કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૧. એ દિવસો

From Ekatra Wiki
Revision as of 09:16, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. એ દિવસો|}} (ઢાળ : ઓધાજી સંદેશો કહેજો શ્યામને) <poem> ચન્દન છા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૧. એ દિવસો

(ઢાળ : ઓધાજી સંદેશો કહેજો શ્યામને)


ચન્દન છાંટી ચોક સમાર્યો વ્યોમનો,
રજની રસીલી હસતી લલિત વર હાસ જો !
ચાંદલિયો ઉર ભરી ભરી રસ કંઈ ઢોળતો,
આપણ પણ રમતાં’તાં વિરલ વિલાસ જો !
          એવા યે દિવસો પણ પ્રિયતમ ! વહી ગયા.

ફૂલફૂલની પાંખડીઓ મીંચઈ ઢળી જતી,
નમી નમી સુરભિ લેતા પ્રિયને ઉછંગ જો !
નયનોમાં નયનો ઢાળીને હેત શું
ઊજવ્યો ઉત્સવ સ્હમજી પરમ પ્રસંગ જો !
          એવા દિવસ હતા તે પ્રિયતમ ! વહી ગયા.

પ્રિયતમ ! એ શશિરાજ ચ્હ્ડન્ત અટારીએ,
પદે રમે ન્હાનકડો અનિલકુમાર જો !
ને મદભર રજનીનાં નયનો નાચતાં,
હૃદય ઝીલે સૌનાં અમૃતની ધાર જો !
          એવા દિનનાં શમણાં પ્રિયતમ ! વહી ગયાં.

પલ્લવમાં પલ્લવના પાલવ પાથરી
પંખી પ્હોડ્યાં ભીડીને પાંખ શું પાંખ જો !
વિલસે આજ જગત સઉ રસના અંકમાં,
અજબ વિલસતી અલબેલી તુજ આંખ જો !
          એવા રસદિવસો યે પ્રિયતમ ! વહી ગયા.

(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૧૪૦)