કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૧.કોણ ઘડે છે કીડીઓનાં નેપુર?

Revision as of 06:09, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૧.કોણ ઘડે છે કીડીઓનાં નેપુર?|}} <poem> ૧ સાહેબની પ્રતીક્ષામાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૧.કોણ ઘડે છે કીડીઓનાં નેપુર?


સાહેબની પ્રતીક્ષામાં
કીડીઓ
કણ ભૂલીને
નીકળી છે –
સોનારની શોધમાં
લયભેર
નેપુર
ઘડાવવા.


કોણ ઘડે છે
કીડીઓનાં નેપુર ?
પૂછતી પૂછતી રે
કીડીઓ
તનમન ફિરત ઉદાસી.
દાસ કબીર
જતનસે બોલે
તો
ક્યા બોલે ?


સાદૃશ્યમૂલકના સમાધાનમાં રે
જીભ
સંતની
સજડબમ્બ આ –
ઝલાઈ ગઈ છે રે
મુંહ ખોલે તો ખોલે
લેકિન
કહો કબીરજી
કૈસે બોલે રે ?


સાહેબ અને દાસ વચ્ચેની
સરિયામ સડક પર
કીડીઓ
અર્થભેર
કચડાઈ રહી છે રે.


છે
દોહા-સાખીની સાક્ષીમાં
સપ્તપદ્વીપ નવખંડ મહીં
આતંક યુદ્ધનાં ખેદાનો મેદાનોમાં
સાહિબ વગરના સાહેબોની
શતકોટિ ખંડોમાં
ચૂપ બહેરાશો રે
એમ
ભાષાની ઊભી બજારે
કહત
કબીરા રોયા રે.


રે કીડીઓએ કીડીઓએ, દયામણી
તનમનવનમાં
વચનકર્મમાં
નેપુરની લયામણી
પ્રતીક્ષામાં
છે
જન્મારા ખોયા રે
કહત કબીરા, રોયા રે.


ભક્તિકા મારગ ઝીના રે
નદીઓના કાંઠે
છલકાતી છાલકથી ભીનાા ભીના રે
પલળેલી કીડીઓનાં
નમન
જાય તણાતાં જોયાં રે
દેખત દેખત
ચૂપ
કબીરા રોયા રે.


લિખાલિખીકી હૈ નહિ
છે
દેખાદેખીતી વાત
દેવળ મંદિર મસ્જિદ
છે
ઘટ ઘટમાં અંદર
છે
તેથી તે બહાર.
અંદર કચ્ચરઘાણ છે ઘટમાં
છે
તેથી
તેવો
તે બહાર.
કબીરા ક્યા બોલે ?
રો લે પલભર, રો લે.


મનઘટમાં તનઘટમાં
છે
જળ થંભ થયેલાં
જોયાં રે.
જેમાં
કાગળની હોડીમાં
સાહિબ
પલકારામાં
ડબ ડબ
ડૂબતાં જોયા રે.
ઐસા સાહિબ કિસને બોયા રે ?
પૂછત પૂછત
નિર્બીજ વૃક્ષ સાહિબકા
છૂ
દેખત
હસતા હસતા
કબીરજીએ
છે
લોચનિયાં બે લોયાં રે.
(આઇ ડોન્ટ નો, સર, ૨૦૦૨, પૃ. ૩૨-૪૦)