કુરબાનીની કથાઓ/કર્ણનું બલિદાન

From Ekatra Wiki
Revision as of 07:01, 6 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કર્ણનું બલિદાન|}} {{Poem2Open}} કુંતી: તું કોણ છે તાત? અાંહીં શું કરે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કર્ણનું બલિદાન

કુંતી: તું કોણ છે તાત? અાંહીં શું કરે છે? કર્ણ: પવિત્ર ગંગાને કિનારે, સંધ્યાના સૂર્યને હું વંદી રહ્યો છું. મારું નામ કર્ણ: અધિરથ સારથીનો હું પુત્ર: ને રાધા મારી જનેતા, બોલો માડી, કોણ છો તમે? કુંતી: બેટા હું એ જ, કે જેણે તારા જીવનને પહેલે પ્રભાતે તને પૃથ્વીનાં દર્શન કરાવ્યાં. લાજમરજાદ મેલીને આજ હું મારી ઓળખાણ દેવા આવી છું. કર્ણ: કાંઈ સમજાયું નહિ, માતા! તો યે–તો યે તમારી અાંખોનાં કિરણો અડ્યે મારું યોદ્વાનું હૃદય, સૂર્યનાં કિરણોને સ્પર્શે બરફને પહાડ દ્રવી પડે એવી રીતે ગળી પડે છે. અને તમારો અવાજ તો જાણે મારા આગલા જન્મોમાંથી આવીને અંતરમાં કોઈ અકળ નવી વેદના જગાડે છે, બોલો, બોલો, હે અપરિચિતા! મારા જન્મની એવી કઈ રહસ્યગાંઠ તમારી સાથે બંધાએલી છે? કુંતી: ઘડીવાર ધીરો થા બેટા! સૂર્યને આથમી જવા દે. સંધ્યાનાં ઘોર અંધારાં સંસાર પર ઊતરવા દે. પછી બધું યે કહીશ. મારું નામ કુંતી. કર્ણ: તમે કુંતી? અર્જુનની જનેતા? કુંતી: હા! અર્જુનની – તારા વેરીની હું જનેતા. પણ એ જ કારણે તું મને તરછોડતો ના. હજી યે મને સાંભરે છે હસ્તિનાપુરમાં એ અસ્ત્રપરીક્ષાનો દિવસ. તારાઓની મંડળીમાં જેમ અરુણ ચાલ્યો આવે તેમ રંગભૂમિની મેદિની વચ્ચે તું તરુણ કુમાર જ્યારે દાખલ થયો, ત્યારે સ્ત્રીઓના ચકની પાછળ શું શું ચાલી રહેલું? એ બધી રમણીઓના વૃંદની વચ્ચે, કોણ એ અભાગણી બેઠેલી કે જેના જર્જરિત હૈયામાં પ્રીતિની હજારે ભૂખી નાગણી જાગતી હતી? કોણ હતી એ નારી, જેની આંખોએ તારાં અંગેઅંગને આશિષનાં ચુંબન આપેલાં? બેટા! એ બીજી કોઈ નહિ, પણ તારા વેરી અર્જુનની જ માતા હતી. પછી કૃપે આવીને તારા પિતાનું નામ પૂછ્યું, ‘રાજવંશી વિના અર્જુનની સાથે ઝૂઝવાને કોઈનો અધિકાર નથી' એવું મેણું દીધું, તારા લાલચોળ મોંમાંથી વાચા ન ફૂટી, સ્તબ્ધ બનીને તું ઊભો રહ્યો: એ સમયે કોણ હતી એ નારી કે જેના અંતરમાં તારી એ શરમે બળતરાના ભડકા સળગાવેલા! બીજી કોઈ નહિ, પણ એ અર્જુનની જ જનેતા, ધન્ય છે દીકરા દુર્યોધનને, કે જેણે એ જ ક્ષણે તને અંગરાજની પદવી અપીં. ધન્ય છે એને! કોની આંખોમાંથી એ પળે આંસુ વછૂટ્યાં હતાં? અર્જુનની માતાનાં જ એ હર્ષાશ્રુ હતાં. એવે સમે અધિરથ સારથી, રંગભૂમિ ઉપર રસ્તો કરતા કરતા હરખાતા હરખાતા દાખલ થયા. દોડીને તેં એને ‘બાપુ' કહી બોલાવ્યા, અભિષેકથી ભીનું તારું માથું તેં એ વૃદ્ધ સારથિને ચરણે નમાવ્યું, આખી સભા તાજ્જુબ બનીને તાકી રહી. પાંડવોએ ક્રૂર હાંસી કરીને તને ધિક્કાર દીધો, તે સમે કોનું હૈયું ગર્વથી ફુલાયેલું? કોણે તને વીરમણિ કહીને આશિષો દીધી? એ પ્રેમઘેલી નારી હું-હું અર્જુનની જનેતા હતી, દીકરા! કર્ણ: આર્યા! મારા પ્રણામ છે તમને. પણ તમે તો રાજમાતા: તમે આંહીં એકલાં ક્યાંથી! જાણતાં નથી કે આ રણક્ષેત્ર છે ને હું કૌરવોને સેનાપતિ છું? કુંતી: જાણું છું, બાપ! પણ હું એક ભિક્ષા લેવા આવી છું. જોજે હો! ઠાલે હાથે પાછી ન વળું. કર્ણ: ભિક્ષા! મારી પાસે! ફકત બે ચીજો માગશે મા, માતા! એક મારૂં પુરુષત્વ, બીજો મારો ધર્મ, ત્રીજી ગમે તે આજ્ઞા કરો, ચરણોમાં ધરી દઈશ. કુંતી: હું તને જ લઈ જવા આવી છું. કર્ણ: ક્યાં લઈ જશે મને? કુંતી: તૃષાતુર આ હૈયાની અંદર, જનેતાના આ ખોળામાં. કર્ણ: ભાગ્યવંત નારી! તમને તો પ્રભુએ પાંચ પાંચ પુત્રો દીધા છે. એમાં મારું, એક કુલહીનનું, પામર સેનાપતિનું સ્થાન ક્યાંથી હોય? કુંતીઃ એ પાંચથી તને ઊંચે બેસાડીશ, સહુથી મોટેરો કરી માનીશ. કર્ણ: તમારા ઘરમાં પગ મેલવાનો મારો શો અધિકાર? એક તો તમારા પુત્રોનું રાજપાટ ઝૂંટાયું, અને હવે બાકી રહેલા એના માતૃપ્રેમમાં યે શું હું પાછો ભાગ પડાવું? જનેતાનું હૃદય બાહુબળથી યે કોઈ ન ઝૂંટાવી શકે. એ તે પ્રભુનું દાન છે. કુંતી: રે બેટા! પ્રભુનો અધિકાર લઈને જ તું એક દિવસ આ ખેળામાં આવેલો. આજ એ જ અધિકારને બળે તું પાછો આવ, નિર્ભય બનીને ચાલ્યો આવ. જનેતાના ખેળામાં તારું આસન લઈ લે. કર્ણ: હે દેવી! જાણે કોઈ સ્વપ્નમાં બોલતું હોય, એવી તમારી વાણી છે. જુઓ, જુઓ, ચોમેર અંધારાં ઊતરે છે, દિશાઓ ઢંકાઈ ગઈ છે, ભાગીરથીનાં નીર ચુપચાપ ચાલ્યાં જાય છે. કયા એ માયાવી લોકોની અંદર, કયા એ વિસારે પડેલ પ્રદેશમાં, બાલ્યાવસ્થાના કયા એ પ્રભાતની અંદર તમે મને ઉપાડી જાઓ છે? જુગાન્તરજુના કોઈ સત્ય સમી તમારી વાણી આજે મારા અંતરની સાથે અથડાય છે. ઝાંખી ઝાંખી મારી બાલ્યવસ્થા જાણે મારી સામે આવીને ઊભી છે. જનેતાના ગર્ભનું એ ઘોર અંધારું જાણે મને ઘેરીને ઊભું છે. રે રાજમાતા! એ બધું સત્ય હો, કે કેવળ ભ્રમણા હો, પણ આવો, સ્નેહમયી! પાસે આવો, અને પલવાર તમારે જમણો હાથ મારે લલાટે ચાંપો. જગતને મોંયે મેં સાંભળ્યું છે કે મારી માએ મને રઝળતો મૂકેલો. રાત્રિએ સ્વપ્નની અંદર કેટકેટલી વાર મેં જોયું છે કે મારી મા મને મળવા આવે, રડીરડીને એને કહું: ‘ મા! ઓ મા! ઘૂમટો ખોલો. મોઢું બતાવો.' –ત્યાં તો સ્વપ્નને છિન્નભિન્ન કરીને મા અદૃશ્ય બની જાય. આજે આ સંધ્યાકાળે, આ રણક્ષેત્રની અંદર, આ ભાગીરથીને કિનારે, શું એ જ મારી સ્વપ્નની માતા કુંતીનું રૂપ ધરીને આવી હશે? નજર કરો મા! સામે કિનારે તો જુઓ! કૌરવોની અશ્વશાળામાં લાખલાખ અશ્વોના ડાબલા ગાજી રહ્યા છે. કાલે પ્રભાતે તો મહાયુદ્ધ મંડાશે. અરેરે! આજ છેલ્લી રાત્રિયે, આટલો મોડો, મારી માતાનો મધુરો અવાજ મેં અર્જુનની જનેતાને મુખે કાં સાંભળ્યો? એના મોંમાં મારું નામ આટલું મીઠું તે કાં સંભળાય? આજ મારું અંતર ‘ભાઈ ભાઈ ‘ પોકારતું પાંચ પાંડવોની પાછળ કાં દેડી રહ્યું છે? કુંતી: ત્યારે ચાલ્યો આવ બેટા! ચાલ્યો આવ. કર્ણ: આવું છું, મા! આવું છું. કશું યે પૂછીશ નહિ, લગારે વહેમ નહિ લાવું, જરાએ ફિકર નહિ કરું, દેવી! તમે જ મારી માતા! તમારો સાદ પડતાં તે પ્રાણ જાગી ઊઠ્યો છે. આજ યુદ્ધમાં રણશીંગા નથી સંભળાતાં. મનમાં થાય છે કે મિથ્યા છે એ ઘોર હિંસા, મિથ્યા એ કીર્તિ, એ જય ને એ પરાજય! ચાલો, તેડી જાઓ, ક્યાં આવું? કુંતી: સામે કિનારે, જ્યાં ઝાંખી ઝાંખી રેતી ઉપર દીવા ઝળહળે છે. કર્ણ: ત્યાં મારી ખોવાયેલી માતા શું મને પાછી જડશે? તમારાં સુંદર કરુણાળુ નયનોની અંદર ત્યાં શું માતૃસ્નેહ સદાકાળ ઝબકી રહેશે? બોલો, દેવી! ફરી એકવાર બોલો, કે હું તમારો પુત્ર છું. કુંતી: તું મારો વહાલે પુત્ર! કર્ણ: ત્યારે તે દિવસે શા માટે મને આ અંધ અજાણ્યા સંસારમાં ફેંકી દીધેલો? શા માટે મારું ગૌરવ ઝૂંટી લીધું, મને કુળહીન કરી નાખ્યો, માનહીન ને માતૃહીન બનાવ્યો? સદાને માટે મને ધિક્કારના પ્રવાહમાં શાને વહેતો મેલ્યો? કુળમાંથી મને કાં કાઢી મેલ્યો? અર્જુનથી મને શા સારુ અળગો રાખી મૂક્યે? એટલે જ ઓ માતા! નાનપણથી જ કોઈ નિગૂઢ અદૃશ્ય ખેંચાણ, હિંસાનું રૂપ ધરીને મને અર્જુનની પ્રત્યે ખેંચી રહ્યું છે. જવાબ કાં નથી દેતાં જનની? અંધકારનાં પડો ભેદીને તમારી શરમ મારા અંગેઅંગને ચુપચાપ અડકી રહી છે, મારી અાંખોને દબાવી રહી છે. ભલે, તો પછી ભલે, બેલશો ના કે મને શા કારણે તજેલો! બેલશો ના, બોલશો ના, કે શા માટે તમે તમારા સંતાનના હાથમાંથી જનેતાનો પ્રેમ ઝૂંટવી લીધો! જનેતાનેનો પ્રેમ: દુનિયાની અંદર પ્રભુનું એ પહેલવહેલું દાન! દેવતાની એ અણમોલી દોલત! હાય, એ જ તમે છીનવી લીધી! તો પછી બોલો, ફરીવાર મને ખોળામાં લેવા આજ શા કારણે આવ્યા છો માડી? કુંતીઃ બેટા! વજ્ર સમાં એ તારાં વેણુ મારા હૈયાના ચૂરા કરી રહ્યાં છે. તને તજેલો એ પાપે તો પાંચ પાંચ પુત્ર છતાં યે મારું હૈયું પુત્રહીન હતું. હાય રે! પાંચ પુત્રો છતાં યે સંસારમાં હું ‘કર્ણ! કર્ણ!' કરતી ભટકતી હતી. તરછોડેલા એ પુત્રને કાજે તો, રે તાત! હૈયામાં વેદનાની જયોત સળગાવી હું દેવતાની આરતી ઉતારતી આવી છું. આજ મારાં ભાગ્ય ઊઘડ્યાં, તે તું મને મળ્યો. તારે મોંયે હજુ તો વાચા યે નહેતી ફૂટી ત્યારે મેં તારો અપરાધ કરેલો, બેટા! એ જ મોંયે આજ તું તારી અપરાધી માડીને માફી આપજે. તારા ઠપકાનાં વેણથી યે વધુ તાપ તો તારી એ ક્ષમા મારે અંતરે સળગાવશે અને મારા પાપને પ્રજાળી મને નિર્મળ બનાવશે. કર્ણ: માતા, ચરણજ આપો ને મારાં આંસુ સ્વીકારો. કુંતી: તને છાતીએ ચાંપીને મારું સુખ લેવા હું નથી આવી, પણ તારા અધિકાર તને પાછા સોંપવા આવી છું. વહાલા! તું સારથીનું સંતાન નથીઃ તું રાજાનો કુમાર છે. તાત! બધી હીનતાને ફેકી દે. ચાલ્યો આવ. પાંચે ભાઈઓ તારી વાટ જોવે છે. કર્ણ: ના, ના, માડી! હું તો એ સારથીનું જ સંતાન. રાધા જ મારી સાચી જનેતા. એનાથી મોટું પદ મારે ન ખપે. પાંડવોનાં માવતર પાંડવોને મુબારક હો. કૌરવોનું કુલાભિમાન ભલે કૌરવો પાસે રહ્યું. મને કોઈની ઈર્ષા નથી, માતા! કુંતી: તારું જ રાજ્ય હતું. બાહુબળ બતાવી એ બાપનું રાજ્ય મેળવી લે ને! યુધિષ્ઠિર તને ચામર ઢોળશે, ભીમ તારે મસ્તકે છત્ર ધરશે, અજુન તારા રથનો સારથી થશે, પુરોહિત વેદના મંત્રો ગાશે. શત્રુઓને જીતી, ચક્રવર્તીને સિંહાસને ચડી જા, બેટા! કર્ણ: સિંહાસન! જેણે જનેતાના અમોલા સ્નેહને નકાર્યો, તેને તમે તુચ્છ સિંહાસનની લાલચ આપી રહ્યાં છો, દેવી! એક દિવસ મારી જે દોલત-મારો રક્તસંબંધ-તમે ઝૂંટવી લીધેલ છે, તે આજ તમારાથી પાછી નહિ દેવાય. મારી માતા, મારાં ભાંડુઓ, મારો રાજવંશ-પલકમાં તે એ બધાંને તમે મારા જન્મને ટાણે જ સંહારી નાખ્યાં છે. હવે એ ગરીબ માવતરને છોડી, હું આજે રાજસિંહાસન લેવા દોડું, તો કોટિકોટિ ધિક્કાર હજો મને મિત્રદ્રોહીને, માતૃદ્રોહીને! કુંતી: તું સાચો વીર, બેટા! ધન્ય છે તને! હાય રે કર્તવ્ય! તારી શિક્ષા તે શું આવી વસમી! તે દિવસે-અરેરે તે કમનસીબ દિવસે કોણ જાણતું હતું કે માતાએ રઝળતો મેલેલો નિરાધાર બાળક આવો બળિયો બનશે ને હાથમાં ખડગ લઈને પોતાના સગા બાંધવોને જ સંહારવા અંધકારને માર્ગેથી એક દિવસ અચાનક ઝબકશે! હાય રે, આવો તે શો શાપ! કર્ણ: નિર્ભય રહેજો, માડી! વિજય તે આખરે પાંડવોનો જ થવાનો છે, આ ઘોર સંગ્રામનું પરિણામ આકાશમાં લખાઈ ચૂકયું છે, આ શાંત રાત્રીની અંદર પણ નભોમંડળમાંથી નિરાશાના અને પરાજયના જ પડઘા સંભળાય છે. અમારી હાર હું તો જોઈ રહ્યો છું. જે પક્ષને પરાજય થવાનો છે એ પક્ષને તજવાનું મને કહેશે ના, માડી! ભલે પાંડવો જીતે ને રાજા બને. હું તો એ હારનાર પક્ષમાં જ પડયો રહીશ. મારા જન્મની રાત્રીએ જે રીતે તમે મને ધૂળમાં રઝળતો મૂકેલો, નનામો કરી ગૃહહીન બનાવેલો, આજે એ જ રીતે, મનના મોહ મારીને, ઓ માડી! મને આ અંધારા અને અપકીર્તિકારક પરાભવમાં રઝળતો મેલી દો. માત્ર એટલો જ આશીર્વાદ દેતાં જજો ઓ જનેતા! કે વિજય, કીર્તિ અથવા રાજની લાલચે હું શૂરાનો માર્ગ કદાપિ ન છોડું. હોય, અને એ વરાળમાંથી જાણે સરજાયેલી હોય એવી આ દુનિયા લાગે છે. આંહીં સૂર્ય નથી, નથી ચંદ્ર, કે નથી તારા. ભયંકર કોઈ સ્વપ્નસમી ઘનઘોર ઉદાસી આકાશના હૃદયને જાણે ચાંપી ચુપચાપ ઊભી છે. અાંહીં, આવા લોકમાં તમે કાં આવ્યા, પ્રભુ? પ્રેતો: સ્વર્ગને માર્ગે પડેલી આ દુનિયા, આનું નામ નરકપુરી. દૂર દૂર આંહીંથી સ્વર્ગના દીવા દેખાય છે. સ્વર્ગના મુસાફરો દિવસરાત અહીં થઈને જ ચાલ્યા જાય છે. એના રથનાં પૈડાંનો ઘરઘરાટ અમારા કાનમાં અથડાય, અમારી અાંખોમાં એ જોઈને ઝેર વરસે, અમારી નીંદ ક્યાંયે ઊડી જાય. નીચે નજર કરીએ તે ધરતીનાં લીલૂડાં વન દેખાય, સાત સાત સાગરનું નિરંતર સંગીત સંભળાય, હાય રે! સાગર ગાયા જ કરે. પુરોહિત: વિમાનમાંથી નીચે આવો હે રાજા! પ્રેતો: આવો, આવો, ને પલવાર અમારી પાસે રોકાઓ. અમ અભાગીની એટલી આજીજી છે, ઓ પુણ્યશાળી! તાજા ચૂંટેલા ફૂલ પર ઝાકળનાં બિન્દુ બાઝયાં હોય, તેમ તમારે શરીરે પણ સંસારનાં આંસુ હજુ ચોંટી રહ્યાં છે. પૃથ્વીનાં ફૂલોની, વૃક્ષોની ને માટીની સુવાસ હજુ તમારા દેહ પર મહેકી રહી છે; પ્યારા સ્વજનોના સ્નેહની સુગંધ પણ હજુ તમારે શિરે મઘમઘે છે; ઋતુયે ઋતુના મધુરા રંગો પણ તમારા મોં ઉપર હજુ રમી રહ્યા છે, હે રાજન્! સેમિક: ગુરુદેવ! આ નરકમાં તમારે નિવાસ! પુરોહિત: તમારા કુમારને યજ્ઞમાં હોમાવ્યો, એ પાપની આ સજા મળી છે, મહારાજ! પ્રેતો: કહો, કહો એ કથની, રાજા! પાપની વાતો સાંભળવા હજુ યે અમારા હૈયાં તલપી ઊઠે છે, માનવીની વાણીમાં જ બોલજો. તમારા કંઠમાં હજુ સુખદુઃખના કમ્પ ઊઠે છે. તમારા સૂરોમાં હજુ માનવીના હૃદયની રાગરાગણી રણકે છે. કહો એ કથની. સોમક: હે છાયાશરીરધારીઓ! હું વિદેહનો રાજા હતો. મારું નામ સોમક. કૈં વર્ષો સુધી મેં હવનહોમ કર્યાં, સાધુસંતોને સેવ્યા, વૃદ્ધ થયો ત્યારે મને એક બાળક સાંપડ્યો. એની પ્રીતિના પાસમાં હું પડ્યો. સૂર્ય સદા પૃથ્વીની સામે જ નિહાળતો ફરે તેમ હું યે મારા એ કુમારની સામે જ જોતો રહ્યો. કમળપત્ર જેમ ઝાકળના કણને જાળવીને ઝીલી રાખે, તેમ હું યે મારા એ બાલકને એવા જતનથી જાળવતો હતો. હું રાજધર્મ ચૂક્યો, ક્ષત્રિયધર્મ ચૂક્યો, સર્વ ચૂક્યો. વસુંધરા અપમાન પામી, રાજલક્ષ્મી મારાથી મોં ફેરવી બેઠી. કચેરીમાં એક દિવસ હું કામ કરતો હતો ત્યાં રણવાસમાંથી મેં મારા બાલકની બૂમ સાંભળી. ગાદી છોડીને હું દોડતો અંદર પહોંચ્યો, કામકાજ રખડતાં મેલ્યાં. પુરોહિત: એ જ સમયે, હું રાજપુરોહિત, હાથમાં ચરણામૃત લઈને દરબારમાં દાખલ થયો. જતાં જતાં રાજાજી મને યે ઠેલતા ગયા. મારા હાથમાંથી અર્ધ્ય ઢોળાયું. મારું-બ્રાહ્મણનું અભિમાન સળગી ઊઠયું. પલવારમાં તો શરમિંદે મોંયે રાજા પાછા આવ્યા. મેં પૂછ્યું, ‘બોલો રાજા, એવી તે શી આફત ઊતરી કે તમે બ્રાહ્મણને તરછોડ્યો, રાજકાજ રખડાવ્યાં, પિડાતાં પ્રજાજનોની દાદ ન સાંભળી, પરદેશના રાજદૂતોને આદરમાન ન દીધાં, સામંતેને આસન ન આપ્યાં, પ્રધાનો સાથે વાત ન કરી, મહેમાનો કે સજ્જનોને સત્કાર્યા નહિ – અને એક પામર બાલકને રડતો સાંભળી, રઘવાયા બની, રણવાસમાં દોડ્યા ગયા? ધિક્કાર છે, મહારાજ! તમારી મોહાંધ દશાથી ક્ષત્રિયનાં માથાં નીચાં નમે છે, એક બાલકના ભુજ–પાશમાં બંદીવાન બનેલા જોઈને તમારા દુશ્મનો દાંત કાઢે છે; બંધુજનો બીકથી બોલતા નથી, પણ એકાંતમાં આંસુ સારે છે, રાજા!' સોમક: બ્રાહ્મણનો એ ફિટકાર સાંભળીને સભા સ્તબ્ધ બની. આતુર અને ભયભીત નજરે બધા મારી સામે નિહાળી રહ્યા. પલવાર તો મારું લોહી તપી આવ્યું; બીજી પળે હું શરમાયો; ગુરુને ચરણે નમીને હું બોલ્યો કે ‘ક્ષમા કરો મહારાજ, હું શું કરું? મારે એક જ સંતાન છે; મારો જીવ ઝંપતો નથી; પળે પળે પ્રાણ ફફડી ઊઠે છે, એટલે જ આજે મોહમાં પડીને મેં અપરાધ કર્યો છે પણ સાક્ષી રહેજો સહુ સભાજનો! આજ પછી કદી હું રાજધર્મ નહિ ચૂકું, ક્ષત્રીના ગૌરવને લગારે ખંડિત નહિ કરું.' પુરોહિત: આનંદથી સભા ચુપચાપ બની, પણ મારા અંતરમાં તો ઝેરની જ્વાળા સળગતી જ રહી. હું બોલ્યો: ‘વધુ પુત્રો જોઈએ છે, રાજા? એનો ઈલાજ મારી પાસે છે પણ એ તો છે મહાવિકટ કામ. તમારી તાકાત નથી.' ત્યાં તો ગર્વથી રાજા બોલ્યા: ‘હું ક્ષત્રીબચ્ચો છું. તમારે ચરણે હાથ મેલીને પ્રતિજ્ઞા કરું છું કે હું એ કામ કરીશ.' એ સાંભળીને હસતે મોંયે મેં કહ્યું: ‘સાંભળો ત્યારે, હું યજ્ઞ કરું, ને હે રાજા! તમે સ્વહસ્તે એમાં તમારા એ કુમારનું બલિદાન દેજો. એ બલિદાનનો ધુમાડો, સુંઘતાં જ રાણીઓને ગર્ભ રહેવાનો.' એ સાંભળીને રાજાએ ચુપચાપ માથું નીચે ઢાળ્યું. સભાજનોએ કકળાટ કરી મેલ્યો, બ્રાહ્મણો એ મને ધિક્કાર દીધો. પરંતુ રાજાએ ધીરે સ્વરે કહ્યું કે ‘ક્ષત્રિયનું વચન છે, ગુરુદેવ! એમ જ કરીશ.' પછી તો ચોમેર સ્ત્રીઓના વિલાપ ચાલ્યા, પ્રજાજનોના ફિટકાર સંભળાયા, સેના આખી વિફરી બેઠી, તો યે એકલા રાજાજી તો અચળ જ રહ્યા. યજ્ઞનો અગ્નિ ભભૂકી ઊઠ્યો. બલિદાનનો સમય આવી પહોંચ્યો. પણ આસપાસ કોઈ ન મળે. રણવાસમાંથી કુમારને કોણ લઈ આવે? નોકરોએ ના પાડી, પ્રધાનો ચુપ રહ્યા, દ્વારપાળોની અાંખોમાં આંસુ આવ્યાં, ને સેના બધી ચાલી ગઈ. પણ હું, મોહનાં બંધનોને છેદનારો હું, બધાં શાસ્ત્રોને જાણનારો હું, પ્રીતિનાં બંધનોને મિથ્યા માનનારો હું—હું પોતે રણવાસમાં પહોંચ્યો. એકાદ ફૂલને સો સો ડાળીઓ વીંટળાયેલી હોય, તેવી રીતે એ કુમારને ઘેરીને સો સો રાજમાતાઓ ભયભીત અને ચિંતાતુર બની બેઠેલી હતી. મને જેતાં તો બાલક હસ્યો, ને નાના બે હાથ લંબાવ્યા; કાલી કાલી ભાંગી તૂટી બોલીમાં જાણે કાલાવાલા કરતો હોય ને, કે ‘લઈ જાઓ, આ માતાએાના બંદીખાનેથી મને બહાર ઉપાડી જાઓ. મારું નાનું હૃદય રમવા માટે તલસી રહ્યું છે.' હસીને હું બોલ્યો: ‘આવ મારી સાથે બેટા, મમતાનાં આ કઠિન બંધનો ભેદીને તને હમણાં રમવા ઉપાડી જાઉ.' એટલું કહીને, બલાત્કાર કરી, માતા એના ખોળામાંથી એ હસતા કુમારને મેં ઝૂંટવી લીધો. રાણીએ મારા પગમાં પડી, મારો માર્ગ રોક્યો, મહા આક્રંદ કરી મૂકયું. હું તો ઝપાટાભેર ચાલ્યો આવ્યો. જ્વાળાઓ સળગી ઊઠી. રાજા તો પથ્થરની પૂતળી સમા ઊભા રહેલા. એ કમ્પતી ને ઝળહળતી જવાળાઓને જોઈ બાળક નાચવા લાગ્યો, કલકલ હાસ્ય કરવા લાગ્યો, ને બાહુ લંબાવી જાણે અંદર ઝંપલાવવા આતુર બન્યો. રણવાસની અંદરથી રૂદનના સ્વરો છૂટ્યા ને બ્રાહ્મણો શાપ દેતા દેતા નગર છોડી ચાલી નીકળ્યા. હું બોલ્યો: ‘હે રાજા, હું મંત્ર ભણું છું. ચાલો હોમી દો, આને અગ્નિની અંદર.' સોમક: ચુપ રહો, ચુપ રહો, વધુ વાત કરશે મા હવે! પ્રેતો: થંભી જા; થંભી જા; ધિક્કાર છે તને ઓ બ્રાહ્મણ! અમે તો ઘોર પાપી છીએ. પરંતુ રે પુરોહિત! તારી જોડી તે જમલોકમાં યે જડે નહિ. તારે એકલાને માટે નોખી જ નરક કાં ન સરજાઈ? દેવદૂત: મહારાજ, નિરર્થક આ નરકમાં રોકાઈને વિના પાપે પાપીની વેદના શાને સહી રહ્યા છો? પધારો વિમાનમાં, બંધ કરો આ ભયંકર વાતો. સોમક: વિમાનને લઈ જાઓ, દેવદૂત! મારી ગતિ તો રે બ્રાહ્મણ! આંહી નરકમાં, તારી સાથે જ. ક્ષત્રીના મદમાં મત્ત બનીને, મારા પોતાના કર્તવ્યની ત્રુટીને ટાળવા ખાતર મારા નિરપરાધી બાળકને મેં-પિતાએ–અગ્નિમાં હોમ્યો! મારા નિંદકોને મારું શૂરાતન બતાવવા ખાતર મેં માનવધર્મને, રાજધર્મને, રે! મારા પિતૃધર્મને બાળી ખાખ કીધો. જીવ્યો ત્યાં સુધી તો એ પાપની જવાળામાં સળગતો રહ્યો — હજુયે, હજુયે, એ જ્વાળા હૈયાને નિરંતર દઝાડી રહી છે. હાય રે બેટા! અગ્નિને તેં બાપનું દીધેલું રમકડું માન્યું; બાપને ભરોસે તેં બે હાથ લંબાવ્યા; ત્યાર પછી એ ભડકાની અંદર અકસ્માત તારી આંખોમાંથી કેવો ઠપકો, કેવી તાજજુબી ને કેવો ભય ભભૂકી ઊઠેલાં! હે નરક! તારા અગ્નિમાં એવો તાપ ક્યાં છે, જે મારા અંતરના તાપની તોલે આવે? હું સ્વર્ગે જાઉં? ના, ના! મારાં પાપ દેવતા ભૂલી શકે; પણ મારાથી શે ભુલાય એ બાલકની છેલ્લી નજર, એ છેલ્લું અભિમાન! દિવસરાત નરકના અગ્નિમાં હું સળગ્યા જ કરું તો યે, રે બેટા! તારી એ પલવારની વેદનાનું, બાપની સામે જોઈ રહેલી એ ગરીબ નજરનું, ને પિતાએ કરેલા એ વિશ્વાસઘાતનું વેર નહિ વળી રહે. [ધર્મરાજા આવે છે…] ધર્મ: પધારે રાજન્! જલદી પધારો! સ્વર્ગના વાસીએા તમારી વાટ જુએ છે. સોમિક: સ્વર્ગમાં મારું આસન ન હોય, હે ધર્મરાજ! વિના અપરાધે મેં મારા બાલકને હણ્યો છે. ધર્મ: અંતરના અનુતાપથી એનું તો પ્રાયશ્ચિત્ત થઈ ચૂકયું છે, રાજા! એ પાપનો ભાર ભસ્મ થઈ ગયો છે. નરકવાસ તો આ બ્રાહ્મણને માટે છે, જેણે જ્ઞાનના ગુમાનમાં, લગારે પરિતાપ પામ્યા વિના, પારકાના બાલકને માતાના ખોળામાંથી ઝૂંટવીને હણી નાખ્યો છે. ચાલો પ્રભુ! પુરોહિત: જશો ના, ચાલ્યા જશો ના, મહારાજ! ઈર્ષાના ભડકામાં મને બળતો મેલીને અમરલોકમાં એકલા ચાલ્યા જશો ના! નવી વેદના પ્રગટાવશો ના! મારે માટે બીજી નરક બનાવશે ના. કૃપાળુ! રહો, આંહીં જ રહો! સોમિક: તારી સાથે જ હું રહીશ. રે હતભાગી! નરકના આ પ્રચંડ અગ્નિમાં આપણે બન્ને મળી યુગયુગાન્તર સુધી યજ્ઞ કર્યા કરશું, હે ધર્મપતિ! આ પુરોહિતનાં પાપ ખવાઈ જાય ત્યાં સુધી આ નરકમાં જ મારું નિર્માણ કરો, એની સાથે જ મને રહેવા દો. ધર્મ: સુખેથી આંહીં રહો, મહીપતિ! નરકને પણ ગૌરવવન્તુ બનાવો. અગ્નિને દાહ તમારા લલાટનું તિલક બની જાઓ અને નરકની જવાલા તમારું સિંહાસન બની જાઓ. પ્રેતો: જય હો પુણ્યફળના ત્યાગીનો! જય હો નિરાપરાધી નરકવાસીનો! જય હો મહાવૈરાગીનો! આંહીં રહીને હે પુણ્યશાળી, પાપીના અંતરમાં ગેોરવ પ્રગટાવજો, નરકનો ઉદ્ધાર કરજો, શત્રુને મિત્ર બનાવી, જુગજુગ સુધી એક દુ:ખાસને બેઠા રહેજો, વાદળાંની સાથે ઝળહળતો સૂર્ય દેખાય તેમ તમારી મૂર્તિ પણ વેદનાના શિખર ઉપર સદા ય પ્રકાશી રહેજો! એ જ્યોતિ કદી યે બુઝાશે નહિ!