કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૪૪. વિરહિણી

Revision as of 09:07, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૪. વિરહિણી

બાલમુકુન્દ દવે

ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ,
મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ,

જૂઈ ઝળૂંબી માંડવે, ને બાગે બાગે ફાલ,
તું ક્યાં છો વેરી વાલમા? મને મૂકી અંતરિયાળ!

આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત,
ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત.

કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમસૂર,
વાગે વન વન વાંસળી, મારું પલ પલ વીંધે ઉર.

અવળું ઓઢ્યું ઓઢણું ને મારા છુટ્ટા ઊડે કેશ,
શું કરું નિર્દય કંથડા! મને વાગે મારગ ઠેસ.

જોબનને આ ધૂપિયે, પ્રીત જલે લોબાન,
રત આવી રળિયામણી, મારાં કોણ પ્રીછે અરમાન?

નારીઉર આળું ઘણું, બરડ કાચની જાત,
તું જન્મ્યો નરને ખોળિયે, તને કેમ સમજાવું વાત?

સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ,
હોય ઇશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૬)