કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૪. હરિનાં દર્શન

From Ekatra Wiki
Revision as of 11:11, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૩૪. હરિનાં દર્શન

મ્હારાં નયણાંની આળસ રે,
ન નીરખ્યા હરિને જરી :
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.

શોકમોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં :
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.

પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા :
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.

નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે :
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે.

જરા ઊઘડે આંખડલી રે, તો સન્મુખ તેહ તદા :
બ્રહ્મ બ્રહ્માંડ અળગાં રે ઘડી યે ન થાય કદા.

પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ ત્હેને ચેતનની ?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ ત્હો યે કંઈ દિનની.

સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી :
જીભ થાકીને વિરમે રે ‘વિરાટ’ ‘વિરાટ’ વદી.

પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ ! ક્ય્હારે ઊઘડશે ?
આવાં ઘોર અંધારાં રે પ્રભુ ! ક્ય્હારે ઊતરશે ?

નાથ ! એટલી અરજી રે, ઉપાડો જડપડદા :
નેનાં ! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.

આંખ ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી :
એક મટકું તો માંડો રે, હૃદય ભરી નીરખો હરિ.

(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨-૧૩)