કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૨૫. પાણી બતાવશું

Revision as of 08:53, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૫. પાણી બતાવશું


જાશું, જઈને કાળની ગરદન ઝુકાવશું;
સંસાર પરથી જુલ્મની હસ્તી મિટાવશું.

જ્વાળાઓ ઠારશું અને ફૂલો ખિલાવશું:
કોણે કહ્યું કે, ‘મોતથી પંજો લડાવશું?’

કમજોરથી અમે નથી કરતા મુકાબલો;
કોણે કહ્યું કે, ‘મોતથી પંજો લડાવશું?’

મૃગજળને પી જશું અમે ઘોળીને એક દી,
રણને અમારી પ્યાસનું પાણી બતાવશું.

ચાલે છે ક્યાં વિરોધ વિના કોઈ કારભાર?
ભરશું જો ફૂલછાબ તો કાંટાય લાવશું!

ડૂબેલ માની અમને ભલે બુદબુદા હસે!
સાગર ઉલેચશું અને મોતી લુંટાવશું.

આખી સભાને સાથમાં લેતા જશું અમે;
અમને ઊઠાડશો તો કયામત ઊઠાવશું.

બળશે નહીં શમા તો જલાવીશું તનબદન!
જળમાં અખંડ-જ્યોતનો મહિમા નિભાવશું.

માથા ફરેલ શૂન્યના ચેલા છીએ અમે,
જ્યાં ધૂન થઈ સવાર ત્યાં સૃષ્ટિ રચાવશું.

(શૂન્યનો વૈભવ, પૃ. ૨૮૬)