કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૧. ગુજરાત

From Ekatra Wiki
Revision as of 10:29, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૩૧. ગુજરાત


(એક ઐતિહાસિક કાવ્ય)


ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
આપણો ગુણિયલ ગુર્જર દેશ;
કૃષ્ણચંદ્રની કૌમુદીઊજળો,
કીધ પ્રભુએ ય સ્વદેશ :
આપણો ગુણિયલ ગુર્જર દેશ.

આર્યનું સાગરતીર્થ પુરાણ,
તપોવન ભૃગુવસિષ્ઠના ભાણ;
ગીતાના ગાનાર મહારાજ
પાર્થના સારથિનાં જ્ય્હાં રાજ્ય :
ગ્રીસરોમથી ય જૂનાં,
કુરુપાંડવથી યે પ્રાચીન,
સોમનાથ, ગિરિનગર, દ્વારિકા :
યુગયુગ ધ્યાનવિલીન.
ઊભી કાલસિંધુને તીર
બજાવે બંસરી ભવ્ય સુધીર.

સ્થળેસ્થળ નવપલ્લવના પુંજ,
નદી ને તળાવ કેરી કુંજ;
કોમળી કવિતા સમ સુરસાળ
સિંધુ જ્ય્હાં દે મોતીના થાળ;
જગજૂનાં નિજ ગીત ગર્જતો
ફરતો સાગર આજ;
કેસર ઊછળી ઘૂઘવે ગરવો
વનમાં જ્ય્હાં વનરાજ :
ગિરિગિરિ શિખરશિખર સોહન્ત
મંદિરે ધ્વજ ને સંત મહંત.
પૂર્વથી પશ્ચિમ વહે પ્રકાશ,
વ્હાણ ભરી વ્હેતી તેમ નિકાસ;
મોહી આંગણ ઊતર્યો જ યુરોપ,
વીણવા વાડીના ફૂલરોપ;
વાણી ન વણસે પુણ્યપાંગરી
          અમ રસભૂમિની છાબ;
જગમોહન મુંબઈ નગરી જુઓ !
          શું પાથર્યો કિનખાબ :
નિત્ય નવફૂલે ખીલે અભિરામ
લક્ષ્મીમ્હોર્યાં લક્ષ્મીનાં ધામ.

ચોળી, ચણિયો, પાટલીનો ઘેર;
સેંથલે સાળુની સોનલ સેર;
છેડલે આચ્છાદી ઉરભાવ,
લલિત લજ્જાનો વદન જમાવ,
અંગ આખે યે નિજ અલબેલ
સાળુમાં ઢાંકતી રૂપની વેલ;
રાણકતનયા, ભાવશોભના,
          સુંદરતાનો શું છોડ !
આર્ય સુંદરી ! નથી અવનીમાં
          તુજ રૂપગુણની જોડ;
ભાલ કુંકુમ, કર કંકણ સાર,
કંથના સજ્યા તેજશણગાર.

ખેતરો ન્હાનાં, ન્હાની શી પોળ,
નાતજાતે ન્હાનડિયા ઘોળ;
ક્ષત્રિજાયાનાં ન્હાનલ રાજ્ય;
ધર્મના ન્હાનકડા જ સમાજ;
વૃદ્ધ ચાણક્યે વર્ણ્યાં પૂર્વે
          ન્હાનાં પ્રજાનાં તંત્ર,
એક પુરાતનના પડછાયા
          આ અમ જીવનજંત્ર :

એક ફૂલવેલે ફૂલતાં ફૂલ,
અમારા એક સુગંધ અમૂલ.
દેશ નિજ તજી ધર્મને કાજ
સાગરે ઝુકાવ્યું સફરી જહાજ;
ધર્મવીર પારસીનો સત્કાર
જગત્ઇતિહાસે અનુપ ઉદાર;
ઇસ્લામી યાત્રાળુનું આ
          મક્કાનું મુખબાર;
હિન્દુ મુસલ્ મિન પારસીઓને
          અહીંયાં તીરથદ્વાર :

પ્રભુ છે એક, ભૂમિ છે એક, –
પિતા છે એક, માતા છે એક, –
આપણે એકની પ્રજા અનેક.

નથી રમી સમશેરોના દાવ,
નથી ત્યમ ઘણા ઝીલ્યા યે ઘાવ;
શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રની મ્હાંય
લીધાં વ્રત, જાણે હજીય પળાય :
એક ઈડરના વનકેસરીએ,
          ભડવીર બાપ્પારાવ,
વિશ્વવંદ્ય સૂરજકુળ સ્થાપી
          ચિતોડ કીધ યશછાંવ :
જન્મભૂમિ દયાનંદનાં ધામ,
ગાંધીનાં ગીતાજીવન નિષ્કામ.

સુરતના રસિક રંગીલા રાજ,
બુદ્ધિધન ભર્યો શ્રીનગરસમાજ;
શૂરવીર સૌરાષ્ટ્રી યશગાન,
કચ્છના સાહસિક સંતાન;
ખંડખંડ વિસ્તરતો હિંદી
          મહાસાગર મહારેલ,
તીરતીર જઈ સ્થાપી ગુર્જરી
          સંસ્થાનોની વેલ;
મહાસાગરના પૃથ્વીવિશાળ
સરોવર કીધાં ગુર્જરી બાળ.

વનેવન લીલો ઘટાસોહાગ
જગતનો દીપે શું અમૂલખ બાગ !
સજાવ્યા જૈને રસશણગાર,
લતામંડપ સમ ધર્માગાર;
ભારતીએ કંઈ ફૂલફુવારો
          અંજલિમાં શું લીધ !
દિશદિશમાં ફૂલધાર ઉડાવી
          દિલનાં પરિમળ દીધ !
હિન્દ માતની લાડીલી બાળ !
ગુર્જરી ! જય ! જય ! તવ ચિરકાળ !

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૫૫-૫૮)