કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૩૮. સુધા પીવી?

૩૮. સુધા પીવી?

સુન્દરમ્

સુધા પીવી? ના ના. નથી અમર થાવું, નહિ નહિ
સદેહે સ્વર્ગે જૈ સુરયુવતી આશ્લેષ ગ્રહવી,
યયાતિ-શા થૈ વા અણખૂટ યુવામાં ગટકવી
સુરાઓ પૃથ્વીની, ચિર વિલસવું ષડ્‌રસ મહીં.

નહીં આ પાર્થિવ્યે મલિન મન તે પ્રાણ તનના
અધૂરાં અંધાર્યાં રસબલ તણા પંકિલ પથે
સદાના બાઝી ર્‌હૈ મન મનવવું વસ્તુ વિતથે;
અહો, એવી લીલા કૃમિ-શી રચવે લેશ મન ના.

મને દેવા ઇચ્છે યદિ અમરતા — તો પ્રથમતઃ
મિટાવી દે સંધાં પ્રકૃતિતમસો, ઇન્દ્રિય તણાં
ભૂંડાં આ લૌલુપ્યો, અરધ દ્યુતિનાં દીન સમણાં —
રચી દે વેદી કો પરમ ઋતની અંતિમતઃ.

ધુમાતા આ કાષ્ઠે જ્વલિત કર તું દિવ્ય અનલ,
પછી પીશું સ્હેજે અમૃત રસ ને મૃત્યુ ગરલ.

માર્ચ, ૧૯૪૪

(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૦૬)