમનું ઘડતર થયું. તેમના જીવનને દિશા મળી. મૅટ્રિક થયા. ૧૮૯૪માં એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈમાં પ્રીવિયસમાં અભ્યાસ શરૂ કર્યો. પરંતુ તેમનું ધ્યાન કવિતા અને ક્રિકેટમાં વિશેષ હતું એ કારણે તેઓ નાપાસ થયા. ૧૮૯૪માં પાસ થયા. ૧૮૯૬માં તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી ઇન્ટર પાસ થયા. ૧૮૯૯માં તેઓ પૂનાની ડેક્કન કૉલેજમાંથી બી.એ. થયા. ૧૯૦૧માં મુખ્ય વિષય ઇતિહાસ સાથે એમ.એ. થયા. ૧૯૦૨માં સ્કૉટ કૉલેજ, સાદરામાં જોડાયા. ૧૯૦૪માં રાજકુમાર કૉલેજ, રાજકોટમાં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૧૩માં રાજકોટ સ્ટેટમાં સરન્યાયાધીશ અને નાયબ દીવાન તરીકે જોડાયા. પ્રથમ એલએલ.બી.ની પરીક્ષા પાસ કરી. બીજી એલએલ.બી.ની પરીક્ષા ન આપી. ૧૯૧૬ રાજકુમાર કૉલેજ, રાજકોટમાં ફરીથી અધ્યાપક અને વાઇસ પ્રિન્સિપાલ તરીકે જોડાયા. ૧૯૧૮માં કાઠિયાવાડના કેળવણી ખાતામાં ઉપરી અધિકારી. ૧૯૨૧માં રાષ્ટ્રીય અસહકારના આંદોલનના કાર્યકરો સામે સરકારની દમનનીતિના વિરોધમાં નોકરીમાંથી રાજીનામું આપ્યું. ૯મી જાન્યુઆરી, ૧૯૪૬ના રોજ તેમનું અવસાન થયું.

રમતગમતનો ખૂબ શોખ હોવા છતાં વિદ્યાર્થીજીવનમાં જ તેમણે સાહિત્યસર્જનને પોતાના જીવનની મુખ્ય પ્રવૃત્તિ બનાવવાનો નિર્ણય લીધેલો. ૧૮૯૨થી તેમની કાવ્યસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગયેલી. એ સમયે તેમણે મિત્રને આશ્વાસન આપતું પ્રથમ કાવ્ય સર્જેલું. જોકે આ પ્રવૃત્તિ પિતાથી છાની રીતે કરતા હતા. ૧૮૯૭માં ‘જ્ઞાનસુધા’માં ‘શ્વેતાંબરી સંન્યાસિની કાવ્ય ‘પ્રેમભક્તિ’ તખલ્લુસ સાથે પ્રગટ થયેલું. પિતા દલપતરામે એ કાવ્યના પ્રાસ વિશે ટીકા કરેલી. ૧૮૯૮માં પિતા દલપતરામનું અવસાન થયું. એ જ વર્ષે ન્હાનાલાલને કવિ તરીકે પ્રસિદ્ધિ અપાવનાર કાવ્ય ‘વસંતોત્સવ’ પ્રગટ થયું, જે અપદ્યાગદ્ય શૈલીમાં લખાયેલું હતું. ન્હાનાલાલે પિતાના પગલે ચાલવાનો નિર્ણય કર્યો. કવિતાની કેડીએ પ્રયાણ કર્યું. ન્હાનાલાલની કવિ-પ્રતિભાને ઘડનારાં પરિબળોમાં કવિ પિતા દલપતરામ, ગુરુ કાશીરામ દવે, સ્વામીનારાયણ સંપ્રદાયના સંસ્કારો, વૈષ્ણવધર્મની અસર તેમજ યુનિવર્સિટી, શિક્ષણનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. આ ઉપરાંત તેમના સમકાલીન પુરોગામીઓની અસર તેમજ પાશ્ચાત્ય અને ભારતીય સાહિત્યનો ઘનિષ્ઠ અભ્યાસ તેમની કવિતાનાં પ્રેરકબળો રહ્યાં છે. ‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’માં કવિએ પાશ્ચાત્ય સર્જકો વર્ડ્ ઝવર્થ, સેલ્વી, બેઇન, બર્ક, મિલ્ટન, ટેનિસ ચેધામ, મેથ્યુ આર્નોલ્ડ વગેરેનો પ્રભાવ હોવાનું નોંધ્યું છે. તેમના મહત્ત્વના કાવ્યસંગ્રહોમાં ‘કેટલાંક કાવ્યો’ ભાગ-૧, ભાગ-૨ અને ભાગ-૩ (૧૯૦૩, ૧૯૦૮ અને ૧૯૩૫), ‘ન્હાના ન્હાના રાસ’ ભાગ-૧, ભાગ-૨ અને ભાગ-૩ (૧૯૧૦, ૧૯૨૮ અને ૧૯૩૭), ‘ચિત્રદર્શનો’ (૧૯૨૧), ’પ્રેમભક્તિ ભજનાવલિ’ (૧૯૨૪), ‘કુરુક્ષેત્ર’ (૧૯૨૬-૧૯૪૦) વગેરેનો સમાવેશ થાય છે. કવિશ્રી ન્હાનાલાલે ગીત, ગઝલ, સૉનેટ, છંદોબદ્ધ ઊર્મિકાવ્ય, ખંડકાવ્ય, મહાકાવ્ય, આખ્યાનકાવ્ય એમ બધા જ કાવ્યપ્રકારોમાં હાથ અજમાવ્યો છે. કવિતા ઉપરાંત નાટક, નવલકથા, ટૂંકી વાર્તા, ચરિત્ર એમ દરેક ક્ષેત્રે તેમણે નોંધપાત્ર સર્જન કર્યું છે. એ ઉપરાંત તેમણે અનુવાદો અને અનુસર્જન પણ કર્યાં છે.

કવિતાને ‘ચિત્તપ્રસન્નતાનો પ્રસાદ’ કહેનારા કવિશ્રી ન્હાનાલાલ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ ઊર્મિકવિ છે. કવિશ્રી નિરંજન ભગતના શબ્દોમાં : ‘કવિ-કલાકાર તરીકે ન્હાનાલાલનું ઉત્તમોત્તમ, એમની સર્જકપ્રતિભાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ એમની ઊર્મિકવિતાને કારણે.’ કવિશ્રી ન્હાનાલાલની કવિતામાં જીવનનો આનંદ, ઉલ્લાસ, જીવનનું માધુર્ય, જીવનનું સૌંદર્ય પ્રગટ થાય છે. નારીહૃદયના ઋજુ-કોમળ ભાવોને નિરૂપતાં કાવ્યોમાં કુમારિકાનાં સ્વપ્નો, મુગ્ધાના મનોભાવો, મિલન-વિરહ, દામ્પત્યપ્રેમ-સ્નેહ અને જીવન-સાફલ્યનું ગાન ગાનારા આ કવિ પ્રણયના ભાવોને સહજતાથી નિરૂપે છે. તેમનાં પ્રણયકાવ્યોમાં સૌંદર્યના આનંદ સાથે સંયમ અને પવિત્રતા પણ નિખરે છે, તો કવિનો રંગદર્શી સ્વભાવ પણ પ્રગટ થાય છે. પ્રકૃતિના વિવિધ તત્ત્વોનું આલંબન લઈને કવિએ પ્રણયભાવોનું સુંદર નિરૂપણ કર્યું છે. તેમના કાવ્યોમાં સંવેદનની તીવ્રતા, ભાવાનુરાગ અને કલ્પનામાં રસાઈને પ્રણયમાધુર્ય પ્રગટે છે. તેમનું મધુર દામ્પત્યજીવન તેનું નિમિત્ત છે. ‘કેટલાંક કાવ્યો’ ભાગ-૧માં મૂકેલું અર્પણકાવ્ય ‘પ્રાણેશ્વરી’ એનું ઉત્તમ ઉદાહરણ છે. જેમાં પત્ની પ્રત્યેનો ઉત્કટ પ્રેમ આદરભાવ સાથે વ્યક્ત થયો છે. તો ‘લગ્નતિથિ’માં કવિ અને કવિપત્નીની જીવનયાત્રાનું સરસ ચિત્રાલેખન છે. શૈશવકાળમાં લગ્ન થયેલાં એ સમયની સ્મૃતિ:


‘તું ખેલતી ફૂલવતી તટવાટિકામાં,
હું ઊગતો તટ તણા ગિરિરાજ ભેદી;
હા ! એકદા ! ધવલ વેળુ વિશે કિનારે
ભેળાં મળ્યાં, અણચિતાં રમવા જ લાગ્યાં.’

વર્ષોવર્ષ આવતી લગ્નતિથિ એ દામ્પત્યપ્રેમ દ્વારા દામ્પત્યજીવનના વિકાસનું પગથિયું છે, એવો આદર્શ કવિતામાં વ્યક્ત થાય છે. તો ‘તાદાત્મ્ય’માં નવજાત બાળકીને ચુંબન કરતી માતાને પરદેશ ગયેલા પતિની સ્મૃતિ –


‘ધારે કાન્તિ નવીન, ચૂમતી સુન્દરી બાલશોભા :
વ્હાલા ! વ્હાલા ! પ્રણયપ્રતિભા બાળુડી આ ત્હમારી.’