કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૯. અશબ્દ રાત્રિમાં


૧૯. અશબ્દ રાત્રિમાં

પ્રિયકાન્ત મણિયાર

મટુકીને
જાણ કશી ન થાય
સૂતેલ એવાં જલને જગાડ્યું,
બીતાં બીતાં મેં;
જરી થોડું પીધું,
પીધા પછી પાત્ર વિશે વધ્યું તે
ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
મજલેથી ત્રીજે
તે તો વહ્યું છેક જતાં જતાં તળે
ધીરે ધીરે પાઇપમાં લપાયલી
હેમંતથી શીતલ શાંતિના સ્વરો
જગાડતું
જંપી ગયું ક્ષણોમાં.
(આ નભ ઝૂક્યું, પૃ. ૪૮-૪૯)