કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૮. અનહદનો સૂર

૩૮. અનહદનો સૂર

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
         મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
         વાગે છે ક્યારનાં નૂપુર.
હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
         મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
         ઝાઝાં પગલાંની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
         લઈ લો આ આંખડીનાં નૂર.
મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
         અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
         યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
         હવામાં મારાં ખાલી વેરાતાં કપૂર.

૬–૯–’૭૧

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૧૩-૩૧૪)