કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૯. પિતૃતર્પણ

From Ekatra Wiki
Revision as of 11:07, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૨૯. પિતૃતર્પણ



બાર બાર ગયાં વર્ષો રાત્રિઓ પડતાં સૂની,
બાર બાર વહ્યાં વર્ષો વાદળી વરસી ભીની :

બાર વર્ષો થયાં, તાત ! મૃત્યુના પડદા નમ્યે;
હજી યે ચક્ષુમાં ત્હોયે પ્રવેશો પૂર્વના રમે,

કાલની વીંઝતી પાંખ અનેરા વેગથી ભરી,
નેત્ર મીંચી ઉઘાડું ત્ય્હાં આવે બ્રહ્માંડને ફરી.

નથી તે મેઘનાં નીરે, નથી અંધારના જલે
ધોયાં કો સ્મૃતિનાં ચિત્રો રંગેલાં પ્રાણપાટલે.

આપ્યા એકાંત રાત્રિએ, ને મેઘે રસ સીંચિયા;
એમ જીવનના સર્વે આથમ્યા દિન ઊગિયા.

વસંતે ને વસંતે જ બોલે છે બોલ કોકિલા,
આત્મામાં એમ બોલે છે વસંતે આપની લીલા.



પિતાજી ! પત્ર ને પુષ્પે એ જ આવી વસંત આ :
ટ્હૌકે છે કોકિલા, એવાં ટ્હૌકે છે સ્મરણો, અહા !

આંબાની ડાળ મ્હોરી, ને આત્મા યે મુજ મ્હોરિયો;
ગાય છે સાધુ ને સંતો હરિની રસહોરીઓ.

હું ય તે લઈ આ વીણા સ્મરું છું ગુણ આપના;
પુણ્યશ્લોક પિતા ! મંત્રો જપું છું પિતૃજાપના.



વીતતી દીર્ઘ રાત્રિ, ને થતો પ્હરોડ દેશમાં,
એ પ્હરોડે ઊગ્યા આપ આશાવાદી અરુણ શા.

છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ;
દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય.

બુદ્ધિવૈભવ, ને આસ્થા, આશા, રસ, ઉદારતા :
એ દૈવી દીપમાલાનાં અંતરે તેજ રાજતાં.

આપ અમૃતના જાયા, ધાવણે અમૃતે દીધાં;
ને તેથી અમૃતમીઠ્ઠાં આપનાં કવિતો હતાં.

ડાહ્યા પુત્ર જ ડાહ્યાના, અંગોઅંગે ઉરે પણ,
મન વાણી કર્મમાં યે, ઝરે નિત્યે ડહાપણ.

વીરા જયકુમારીના, જમાવ્યો જય લોકમાં;
ને દિનકરના ભાઈ, પ્રતાપી ભાસ્કરે સમા.

દેવાનંદે રમંતા તે દેવાનંદ ગુરુથી આ;
પામીને કાવ્યની દીક્ષા દીપ્યા દેવકુમાર શા.

ભર્યો ઉત્સાહી એ કંઠ મેઘના સમ ગાજતો,
યશસ્વી વાણીનો એહ પ્રોત્સાહી બોલ આથમ્યો.

શ્વેત વસ્ત્રો સદા ધાર્યાં, પ્રાણની શ્વેત પાંખ શાં :
તેજવાઘા સજી જાણે ફિરિશ્તો કો મનુષ્યમાં.

નમ્ર ને નમતા, ત્હો યે શૈલ શી દૃઢતા હતી;
ચાલ ધીમી ધીમી, ત્હો યે ખંતની વેગીલી ગતિ.

હાથે પીતળપટ્ટાળી શ્યામ સીસમલાકડી :
બાંધી રાખી શું સંકેલી સેના સેતાનની લ્હડી !

પૂર્યાં છે દુઃખ ને પાપ મનુષ્યે જગમાં રૂડાં,
પાડ્યા અંધારના પાટા તેજસ્વી વિશ્વમાં વડા.

દીઠું એ સૌ દીર્ઘ કાલ, સુધાર્યું સુધર્યું ય તે;
પછી સંસારવાડીથી સંકેલી લીધ દૃષ્ટિને.

બહુ વર્ષો સુધી આપે મૂલવ્યાં મોતી બ્હારનાં,
પછી પારખવા પેઠા આત્માના દરિયાવમાં.

ઘૂમતાં સૌ દિશે ત્હેને ધાર્યાં એક સમાધિમાં,
વળી બ્રહ્માંડથી ચક્ષુ પરોવ્યાં પરમેશમાં.

વિધિએ ભાગ્યરેખા શું દોરી કુંકુમકેસરે !
ઉજ્જ્વળા ભાલમાં એવી રેખા તિલકની તરે.

સ્મિતની સુંદરતાના કપોલે અંકુરો ઊભા :
મધુરાં હાસ્યની દીપે મુખડે મધુરી પ્રભા.

આત્માનું તેજ વીંધીને રોમ રોમ વિકાસતું,
બ્રહ્મર્ષિ ! આપને દેહે બ્રહ્મવર્ચસ્ વિલાસતું.

વેદ જેવા મહાભાવ, દેવ શા દિવ્ય કાન્તિના,
પ્રકાશે પરમાનંદે એવી અખંડ શાંતિના.

આદ્ય દ્રષ્ટા આ યુગના, કવિ છો, સૂત્રકાર છો;
ને નવજીવન કેરા ઋષિ છો, સ્મૃતિકાર છો.

ભવિષ્યવેત્તા, આચાર્ય, પેગમ્બર પ્રભુ તણા;
નવીન ગુર્જરરાષ્ટ્રે એ ગજાવી ગેબી ઘોષણા.

ભભૂકી અગ્નિ શા આપે વનો ભસ્મ નથી કીધાં :
ત્હમે વર્ષા સમા વર્ષ્યા, ચંદ્ર જેમ સીંચી સુધા.

સ્હવારે સ્હાંજરે જેવો તપે ભાનુ દિને દિને,
શીળા શીલે તપ્યા તેમ, દઝાડ્યા નહિ કોઈને.

મહામૂલાં દીધાં રત્નો પૂર્વજે પૂર્વ કાલમાં,
પારખી પારખી તેહ સંરક્ષ્યાં, પ્રાણની સમાં.

ને નવયુગની ખીલે પુષ્પે પુષ્પે વસંત આ.
સંઘરી પીમળો સૌની તેહનાં મધ સારવ્યાં.

ધીરગંભીર નેતા, ને દીર્ઘદર્શી ત્હમે ઘણા,
બોધી તેથી દક્ષતાથી ધીરે ધીરે સુધારણા :

વિદ્યા ને સંપનાં સૂત્રો, કલાકૌશલ્ય ઓપતાં,
ને સંસ્થાનસુધારો, ને દેશનાં હિત દીપતાં;

પુણ્યભાવ, સદાચાર, ભક્તિ, ને પરમાર્થ, ને
સાત્ત્વિક સ્નેહના મંત્રો, ધર્મઔદાર્ય : સર્વ તે.

વધે સંસારની શોભા, પ્રભા ને પ્રભુતા વધે,
ગાયાં છે દેહઆત્માનાં સૂક્તો ઉન્નતિનાં બધે.

રાજા અને પ્રજા કેરું એક છે હિત, તે લહી,
ઉછેર્યું એ સદા આપે, શીખ બંનેયને દઈ.

સ્વીકાર્યા સ્નેહી રાજાએ, પ્રજાએ પ્રેમી પારખ્યા;
બે બાહુ અંગના એક, ત્હમારે તેમ તે સખા.

પ્રતિભા, રાજ્યની આસ્થા, ઉજ્જ્વળી દેશભક્તિની
મૂર્તિ આપ હતા મોંઘી, શ્રદ્ધાની અર્ચનાભીની.

પોતાનું માનતા શ્રેષ્ઠ, મુમુક્ષુ પરના હતા;
સારગ્રાહી સદા તેથી સૌમાંથી સાર શોધતા.

પુરાણા સંપ્રદાયોમાં શુદ્ધ પવિત્ર જે વિભુ,
પરમ ધર્મ ત્હમારો તે સ્વામી નારાયણ પ્રભુ.

દેશીઓમાં વસ્યો દેશી થઈ, ત્હેમાં લીધો રસ,
પરમ્ મિત્ર ત્હમારો જ તે મહાભાવ ફાર્બસ.

જે ન્હાના ભાઈ હિન્દુના, ઇસ્લામી, ખ્રિસ્તી, પારસી,
સૌ શું સ્નેહ દીધો – લીધો, હૈડે હૈડાં હસી હસી.

સહસ્ર ધારથી જેમ વર્ષે છે મેઘની ઝડી,
લોકમાં વર્ષતાં તેમ આપના આત્મનાં અમી.

સિંધુ પ્રત્યે વહે જેવી ઊર્મિઓ નદીઓ તણી,
લોકના હેતનાં પૂર વ્હેતાં ત્હેવાં તમો ભણી.

સારપ આશિષો વ્હોરી જનોમાં શુભ નામના,
સંચર્યા લઈ સદભાવો આપ અક્ષરધામમાં.

હતાં જીવન ને વાસ સદા મંદિરછાંયમાં,
આરતી પ્રેરણા દેતી કાવ્યસ્તોત્રોની આપનાં.

આપે આયુષ્યમધ્યાહ્ન ગાળિયો પ્રભુકાર્યમાં;
અને આયુષ્યની સંધ્યા ગાળી ગાતાં પ્રભુલીલા.

દેહના સુરથે સ્થાપી દેહી કેરો મહારથી,
ઇન્દ્રિયોના અશ્વ જોડી, લગામો વૃત્તિની ગૂંથી;

વિવેક સારથિ માંડી, અખંડ પ્રભુની દિશે,
ત્હમે કીધી મહાયાત્રા વિશ્વના વિષયો વિશે.

નિત્યે જીવનમાં યોગી, તત્ત્વચિંતક ચિંતને;
શાણા સંસારી સંસારે, તપસ્વી જ તપોવને.

ભક્તિદેશે મહાભક્ત, કૂંપળો ભાવની કૂંળી :
આપને આંબલે એમ ડાળીઓ સૌ ફળી ફૂલી.

શું શું સંભારું ? ને શી શી પૂજું પુણ્યવિભૂતિ યે ?
પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે.



ને એવું યે હતું જ્ય્હારે પડ્યો’તો પિતૃભાવથી,
વિસારી પિતૃપૂજા હું ખડ્યો’તો પુણ્યલ્હાવથી.

બહુ અવગણ્યા, તાત ! અસત્કાર્યા, અનાદર્યા;
ને અપમાનને ગારે આ હાથે દેવ અર્ચિયા.

ખીજવ્યા, પજવ્યા, પૂરા, કુમળું દિલ કાપિયું;
ને ત્હમારા દિનો છેલ્લા ઝેર કીધા : સહુ ગયું !

ગયો તે યુગ મસ્તીનો, ઝંઝાવાતો ગયા બધા;
આપના મૃત્યુએ, તાત ! આછાં નીર ઊંડાં કીધાં.

પાપની મોહિની પેખે, ન ત્હો યે મોહ પામતા,
પુરાણી ને પુણ્યવન્તી આર્યોની એ જ આર્યતા.

જન્મની વેળ જે આપે સંચી’તી મુજ અંતરે,
નિભાવ્યો આર્યતાએ એ, ને બચાવ્યો પ્રભુવરે.

ભમે છે આ ગ્રહો આભે, કોઈ ત્હો યે નહીં પડે :
ન છૂટે દાંડીથી, જોકે વીંઝણો રમણે ચ્હડે.

રમીને ને ભમીને હું આવ્યો છું આપ-છાંયમાં :
દેજો એ છાંયડી શીળી, દીધી છે જેમ કાય આ.

સૌ અળવીતરાંની એ ક્ષમાઓ તાત ! આપજો :
ન જોશો માટીને દેવા ! માનજો પંક પંકજો.

અંધારી રાત્રિએ ઊંડા શબ્દ હો અંધકારના,
બોલે છે ઉરમાં એવા શબ્દ કો ભૂતકાલના.

ડોલાવે આત્મની જ્યોત ઝંઝાનિલો સ્મૃતિ તણા,
પ્રચંડ મોજે ઊછળે એ અવિરામ ઘોષણા.

અદીઠા સિંધુની આવે ગર્જના ક્ષિતિજે તરી,
ગર્જે છે પડછંદા કો એવા અંતર્ગુહા ભરી.

ઘોરે જેવો મહાઘોરે ઘેરો તોફાનનો ધ્વનિ,
સમસ્ત જીવન કેરો ઘોરે એવો મહાધ્વનિ.

અને એ સ્મૃતિના ઊર્મિ, પડઘા ભૂતકાલના
ને બધા મૂંઝવે એવા બોલ જે મુજ બાલ્યના :

તે સૌમાં તરતો, જાણે ચંદ્રમા વ્યોમને જલે,
સુણ્યો, આકાશવાણી શો, શાંતિનો શબ્દ એક મ્હેં.

શમાવે પ્રભુના શબ્દો આ કોલાહલ વિશ્વનો,
એ શબ્દે એમ મ્હારો યે શમ્યો પોકાર ઉરનો.

વર્ષી માધુર્ય દેવોનું, અંધકાર ઉજાળતો,
પુરાણા યે યુગોને એ ઓળંગી શબ્દ આવતો.

જ્યોત્સ્નાની ધારમાં જેવો ભર્ય મંત્ર સુધામય.
એવો ગેબી સુણ્યો મંત્ર, पितृदेवो भव, प्रिय !



અધૂરી હા ! અધીરી છે એટલી એકલી
ઋચા :
અંકે લે ધરતી માતા, ભલે માર્તંડ હો ઊંચા.

નથી આશા વિના આયુ, નથી ડાળી વિના ફૂલ.
નથી પૃથ્વી વિના પાયો, નથી માતા વિના કુલ.

હજી તો આભમાં મ્હારા બાળુડો સૂર્ય ઊગતો,
બાળુડા બોલનો ખોળે કાલો કલ્લોલ જામતો.

દીઠો કે ન દીઠો ત્હેં તે, સુણ્યો કે ન સુણ્યો કંઈ.
સંકેલી દેહની માયા વંદીને વિશ્વને ગઈ.

વીતિયાં સ્હાંજ ને વ્હાણાં તે પછી બહુ વર્ષનાં;
ભૂલ્યો નથી હજી, માતા ! હાસ્ય તે તુજ હર્ષનાં.

આભના વર્ણથી આંજી વિશાળી તુજ આંખડી,
આભના ભેદમાં જોતી દૃષ્ટિ તે તાહરી વડી.

ભરેલા ભાવથી અંગે ડોલતી કુલહાથિણી;
ગૃહિણી ગુણવંતી તું, મ્હોટે ચાંલ્લે સુહાગિણી.

સાદી શોભાથી શોભાતી, ધર્મિલી કુલધામની;
શામળે રંગ રંગેલી સેવિકા ઘનશ્યામની.

પ્રારબ્ધી, પુણ્યશાળી, ને પાપ­પાવનકારિણી :
ધૈર્યગાંભીર્યથી ધીંગી, દેવી ! તું દુઃખહારિણી.

હેતવાત્સલ્યનાં વ્હેણે હૈયાનું પૂર ગાજતું :
ધર્મમૂર્તિ પિતા મ્હારા, ભક્તિની મૂર્તિ માત ! તું.

સદા સૌભાગ્યવંતી, ને સ્વામી-સેવા-પરાયણ;
વ્રતાળી, શાંતિથી શીળી : એ જ ત્હારાં રસાયન.

નથી એ વીસર્યો ત્હારી ટૂંકી જીવનની કલા :
વિસારી વીસરે કેમ માતૃવાત્સલ્યની લીલા ?

દૂધથી તાહરા ત્હેં જે સીંચી’તી પ્રાણમાં સુધા,
નથી તે ઓસરી, માતા ! વાધી ઊર્મિ અનેકધા.

ગુર્જરી વાડીમાં એક નદી રેવા અનુત્તમ :
ગુર્જરી વાડીમાં તેમ માત રેવા અનુત્તમ.

ઓ અભિજાત આર્યાઓ ! ઓ આર્યો સહુ ભોમના :
સુણો આ વેદની ગાથા, મંત્ર આ પુર જોમના :

पितृदेवो भव, प्राज्ञ ! मातृदेवो भव, प्रिय !
સર્વે કુલાશ્રમો નિત્યે હજો એ ભાવનામય.



વિશાળી દુનિયા વીંટી ઘૂમે છે સિંધુ ગર્જતો,
તે સિંધુનાં ઊંડાં નીરે મુક્તાપુંજ વિરાજતો :

ઘેરીને પૃથ્વીની પાળો પડી છે આભની ઘટા,
અહોરાત્ર તપે ત્હેમાં તેજના ગોલની છટા :

બાંધી બ્રહ્માંડની ઝાડી તે રીતે બ્રહ્મ રેલિયો,
ને બ્રહ્મજ્યોતિમાં નિત્યે પ્રકાશે પુણ્યશાળીઓ.

પામીને તે બ્રહ્મજ્યોતિ, બ્રહ્મનાં તેજ ઝીલતાં,
ખીલે છે પુણ્યને પુષ્પે માહરાં માત ને પિતા.



ગુણાળી ગવરી માતા ! પૂજ્ય બ્રહ્મર્ષિ ઓ પિતા !
ધરું છું ચરણે તે આ સ્વીકારો ગુર્જરી ગીતા.

સૌ ઉપનિષદો કેરા ભાવ શી આપ જિંદગી,
ને ઉપનિષદોના સૌ સાર શી આ ગીતા ઝગી.

એ જ સંવત્સરી આજે, થયા દેવ મનુ મટી :
પાળું છું પર્વ, પૂજું છું ગુણે તાત ! રટી રટી.

ભરી અંજલિ અશ્રુની કરું છું આ હું અર્પણ;
સત્કારો સ્નેહની સેવા, પુત્રનું પિતૃતર્પણ.

અમોલાં બહુ યે રત્નો શાસ્ત્રરત્નાકરે તરે :
વીણીને એક મોંઘેરું પુત્ર આ પાવલે ધરે.

સદાયે રીઝવી આપે સેવી દેવી સરસ્વતી;
આપના પુણ્યથી એહ આ ને આવી થતી કૃતિ.

તો ભૂલી ભૂતની ભૂલો, ભાળીને લક્ષ્ય ભાવિનો,
અમીની આશિષો આપો; ફળે સદભાવ સુતનો.

પૂર્વે જે ભાવથી આપે વધાવ્યો જન્મ માહરો,
આ પરે યે, પિતામાતા ! દૃષ્ટિ તે ભાવની કરો.

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૧૭-૨૪)