કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨. લગ્નતિથિ

From Ekatra Wiki
Revision as of 08:50, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


૨. લગ્નતિથિ


વૈશાખની શશિમુખી, સખી ! પંચમીનો
છે આજ દિન તુજ ને મુજ લગ્ન કેરો :
મોંઘો વળી વળી હલે ! પ્રતિવર્ષ આવે,
ને વિસ્મર્યું સ્મરણ કાંઈ રસીલું લાવે.
કોલાહલે મનુજજીવનને ભરીને

ગંભીર ઘેરું ભવસાગર કાંઈ ગાજે :
એ ગાન પી વિચરતી મનુ કેરી સૃષ્ટિ
પ્રારબ્ધપંથ ધપતી પ્રભુના પ્રયાણે.

તું ખેલતી ફૂલવતી તટવાટિકામાં,
હું ઊગતો તટ તણા ગિરિરાજ ભેદી;
હા ! એકદા ધવલ વેળુ વિશે કિનારે,
ભેળાં મળ્યાં, અણચિતાં રમવા જ લાગ્યાં.

કીધાં પછી સુભગ મન્દિર કલ્પનાનાં,
ત્હેમાં અનુપ રસની પધરાવી મૂર્તિ :
વ્હાલી ! તૃષાજ્વલિત લોચન એમ ઠાર્યાં,
ત્હોયે ઊણું કંઈક અંતર માંહી ભાસ્યું.

ઊઠ્યાં, ઉઠાડી દૃગ આપણી પૃથ્વીમાંથી,
દીઠી વડી જીવનના જલધિની ઊર્મિ :
જાગ્યું કંઈક સખી ! દર્શન એહ લેતાં,
જાગ્યું અમોલું કંઈ ભાવવતું અનામી.

દીધો કરે કર, વર્યાં વર ઉચ્ચગામી,
ને આદરી રસીલી ! આચરવા પ્રતિજ્ઞા:
સંઘટ્ટી ચન્દની ઘડી મનવેગી હોડી,
ત્હેમાં મહાસફર સારવવા ઠરાવ્યું.

વ્હાલી ! વસન્ત જતી જીવનની વહે છે,
સંજીવની પ્રબલ શક્તિ હવે શમે છે;
ને મંદ મંદ પડતી દૃગ ઊર્ધ્વગામી;
ત્હોયે હજી જલધિ ઊતરવો રહ્યો છે.

શું શું કીધું ? નથી નિરર્થક સન્ધુ જીવ્યાં :
જો ! વેળુમાં ભવપટે પદપંક્તિ પાડી;
રહેશ ઘડીક, ઘડી કોઈકને જણાશે,
ને સારગ્રાહી જન આશિષ કોક દેશે.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૧૯-૨૦)