કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૧. પાર્થને કહો ચડાવે બાણ

From Ekatra Wiki
Revision as of 11:56, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૧. પાર્થને કહો ચડાવે બાણ|}} <poem> પાર્થને કહો ચડાવે બાણ, હવે ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૧. પાર્થને કહો ચડાવે બાણ


પાર્થને કહો ચડાવે બાણ,
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;
કહો, કુંતાની છે એ આણ;
          પાર્થને કહો ચડાવે બાણ.

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી,
          કીધાં સુજનનાં કર્મ;
આર્યસુજનતા દૈન્ય ગણી તો
          યુદ્ધ એ જ યુગધર્મ :
સજીવન થાય પડ્યાયે પ્હાણ :
          પાર્થને કહો ચડાવે બાણ.

દ્રૌપદીની હજી વેણ છૂટી છે,
          રાજસભાના બોલ :
રણનોતરાંના ઉત્તર દેજો
          રણધીરને રણઢોલ :
પાર્થની પ્રત્યંચાને વાણ :
          પાર્થને કહો ચડાવે બાણ.

મેહુલો બોલે, વાયુ હુંકારે,
          ત્યમ તલપો સિંહબાળ !
યુગપલટાના પદપડછન્દે
          ગજવો ઘોર ત્રિકાળ :
સજો શિર વીર ! હવે શિરત્રાણ :
          પાર્થને કહો ચડાવે બાણ.

નૃલોક જોશે, કાળ નિરખશે
          રણરમતો મુજ વંશ;
સત્ય શીલ ને ધર્મયજ્ઞમાં
          હજો વિશ્વવિધ્વંસ;
ઊગે જો ! નભ નવયુગનો ભાણ :
          પાર્થને કહો ચડાવે બાણ.

વિધિનાં એ જ મહાનિર્માણ :
          પાર્થને કહો ચડાવે બાણ.

(ન્હાનાલાલ-મધુકોષ, સં. અનંતરાય રાવળ, ૧૯૫૯, પૃ. ૯૩-૯૪)