કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨. નેજવાંની છાંય તળે

Revision as of 07:28, 14 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. નેજવાંની છાંય તળે|}} <poem> નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો ::: એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨. નેજવાંની છાંય તળે

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન,
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
તોય ફૂલ જેમ ખૂલ્યું છે મંન.
આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ,
એવું લાગે રે ઘડી, ઊગી છે આજ ફરી
વીતેલી રંગભરી કાલ!
છોગાંની શંકાએ માથે ફેરીને હાથ
ખોળે ખોવાયલું ગવંન.
ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ને છલકાતું એ જ નર્યું રૂપ,
કંકુનાં પગલાંમાં મ્હોરી ગૈ વાત
જેને રાખી'તી માંડ માંડ ચૂપ!
સમણાંને સાદ કરી, હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગંન.
નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન.
૧૦-૯-૬૬
(જળમાં લખવાં નામ, પૃ. ૬)