કુરબાનીની કથાઓ/પ્રભુની ભેટ

From Ekatra Wiki
Revision as of 06:26, 6 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રભુની ભેટ|}} {{Poem2Open}} આખા દેશની અંદર ભક્ત કબીરની કીર્તિ વિસ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રભુની ભેટ

આખા દેશની અંદર ભક્ત કબીરની કીર્તિ વિસ્તરી ગઈ. સાધુસંતો એનાં ભજનોની ધૂન મચાવી ઠેરઠેર મસ્તી જગવતાં. કબીરજીની ઝૂંપડીએ અપરંપાર લોકો આવવા લાગ્યાં. કોઈ આવીને કહેશે ‘બાબા, એકાદ મંત્ર સંભળાવીને મારું દરદ નિવારોને!' કોઈ સ્ત્રીઓ આવીને વિનવશે કે ‘મહારાજ! પાયે પડું; એક દીકરો અવતરે એવું વરદાન દોને!' કોઈ વૈશ્નવજન આવીને આજીજી કરશે કે ‘ભક્તરાજ, પ્રભુનાં સાક્ષાત્ દર્શન કરાવો ને!' કોઈ નાસ્તિક આવીને ધણધણાવશે કે ‘એ ભક્તશિરોમણિ! દુનિયાને ઠગો નહિ પ્રભુ પ્રભુ કૂટી મારો છો, તે એકવાર પ્રત્યક્ષ પ્રમાણથી સાબિત તો કરો કે પ્રભુ છે!' સહુની સામે જોઈને ભક્તરાજ મધુર હાસ્ય કરતા ને માત્ર આટલું જ બોલતા કે ‘રામ! રામ! રામ!' મોડી રાત થાય ને માણુસોનાં ટોળાં વીંખાય ત્યારે ભક્ત રાજ એ નિર્જન ઝૂંપડીમાં એકલા બેસી ઈશ્વરનું આરાધન કરતા. એની બન્ને આંખોમાંથી આંસુની ધારા વહેતી. ગદ્દગદ સ્વરે એ પ્રભુને કહેતા કે ‘હે રામ! મેં તો જાણ્યું કે તેં દયા કરી મને કંગાલ યવનને ઘેર જન્મ આપ્યો, કે જેથી મારી આગળ કોઈએ નહિ આવે, મને કોઈએ નહિ બોલાવે, સંસાર ધિક્કાર દઈને મને એકલો મેલશે, ને સહુનો તરછોડેલો હું તારી પાસે આવીને શાંત કીર્તન કર્યા કરીશ, તું ને હું બેઉ છાનામાના મળશું. પણ રે હરિ! આવી કપટબાજી શા માટે આદરી! મને શા અપરાધે છેતર્યો? તું જ, હે નિષ્ઠુર માયાવી! તું જ આ ટોળેટોળાંને છાનોમાનો મારી ઝૂંપડી દેખાડી રહ્યો છે. મને સતાવવા. મારે આંગણે માણસોને બોલાવીને તું ક્યાં ભાગી જાય છે, હે ધુતારા!' આમ રૂદન કરતાં કરતાં આખી રાત વીતી જતી. નગરીના બ્રાહ્મણોની અંદર ભયાનક કેલાહલ ઊઠ્યો. બ્રાહ્મણે બોલ્યા કે ‘ત્રાહિ! ત્રાહિ! એક મુસલમાન ધુતારાના મોમાં હરિનું પવિત્ર નામ! એ ખળના પગની રજ લઈને લોકો ભ્રષ્ટ થાય છે! અરેરે! હડહડતો કલિયુગ આવી પહોંચ્યો. પૃથ્વી હવે પાપનો ભાર ક્યાં સુધી ખમી રહેશે?' બીજો બ્રાહ્મણ બોલ્યો: ‘ધરતી માતાને ઉગારવી હોય તો ઈલાજ કરો, જલદી ઈલાજ કરો, નહિ તો ધરતી રસાતાળ જશે.' બ્રાહ્મણોએ ઈલાજ આદર્યા, એક હલકી સ્ત્રીને બેલાવી, એના હાથમાં રૂપિયાની ઢગલી કરીને કહ્યું કે ‘એ ભગતડાનો ભરબજારે ભવાડો કરજે.' સ્ત્રી બેલી કે ‘આજે જ પતાવી દઉં.' પોતાની શાળ ઉપર પાણકોરું વણીને ભક્તરાજ એક દિવસે બજારમાં વેચવા નીકળ્યા. ચારે બાજુથી બ્રાહ્મણો આવીને ગોઠવાઈ ગયા હતા. અચાનક પેલી બાઈ દોડી આવી. ચોધારાં આંસુ પાડતી પાડતી એ કબીરને વળગી પડી, ડુસ્કાં ખાતી ખાતી બોલવા લાગી કે ‘રોયા ભગતડા, મને અબળાને આવી રીતે રખડાવવી હતી કે? શું જોઈને તે દિવસ વચન આપી ગયો હતો? વિના વાંકે મને રખડતી મૂકીને તેં સાધુનો વેશ, સજ્યો. હાય રે! મારા પેટમાં મૂકવા એક મૂઠી અનાજ પણ ન મળે, મારાં અંગ ઢાંકવા એક ફાટેલ લૂગડું યે નથી રહ્યું, ત્યારે આવા ધુતારાની જગતમાં પૂજા થાય છે!' ભક્તરાજ લગારે ચમકયા નહિ, જરા યે લજ્જા પામ્યા નહિ. એનું પવિત્ર મુખારવિંદ તો મલકાતું જ રહ્યું. પલવારમાં તો બ્રાહ્મણો એ કકળાટ કરી મૂક્યો: ‘ધિક્કાર છે ધુતારા! ધર્મને નામે આવાં ધતિંગ! ઘરની બાયડી ભડભડતે પેટે ભીખ માગી રહી છે, અને તું લોકોને પ્રભુને નામે ઠગીને અમનચમન ઉડાવી રહ્યો છે! ફિટકાર છે તને, ફિટકાર છે તારા અંધ સેવકોને!' મલકાતે મુખે કબીરજી બોલ્યા: ‘હે નારી! સાચેસાચ મારો અપરાધ થયો છે. મારે આંગણે અન્નજળ હોય ત્યાં સુધી હું તને ભૂખી નહિ રહેવા દઉં. મને માફ કર, ચાલો ઘેરે!' લોકોના ધિક્કાર સાંભળતા સાંભળતા સાધુવર એ સ્ત્રીનો હાથ પકડીને ચાલ્યા. બજારમાં કોઈ હસે છે, કોઈ ગાળે દે છે, કાંકરા ફેંકે છે, તો યે ભક્તરાજ તો હસતા જ રહ્યા. એની આંખોમાં કોઈ નવીન નૂર ઝળકતું હતું. શેરીએ શેરીએ સ્ત્રીપુરુષો ટોળે વળ્યાં, પગલે પગલે શબ્દો સંભળાયા કે ‘જોયો આ સાધુડો! જગતને ખૂબ છેતર્યું.' ઝૂંપડીએ જઈને કબીરજીએ બાઈને મીઠે શબ્દે આદર કરી બેસાડી. એની આગળ જમવાનું ધરીને સાધુવર હાથ જોડી બોલ્યા: ‘બહેન! ગભરાઈશ નહિ, શરમાઈશ નહિ. મારા વહાલા હરિએ જ આજ તને આ ગરીબને ઘેર ભેટ કરી મોકલી છે.' સાધુવર એમ કહીને એ નારીને નમ્યા. એ અધમ નારીનું હૃદય પલકવારમાં પલટી ગયું. જૂઠાં આંસુ ચાલ્યાં ગયાં, સાચાં આંસુની ધારા છૂટી. એ બોલી કે ‘મને ક્ષમા કરો! પૈસાના લોભમાં પડીને મેં મહા પાપ કરી નાખ્યું, મહારાજ! હું આપઘાત કરીને મરીશ.' ‘ના રે ના, બહેન! મારે તો આજ લીલાલહેર થઈ. હરિએ મારો ઠપકો બરાબર સાંભળ્યો. લોકો હવે મને સુખે બેસવા દેશે. આપણે બન્ને આંહીં હરિનાં કીર્તનો ગાશું. તું ગભરાતી નહિ.' ભક્તરાજે જોતજોતામાં તે એ અધમ જીવાત્માને ઊંચે લઈ લીધો. દેશભરમાં વાત વિસ્તરી કે ‘કબીરીઓ તો એક પાખંડી દુરાચારી છે.' કબીરજી એ વાત સાંભળીને માથું નીચે નમાવે છે ને બોલે છે: ‘વાહ પ્રભુ! હું સહુથી નીચે, બરાબર તારા ચરણ આગળ.' રાજાજીના માણસોએ એક દિવસ આવીને કહ્યું કે ‘ભક્તરાજ! પધારો, તમને રાજાજી યાદ કરે છે.' ભક્ત માથું ધુણાવીને બેલ્યા કે ‘બાપુ, રાજદરબારમાં મારું સ્થાન ન હોય.' ‘રાજાજીનું અપમાન કરશો તો અમારી નોકરી જશે, મહારાજ!' ‘બહુ સારું! ચાલો, હું આવું છું.' પેલી બહેનને સાથે લઈને કબીર રાજસભામાં આવ્યા. સભામાં કોઈ હસે છે, કેઈ અાંખના ઈસારા કરે છે, કોઈ માથું નીચે ઢાળે છે. રાજા વિચારે છે કે અરેરે! આ જેગટો બેશરમ બનીને બાયડીને કાં સાથે ફેરવે? રાજાની આજ્ઞાથી પહેરેગીરે ભક્તને સભાની બહાર હાંકી મૂકયા. હસીને ભક્ત ચાલ્યા ગયા. રસ્તામાં એ સંત ઉપર લોકોએ બહુ વીતકો વિતાડયાં. પેલી બાઈ રડી પડી. ભક્તને ચરણે નમીને બેલી: ‘હે સાધુ! મને દૂર કરો. હું પાપણું છું. તમારે માથે મેં દુ:ખના દાભ, ઉગાડયા. સાધુ હસીને કહે, ‘ના રે માતા! તું તો મારા રામની દીધેલી ભેટ છે. તને હું કેમ છેડું?'