કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૭. કબૂતરો

Revision as of 09:44, 4 August 2021 by MeghaBhavsar (talk | contribs)


૭. કબૂતરો

પ્રિયકાન્ત મણિયાર

ચબૂતરે બેસી ચણી રહેલાં
કબૂતરો તો મુજને ગમે બહુ,
પરંતુ ટોળે વળી સર્વ જ્યાહરે
સંધ્યા સમે તે સુલતાન મ્હેલનાં
ખંડેર માંહે (જહીં એક કાળે,
જીવી ગયેલા અણજાણ કોઈ
સલાટ કેરા હૃદટુકડાઓ,
શિલ્પે ભર્યા પથ્થરના સ્વરૂપે,
સીંચી દિયે કોઈ અમીની ધાર
એવી તૃષામાં, બળતા બપોરથી)
ફફડાવી પાંખો
થોડીઘણી ધૂળ ઉડાડતાં, અરે
વ્યાપી ગયેલી ગત કાલની વ્યથા
સાથે વળી સાંપ્રતનીય દીનતા
ધ્રુજાવી ર્હે છે — તવ તો નહીં નહીં.
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૭)