કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૦. મહાસુદર્શન

From Ekatra Wiki
Revision as of 11:51, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
કુરુક્ષેત્ર, દ્વાદશ કાંડ, મહાસુદર્શન (૧૯૨૭)


૪૦. મહાસુદર્શન

એવે એક ગગનકાટકો ગડગડ્યો


જાણે વિધાતાનાં દુંદુભિ ગગડ્યાં;
જાણે કાળનાં મહાપૂર અથડાયાં.
કુરુક્ષેત્રની ત્રિકાળઘોર મંડાણતિથિએ
સેનાના મેઘ મહામેઘ શું પછડાયા
ત્યારે ગાજ્યો ’તો એવો મહાધ્વનિ :
આભવિદારતો એવો તુમુલ શબ્દ થયો.
દિશાઓમાં ઊભરાતો એનો પડઘો પડ્યો,
ને બ્રહ્મકુંડનાં પાતાળ ફાટ્યાં.
વનરાજીની પાછળ ગિરિશૃંગો દેખાય,
મેઘમાળાની પાછલ આભકાંગરા ઝંખાય,
આયુષ્યની પાછળ મૃત્યુનાં કરવત નીરખાય,
એવી કો ગૅબની કરવતકાંગરી,
વિધાતાના ત્રિશૂળમંડળ સરીખડી,
બ્રહ્મકુંડના જલઉછંગેથી ઊછળતી આવી.
પ્રાગટ્યની પહેલી પળે ભાસ્યું કે
પૃથ્વીપુષ્પને જાણે પાંખડીઓ પ્રગટી.
પછી જાણે જલક્યારીમાં ખડગ ઊગ્યાં.
પછી જાણે સાગરના જલકોટ મંડાયા.
પછી જાણે તાડવનનાં ધૂનન ધૂણ્યાં.
અને પછી – પછીનીયે પછી, ને પછી
ઇન્દ્રની બાણફણાઓના વજ્રકાંગરા
સન્મુખ અન્તરિક્ષપાટે મંડાયા.
યજ્ઞકુંડ જ્વાલામંડળ ઉછાળે એમ
અગ્નિચક્રના જ્વાલાઉછાળતા અર્ધવર્તુલે
મહદવકાશને ભરી દીધું.
દિગ્પાળોની દન્તુડીઓ સમી,
મહાકાળની જિહ્વાઓ સરીખડી,
એ ગૅબચક્રની વજ્રદન્તુડીઓ
અન્તરિક્ષમાં આંકડા આલેખતી ઊભી.
એને દાંતે દાંતે લખ્યું હતું :
‘છે’ ને ‘નથી’ ને ‘છે.’
જગત ભરતું, અન્તરિક્ષ ભરતું,
મહાયજ્ઞના હોમધૂમ્ર સરીખડું,
આભમાં કાંગરી કોરતું કાળચક્ર ઘૂમતું.

          “ધર્મદેવ! આ મહાસુદર્શન.
કુરુક્ષેત્રના કરપીણ સંહાર
પ્રાણને વિષાદવિષ પાય છે.
નીરખો આ બ્રહ્માંડોનાં સૃજન ને સંહાર.
પરમાણુ પાંગરી પથ્થર થાય છે,
પથ્થરમાંથી પર્વત પ્રગટે છે,
પર્વત પ્રફુલ્લી લોક લોક સરજાય છે,
દુનિયાંઓ દળાઈ દળાઈ
પાછાં પરમાણુ ઢોળાય છે :
એ સૃજન-સંહારનો મહાચક્રાવો.
જન્મ-મૃત્યુ એટલે જીવન-લીલા.
દિશાચક્રાવે ઘૂમતું વિરાટચક્ર કહે છે :
‘રાજન્! જન્મ-મૃત્યુથી પર જો,
ત્યાં છે પરમાનન્દના દેશ.’ ”

          ડંકા વગાડી જોગમાયાઓએ
વિરાટચક્રની આરતી ઉતારી :
જાણે તારિકામંડળે ગગનમંડળને સત્કાર્યું.
વિશ્વનો ઘુમ્મટ ગાજી ઊઠ્યો.
કિરણસ્ફુરતો સૂર્યરાજ ચક્રાવે ચડે,
મહેન્દ્રનું દેવધનુષ્ય દિશાઓને વીંઝે,
એમ એ મહિલામાડોલન્તું મહાસુદર્શન
બ્રહ્માંડચક્રાવે ચડ્યું.
વ્યોમપગથારમાં ચીલા પાડતી,
સ્થૂલસૂક્ષ્મમાં ગૅબપન્થ કોરતી,
કાલ-અવકાશને હૈયે પગલીઓ માંડતી,
વિધાત્રીની લેખિની સરીખડી
એની વજ્રદન્તાળી દન્તુમાલા
જગતમન્ત્રો આલેખતી ઘૂમી રહી.
મણકો મણકો ઉછાળતી
બ્રહ્માંડનાથની અક્ષમાલા સરીખડી
મહાસુદર્શનની વજ્રદન્તુડીઓ
વિશ્વઘૂમણે ચડી.
કુરુક્ષેત્ર ખેલતાં વીરનાં હૈયાં ખળભળે,
ભરતીઓટ વેળા મહાસાગર ખળભળે,
પ્રલય વેળા લોકલોક ખળભળે,
એમ બ્રહ્માંડ ખળભળવા લાગ્યું.

          પર્વત-શા પાંડુપુત્રો અડોલ હતા
પણ સૂર્યોદયે શિખરો અંજાય
એમ આંખડીઓ અદ્ ભુતતાથી અંજાઈ.
પાંડવ-અંગનાઓ વીરાંગનાઓ હતી,
કુરુક્ષેત્રના મહાસંગ્રામ રસદૃષ્ટે પીધા હતા;
પુત્રોને, પિતાઓને, બન્ધુઓને, ભાંડુઓને,
હૈયાડાળેથી વીણી વીણીને
અઘોર રણયજ્ઞમાં હવિ-શા હોમ્યા હતા :
એ પાંડવ વીરાંગનાઓયે ક્ષણેક
મહાસુદર્શનના ભીષણ દર્શને
પુષ્પની પાંખડીઓ-શી ધ્રૂજી ગઈ;
ને વડલાને વડવાઈઓ વીંટી વળે
એમ નિજ નાથને વીંટળાઈ વળી.
પદ્મિનીપાન પદ્મને હૈયે ચાંપે,
એમ ઉત્તરાએ બાલ પરીક્ષિતને
હૈયાની પાંખડીઓની હૂંફમાં લીધો.
થડ ફરત ઘટાઘેર ઘેરાય
એવા એ માનવવડલાઓ
સૌન્દર્યઘટાથી શોભી રહ્યા.
એક્કેયની વીરત્વઘેરી મુખમુદ્રામાં
ક્ષણ પછી ભય ન્હોતો, ગ્લાનિ ન્હોતી.
અદ્ ભુત દીઠે થતાં આશ્ચર્ય,
ગહન જોયે થતી ચકિતતા,
અણસાંભળ્યું ને અણકલ્પ્યું નીરખ્યે
થતું વાણીપારનું મૌન ઃ
એ એમની આંખડલીમાં રમતાં.

          ‘કુરુક્ષેત્ર પાછાં સજીવન થયાં.
નાથ! ગહનતાનો આ મહિમાલોક;
ભરતકુલના આ પિતૃપ્રવરોઃ’
ઉત્સવકંઠે ઉત્સાહમૂર્તિઓ ઉચ્ચરી.

          નરનો અવતાર, નૃત્યલોકનો નરમણિ,
ગાંડીવધન્વા ગાંડીવટંકારે ઉચ્ચર્યો :
‘કાળ, કાળ, સર્વપરિપાક્ક મહાકાળ!’
          વિરાટસુદર્શનની વજ્રદન્તુડીઓ,
વિધાત્રીની ત્રિશૂળફણાઓ સમોવડી,
દિશાઓને ડંખતી, ડોલાવતી, મ્હોરાવતી.
દન્તુડીએ દન્તુડીએ લોકલોક છેદાતા
ને નવસૃજન સરજાતાં.
          ગેબનો મન્ત્રોચ્ચાર કરતા હોય
એવા મહામુનિ ઉચ્ચર્યા :
‘કાળગંગા સરીખડું કુરુક્ષેત્ર
તરી ઊતરનારને ભય શા?
ભરતકુલવધૂઓ ભયને ઓળખતી નથી.
અસિધારાવ્રત એમનાં જીવનવ્રત છે.
સદાશિવના કોદંડથી ખેલવાં
એ તો સીતાપુત્રીઓનો છે આનન્દખેલ.
આયુષ્યની ખીણની પાળે પાળે સંચરવાં,
એ તો જાણે સહિયરોનાં
નિત્યનાં જલબેડલાં ભરવા જવાં.
મહાકાળના વંટોળ વાય,
પાંદડાં જેવા પામરો ફરફરે,
એ મૃત્યુની કેડીઓ
વીરાંગનાઓની છે પગદંડીઓ.
આ તો છે અદ્ ભુતના અનુકમ્પ,
આ તો છે ગહનતાનાં આશ્ચર્યડોલન.
દુઃખદીપન્તી દ્રૌપદી! સાગરમણિ-શી સુભદ્રા!
વિરાટકણી સરીખડી કુલમાતા ઉત્તરા!
ભરતગોત્રની માતાઓ!
તમારાં કાળજાં છે કાળનાં ઘડેલાં.
ગેબની ગહનતાનીયે પાર સંચરો;
ને પછી નીરખો આ વિરાટસુદર્શનને,
દિશાવિસ્તરતા બ્રહ્માંડભરમાં
ને બ્રહ્માંડ પર ઘૂમડીએ ઘૂમતું.’

          ‘વન્દન હો એ વિરાટચક્રનેઃ’
પાંડવપરિવાર ભર્યે સ્વરે ઉચ્ચર્યો.
          મુનિવર ક્ષણેક થંભી ગયા :
જગત્ યાત્રાને જાણે વિસામે બેઠા.
પોતાને પોતે પળેક નાનકડા ભાસ્યા,
પાંડવપરિવારે પળેક પામર લાગ્યો.
દૃષ્ટિમાં દેવના ડુંગલ ડોલતા.
વિરાટસુદર્શનની દન્તુડીએ દન્તુડીએ
પરાક્રમજ્યોત પ્રગટતી હતી,
પિતૃમહિમા મ્હોરતો હતો.
હોમની પૂર્ણાહુતિને કાજે ઋત્વિજ ઊઠે,
એમ પછી મુનિપુંગવ ઊઠ્યા;
ઘટાઘેરવન્તા વૃક્ષરાજ સમોવડા
હસ્તશાખા વિસ્તારી વીંઝતા ઉચ્ચર્યા :

{space}} ‘પૃથ્વીનાં પ્રારબ્ધીઓ!
આ ભયમૂર્તિ કાળચક્ર નથી.
આ તો આનન્દમૂર્તિ કલ્યાણચક્ર છે.
વિલોકો એ વજ્રદન્તુડીઓના અણીઅગ્ર :
એની નખરેખાઓમાં છે બ્રહ્મઅંગુલિઓ.
નિહાળો એનું સાગરવિશાળું નાભિચક્ર :
એમાં છે પરબ્રહ્મનું હૃદયમંડળ.
પારખો એનો અવકાશઉપરવટિયો પરિઘ :
એમાં છે પરમાત્મન્ ની ભર્ગજ્વાલા.
એના સંહારમાં છે સૃજનના ફણગા.
ભરતકુલના હિતસ્વી, જગત્-જનતાના જગત્-ગુરુ,
વિશ્વના પુણ્યવંશના – પાપવંશના કલ્યાણક,
પ્રેમની પૂર્ણિમાના પૂર્ણેન્દુ,
આનન્દજ્યોત બ્રહ્માંડભાસ્કર,
જુઓ, શ્રી કૃષ્ણચન્દ્ર બિરાજે છે
એ વિરાટસુદર્શનને સિંહાસને.
સુદર્શનલીલા તો સુદર્શનધારીની છે.’

          સકલ પાંડુપરિવાર ઊઠ્યો,
ને નમતીલળતી વૃક્ષરાજી-શો નમ્યો.
પુષ્પ-શાં અંગો ચરણમાં ઢાળ્યાં,
પરિમળ-શા આત્મન્ અભિષેકમાં ઢોળ્યા.
વિરાટસુદર્શનનું નાભિચક્ર ત્યારે
કૃષ્ણચન્દ્રના હૃદયમંડલ શું દર્શાયું,
વિરાટસુદર્શનની વજ્રદૃન્તુડીઓ ત્યારે
બ્રહ્મઅંગુલિઓ સરખડી નીરખાઈ.
અને દાંતે દાંતે મન્ત્ર માંડેલો દીઠો :
‘વિશ્વકલ્પાણ.’
          વિરાટસુદર્શન વિરાટકમલ-શું ભાસ્યું.,
ને એની પાંખડીએ પાંખડીએ
પાંડુપુત્રોએ પિતૃપ્રવરોને પ્રતિષ્ઠિત પેખ્યા.
એમની આંખોમાંથી આશીર્વાદ વર્ષતા.

          આઘે-આઘેથી કાલઘંટા વાગી.,
જગતની જોગમાયાઓ ગરબે ઘૂમતી ’તી.

          ભવ્યભાગ્ય અમે બ્રહ્મનન્દિની
                   આનન્દિની રે લોલ :
          હરિની રમણાએ અમે નીસર્યા રે લોલ.
          મહાકાળના ડંકા વગાડતી,
સૃજનપ્રલયનાં ગીત ગાતી ગાતી
અદૃશ્યમાંથી જોગમાયાઓ ઊતરી,
ને બ્રહ્માંડસુદર્શનની દન્તુડીએ દન્તુડીએ
અક્કેકી આરૂઢી બેઠી,
મહાચક્ર તો ચૌદે લોકને ચક્રાવે ઘૂમતું.
એમનાં અખેપાત્ર-શાં ખપ્પર
વિધાત્રીની કંકાવટીઓ થયાં,
એમનાં ત્રિશૂળના ભાલાઓ
વિધાત્રીની ભાગ્યલેકિનીઓ બન્યા.
અમંગલ સહુ મંગલ સ્વરૂપ થયું.
મહામૃત્યુનાં સંહારક્ષેત્રોયે
પુનર્જન્મની ક્યારીઓરૂપ ઝંખાયાં.
પાછળ કુરુક્ષેત્ર સજીવન થઈ ઊઠ્યું.
અઢાર અક્ષૌહિણીના પ્રચંડ પડછાયા
ઘડીક ત્યાં ઘૂમી રહ્યાં.


          પુણ્યપરાક્રમી જીવનવિજયી
કુન્તીકુમારોને રોમરોમે,
ભાથામાંથી શરમંડળ પ્રગટે એમ,
આનન્દનાં કિરણમંડળ પ્રગટ્યાં :
પર્વતરાજને પુલકાવલિ-શી વૃક્ષરાજી ડોલે
એમ અંગે આનન્દરાજી ડોલી રહી.
નયને ભાવિનાં અંજન અંજાયાં.
ત્રિલોકને હિન્ડોલે ડોલતી દૃષ્ટિ
પ્રારબ્ધના મેઘ જેવી ગોરંભી રહી :
દેવસૃષ્ટિના સ્વપ્નતરંગો સમાં
મહીં કંઈ કંઈ ઇન્દ્રધનુષ્ય મંડાયાં.
ઘડીએક એમ વીતી ગઈ.


પછી, નાટક સંકેલી નટવર પધારે એમ,
મેઘ વિદારી સૂર્ય પ્રગટે તેમ,
ભરતકુલના પરમ હિતસ્વી,
સૃજનસમસ્તના પરમ કલ્યાણક,
આનન્દાવતાર કૃષ્ણચન્દ્રનાં
એ જ્યોતિર્મંડલે દર્શન થયાં :
જાણે દેવસિંહાસને વિરાજેલા દેવાધિદેવ.
અને પછી તો લાગ્યું કે જાણે
એક ભાગ્યે કિરીટ થઈને બેઠો,
બીજો બાહુએ પુરુષાતન થઈને વિરાજ્યો,
ત્રીજો દિક્કાળદ્રષ્ટા ચક્ષુનો તારો થઈ શોભ્યો,
ચોથો એ વિશ્વાનન્દ મૂર્તિનો
વરણાગિયો આનન્દવર્ણ બની રહ્યો.
મહામુનિને ધર્મરાય ભાસ્યા જાણે
કૃષ્ણદેવની વિશ્વકલ્યાણક ધર્મબુદ્ધિ.
દેહની પાંચ ઇન્દ્રિયો સમોવડા
પાંચેય પાંડુપુત્રોને વ્યાસનારાયણે
પરબ્રહ્મની પંચેન્દ્રિયો સમા નિહાળ્યા.
આત્માઓ પરમાત્મામાં ઠલવાય
એમ અગ્નિઓ વિશ્વઅગ્નિમાં જઈ બુઝાયા.
બ્રહ્મદેવ ભારતપ્રવરોનાં બ્રહ્મસ્થાન નિહાળી
મહાત્મન્ એ મુનિપુંગવના
અંગઅંગમાંથી આનન્દના ઓઘ ઊછળ્યા,
ને દુંદુભિનાદે બ્રહ્મધ્વનિ ગાજી ઊઠ્યો :
‘જય બ્રહ્માનન્દ!’ ‘જય બ્રહ્માનન્દ!’

          જગતને જગાડતી
જોગમાયાઓની કારમી કાલઘંટા
બ્રહ્માંડચક્રની દન્તુડીએ દન્તુડીએથી
અખંડ વાગતી હતી,
હરિનાં લીલાગીત ગુંજારતી હતી :
જાણે ત્રિકાળનો ડંકો વાગ્યો.

          બ્રહ્મનન્દિની
          આનન્દિની રે લોલ :
હરિની રમણાએ અમે નીસર્યા રે લોલ.

          કાળચક્રની ઘટમાળ સમોવડું,
સદાશિવની રૂંઢમાળ સરીખડું,
મહાસૂર્ય ફરતી સૂર્યમાળા સમું,
ઠલવાતા ને ભરાતા લોકચક્ર જેવું,
કલ્યાણમૂર્તિના કલ્યાણજ્યોત મુખમંડળ-શું,
કાળ ને અવકાશનાં આભ ખેડતું,
બ્રહ્માંડભાલે ભાગ્યના આંકડા પાડતું,
પરબ્રહ્મનું વિરાટસુદર્શન
બ્રહ્માંડચક્રાવે ચડેલું હતું.
મહીં કંઈ કંઈ મહાસૃષ્ટિઓ
સંહારાતી ને સરજાતી.
મહાપ્રલયનાં ભરતીઓટ થતાં.
યુગના યુગ ઊગતા ને આથમતા,
ને એમ યુગપલટાના ધૂપછાંવ પલટાતા.
જગતની જોગમાયાઓ
મૃત્યુનાં એમાં ઓરણાં ઓરતી.
એ કાળચક્કીમાં મૃત્યુનાંયે મૃત્યુ થતાં.
એ બ્રહ્માંડચક્રનો એક જ ઘોર હતો :
‘આનન્દ.’

          અન્તને આરે બેસી
ઇતિહાસ ને કાળનાં મહાકાવ્ય
પરબ્રહ્મ એમ રચતા હતા.
મનુવંશની કૌતુકઆંખડલી
એ આશ્ચર્યો નિહાળતી ને આનન્દતી.

          મહિમામ્હોર્યા મનુવંશના
મહાભાગ સપૂત!
પ્રારબ્ધના પરમ પાઠ
એટલે જ આયુષ્યની આનન્દલીલા.

          લોકલોકના દડા ઉછાળતું
આનન્દનો ઘોર ઘોરવતું,
પરબ્રહ્મના પરિમલ પ્રસારતું,
અનન્ત ઘૂમડીએ ઘૂમતું ’તું, એવું
સૃજન-સંહારનું મહાસુદર્શન.

           (‘કુરુક્ષેત્ર’માંથી)
(ન્હાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય મ. રાવળ, ૧૯૫૯, પૃ. ૧૨૬-૧૩૭)