કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૩. પારેવડું

Revision as of 08:20, 21 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૩. પારેવડું

પ્રિયકાન્ત મણિયાર

— ત્યાં રાત્રિમાં અધવચે મુજ ઊંઘ ભાંગી
પારેવડું ગભરુ ઘૂઘવતું છજામાં;
વીતી ગયા દિવસનું હજુ શુંય બાકી?
આ શાન્ત સૌ ક્ષણ વિશે ફરી ઘૂઘવે છે.
કેમે કરી મન થયું ન નિવારવાને
આ રાત્રિના પ્રહરમાં કહીં તે ઉડાડું!
ને બ્હાર તો લહર પોષની શીત ગાજે
બેચેન હું બની રહ્યો, હતું એક ગાજતું
તોયે થતું ગગન-તારક સર્વ ગાજે
‘પારેવડું-રૂપ’ લઈ મુજના છજામાં!
ના છેવટે રહી શક્યો મુજને હું હાથ,
બે હાથની થપકીથી દીધ ત્યાં ઉડાડી.
બીજે છજે લઘુક પાંખ ગઈ બિડાઈ,
નિદ્રાભર્યાં, પણ પછી ચખ ના બિડાયાં.
(આ નભ ઝૂક્યું, પૃ. ૫૮)